ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે, ઑગસ્ટમાં વરસાદ ઘટશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- પ્રકાશિત
ગુજરાતમાં હાલ મોટા ભાગના જિલ્લાઓમાં તેની સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે. ગત જુલાઈ મહિનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ થયો હતો.
હવે હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે ભારતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે તો કેટલાક વિસ્તારોમાં વરસાદ બંધ થવાની શક્યતા છે.
હાલ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ બંધ થઈ ગઈ છે અને વરાપ નીકળી ચૂકી છે, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં હજી પણ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે.
દેશભરમાં હાલ મૉન્સૂન બ્રેકની સ્થિતિ છે, એટલે કે દેશમાં જાણે ચોમાસું સ્થગિત થઈ ગયું હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે. આ સ્થિતિમાં ગુજરાતમાં પણ હાલ વરસાદ ખેંચાય તેવું લાગી રહ્યું છે.
રાજ્યમાં એક અઠવાડિયા દરમિયાન વરસાદની સ્થિતિ સારી દેખાઈ રહી નથી. મોટા ભાગના વિસ્તારોમાં શુષ્ક હવામાન જોવા મળે તેવી સ્થિતિ છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પ્રશાંત મહાસાગરમાં બની રહેલા અલ નીનોની અસર ભારતના ચોમાસા પર અત્યાર સુધી થઈ ન હતી પરંતુ હવે તેની અસર દેખાવાની શરૂ થાય તેવી શક્યતા છે.

ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની શક્યતા કેટલી?

ઇમેજ સ્રોત, IMD Gujarat
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે હાલ ગુજરાતમાં વરસાદી ગતિવિધિ સામાન્ય રહેવાની શક્યતા છે. એટલે કે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ પડે તેવી શક્યતા છે.
રાજ્યમાં આગામી એક અઠવાડિયા સુધી ભારે કે અતિભારે વરસાદની શક્યતા જણાતી નથી. એટલે કે આવનારા એક અઠવાડિયા દરમિયાન રાજ્યમાં નવો વરસાદી રાઉન્ડ આવે તેવી સંભાવના હાલની સ્થિતિ પ્રમાણે દેખાતી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવામાન વિભાગે જે બુલેટિન જારી કર્યું છે એ પ્રમાણે બે કે ત્રણ દિવસ બાદ ગુજરાતમાં વરસાદી ગતિવિધિમાં વધારો થાય તેવી શક્યતા છે. ઉત્તર તથા મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે. જોકે, ભારે વરસાદ કે નવો રાઉન્ડ શરૂ થાય એટલા પ્રમાણમાં વરસાદ વધે તેવી સંભાવના દેખાતી નથી.
કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં આવનારા એક અઠવાડિયા સુધી હવામાન શુષ્ક રહે તેવી સંભાવના છે. દક્ષિણ અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હાલ છૂટોછવાયો વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો ખાસ કરીને ગીર-સોમનાથ અને જૂનાગઢના વિસ્તારોમાં પણ ક્યાંક છૂટોછવાયો વરસાદ થાય તેવી શક્યતા છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની સંભાવના દેખાઈ રહી છે અને કેટલાક વિસ્તારોમાં તાપમાન ઊંચું જાય તેવી શક્યતા છે.

ગુજરાતમાં વરસાદ બંધ થવાનું કારણ શું છે?

ઇમેજ સ્રોત, Bipin Tankariya
રાજ્યમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ બાદ ઑગસ્ટ મહિનાની શરૂઆત જ નહિવત્ વરસાદથી થઈ છે. મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ બંધ થઈ ગયો છે.
સરળ રીતે સમજીએ તો ભારતમાં ચોમાસા દરમિયાન જે વરસાદ આવે છે તે બંગાળની ખાડી અને દેશના ભૂ-ભાગો પર સર્જાતી વિવિધ વરસાદી સિસ્ટમોને આભારી છે.
હાલ બંગાળની ખાડીમાં કોઈ નવી મજબૂત સિસ્ટમ સર્જાય તેવી શક્યતા ખૂબ ઓછી દેખાઈ રહી છે. જ્યારે ઉત્તર ભારત તરફ આવનારાં વૅસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચોમાસામાં નબળાં હોય છે.
બંગાળની ખાડીમાં સર્જાતી સિસ્ટમ સામાન્ય રીતે મધ્ય ભારતથી થઈને ગુજરાત તથા રાજસ્થાન તરફ આવતી હોય છે અને તેના કારણે આપણે વધારે વરસાદ થતો હોય છે.
જ્યારે સિસ્ટમો સર્જાય ત્યારે ચોમાસાની ટ્રફ રેખા પણ હિમાલયની પહાડીઓથી નીચે આવતી હોય છે અને તેનો ઉત્તર તરફનો છેડો રાજસ્થાન કે ગુજરાત પર આવે ત્યારે ભારે વરસાદ થતો હોય છે.
હાલ આ ટ્રફ રેખા હિમાલયની તળેટીના વિસ્તાર પર સ્થિર છે અને જેથી હિમાલયના પહાડી વિસ્તારોમાં વરસાદ કેન્દ્રિત થયો છે. હવામાનના આ કારણોને લીધે રાજ્યમાં હાલ વરસાદી ગતિવિધિ અટકી ગઈ છે.

ઑગસ્ટ મહિનામાં શું રહેશે સ્થિતિ?

ઇમેજ સ્રોત, IMD
હવામાન વિભાગે તાજેતરમાં બાકી રહેલા ચોમાસા માટે એક પૂર્વાનુમાન જારી કરીને કહ્યું છે કે ઑગસ્ટ મહિનામાં પશ્ચિમ ભારતના વિસ્તારોમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહે તેવી સંભાવના દેખાઈ રહી છે.
પશ્ચિમ ભારતમાં ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે એટલે કે ઑગસ્ટમાં ગુજરાતમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો થાય તેવી શક્યતા છે.
હાલ 1 જૂનથી લઈને 6 ઑગસ્ટ સુધી રાજ્યમાં તેની સરેરાશ કરતાં 55 ટકા વધારે વરસાદ થયો છે. ગુજરાતના પાંચ જિલ્લાને બાદ કરતાં તમામ જિલ્લાઓમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ તથા કચ્છમાં તેની સરેરાશ કરતાં 100 ટકા વધારે વરસાદ થયો છે.
જોકે, હવે ઑગસ્ટ મહિનામાં વરસાદની સ્થિતિ જરા ચિંતાજનક થવાની શક્યતા દેખાઈ રહી છે. હવામાન વિભાગના આંકડાકીય મૉડલ પ્રમાણે હાલની સ્થિતિ પ્રમાણએ 15 ઑગસ્ટ સુધી રાજ્યમાં નવા રાઉન્ડની શક્યતા દેખાતી નથી.

ચોમાસા પર હવે અલ નીનોની અસર દેખાશે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હાલ પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની સ્થિતિ મજબૂત બની રહી છે ત્યારે દુનિયાભરમાં આ અલ નીનોને લઈને ચર્ચા ચાલી રહી છે. વિશ્વના સમુદ્રો ગરમ થઈ રહ્યા છે અને વૈજ્ઞાનિકોનું માનવું છે કે દુનિયામાં વધી રહેલા તાપમાનમાં અલ નીનોનો ફાળો છે.
એક તરફ હવામાન વિભાગે બાકી રહેલા ચોમાસા દરમિયાન ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ઘટવાની વાત કરી છે. તો બીજી તરફ ભારતના ચોમાસા પર હવે અલ નીનોનો પ્રભાવ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે.
ખાનગી હવામાન એજન્સી સ્કાયમૅટના વૈજ્ઞાનિક મહેશ પલાવતનું કહેવું છે કે ઑગસ્ટ મહિનાથી ભારતમાં અલ નીનોની અસર જોવા મળશે. ભારતની સાથે દક્ષિણ એશિયાના દેશો પર પણ અલ નીનોનો પ્રભાવ વર્તાવાનું શરૂ થશે.
ભારતના ચોમાસા પર અલ નીનોની નકારાત્મક અસર થતી હોય છે એટલે કે જ્યારે અલ નીનો સર્જાય ત્યારે ભારતમાં ચોમાસામાં થતો વરસાદ ઘટી જાય છે.
જોકે, ભારતના સમુદ્રના તાપમાન પર જે આધારિત છે તે 'ઇન્ડિયન ઑશન ડાયપૉલ' (આઈઓડી) જો પોઝિટીવ રહે તો અલ નીનોની અસરને નકારી શકાય છે. હાલ આઈઓડી પોઝિટિવ થઈ રહ્યો છે પરંતુ અલ નીનોની અસરને તે કેટલી ઓછી કરી શકશે તે જોવાનું રહ્યું.
























