You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

'કૉંગ્રેસનું ટ્વિટર હૅન્ડલ થોડા સમય માટે બ્લૉક કરો', કોર્ટનો ટ્વિટરને આદેશ

બેંગલુરુની એક કોર્ટે મ્યુઝિક કૉપીરાઇટ મામલે કૉંગ્રેસ પાર્ટી અને 'ભારત જોડો યાત્રા'ના ટ્વિટર હૅન્ડલને અસ્થાયી રૂપે બ્લૉક કરવાનો આદેશ આપ્યો છે.

લાઇવ કવરેજ

  1. બ્રેકિંગ, 'કૉંગ્રેસનું ટ્વિટર હૅન્ડલ થોડા સમય માટે બ્લૉક કરો', કોર્ટનો ટ્વિટરને આદેશ

    બેંગલુરુની એક કોર્ટે મ્યુઝિક કૉપીરાઇટ મામલે કૉંગ્રેસ પાર્ટી અને 'ભારત જોડો યાત્રા'ના ટ્વિટર હૅન્ડલને અસ્થાયી રૂપે બ્લૉક કરવાનો આદેશ આપ્યો છે.

    એમઆરટી મ્યુઝિકે આરોપ લગાવ્યો હતો કે આ ટ્વિટર હૅન્ડલ ગેરકાયદે ફિલ્મ કેજીએફ ચૅપ્ટર-2ના મ્યુઝિકનો ઉપયોગ કરી રહ્યું છે, જેના કૉપીરાઇટ કંપની પાસે છે.

    લાઇવ લૉ વેબસાઇટઅનુસાર, એમઆરટી મ્યુઝિકે કોર્ટમાં એક સીડી ચાલુ કરીને દર્શાવી હતી, જેમાં એક તરફ ઓરિજિનલ કૉપીરાઇટવાળું કામ દેખાડવામાં આવ્યું હતું અને બીજી તરફ તેની નકલ કરીને બનાવેલી સામગ્રી પણ રાખવામાં આવી હતી.

    કોર્ટે કહ્યું કે પ્રથમ અરજદાર દ્વારા રજૂ કરાયેલી સામગ્રી સ્થાપિત કરે છે કે જો તેને વધુ જોર અપાશે તો એમઆરટી મ્યુઝિકને નુકસાન પહોંચશે અને આવું કરવાથી કૉપીરાઇટના ઉલ્લંઘનમાં વધારો થશે.

    હકીકતમાં આ દિવસોમાં રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા પર છે. આ યાત્રાના પ્રચાર માટે સોશિયલ મીડિયામાં કેટલાક વીડિયો શેર કરાઈ રહ્યા છે, જેમાં કેજીએફ ચૅપ્ટર-2ના મ્યુઝિકનો ઉપયોગ કરાયો છે. આથી એમઆરટી મ્યુઝિકે કૉપીરાઇટ ઍક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

  2. ગુજરાત ચૂંટણી પહેલાં BTP અને JDU વચ્ચે ગઠબંધન

    ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને જેડીયુ વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે.

    બીટીપીના રાષ્ટ્રીય સંયોજક છોટુ વસાવાએ મીડિયા સામે આ માહિતી આપી છે.

    મીડિયા સાથે વાત કરતા છોટુ વસાવાએ કહ્યું, "સત્તામાં જે લોકો છે એમણે અમને અને ગુજરાતના લોકોને પરેશાન કરવામાં કોઈ કચાશ રાખી નથી, લોકો મોંઘવારીથી પરેશાન થઈ ગયા છે. અમે મોરબી જેવી ઘટના ન બને એટલા માટે આ ગઠબંધન કરી રહ્યા છીએ."

    છોટુ વસાવાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહનું નામ લઈને કહ્યું કે "આટલા બધા લોકો દુખી છે, આટલી બેરોજગારી છે, મોંઘવારીમાંથી લોકો પરેશાન છે, જો એમનાથી કામ ન થતું હોય તો બધું છોડી દેવું જોઈએ."

    છોટુ વસાવાની પાર્ટીએ અગાઉ આપ સાથે ગઠબંધન કર્યું હોવાના સમાચાર વહેતા થયા હતા અને છોટુ વસાવા દિલ્હીમાં અરવિંદ કેજરીવાલને મળ્યા હતા.

    બાદમાં આપ સાથેનું ગઠબંધન તોડી નાખ્યું હતું.

  3. કૉંગ્રેસની ભારત જોડો યાત્રા હવે મહારાષ્ટ્રમાં

    કૉંગ્રેસની 'ભારત જોડો યાત્રા' આજે સાંજે તેલંગણામાંથી નીકળીને મહારાષ્ટ્રમાં પ્રવેશી રહી છે.

    કૉંગ્રેસની તેલંગાણા યુનિટના અધ્યક્ષ રેવંત રેડ્ડી બન્ને રાજ્યોની સરહદ પર મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેને રાષ્ટ્રીય ધ્વજ સોંપશે.

    સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર તેલંગણા કૉંગ્રેસનાં સૂત્રોએ જણાવ્યું કે તેઓ આજે સાંજે જુક્કલ વિધાનસભા ક્ષેત્રના મેરુરુ ગામમાંથી યાત્રીઓની વિદાય માટે એક જનસભાનું આયોજન કરી રહ્યા છે.

    રેડ્ડીએ રવિવારે કહ્યું હતું કે ભારત જોડો યાત્રાને તેલંગણામાં મોટી સફળતા મળી છે.

    ચાર દિવસના આરામને છોડીને તેલંગણામાં ભારત જોડો યાત્રાનો આજે 12મો દિવસ છે. ભારત જોડો યાત્રાનો ઉદ્દેશ તેલંગણામાં 19 વિધાનસભા અને 7 લોકસભા ક્ષેત્રોને કવર કરવાનો હતો.

    આ યાત્રા 7 સપ્ટેમ્બરે તામિલનાડુના કન્યાકુમારીથી શરૂ થઈ હતી. તેલંગણામાં પ્રવેશ કરતાં પહેલાં રાહુલ ગાંધીએ કેરળ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં એને પૂરી કરી હતી.

  4. મોરબી : ઝૂલતા પુલ દુર્ઘટનામાં ન્યાય મળે તે માટે રેલી યોજાઈ

    મોરબી ઘટેલી પુલ દુર્ઘટનામાં જે લોકોનાં મૃત્યુ થયાં છે, એમને ન્યાય મળે એવી માગ સાથે શહેરીજનો દ્વારા જાહેર રેલી યોજવામાં આવી હતી.

    મોરબીસ્થિત બીબીસી ગુજરાતીના સહયોગી રાજેશ આંબલિયાના જણાવ્યા અનુસાર 'સ્વયં સૈનિક દળ'ની આગેવાનીમાં રેલીનું આયોન થયું હતું.

    શહેરના નવા બસસ્ટેન્ડથી કલેક્ટર કચેરી સુધી આયોજીત આ રેલીમાં મૃતકોના પરિવારોને 20 લાખ રૂપિયાની સહાય ઉપરાંત સરકારી નોકરી આપવાની માગ કરાઈ હતી.

  5. EWS : પાટીદાર અનામત આંદોલનના નેતાઓએ શું કહ્યું?

    સુપ્રીમ કૉર્ટ દ્વારા EWS ક્વૉટા અંતર્ગત અનામતને યોગ્ય ગણાવતાં ગુજરાતમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે.

    આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ આ માટેનો શ્રેય પાટીદાર સમાજને આપ્યો છે.

    પત્રકારો સાથેની વાતચીતમાં ઈટાલિયાએ કહ્યું, "જે લોકો આર્થિક રીતે પછાત છે, એમની આવકનો સ્રોત ઓછો છે એમને અનામતનો લાભ મળવો જોઈએ એવી તત્કાલિન વખતમાં આખા દેશની માગ હતી. પાટીદાર સમાજે આ માગનું નેતૃત્વ કર્યું હતું અને એ બાદ ભારત સરકારે બંધારણમાં સુધારો કર્યો હતો અને નવો અનુચ્છેદ દાખલ કરવામાં આવ્યો હતો. આજે સુપ્રીમ કોર્ટની ખંડપીઠે આ નિર્ણયને વાજબી ગણાવ્યો છે. આ ચુકદાને હું આવકારું છું."

    આર્થિક અનામતથી આર્થિક રીતે પછાત લોકોનું જીવનધોરણ ઊંચું લાવવામાં મદદ મળવાની વાત પણ તેમણે કરી હતી.

    તો પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથિરિયાએ અનામત આંદોલનના ભવિષ્ય અંગે હવે સમિતિ સાથે ગહન ચર્ચા કરવાની વાત કરી છે.

    પાટીદાર આંદોલન સાથે જ સંકળાયેલાં અને હાલમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીનાં નેતા રેશમા પટેલે પણ આ મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવકાર્યો છે. તેમણે પાટીદાર અનામત આંદોલનનો જે હેતું હતો, 'એના પરિણામના આનંદમાં સુગંધ ભળી હોવાની વાત' કરી હતી.

    પાટીદાર અનામત આંદોલન સમિતિના પ્રવક્તા અતુલ પેટલે પણ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને આવકાર્યો છે.

  6. બ્રેકિંગ, મોરબી પુલ દુર્ઘટના : ગુજરાત સરકારને હાઈકોર્ટની નોટિસ, એક સપ્તાહમાં રિપોર્ટ રજૂ કરવા કહ્યું

    મોરબી પુલ દર્ઘટના માટે ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરી છે. આ સાથે જ હાઈકોર્ટે ગૃહવિભાગ, શહેરી આવાસ, મોરબી નગરપાલિકા, રાજ્યના માનવાધિકાર પંચ સહીત ગુજરાત સરકારના અધિકારીઓને નોટિસ પણ પાઠવી છે.

    હાઈકોર્ટે આ મામલે રાજ્ય સરકારને એક સપ્તાહની અંદર રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.

    આ મામલે આગામી સુનાવણી 14મી નવેમ્બરે યોજાશે.

  7. આમ આદમી પાર્ટીએ વધુ 12 ઉમેદવારોની યાદી જાહેર કરી

    આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે વધુ 12 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં હાલમાં જ આપમાં જોડાયેલા પાટીદાર આંદોલનના નેતા અલ્પેશ કથીરિયાને વરાછાથી ટિકિટ આપી છે અને તેમના સાથી ધાર્મિક માલવિયા ઓલપાડથી ટિકિટ મળી છે.

    આ ઉપરાંત ગાંધીધામથી બી. ટી. મહેશ્વરીને, દાંતાથી એમ. કે. બોમ્બાડિયાને, પાલનપુરથી રમેશ નાભાની, કાંકરેજથી મુકેશ ઠક્કર, રાધનપુરથી લાલજી ઠાકોર, મોડાસાથી રાજેન્દ્રસિંહ પરમારને, રાજકોટ પૂર્વથી રાહુલ ભુવાને, રાજકોટ પશ્ચિમથી દિનેશ જોશીને, કુતિયાણાથી ભીમભાઈ મકવાણા, બોટાદથી ઉમેશ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે.

    આમ આપે અત્યારસુધીમાં 151 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.

  8. બ્રેકિંગ, સુપ્રીમ કોર્ટે EWS ક્વૉટા અંતર્ગત અનામતને યોગ્ય ગણાવી

    આર્થિક રીતે પછાત લોકોને શૈક્ષણિક સંસ્થાનો અને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત ચાલુ રહેશે. સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોવાળી પીઠે સોમવારે ઈડબલ્યુએસ ક્વૉટા અંતર્ગત અનામતને ચાલુ રાખી છે.

    ચીફ જસ્ટિસ યુયુ લલિતની આગેવાનીવાળી પાંચ જજોની બેન્ચે બહુમતીથી ઈડબલ્યુએસ ક્વૉટાના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો છે અને કહ્યું છે કે 'આ બંધારણીય માળખાનું ઉલ્લંઘન નથી કરતી.' બેન્ચે બહુમતીથી એવું પણ કહ્યું કે બંધારણમાં 130મો સુધારો કાયદેસર છે.

    સૌથી પહેલા જસ્ટિસ દિનેશ મહેશ્વરીએ પોતાનો નિર્ણય સંભળાવ્યો અને એ પણ કહ્યું કે ઈડબલ્યુએસ અનામતથી અનસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગને બહાર રાખવા પણ બંધારણીય રીતે વૈધ છે.

    જસ્ટિસ મહેશ્વરીએ કહ્યું, "અનામત માત્ર આર્થિક રીતે પછાતો માટે જ નહીં, કોઈ પણ વંચિત વર્ગના હિત માટે એક સકારાત્મક ઉપાય છે. એ માટે માત્ર આર્થિક આધાર પર અનામત બંધારણનું ઉલ્લંઘન નથી કરતી. એસસી/એસટી અને ઓબીસીને ઈડબલ્યુએસ ક્વૉટાથી બહાર રાખવા બંધારણીય રીતે યોગ્ય છે.50 ટકા નિર્ધારિત અનામતની મર્યાદા અંતર્ગત વધારાની ઈડબલ્યુએસ અનામત બંધારણીય છે. "

    જોકે, આ બેન્ચમાં સામેલ જસ્ટિસ રવીન્દ્ર ભટે ઈડબલ્યુએસ ક્વૉટાથી અસહમતી દર્શાવી હતી.

    જાન્યુઆરી 2019માં બંધારણીય સંશોધન વિધેયકને સંસદનાં બન્ને સદનોમાં પસાર કરાયું હતું અને એ બાદ એ વખતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આના પર મહોર મારી હતી.

  9. નમસ્કાર, બીબીસી ગુજરાતીના આ લાઇવ કવરેજ પર આપનું સ્વાગત છે.