You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તોતિંગ નફો કરતી હોવા છતાં ભારતની ખાનગી કંપનીઓ રોકાણ કેમ નથી કરી રહી?
- લેેખક, નિખિલ ઇમાનદાર
- પદ, બીબીસી ન્યૂઝ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
ભારતની ખાનગી કંપનીઓને નવા કારખાનાં અને કંપનીઓના નિર્માણમાં રોકાણ કરાવવા માટે શું કરવું જોઈએ?
આ એક એવો પ્રશ્ન છે જે વર્ષોથી નીતિ નિર્માતાઓને મૂંઝવણમાં મૂકે છે. જ્યારે અર્થતંત્ર એકંદરે વિશ્વને મ્હાત આપતા વિકાસ દર તરફ આગળ વધી રહ્યું છે ત્યારે કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) ના એક ભાગના રૂપમાં 2007 ના વૈશ્વિક નાણાકીય કટોકટી પછી ભારતમાં ખાનગી રોકાણમાં ઘટાડો થઈ રહ્યો છે.
લાંબા વિરામ પછી 2022 અને 2023 માં રોકાણના દરમાં થોડો વધારો થયો હતો. પરંતુ એક અગ્રણી રેટિંગ એજન્સીના તાજેતરના ડેટા દર્શાવે છે કે ભારતના અર્થતંત્રમાં એકંદરે રોકાણના ભાગરૂપે ખાનગી ક્ષેત્રનો ખર્ચ આ નાણાકીય વર્ષમાં ફરી ઘટીને 33 ટકાના દાયકાના નીચલા સ્તરે પહોંચી ગયો છે.
ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફર્મેશન ઍન્ડ ક્રેડિટ રેટિંગ એજન્સીએ 4,500 લિસ્ટેડ કંપનીઓ અને 8,000 અનલિસ્ટેડ કંપનીઓનું વિશ્લેષણ કર્યું છે જે મુજબ જ્યારે લિસ્ટેડ કંપનીઓએ કરેલાં રોકાણોની ગતિ મધ્યમ થઈ હતી, ત્યારે અનલિસ્ટેડ કંપનીઓએ કરેલાં રોકાણો ખરેખર ઘટ્યાં હતાં.
ઘણાં વર્ષોથી અર્થશાસ્ત્રીઓ ખાનગી રોકાણોમાં મંદી અંગે ચિંતાઓ વ્યક્ત કરી રહ્યા છે.
બૅન્કિંગ ક્ષેત્રના દિગ્ગજ ઉદય કોટક એવા ઘણા લોકોમાંના એક છે જેમણે હાલમાં જ ભારતમાં નબળી પડતી "ઍનિમલ સ્પિરિટ" અંગે ચિંતા વ્યક્ત કરી છે.
તેમણે નવા યુવાન માલિકોને કે જેમને વારસામાં કંપનીઓ મળી છે, તેમને આગ્રહ કર્યો છે તેઓ હાલની સંપત્તિનું સંચાલન કરવાને બદલે નવા વ્યવસાયોનું નિર્માણ કરે.
રોકાણ અંગેની સલાહકાર પેઢી વૅલ્યુ રિસર્ચના આંકડા દર્શાવે છે કે ભારતીય બિન-નાણાકીય વ્યવસાયો પાસે તેમની કુલ સંપત્તિના 11 ટકા જ રોકડ છે. જે એ દૃષ્ટિકોણને સમર્થન આપે છે કે કંપનીઓ નવાં રોકાણો કરવામાં પૈસા ખર્ચી રહી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તો શા માટે ભારતીય કૉર્પોરેટ ગૃહો આવું કરી રહ્યાં છે?
ઇકરાના ચીફ રેટિંગ ઑફિસર કે રવિચંદ્રને એક નોંધમાં જણાવ્યું હતું કે શહેરી વિસ્તારોમાં નબળો સ્થાનિક વપરાશ, મંદ પડેલી નિકાસની માંગ અને કેટલાંક ક્ષેત્રોમાં સસ્તી ચીની આયાતનો પ્રવાહ એવા પરિબળો હતા કે જેણે "ભારતીય કૉર્પોરેટ ગૃહોની વિસ્તરણ યોજનાઓની ક્ષમતાને પ્રતિબંધિત કરી".
તાત્કાલિક કારણો ઉપરાંત, "વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને વધુ પડતી ક્ષમતા" ને કારણે ખાનગી રોકાણનો પ્રવાહ ઓછો રહ્યો છે જેનો ભારતના આર્થિક સર્વેક્ષણમાં આ વર્ષની શરૂઆતમાં નિર્દેશ કરવામાં આવ્યો હતો.
ધીમાં પડી રહેલાં ખાનગી રોકાણોની સીધી અસર ભારતના વિકાસની સંભાવનાઓ પર પડે છે.
ફેકટરીઓ, મશીનરી અથવા બાંધકામ જેવી સંપત્તિઓમાં કંપનીઓ દ્વારા કરવામાં આવતા રોકાણને ગ્રૉસ ફિક્સ્ડ કૅપિટલ ફૉર્મેશન કહેવાય છે. જે જીડીપીના લગભગ 30 ટકા જેટલો હિસ્સો ધરાવે છે અને ખાનગી વપરાશ પછી સૌથી મોટો ફાળો આપનાર બીજું ક્ષેત્ર છે.
ભારતનો આખા વર્ષનો જીડીપી 6.5 ટકા પર રહેવાની ધારણા છે, જે ગયા વર્ષના 9.2 ટકાની તુલનામાં ખૂબ જ ઓછો છે. ધીમા વપરાશને કારણે વિકાસ દર ઘટી ગયો છે.
નિષ્ણાતો કહે છે કે નિકાસ સહિત વૃદ્ધિનાં તમામ મુખ્ય પરિબળો ધીમાં પડી રહ્યાં છે અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ વૈશ્વિક અનિશ્ચિતતાઓને વધારી રહી છે. તેથી ભારતના લાંબા ગાળાનાં વિકાસ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ખાનગી રોકાણ શરૂ કરવું મૂળભૂત બની રહેશે.
વિશ્વ બૅન્કના તાજેતરના અંદાજ મુજબ 2047 સુધીમાં ભારતને તેની ઉચ્ચ-આવકની મહત્ત્વાકાંક્ષા પ્રાપ્ત કરવા માટે આગામી 22 વર્ષોમાં સરેરાશ 7.8 ટકાના દરે વિકાસ કરવો પડશે.
આ અંગે બૅન્કનો અંદાજ છે કે ખાનગી અને સાર્વજનિક રોકાણને વર્તમાન જીડીપીના 33 ટકાથી વધારીને ઓછોમાં ઓછું 40 ટકા જેટલો કરવું પડશે.
'અર્થતંત્રમાં માંગનો અભાવ'
સરકારે પોતાના તરફથી ખર્ચમાં નોંધપાત્ર વધારો કર્યો છે, ખાસ કરીને માળખાગત સુવિધાઓ પર. તેણે કોર્પોરેટ ટેક્સ દર 30 ટકાથી ઘટાડીને 22 ટકા કર્યા છે અને વર્ષોથી ઉત્પાદકોને ઉત્પાદન-સંલગ્ન સબસિડી તરીકે અબજો ડૉલરનું વિતરણ કર્યું છે.
બૅન્ક ક્રેડિટની ઉપલબ્ધતા હવે અવરોધ નથી, 2003 અને 2020 ની વચ્ચે નિયમનકારી પ્રતિબંધો અડધા થઈ ગયા હોવાથી નિયમન હળવું થયું છે.
પરંતુ આમ છતાં તે કૉર્પોરેટ ભારતને ખર્ચ વધારવા માટે પ્રેરિત નથી કરી શક્યું.
જેપી મૉર્ગન ઇન્ડિયાના મુખ્ય અર્થશાસ્ત્રી સજ્જિદ ચિનોયના મતે, મોટી સમસ્યા અર્થતંત્રમાં માંગનો અભાવ છે. જેના કારણે વધારાની ક્ષમતાઓ ઊભી કરવું એ વાજબી નથી.
રોગચાળા પછી ભારતની રિકવરી અસમાન રહી છે. ગ્રાહક વર્ગ પૂરતો ઝડપથી વિસ્તરી નથી રહ્યો. આમ, માલ અને સેવાઓની માંગને ફટકો પડ્યો છે. વેતનમાં ઘટાડાથી ખર્ચ કરવાની ક્ષમતામાં વધુ ઘટાડો થયો છે. જોકે આ વર્ષે કૉર્પોરેટ નફો 15 વર્ષની ટોચે પહોંચી ગયો છે.
ચિનોયે આ વર્ષની શરૂઆતમાં મુંબઈમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું, "ફક્ત કંપનીઓ આર્થિક રીતે મજબૂત હોવાનો અર્થ એ નથી કે તેઓ આપમેળે રોકાણ કરશે. કંપનીઓ ફક્ત ત્યારે જ રોકાણ કરશે જો તેમને સારા વળતરની અપેક્ષા હોય."
પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના ભૂતપૂર્વ સભ્ય રથિન રૉય રોકાણની ભૂખને રોકતા અન્ય ઊંડા માળખાકીય મુદ્દાઓ તરફ નિર્દેશ કરે છે.
રૉયે બીબીસીને જણાવ્યું, "ઉદ્યોગસાહસિકો પાસે એવી વસ્તુઓનું ઉત્પાદન કરવાની ઊર્જાનો અભાવ છે જે નવી માંગ પેદા કરી શકે છે. આનું ઉત્તમ ઉદાહરણ બાંધકામ છે - જ્યાં શહેરી વિસ્તારોમાં તો માલ વેચાયા વગરનો પડ્યો છે. પરંતુ બિલ્ડરો બીજા અને ત્રીજા સ્તરનાં શહેરોમાં જઈને નવા બજારોનો ઉપયોગ કરવા માટે અસમર્થતા છે."
તેમણે કહ્યું કે તેઓ કોટકનાં મંતવ્યોથી પણ સંમત છે કે વ્યવસાયના વારસદારો નવા વ્યવસાયો બનાવવાને બદલે સંપત્તિનાં મૅનેજર માત્ર બની રહ્યા છે.
રૉયે કહ્યું, "કોવિડ-19 દરમિયાન વ્યાપાર ગૃહોને જાણવા મળ્યું કે તેમને પૈસા કમાવવા માટે વ્યવસાય કરવાની જરૂર નથી. તેઓ કંઈ પણ નવું બનાવ્યા વિના ફક્ત રોકાણ કરી શકે છે અને તેને વધારી શકે છે."
તેમણે ઉમેર્યું,"અને આ રોકાણો ફક્ત સ્થાનિક શેરબજારમાં થઈ રહ્યા નથી. ઘણા પૈસા ભારતમાંથી બહાર નીકળી રહ્યા છે અને અન્યત્ર મળતા વળતરનો પીછો કરી રહ્યા છે."
પરંતુ ઇકરાના મતે આમાં પરિવર્તન પણ આવી શકે છે.
રિપોર્ટ મુજબ વ્યાજ દરમાં ઘટાડો તેમજ ફેડરલ બજેટમાં વ્યક્તિઓને આપવામાં આવેલી 12 બિલિયન ડૉલર આવકવેરા રાહત "સ્થાનિક વપરાશ માંગને ટેકો આપવા માટે સારી તક છે".
ભારતની મધ્યસ્થ બૅન્ક એમ પણ કહે છે કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વધુ ખાનગી કંપનીઓએ રોકાણ કરવાનો ઇરાદો દર્શાવ્યો છે. જોકે તે ઇરાદામાંથી વાસ્તવિક નાણાંનો કેટલો ઉપયોગ થાય છે તે જોવાનું બાકી છે.
ઇક્રાના જણાવ્યા અનુસાર વૈશ્વિક વેપાર ટૅરિફ સંબંધિત અનિશ્ચિતતાઓ કોઈપણ અપેક્ષિત રોકાણ વૃદ્ધિમાં વિલંબ કરી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન