You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

રશિયાએ જના પર હુમલો કર્યો તે દોનબાસ ક્યાં છે અને કેમ મહત્ત્વનું છે ?

રશિયાએ યુક્રેનની રાજધાની કિએવમાંથી સેના પાછી ખેંચી લીધા પછી હવે યુક્રેનના પૂર્વ વિસ્તાર પર ધ્યાન કેંદ્રિત કર્યું છે.

લાઇવ કવરેજ

  1. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં રોડ શો,મોરેશિયસના પીએમ પણ જોડાયા

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં આજે રોડ શો યોજ્યો હતો. તેમની સાથે મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદકુમાર જગન્નાથ પણ જોડાયા હતા.

    બન્ને દેશના વડા પ્રધાન જામનગરથી અમદાવાદ પહોંચ્યા હતા અને અમદાવાદમાં ઍરપોર્ટથી ઇંદિરા બ્રિજ સુધી રોડ શો યોજ્યો હતો.

    આ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ પહેલાં વડા પ્રધાને જામનગરમાં WHO વૈશ્વિક પારંપરિક દવાકેન્દ્ર (GCTM)નો શિલાન્યાસ કર્યો હતો.

    કહેવાય છે કે GCTM દુનિયામાં પ્રથમ અને એકમાત્ર એવું કેન્દ્ર બનશે જે સમગ્ર વિશ્વમાં પારંપરિક દવાઓ પર કામ કરતું હશે. તે વૈશ્વિક સુખાકારી માટે આંતરરાષ્ટ્રીય હબ તરીકે પણ ઊભરી આવશે.

  2. ખંભાતમાં રામનવમીના દિવસે થયેલી હિંસામાં દરગાહ બચાવનાર બે હિંદુઓ કોણ છે?

    આણંદ જિલ્લાના ખંભાતમાં રામનવમીના દિવસે થયેલી હિંસા પછી અહીંના હિંદુ-મુસ્લિમોના આસ્થાનું સ્થાન મનાતી માસુમ પીરની દરગાહ પર સન્નાટો હતો. આ દરગાહ પર સ્થાનિક હિંદુઓ અને મુસ્લિમો શ્રદ્ધા રાખે છે.

    શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂરી થયા પછી અહીં દર રવિવારે ફળ, મીઠાઈ અને બિસ્કિટ લઈને આવે છે. પરંતુ આ રવિવારે અહીં સન્નાટો છવાયેલો હતો. એનું કારણ હતું ગયા અઠવાડિયે દરગાહથી એક કિલોમિટર દૂર ફાટી નીકળેલી હિંસા અને એ બાદ દરગાહમાં થયેલી તોડફોડ.

  3. દોનબાસ ક્યાં છે અને કેમ મહત્ત્વનું છે ?

    રશિયાએ યુક્રેનની રાજધાની કિએવમાંથી સેના પાછી ખેંચી લીધા પછી હવે યુક્રેનના પૂર્વ વિસ્તાર પર ધ્યાન કેંદ્રિત કર્યું છે.

    યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી કહે છે કે દોનબાસ વિસ્તાર માટે લડાઈ શરૂ થઈ ગઈ છે અને રશિયાની મોટી સૈન્ય ટુકકીઓ આમાં ભાગ લઈ રહી છે.

    દોનબાસ વિસ્તાર કેમ મહત્ત્વનો છે?

    રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દોનબાસ વિશે વાત કરે છે ત્યારે તેઓ યુક્રેનના જૂના કોલસા અને સ્ટીલનું ઉત્પાદન કરતા વિસ્તારની વાત કરતા હોય છે. લુહાન્સ્ક અને દોનેત્સ્કના બે પૂર્વીય વિસ્તારો મારિયુપોલના દક્ષિણથી ઉત્તરમાં આવેલી યુક્રેનની સરહદ સુધી ફેલાયેલા છે.

    આ વિસ્તારોમાં રશિયન બોલતા લોકો મોટા પ્રમાણમાં છે અને મારિયુપોલ યુક્રેનનો એ વિસ્તાર છે જ્યાં રશિયાના સમર્થકો વધુ સંખ્યામાં રહે છે.

    પરંતુ રશિયન સેનાએ મારિયુપોલ પર કબજો કરી લીધો ત્યાર બાદ શહેરમાં ઘણી તબાહી સર્જાઈ છે.

    પુતિન કેમ દોનબાસ પર કબજો કરવા માગે છે?

    રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેન પર અવારનવાર પૂર્વના વિસ્તારોમાં નરસંહાર આચરવાના આક્ષેપો કર્યા છે.

    લડાઈ શરૂ થઈ ત્યારથી પૂર્વના વિસ્તારમાંથી 75 ટકા વિસ્તાર યુક્રેનના કબજામાં છે. બાકીના વિસ્તાર રશિયાના સમર્થકોના હાથમાં હતો, જેમણે આઠ વર્ષ પહેલાંના યુદ્ધમાં મૉસ્કોના સમર્થનવાળા પોતાના નિયંત્રણવાળી સરકાર સ્થાપી હતી.

    તાજેતરના યુદ્ધ પહેલાં, રાષ્ટ્રપતિ પુતિને આ બંને વિસ્તારોની આઝાદીને માન્યતા આપી હતી.

    રશિયાએ બંને મોટા વિસ્તારો પર વિજય મેળવ્યો તો વ્લાદિમીર પુતિનને યુક્રેનના યુદ્ધમાં કંઈક મેળવવાનો સંતોષ મળશે. ત્યાર બાદ દોનબાસને અલગ કરવાનું પગલું હશે, જેવું તેમણે 2014માં ક્રાઇમિયા સાથે કર્યું હતું.

    જો આ નવમી મે પહેલાં થઈ ગયું તો તેઓ રશિયાના વિજય દિવસે આની ઉજવણી કરી શકે છે. નવમી મેના દિવસે દર વર્ષે રશિયાની સેના નાઝી જર્મની સામે 1945માં મેળલા વિજયની ઉજવણી કરે છે.

    લુહાન્સ્કમાં રશિયાના કઠપૂતળી નેતાએ આવનારા નજીકના દિવસોમાં "લોકમત" યોજાવાની આશા વિશે વાત કરી હતી.

  4. ચોમાસુ 2022: સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત સુધી આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, કેટલા દિવસ પડશે વરસાદ?

  5. કાબુલની શાળામાં વિસ્ફોટ, ચાર વિદ્યાર્થીઓનાં મૃત્યુ અને 19 ઈજાગ્રસ્ત

    અફઘાનિસ્તાનની રાજધાની કાબલની એક શાળામાં બે વિસ્ફોટ થયા છે જેમાં અનેક લોકો હતાહત થયા હોવાની આશંકા છે.

    બીબીસી સંવાદદાતા સિકંદર કિરમાનીએ જણાવ્યું કે વિસ્ફોટને કારણે ઓછામાં ઓછા ચાર લોકોનાં મૃત્યુ થયાં છે.

    વિસ્ફોટ પશ્ચિમ કાબુલના શિયા બહુમતી વિસ્તારમાં થયો છે. મરનાર લોકોની સંખ્યા વધવાની આશંકા છે.

    સ્થાનિક સૂત્રોએ પણ કહ્યું છે કે એક ટ્યૂશન સેંટર પર પણ ગ્રેનેડ ફેકાયો છે. જ્યાં કેટલાક વિદ્યાર્થી યુનિવર્સિટી ઍન્ટ્રેન્સ એગ્ઝામની તૈયારી કરી રહ્યા હતા.

    હાલ કોઈ જૂથે આ હુમલાની જવાબદારી નથી લીધી પરંતુ આ વિસ્તારમાં ઇસ્લામિક સ્ટેટ પહેલાં પણ હુમલો કરી ચૂક્યું છે.

    કાબુલમાં મોહમ્મદ અલી ઝીણા હૉસ્પિટલના સૂત્રો અનુસાર તેમને અત્યાર સુધી ચાર મૃતદેહો મળ્યા છે અને 19 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

  6. આઈપીએલ 2022 : દિલ્હીની ટીમમાં કોરોનાના કેસ વધ્યા, મૅચનું સ્થળ બદલી દેવાયું

    ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈએ 20 એપ્રિલે પૂણેમાં દિલ્હી કૅપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે યોજનારી મૅચ મુંબઈમાં શિફ્ટ કરી દીધી છે.બીબીસીઆઈનું કહેવું છે કે મૅચનું સ્થાન બદલવાનું કારણ દિલ્હી કૅપિટલ્સની ટીમમાં કોરોના સંક્રમણના પાંચ કેસ આવ્યા એ છે.

    બોર્ડનું કહેવું છે કે બસની લાંબી યાત્રા દરમિયાન કોઈ નવો કેસ સામે ન આવે એ માટે મૅચનું સ્થાન બદલવામાં આવ્યું છે.

    દિલ્હી કૅપિટલ્સના કૅમ્પમાં જે પાંચ લોકો કોવિડ પૉઝિટિવ આવ્યા, તેમનાં નામ છે:

    • પૅટ્રિક ફરહત - ફિઝિયોથેરેપિસ્ટ
    • ચેતનકુમાર - સ્પોર્ટ મસાજે થૅરપિસ્ટ
    • મિચેલ માર્શ - ખેલાડી
    • અભિજિત સાલ્વી - ટીમ ડૉક્ટર
    • આકાશ માને - સોશિયલ મીડિયા કન્ટેન્ટ ટીમ મૅમ્બર

    આ તમામને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે.

    બોર્ડનું કહેવું છે કે સંક્રમણ શરૂ થયું એના છઠ્ઠા કે સાતમા દિવસે એમનાં ફરીથી પરિક્ષણ કરવામાં આવશે.

  7. ડૂબી જનાર રશિયન જહાજ મૉસ્કવાની તસવીરો સામે આવી

    રશિયા-યુક્રેન યુદ્ધમાં તાજેતરમાં રશિયન યુદ્ધ જહાજ મૉસ્કવા ચર્ચામાં છે. આ જહાજ ડૂબી જવા બાબતે રશિયા અને યુક્રેનનો અલગ મત પણ હવે તેની ભરોસાપાત્ર તસવીરો અને વીડિયો સામે આવ્યા છે.

    તસવીરો અને વીડિયો જહાજની સાઇઝ અને ડિઝાઇન સાથે મેળ ખાય છે.

    રશિયન સંરક્ષણ મંત્રાલય મુજબ જહાજ પર રાખવામાં આવેલ દારુગોળામાં આગ લાગવાથી જહાજ ક્ષતિગ્રસ્ત થયું હતું. જે બાદ તેને કિનારે લઈ જવામાં આવી રહ્યું હતું, પરંતુ રસ્તામાં જ તે ડૂબી ગયું અને તેમ સમયે દરિયામાં તોફાન પણ હતું.

    જ્યારે, યુક્રેનનો દાવો છે કે તેણે નૅપ્ચ્યૂન મિસાઇલથી આ યુદ્ધજહાજ પર હુમલો કર્યો હતો.

    ઉલ્લેખનીય છે કે મૉસ્કવા પર 510 નૌસૈનિકો હાજર હતા. સમુદ્રના રસ્તે યુક્રેન વિરુદ્ધ અભિયાનનું નેતૃત્વ આ જહાજ પરથી જ થઈ રહ્યું હતું. જેથી આ જહાજ એક પ્રતીકાત્મક મહત્ત્વ ધરાવતું હતું.

    હાલ જે તસવીરો અને વીડિયો સામે આવ્યા છે તે બેઉમાંથી એકે પક્ષની વાતને ભરોસાપાત્ર નથી ગણાવતા પરંતુ એક વાત તો સ્પષ્ટ છે એ વખતે દરિયામાં તોફાનનો કોઈ અણસાર ન હતો.

  8. વડા પ્રધાન મોદી બનાસ ડેરીના નવા પ્લાન્ટનું કરશે લોકાર્પણ

    હાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે તેઓ બનાસ ડેરીના નવા પ્લાન્ટનું લોકાર્પણ કરશે.

    દિયોદર પાસે આવેલા સણાદરમાં 151 વીઘામાં બનાસ ડેરી દ્વારા નવું સંકુલ ઊભું કરવામાં આવ્યું છે. જેમાં પ્રતિદિન 50 લાખ લિટર દૂધનું પ્રોસેસિંગ, 100 ટન બટર, 1 લાખ લિટર આઇસક્રીમ તેમજ 6 ટન ચોકલેટ બનાવવાની ક્ષમતા છે.

    આ પ્લાન્ટમાં પોટેટો પ્રોસિસંગ અને પ્રોડક્ટ યુનિટ પણ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં રોજ 48 ટન બટાકાં પ્રોસેસિંગ કરીને તેના પ્રોડક્ટ તૈયાર કરવાની ક્ષમતા છે.

    આ સિવાય વડા પ્રધાન દ્વારા બનાસ ડેરી દ્વારા તૈયાર કરવામાં આવેલા દૂધવાણી કૉમ્યુનિટી રેડિયો સ્ટેશનનું પણ લોકાર્પણ કરશે અને આસપાસના વિસ્તારોમાં ગોબર ગેસ પ્લાન્ટનું વર્ચ્યુઅલી લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે.

  9. પાકિસ્તાન ઈશનિંદા કેસ: શ્રીલંકન નાગરિકની હત્યા કરનાર છ લોકોને મૃત્યુદંડ

    પાકિસ્તાનમાં કથિત ઈશનિંદાના આરોપ હેઠળ એક શ્રીલંકન નાગરિકની હત્યા બદલ છ લોકોને મૃત્યુદંડની સજા કરવામાં આવી છે.

    અદાલતે આ કેસમાં કુલ 88 લોકોને દોષી જાહેર કર્યાં છે જેમાં નવ લોકોને આજીવન કારાવાસની સજા કરવામાં આવી છે તથા અન્યોને પાંચ વર્ષની જેલની સજા કરવામાં આવી છે.

    ડિસેમ્બર 2021માં શ્રીલંકન નાગરિકની હત્યાથી પાકિસ્તાન હચમચી ઉઠ્યું હતું.

    પાકિસ્તાનના સિયાલકોટમાં કથિત ઈશનિંદાની વાતથી ક્રોધિત ટોળાએ એક શ્રીલંકન નાગરિકની માર મારીને હત્યા કરી દીધી હતી અને તે પછી તેમના મૃતદેહને આગ ચાંપી દેવામાં આવી હતી.

    મૃતકનું નામ પ્રિયાનાથ કુમારા હતું અને તેમની ઉંમર 48 વર્ષ હતી. પ્રિયાનાખ સિયાલકોટની એક ફેકટરીમાં મૅનેજર તરીકે કામ કરી રહ્યા હતા.

    આ ઘટનાના વીડિયો વાઇરલ થયા હતા જેમાં ટોળું પ્રિયાનાથને કારખાનામાંથી ખેંચી કાઢી હત્યા કરતું દેખાઈ રહ્યું હતું.

    ઘટનાના સાક્ષી મહંમદ મુબાશિરના મતે "ફેકટરીમાં સવારથી જ અફવા ઊડી હતી કે પ્રિયાનાથ કુમારાએ ઈશનિંદા કરી છે. આ અફવા ઝડપથી ફેકટરીમાં ફેલાઈ હતી. કર્મચારીઓ ફેકટરીની બહાર વિરોધપ્રદર્શન કરી રહ્યા હતા."

    તેમણે ઉમેર્યું, "વિરોધ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ફેકટરીમાં ઘૂસી ગયા અને પ્રિયાનાથ કુમારાને પ્રતાડિત કરવામાં આવ્યા અને તેમને સળગાવી પણ દેવાયા."

    આ ઘટનાની એ સમયના વડા પ્રધાન ઇમરાન ખાન સહિત અનેક લોકોએ ટીકા કરી હતી.

    ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં ઈશનિંદા કાનૂનને લઈને અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ બની છે અને કાયદાઅનુસાર ઇસ્લામના પયગંબરનું અપમાન કરવું કે કુરાનનો ગુનો બને છે. 1986માં આ કાયદા મુજબ ઈશનિંદા કરનારને મૃત્યુદંડ કે આજીવન કેદની સજા આપી શકાય છે.

    પાકિસ્તાનનો ઈશનિંદા કાયદાને ટોળા દ્વારા હત્યાની ઘટનાઓ સામે માનવઅધિકાર કર્મશીલો સતત વિરોધ કરતાં રહ્યાં છે.

  10. રાષ્ટ્રપતિ બાઇડન નહીં લે યુક્રેનની મુલાકાત

    અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનના યુક્રેન જવાની કોઈ યોજના નથી એવી માહિતી વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ સોમવારે આપી છે.

    સાકીએ મીડિયાકર્મીઓને કહ્યું, “હું ફરી એક વખત કહેવા માગું છું, રાષ્ટ્રપતિ બાઇડનની યુક્રેન જવાની કોઈ યોજના નથી.”

    વ્હાઇટ હાઉસે કહ્યું કે તેઓ પોતાના એક ઉચ્ચ અધિકારીને કિએવ મોકલશે. જે કદાચ વિદેશમંત્રી ઍન્ટની બ્લિંકન અથવા તો સંરક્ષણમંત્રી લૉયડ ઑસ્ટિન હોઈ શકે છે.

    સીએનએનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ કહ્યું કે તેમને લાગે છે કે બાઇડન કિએવની મુલાકાત લેશે.

    ઝૅલેન્સ્કીએ કહ્યું હતું કે ચોક્કસ, એ તેમનો નિર્ણય છે અને સુરક્ષાની સ્થિતિને જોઈને તે બદલાઈ પણ શકે છે પરંતુ મને લાગે છે કે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ છે અને તે માટે તેમણે અહીં આવીને સ્થિતિ જોવી જોઈએ.

    સાકીએ એમ પણ કહ્યું કે, અમેરિકાને આશા છે કે તેઓ કિએવમાં ફરીથી દૂતાવાસ ખોલશે. જોકે, તેમણે ચોક્કસ તારીખ જણાવી ન હતી.

  11. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ કહ્યું, ‘દોનબાસ માટે યુદ્ધ શરૂ’

    યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ રાષ્ટ્રવ્યાપી સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, રશિયાએ પૂર્વ યુક્રેનમાં આવેલા દોનબાસ પર કબજો મેળવવા ત્યાં હુમલા વધાર્યા છે.

    તેમણે ઉમેર્યું કે રશિયન આર્મીનો મોટો ભાગ આ ક્ષેત્રમાં ઉતારવામાં આવ્યો છે અને તેઓ ખુબ જ હિંસક રીતે હુમલા કરી રહ્યાં છે.

    તેમણે કહ્યું, “તેઓ ઇચ્છે એટલા સૈનિકો મોકલી શકે છે, પણ અમે લડીશું. અમારી રક્ષા કરીશું.”

    વીડિયો સંબોધનમાં ઝૅલેન્સ્કીએ રશિયાના હુમલા વિષે વાત કરી હતી. દોનબાસના લુહાન્સ્ક પ્રાંતના ગવર્નરે પણ કહ્યું હતું કે તેમના અનેક શહેરોમાં સતત લડાઈ ચાલી રહી છે અને પરિસ્થિતિ નરક જેવી છે.

    ઝૅલેન્સ્કીના ચીફ ઑફ સ્ટાફે દોનબાસ ક્ષેત્રમાં વધી રહેલા હુમલાને ‘યુદ્ધના બીજા તબક્કાની શરૂઆત’ ગણાવી હતી.

  12. ગુડ મૉર્નિંગ ગુજરાત

    નમસ્કાર, બીબીસી ગુજરાતીના લાઇવ પેજમાં આપનું સ્વાગત છે. અહીં અમે આપને રશિયા-યુક્રેન યુદ્ધ ઉપરાંત તમામ મહત્ત્વના આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સમાચારો આપીશું. એ ઉપરાંત ગુજરાતની મહત્ત્વની ખબરોથી પણ માહિતગાર કરીશું. દેશ અને દુનિયાની પેચીદી બાબતો પર દૃષ્ટિકોણ પર રજૂ કરીશું. જોડાયેલા રહો બીબીસી ગુજરાતી સાથે