નેપાળ પૂર: ઘરની ચારે બાજુ પાણી અને કાદવમાં બધું ધોવાઈ ગયું, બાલ્કની પર ફસાયેલા પરિવારનું શું થયું?

ઇમેજ સ્રોત, X
સોશિયલ મીડિયા પર હવે નેપાળમાં બુધવારે આવેલા ભીષણ પૂરનાં ભયાનક તસવીરો અને વીડિયો ક્લિપ સામે આવવાં લાગ્યાં છે.
સોશિયલ મીડિયા પર આવી રહેલાં તસવીરો અને વીડિયોથી ખબર પડે છે કે નેપાળ-તિબેટ બૉર્ડરે આવેલું પૂર કેટલું ભયાનક હતું.
આ વીડિયોઝમાં દેખાઈ રહ્યું છે કે પૂરનાં પાણી અને કાદવ એક પછી એક વિસ્તારોને વહાવીને આગળ લઈ જઈ રહ્યાં છે. કેટલાક વીડિયોમાં પાકાં મકાનો પણ તણખાંની માફક પાણીમાં વહી જતાં જોઈ શકાય છે.
પરંતુ આ દર્દનાક વીડિયોઝમાંથી પણ એક વીડિયો ઘણો વાઇરલ થઈ રહ્યો છે.
વીડિયો ત્રિશૂલી નદી પાસેના વિસ્તારનો - બીબીસી વેરિફાઈ

ઇમેજ સ્રોત, BBC/INSTAGRAM
બીબીસી વેરિફાઈ પ્રમાણે આ વીડિયો ક્લિપ ત્રિશૂલી નદી પાસેના વિસ્તારની છે.
બીબીસી વેરિફાઈએ આ મકાનનો વીડિયો શૅર કરતાં લખ્યું છે કે ત્યારે આ લોકો આ ઘરમાં ફસાયેલા હતા.
બીબીસી વેરિફાઈએ આ લોકોની ઓળખ છતી નથી કરી. પરંતુ આ વીડિયો શૅર કરતા તેણે જણાવ્યું કે આ દરમિયાન આ પરિવાર કોઈક રીતે બચેલો રહ્યો. દરમિયાન કોઈ વ્યક્તિ આ ઘરની છત પર મદદ માટે લાલ દુપટ્ટો લહેરાવી રહ્યો હતો.
પૂર અટક્યા બાદ લોકો મદદ માટે પહોંચ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વીડિયોમાં ઓછામાં ઓછા ત્રણ લોકો દેખાઈ રહ્યા છે, જેમાં એક પુરુષ, એક મહિલા અને એક કદાચ એક બાળકી છે.
આ લોકો ઘરના બીજા માળે બાલ્કની જેવી જગ્યાએ ફસાયેલા દેખાઈ રહ્યા છે.
તેમની ચારેકોર કીચડવાળું પૂરનું પાણી દેખાઈ રહ્યું છે. પાણીની સાથોસાથ મોટા પથ્થર, કાટમાળ અને એસ્બેસ્ટસની ટુકડા વહી રહ્યા છે.
આ વસ્તુઓ સતત આ ઘર સાથે અથડાઈ રહી છે. જે હજુ પણ ઊભું છે, આ બધી ચીજો જાણે આ ઘરને પણ પોતાની સાથે વહાવી લઈ જવાની હઠ પકડી બેઠી છે.
આ દરમિયાન, ઘરના લોકો નિરાધાર બાલ્કનીમાં ઊભેલા દેખાઈ રહ્યા છે. એક મહિલા મકાનની છત પર પહોંચીને મદદ માટે લાલ દુપટ્ટો લહેરાવતાં દેખાઈ રહ્યાં છે.
સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર લોકો શું કહી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આંતરરાષ્ટ્રીય મામલાના વિશ્લેષક એરિક ચેને આ વીડિયો ફૂટેજ શૅર કરતાં લખ્યું છે, "આ તાજેતરમાં જોવા મળેલું સૌથી હતાશ કરનારું દૃશ્ય છે."
"આ ઘર આવા તીવ્ર પ્રવાહ વચ્ચે હજુ પણ ઊભું છે, જેણે તેની આસપાસની દરેક વસ્તુને મિટાવી નાખી છે."
"લોકો બાલ્કની અને છત પર કોઈ રીતે ટકેલા છે, જ્યારે કાદવ, બરફ, ખડકો અને પાણીની મોટી લહેરો નેપાળ-તિબેટની આ ખીણને ચીરતી આગળ વધી રહી છે."
"તેઓ માત્ર કોઈ આંકડા નથી, આ એક પરિવાર છે. જે એ વાત જાણવાની રાહ જોઈ રહ્યો છે કે પાણીની બીજી લહેર તેમની પાસે બચેલી અંતિમ સુરક્ષિત જગ્યાને પણ વહાવીને લઈ જશે કે નહીં."
"પ્રાર્થના કરું છું કે તેઓ જીવિત રહે, પ્રાર્થના કરું છું કે બચાવકર્મી પાણીની વધુ એક મોટી લહેર આવે એ પહેલાં તેમના સુધી પહોંચી જાય."
"માત્ર પકૃતિની તાકત જ આ ફૂટેજને અસહ્ય નથી બનાવતી. નેપાળી પક્ષના રિપોર્ટો પ્રમાણે, આ પૂરનો તીવ્ર પ્રવાહ તિબેટની તરફ લ્હેન્દે-ભોટેકોશી નદીથી શરૂ થયો, જ્યાં હિમખંડ તૂટ્યા બાદ કાટમાળ નદીમાં પડ્યો."
"નીચલા વિસ્તારોમાં રહેતા લોકોનું કહેવું છે કે ચાઇનીઝ અધિકારીઓ તરફથી સમયસર કોઈ આધિકારિક ચેતવણી ન મળી."
"બેઇજિંગ પહેલાં સ્થાનિકોએ ખતરાની સૂચના આપી. ત્રિશૂલી નદીનું જળસ્તર લગભગ 30 મિનિટમાં નવ મીટર સુધી વધી ગયું."
"આ જ અડધો કલાક કોઈના માટે સુરક્ષિત સ્થળે પહોંચવાનો અને બાલ્કની પર ફસાઈને વિશ્વને પોતાની આંખ સામે મટતું જોવા વચ્ચેનો ફરક છે."
"ચીને બાદમાં સમયસર ચેતવણી આપવામાં કોઈ પણ જાતની નાકામીનો ઇનકાર કર્યો અને કહ્યું કે બરફ અને ખડકોનું હિમસ્ખલન એટલું અચાનક થયું કે નદીના ગેજ પણ તેને ખૂબ મુશ્કેલીથી પકડી શક્યા."
"તો પછી એ વાતનો જવાબ આપવો જોઈએ કે વર્ષ 2025માં આ જ નદીમાં આવેલા પૂર બાદ જે ક્રોસ-બૉર્ડર પૂર્વ ચેતવણી પ્રણાલી અંગે ચર્ચા થઈ હતી, એ આ વખત પૂર આવ્યું ત્યાં સુધી સમાધાન સ્વરૂપે લાગુ કેમ ન થઈ શકી?"
"ઉપરની તરફથી આવતું મૌન કોઈ તકનીકી મામૂલી વાત નથી. આ એવા લોકો પાસેથી છીનવી લેવાયેલી મિનિટ છે, જેમની પાસે બચવા માટે ક્યાંય જવાનો સમય નહોતો."
"સેંકડો લોકોનાં મૃત્યુ થયાં છે. એક હજાર કરતાં વધુ લોકો હજુ પણ ગુમ છે. જેમાં વિદેશી તીર્થયાત્રી અને ટ્રૅકર્સ પણ સામેલ છે, જે ઘર પડતાં રહી ગયાં, એ કોઈ ચમત્કારની કહાણી નથી."
"એ જીવન અને નદી વચ્ચે રહી ગયેલી એક પાતળી અંતિમ રેખા છે. પ્રાર્થના કે એ પરિવાર હજુ પણ સુરક્ષિત છે."
નેપાળમાં મૃતકોની સંખ્યા 600 પાર

ઇમેજ સ્રોત, Getty Images
બુધવારે નેપાળમાં આવેલા પૂરમાં મૃતકોની સંખ્યા 670 કરતાં વધી ગઈ છે. નેપાળ પોલીસે આ માહિતી આપી છે.
તેમજ ચાઇનીઝ સરકારી અધિકારીઓ અનુસાર, તિબેટમાં મૃતકોની સંખ્યા વધીને સાત થઈ ગઈ છે અને 554 લોકો હજુ પણ ગુમ છે.
નેપાળમાં પૂર બાદ આંતરરાષ્ટ્રીય રાહત એજન્સીઓ અને ઘણા દેશોની સરકારોએ ઇમર્જન્સી રાહત અને બચાવનું કામ ઝડપી બનાવી દીધું છે.
પૂર બાદ નેપાળમાં લગભગ 2000 લોકો હજુ પણ ગુમ હોવાનું જણાવાઈ રહ્યું છે.
યુરોપિયન સંઘ, કૅનેડા અને અમેરિકા સહિત ઘણા દેશોએ નેપાળને રાહતસામગ્રી કે આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે.
સંયુક્ત રાષ્ટ્રના એક પ્રવક્તા પ્રમાણે, દસ હજાર કરતાં વધુ પરિવારોને ભોજન-પાણી અને સ્વચ્છ પાણીની તાત્કાલિક જરૂર છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



























