પાકિસ્તાનમાં કોલસાની ખાણમાં થયેલી દુર્ઘટનામાં 34 લોકોનાં મોત – ન્યૂઝ અપડેટ

પાકિસ્તાનમાં કોલસાની ખાણમાં થયેલી દુર્ઘટનામાં 34 લોકોનાં મોત – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

પાકિસ્તાનના ક્વેટા જિલ્લાના સોરેંજ વિસ્તારમાં આવેલી કોલસાની ખાણમાં થયેલી દુર્ઘટનામાં 34 લોકોનાં મોત થયાં છે.

અધિકારીઓએ જણાવ્યું છે કે મૃતકોના મૃતદેહો બહાર કાઢી લેવામાં આવ્યા છે. ગઈકાલે આ વિસ્તારમાં થયેલી આ દુર્ઘટના, જાનહાનિના આંકડા મુજબ, આ વર્ષે બલુચિસ્તાનમાં થયેલી સૌથી મોટી કોલસાની ખાણમાં થયેલી દુર્ઘટના છે.

પીડીએમએના ઑપરેશન મૅનેજર મુહમ્મદ ફહદે શુક્રવારે સવારે જણાવ્યું હતું કે વધુ બે ખાણ મજૂરોના મૃતદેહોને બહાર કાઢવા માટે બચાવ અભિયાન ચાલુ છે.

બલુચિસ્તાનના મુખ્ય મંત્રી સરફરાઝ બુગતીએ ખાણ અને ખનિજ વિભાગ પાસેથી તાત્કાલિક અહેવાલ માગ્યો છે અને દુર્ઘટનાનાં કારણો તેમજ તેના માટે જવાબદાર લોકોની ઓળખ કરવા પારદર્શક તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે.

બલુચિસ્તાનના ખનિજ મંત્રી મીર શોએબ નોશિરવાનીએ જણાવ્યું કે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ખાણ મજૂરોના પરિવારોને 5 લાખ રૂપિયા અને ઘાયલોને 3 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.

સોરેંજ બલુચિસ્તાનની રાજધાની ક્વેટાથી આશરે 40 કિલોમીટર પૂર્વમાં આવેલું છે. આ એક પર્વતીય વિસ્તાર છે, જ્યાં મોટી સંખ્યામાં કોલસાની ખાણો આવેલી છે.

સોરેંજ અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલી કોલસાની ખાણમાં અગાઉ પણ દુર્ઘટનાઓ ઘટી ચૂકી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પેપરલીક મુદ્દે ફરી ઇન્સ્ટાગ્રામ પર વીડિયો જાહેર કર્યો, શું કહ્યું?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પેપરલીક મુદ્દે ફરી ઇન્સ્ટાગ્રામ પર વીડિયો જાહેર કર્યો, શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Narendra Modi

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારની રાત્રે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરીને લોક પરીક્ષા (સંશોધન) બિલ પસાર થયાની માહિતી આપી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ વીડિયોમાં તેમણે દાવો કર્યો છે કે કડક જોગવાઈઓ ધરાવતા આ બિલથી પરીક્ષા યોજનારી વ્યવસ્થામાં મજબૂતી આવશે અને પેપરલીકની ઘટનાઓ અટકશે.

તેમણે કહ્યું, ''પેપરલીકના કારણે બાળકોનાં ભવિષ્ય માટે સંકટ ઊભું થઈ રહ્યું છે. તમામ રાજ્યોમાં તેમજ કેન્દ્રમાં પણ શિક્ષણ પદ્ધતિમાં સુધારો અનિવાર્ય બની ગયો છે. ટૅક્નૉલૉજીનો ઉપયોગ જરૂરી છે.''

તેમણે કહ્યું, ''બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરનારાં પેપર માફિયા અને ગૅંગોને છોડવામાં નહીં આવે. આ મામલામાં કડક કાયદાઓની પણ જરૂર છે. અમે સંસદમાં બિલ લઈને ગયા હતા અને જેમ અમે વચન આપ્યું હતું તેમ છેલ્લા બે દિવસ દરમિયાન બંને ગૃહોમાં તેના પર વિસ્તૃત ચર્ચા થઈ હતી.''

''હવે બંને ગૃહોએ આ કડક જોગવાઈઓ ધરાવતા બિલને પસાર કરી દીધું છે. હવે વિશ્વસનીય પરીક્ષા પ્રણાલી તરફ આગળ વધવામાં એક મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થયું છે.''

આ પહેલા 23 જુલાઈએ રાત્રે 11 વાગ્યાને 52 મિનિટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો જાહેર કરીને પેપરલીકના મુદ્દે વાત કરી હતી.

તેમણે પોતાના સંદેશની શરૂઆત સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા શબ્દ 'મિત્રો'ને બદલે 'ફ્રૅન્ડ્સ' કહીને કરી હતી.

મોરક્કોથી સેંકડો લોકો તરીને સ્પેનના સ્યૂટા ઍન્ક્લેવ પહોંચ્યા, સ્પેને સેના તહેનાત કરી

મોરક્કોથી સેંકડો લોકો તરીને સ્પેનના સ્યૂટા ઍન્ક્લેવ પહોંચ્યા, સ્પેને સેના તહેનાત કરી – ન્યૂઝ અપડેટ બીબીસી ન્યૂઝ અપડેટ ગુજરાતી ગુજરાત સમાચાર

ઇમેજ સ્રોત, AFP

મોરોક્કોથી સ્પેનના ઉત્તર આફ્રિકીય ઍન્ક્લેવ સ્યૂટામાં છેલ્લા એક અઠવાડિયામાં સેંકડો પ્રવાસીઓ પહોંચ્યા છે. આ વાત તે વિસ્તારના એક નેતાએ કહી છે.

જ્યુઆન જીસસ વિવાઝે કહ્યું કે મોટી સંખ્યામાં લોકોના આગમનથી ઉપલબ્ધ સંસાધનો પર ભારે અસર પહોંચી છે.

તેમણે સ્પેન સરકારને હસ્તક્ષેપ કરવા માટે અપીલ કરી છે. સમાચાર એજન્સી રૉયટર્સ મુજબ, સ્પેનના ગૃહમંત્રી ફર્નાન્ડો ગ્રાન્ડે-માર્લાસ્કા શુક્રવારે આ વિસ્તારમાં મુલાકાત લઈ શકે છે.

વીડિયો ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે ગુરુવારે પ્રવાસીઓ હવામાં ભરેલી રિંગ્સ (ટાયર ટ્યૂબ) અને અન્ય તરતાં સાધનોનો ઉપયોગ કરીને સેઉતા પહોંચી રહ્યા હતા. બીજી તરફ, કેટલાક લોકો સરહદ પર લગાવવામાં આવેલી વાડના એક દરવાજામાંથી ભાગીને અંદર પ્રવેશ્યા.

મોરક્કોના ઉત્તર કિનારે આવેલું સ્યૂટા, જિબ્રાલ્ટર જળસંધિની પેલી બાજુએ આવેલી મુખ્ય ભૂમિ સ્પેનથી અલગ છે અને લાંબા સમયથી યુરોપ પહોંચવાનો પ્રયાસ કરતા પ્રવાસીઓ માટે પ્રવેશનું એક મુખ્ય કેન્દ્ર રહ્યું છે.

આ મહિનાની શરૂઆતમાં દેશની સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો હતો કે સમુદ્ર માર્ગે સ્યૂટા અથવા મેલિલા પહોંચવાનો પ્રયાસ કરતી વખતે પકડાયેલા પ્રવાસીઓને કોઈપણ કાનૂની પ્રક્રિયા વગર સીધા મોરક્કો પરત મોકલી શકાય નહીં.

સ્પેનના ગૃહ મંત્રાલયે જણાવ્યું કે તેમનું માનવું છે કે માનવ તસ્કરીમાં સંકળાયેલાં નૅટવર્ક્સ આ નિર્ણયનો લાભ ઉઠાવીને "દસ્તાવેજો વગરના પ્રવાસીઓને, ખાસ કરીને યુવાનોને, આ માર્ગથી આવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યાં છે."

મંત્રાલયે જણાવ્યું કે સ્પેન અને મોરક્કો તમામ મુદ્દાઓ પર, જેમાં પ્રવાસન અને સ્થળાંતર (માઇગ્રેશન) પણ સામેલ છે, સહકાર આપે છે.

પ્રવાસીઓની સંખ્યા અલગ-અલગ જણાવવામાં આવી રહી છે. અલગ-અલગ ન્યૂઝ એજન્સીઓ તેને 1,500થી લઈને 3,000 સુધીની રિપોર્ટ કરી રહ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન