You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં આજથી હવામાન પલટાયું, ત્રણ દિવસ સુધી કયા જિલ્લાઓમાં પડશે વરસાદ?
ભારતીય હવામાન વિભાગે આવનારા ત્રણ દિવસ સુધી તાપમાનના પારામાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે તેવી આગાહી કરી છે સાથે તેમણે ત્યાર પછીના દિવસોમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થાય તેવી આગાહી પણ કરી છે.
ઉત્તર ભારતમાં સર્જાયેલું વૅસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજસ્થાન ઉપર પહોંચશે, જેના કારણે સાઇક્લૉનિક સર્ક્યુલેશન સર્જાશે તથા તેના કારણે ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે.
અરબી સમુદ્ર તથા બંગાળની ખાડી ઉપર ઊભા થયેલા લૉ-પ્રેશર એરિયાને કારણે ગુજરાતમાં વરસાદને અસર કરે તેવી બે સિસ્ટમ સર્જાશે.
અમદાવાદ ખાતે આવેલા હવામાન વિભાગે આપેલી જાણકારી પ્રમાણે, ગુરૂવાર તથા શુક્રવારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં 'માવઠું' થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુરુવારે સવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી; મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટા ઉદેપુર, વડોદરા; દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, ડાંગ, નવસારી અને વલસાડ; કચ્છ-સૌરાષ્ટ્રના કચ્છ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ અને કચ્છ ઉપરાંત કેન્દ્રશાસિત દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયાં સ્થળોએ સામાન્યથી મધ્યમ વરસાદ પડશે.
હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે સાથે જ 30થી 40 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન પણ ફૂંકાશે.
સપ્તાહાંત દરમિયાન ઉપરોક્ત સ્થળો ઉપરાંત સૌરાષ્ટ્ર વિસ્તારના રાજકોટ અને જૂનાગઢમાં પણ વરસાદ પડશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)