ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા 41 મજૂરોનો પ્રથમ વીડિયો આવ્યો, કઈ રીતે પહેલી વખત પહોંચાડાયું ગરમ ભોજન?

ઇમેજ સ્રોત, PTI
ઉત્તરકાશીમાં સિલક્યાલા ટનલમાં 10 દિવસથી ફસાયેલા મજૂરોને બચાવવા માટેના પ્રયાસો હજુ ચાલુ છે. આજે આ રાહતબચાવ ઑપરેશનનો દસમો દિવસ છે.
રાહતબચાવ માટેનું તંત્ર ઍન્ડોસ્કોપી કૅમેરા મારફતે આ મજૂરો સુધી પહોંચી પણ ગયું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ આ અંગેનો વીડિયો પણ જાહેર કર્યો છે. ટનલમાં દિવસોથી ફસાયેલા મજૂરોનો આ પ્રથમ વીડિયો છે.
એએનઆઇ પ્રમાણે સોમવારે રાત્રે મજૂરો સુધી પ્રથમ વખત ગરમ ખીચડી પહોંચાડાઈ રહી છે.
ટનલમાં ફસાયેલા 41 મજૂરો સુધી છ ઇંચનો એક પાઇપ મોકલાવાયો છે. આ પાઇપ મારફતે મજૂરો સુધી ભોજન-પાણી પહોંચાડાઈ રહ્યાં છે.
આ જ પાઇપ મારફતે મજૂરો સુધી કૅમેરા પહોંચાડાયો છે, જેની લંબાઈ 24 મીટર છે.
આ વીડિયોમાં મજૂરો એક કતારમાં ઊભેલા દેખાય છે.
કેવી રીતે પ્રથમ વખત પહોંચાડાયું ગરમ ભોજન

ઇમેજ સ્રોત, PTI
સોમવારે સાંજે રાહત ઑપરેશનમાં એક સફળતા મળી. સોમવારે સાંજે રાહત ટીમો કાટમાળમાંથી ટનલમાં છ ઇન્ચનો પાઇપ નાખવામાં સફળ થયા હતા. તેમાં કૅમેરાને એક લવચિક કેબલ સાથે જોડીને મોકલવામાં આવ્યો છે જેથી ટનલની અંદર ફસાયેલા લોકોને જોઈ શકાય.
સમાચાર એજન્સી પીટીઆઈએ પોસ્ટ કરેલા વીડિયોમાં ટનલમાં ફસાયેલા લોકોનું ફૂટેજ જોઈ શકાય છે. તેમને હાથ હલાવવા અને હસવા કહેવામાં આવે છે, તેમનું નામ પૂછવામાં આવે છે અને તેઓ બધાં સૂચનોની પ્રતિક્રિયા પણ આપે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટનલમાં મજૂરોના હાથમાં વૉકીટૉકી જોવા મળે છે, સંવાદ માટે રાહત ટીમો ટુ-વે રેડિયો વાપરી રહ્યા છે.
તેમનું જણાવવામાં આવે છે કે પાઇપને સાફ કરીને પાણી મોકલવામાં આવશે.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર ટનલની અંદર મજૂરોને 53 મીટર લાંબા અને છ ઇન્ચ નાના પાઇવ વળે ગરમ ખીચડી મોકલવામાં આવી છે.
ટનલના એક ભાગમાં વીજળી અને પાણી છે અને ચાર ઇન્ચના એક કૉમ્પ્રેસર પાઇપ વડે મજૂરોને ઑક્સિજન, ખાવા-પીવાની વસ્તુઓ અને દવાઓ મોકલવામાં આવી રહી હતી.
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હવે નવા પાઇપથી અંદર ફસાયેલા મજૂરોને ખાવા માટે કંઈ મોકલવામાં આવ્યું છે. આ વિશે ખાલખોએ કહ્યું કે મજૂરોની હાલતને જોતા ડૉક્ટરોની મદદથી એક લિસ્ટ બનાવવામાં આવી છે.
તેમણે કહ્યું, “અમે ખૂલા મોઢાવાળી પ્લાસ્ટિકની ગોળ બૉટલ લાવીએ છીએ જેથી તેમાં કેળા, સફરજન, ખીચડી અને દલિયા અંદર મોકલી શકીએ..”
ખીચડી પણ ગોળ બૉટલમાં ભરીને અંદર મોકલી છે. ખીચડી બનાવનાર કુક હેમંતે કહ્યું કે પહેલી વખત મજૂરો માટે ગરમ ભોજન મોકલવામાં આવ્યું છે. તેમણે કહ્યું, અમે એજ બનાવીએ છીએ જે અમને કહેવામાં આવે છે.
ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)ના ડ્રોન અને રોબોટ પણ અહીં લાવવામાં આવ્યા છે, જેથી ફસાયેલા લોકોને નીકળવા માટે રસ્તા શોધી શકાય.
બચાવકર્મીઓ અત્યાર સુધી સામથી રસ્તો બનાવવાનું કામ કરી શક્યા નથી કારણ કે કાટમાળમાં અંદર કોઈ ખડકો આવવાને કારણે કામ રોકવું પડ્યું છે.
રાહત કાર્યોમાં જોડાયેલી એજન્સીઓએ ગત નવ દિવસથી એક પછી એક યોજના પર કામ કરવાનો પ્રયત્ન કર્યો છે. પણ અત્યાર સુધી કોઈ પણ યોજના સફળ થઈ નથી.
અધિકારી અને મંત્રીઓની મુલાકાતોનો સિલસિલો ચાલી રહ્યો છે.
આદેશ પણ આપવામાં આવી રહ્યા છે પરંતુ ઑપરેશન ક્યારે પૂરું થશે તેનો જવાબ કોઈની પાસે નથી.
ઉત્તરકાશીથી આસિફ અલીના અહેવાલ અનુસાર ટનલમાં ફસાયેલા લોકોના જીવન ક્યારે બચાવાશે? ટનલની બહાર મજૂરાના પરિવારજનોના ચહેરા પર આ સવાલની પીડા જોઈ શકાય છે. બધાના ચહેરા પર આશંકા છે કે ક્યાંક કોઈ માઠા સમાચાર ન આવે.
પરિવારજનોનો ડર સ્વાભાવિક છે કારણ કે અત્યાર સુધી આ પરિવારજનોને કોઈ ભરોસો સ્પષ્ટ રીતે આપવામાં નથી આવ્યો. સોમવારે સાંજે પત્રકારો સાથે વાત કરતા એનએચઆઈડીસસીએલના ડાયરેક્ટરે અચંબિત કરનારી વાત કહી.
‘મજૂરો સાથે વાતચીત શક્ય બની’

ઇમેજ સ્રોત, ANI
નેશનલ હાઇવેઝ ઍન્ડ એનએચઆઈડીસીએલના ડિરેક્ટર અંશુ એમ. ખલ્ખોએ સોમવારે આ અંગે વધુ માહિતી આપી હતી.
"અમે આ દિશામાં પ્રથમ સફળતા હાંસલ કરી લીધી છે. અમે પાછલા નવ દિવસોથી પ્રયત્ન કરી રહ્યા છે. આ કામ અમારી પ્રાથમિકતા છે."
"મજૂરોને બચાવવા માટે જરૂરી સાધનો એકઠાં કરાઈ રહ્યાં છે અને આગામી બે દિવસમાં સાધનો અહીં આવી પહોંચશે."
"બીઆરઓ ઉત્તરકાશીથી બારકોટ સુધી રસ્તા બનાવી રહ્યું છે. મશીન ખૂબ જ ભારે છે. તેમને હવાઈ માર્ગે અહીં ન લાવી શકાય. રસ્તો બનાવીને જ આ કામ શક્ય બની શકે. અમે હાલ એ મશીનો માટે રાહ જોઈ રહ્યા છીએ."
આ કામ માટે નીચેની તમામ સંસ્થાઓ એક સાથે મળીને કામ કરી રહી છે,
- ઑઇલ ઍન્ડ નેચરલ ગૅસ કૉર્પોરેશન (ઓએનજીસી)
- સતલુજ જલ વિદ્યુત નિગમ
- રેલ ડેવલપમૅન્ટ કૉર્પોરેશન
- નેશનલ હાઇવે ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમૅન્ટ કૉર્પોરેશન લિમિટેડ (એનએચઆઇડીસીએલ)
- તેહરી હાઇડ્રો ડેવલપમૅન્ટ કૉર્પોરેશન લિમિટેડ (ટીએચડીસીએલ)
જે સ્થળે મજૂરો ફસાયા છે એ વિસ્તારની ઊંચાઈ 8.5 મીટર અને લંબાઈ બે કિમી છે.
સતલજ જલ વિદ્યુત નિગમ લિમિટેડ ટોચથી ડ્રિલિંગ કરશે. આ કામ માટે મશીનો કામે લગાડાઈ છે. રેલવે મારફતે આ મશીનો કાર્યસ્થળે પહોંચાડાશે. જે ગુજરાત અને ઓડિશાથી આવવાની છે.
ઓએનજીસી ખૂબ ઊંડાણ સુધી ડ્રિલિંગ કરવામાં નિષ્ણાત છે. તેઓ પણ આ કામમાં સહાય કરી રહ્યા છે.
16 નવેમ્બરે આવેલા ભૂકંપનો ડર

ઇમેજ સ્રોત, ANI
નેશનલ હાઈવે એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના ડાયરેક્ટર અંશુ મનીષ ખલકોએ સોમવારે સાંજે પત્રકારો સાથે વાત કરતી વખતે મહત્ત્વપૂર્ણ માહિતી આપતા કહ્યું કે, "16 નવેમ્બરે આવેલા ભૂકંપને કારણે ટનલમાં તિરાડો સંભળાઈ હતી. જેના ડરને કારણે કામદારો પણ કામ કરવા માગતા ન હતા અને બે દિવસ સુધી ટનલમાં કામની ગતિ ધીમી રહી હતી."
તેમણે એમ પણ જણાવ્યું કે, "હવે એક ઍસ્કેપ ટનલ બનાવવામાં આવી રહી છે જેથી કરીને જો કોઈ ભૂસ્ખલન થાય કે કોઈ ઘટના બને તો કામદારોને બહાર કાઢી શકાય."
કામદારોને બહાર કાઢવાના વિકલ્પો અંગે વાત કરતા તેમણે કહ્યું કે, "કામદારોના બચાવ માટેના તમામ વિકલ્પો પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. તમામ નિષ્ણાતોની એક ટીમને અહીં બોલાવવામાં આવી છે જેથી બચાવ કામગીરી ઝડપથી આગળ ધપાવી શકાય."
તેમણે કહ્યું, "આંતરરાષ્ટ્રીય સ્તરના નિષ્ણાતો પણ હાજર છે જેમની પાસેથી સમયસર સલાહ લેવામાં આવી રહી છે. ટનલની અંદર ડ્રોન મગાવવામાં આવ્યા છે. પરંતુ ડ્રિલિંગ સફળ ન થવાને કારણે હવે ઍન્ડોસ્કોપી કૅમેરા મગાવવામાં આવ્યા છે."
પ્રથમ દિવસથી બચાવકાર્યમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે બચાવ એજન્સીઓ હાલમાં એક પણ યોજના પર યોગ્ય રીતે કામ કરી શકી નથી.
સતલુજ હાઇડ્રોઇલેક્ટ્રિક કોર્પોરેશન લિમિટેડના અધિકારીઓનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, ASIF ALI
સતલુજ હાઈડ્રોપાવર પ્રોજેક્ટના જીએમ જસવંત કપૂરે બીબીસીને જણાવ્યું, "અમને વડા પ્રધાન કાર્યાલયના નિર્દેશ પછી અમને અહીં મોકલવામાં આવ્યા છે. અમે અમારી યોજના આપી છે જે અંતર્ગત 1.2 વ્યાસની લગભગ 90 મીટર ઊભી ડ્રિલિંગ કરવામાં આવશે. આ પછી સુરંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવશે."
તેમણે એ પણ માહિતી આપી, "અમે હાલમાં તે મશીનને અહીં જમીન પર સ્થાપિત કરવા માટે જરૂરી સુવિધાનું નિર્માણ કરી રહ્યા છીએ. બીજી ડ્રિલ તેનાથી અમુક અંતરે 24 ઇંચની ડ્રિલ હશે જેનો ઉપયોગ કામદારોને ખાદ્યપદાર્થો સપ્લાય કરવા માટે કરવામાં આવશે. હવે ઊભી ડ્રિલિંગ માટેના મશીનો ગુજરાતના વલસાડ અને ઓડિશાના હીરાકોટથી મંગાવવામાં આવ્યા છે. "
સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે હાથ ધરવામાં આવેલા બચાવ અભિયાનમાં સહયોગ આપવા ભારત સરકારની વિનંતી પર આંતરરાષ્ટ્રીય સ્તરના ટનલ નિષ્ણાત આર્નોલ્ડ ડિક્સ પણ ઉત્તરકાશી ટનલ પહોંચ્યા છે.
વડા પ્રધાન કાર્યાલયની સૂચના બાદ અમને અહીં મોકલવામાં આવ્યા છે. અમે અમારી યોજના આપી છે જે અંતર્ગત 1.2 વ્યાસની લગભગ 90 મીટર ઊભી ડ્રિલિંગ કરવામાં આવશે. આ પછી ટનલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવશે.
આર્નોલ્ડ ડિક્સ ઇન્ટરનેશનલ ટનલીંગ ઍન્ડ અંડરગ્રાઉન્ડ સ્પેસ ઍસોસિએશન (ITA) ના પ્રમુખ છે.
વિશ્વભરમાં ભૂગર્ભ ટનલના નિર્માણ અને જોખમનો સામનો કરવાની ક્ષમતા ધરાવતા આંતરરાષ્ટ્રીય નિષ્ણાત પ્રો. આર્નોલ્ડ ડિક્સ સિલ્ક્યારા (ઉત્તરકાશી) પહોંચ્યા અને ટનલની અંદર અને બહારનું નિરીક્ષણ કર્યું.
તેમણે બચાવ કાર્યમાં લાગેલી એજન્સીઓ સાથે વાત કરી. અહીંની ભૂસ્તરશાસ્ત્રીય માટી અને પથ્થરોની તપાસ કર્યા પછી, આર્નોલ્ડ ડિક્સે એસજેવીએનએલ અધિકારીઓ સાથે મળીને બે સ્થળોની ઓળખ કરી.
આર્નોલ્ડનું કહેવું છે કે આ જગ્યા ટનલની ઉપર ડ્રિલિંગ માટે યોગ્ય છે અને કામદારોને ટૂંક સમયમાં સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવશે.
વડા પ્રધાન રાખી રહ્યા છે નજર

ઇમેજ સ્રોત, NDRF
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીને ફોન કરીને રાહતબચાવ ઑપરેશન અંગે જાણકારી મેળવી હતી.
નોંધનીય છે કે આ રાહતબચાવ કાર્ય માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને કામે લાગેલી છે.
મુખ્ય મંત્રી ધામીએ પણ આ કામની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. અત્યાર સુધી વડા પ્રધાન મોદી ત્રણ વખત સ્થિતિની જાણકારી લઈ ચૂક્યા છીએ.
મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીએ જાણકારી આપી છે કે મજૂરો અંદર સલામત છે.

























