સુરત : માતાપિતાને 36 કલાક બાદ દરિયામાંથી જીવતા મળેલા પુત્રના સમાચાર મળ્યા ત્યારે...

સુરત : માતાપિતાને 36 કલાક બાદ દરિયામાંથી જીવતા મળેલા પુત્રના સમાચાર મળ્યા ત્યારે...
પ્રકાશિત

તાજેતરમાં ગુજરાતના સુરતના ડુમસ દરિયાકાંઠે સમુદ્રમાં વહી ગયેલો કિશોર 36 કલાક બાદ જીવતો મળી આવતાં રાજ્યમાં આ બનાવને ‘ચમત્કારિક બચાવ’ ગણાવાઈ રહ્યો છે.

ગણેશ વિસર્જનના દિવસે ડુમસ ખાતે સપરિવાર ફરવા ગયેલ સુરતના ગોડાદરા વિસ્તારના 13 વર્ષીય લખન વિકાસ દેવીપૂજક નામનો કિશોર સમુદ્રનાં ધસમસતાં મોજાંમાં તણાઈ ગયો હતો.

આ ઘટના બાદ પરિવારજનો અને રાહતબચાવ દળોએ સ્વપ્નમાંય નહીં વિચાર્યું હોય કે સુરતના ‘બિહામણા ગણાતા કાળા સમુદ્રમાં’થી લખન પૂરા 36 કલાક બાદ જીવિત મળી આવશે.

પરંતુ બન્યું કંઈક એવું જ. બધાની અપેક્ષાઓથી વિપરીત લખન દરિયામાં કલાકો સુધી વહેણ સાથે આગળ વધતો રહ્યો અને વિસર્જિત કરાયેલ ગણેશજીની મૂર્તિના પ્લૅટફૉર્મનું મોટું લાકડું વહી આવતાં તેના પર સવાર થઈ અંતે પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો.

બચાવ બાદ જ્યારે લખનનો પરિવાર સાથે પુનર્મિલન થયું ત્યારે ભાવુક દૃશ્યો જોવા મળ્યાં હતાં.

બચાવ થાય ત્યાં સુધી લખને આ લાકડા પર દરિયામાં જ અંધકારમય રાત પણ વિતાવવી પડી.

આખરે આવી ભયજનક પરિસ્થિતિનો કિશોર કઈ રીતે સામનો કરી શક્યો? અને બધી શક્યતાઓથી ઊલટ એ કઈ રીતે કલાકો સુધી દરિયામાંથી જીવિત પરત ફરવામાં સફળ રહ્યો?