You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

યુક્રેન પર રશિયાનો હુમલો: કિએવના ટીવી ટાવર નજીક વિસ્ફોટ

રશિયા-યુક્રેન યુદ્ધનો છઠ્ઠો દિવસ. રાજધાની તરફ રશિયન સૈન્ય આગળ વધી રહ્યું છે અને પરિસ્થિતિ વધુ વણસે એવી ભીતિ સેવાઈ રહી છે.

લાઇવ કવરેજ

  1. ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા ખામેનેઈએ યુક્રેનને ગણાવ્યું 'આવતી કાલનું અફઘાનિસ્તાન'

    ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયતુલ્લા અલી ખામેનેઈએ કહ્યું કે યુક્રેન અમેરિકા તરફથી પેદા કરેલા સંકટનો શિકાર છે.

    તેમણે કહ્યું કે ઈરાન યુક્રેનમાં યુદ્ધની સમાપ્તિનું સમર્થન કરે છે. તેમણે એમ પણ કહ્યું કે આ સંઘર્ષનાં મૂળ અંગે બધાએ સ્વીકાર કરવો પડશે.

    ખામેનેઈનું ભાષણ ટીવી પર પ્રસારિત થયું હતું.

    આ ભાષણમાં તેમણે કહ્યું કે યુક્રેન સંકટ એ દર્શાવે છે કે અમેરિકા પર ભરોસો ન કરી શકાય. ખામેનેઈએ કહ્યું કે આજનું યુક્રેન કાલનું અફઘાનિસ્તાન છે. બંને દેશોના રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમણે અમેરિકા અને પશ્ચિમી દેશો પર ભરોસો કર્યો, પણ બાદમાં એકલા છોડી દીધા.

    તેમણે એમ પણ કહ્યું કે સરકારોનું સમર્થન ત્યાં લોકો હોય છે. જો યુક્રેનના લોકો તેમાં સામેલ હોય તો તેની સરકારની આ સ્થિતિ ન હોત. પણ ત્યાંના લોકોને સામેલ ન કરાયા, કેમ કે લોકોએ સરકારને પોતાની સ્વીકૃતિ આપી નહોતી.

  2. રશિયા સામે લડવા હવે લોકોએ કલમ અને કી-બોર્ડ છોડીને હથિયાર ઉપાડ્યાં

  3. યુક્રેનના ખારકિએવમાં રશિયાનો મોટો મિસાઇલ હુમલો

    યુક્રેનના બીજા મોટા શહેર ખારકિએવમાં રશિયાએ મોટો હુમલો કર્યો છે. આ હુમલો ફ્રીડમ સ્ક્વેયરસ્થિત સરકારી ઑફિસોને નિશાન બનાવીને કર્યો છે.

    યુક્રેનના સોશિયલ મીડિયામાં વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મિસાઇલ સરકારી ઇમારતો સાથે ટકરાય છે. તેના કારણે જોરદાર ધડાકો થયો. આ હુમલાને કારણે ઇમારતોને મોટું નુકસાન થયું અને ગાડીઓ પણ ઊડી ગઈ હતી.

    હુમલા બાદ વીડિયોમાં સિટી સ્ક્વેયર પાસે સળગેલી ગાડીઓ અને કાટમાળ જોવા મળે છે. આ હુમલો સ્થાનિક સમયાનુસાર સવારે આઠ વાગ્યે થયો હતો.

    જોકે હજુ સુધી આ હુમલાને કારણે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. હુમલા બાદની સ્થિતિને દર્શાવતા વીડિયોની બીબીસીએ તપાસ કરી છે.

    યુક્રેનનું આ બીજું મોટું શહેર છે, તેની વસતી અંદાજે 16 લાખની છે.

  4. બ્રેકિંગ, 'ઑપરેશન ગંગા'માં સી-17 મોકલાશે

    યુક્રેન પર તીવ્ર થઈ રહેલા રશિયન હુમલામાં વચ્ચે ભારત 'ઑપરેશન ગંગા' અંતર્ગત પોતાના નાગરિકોને યુક્રેનમાંથી બહાર કાઢવામાં જોતરાયું છે.

    આ વચ્ચે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય વાયુસેનાને બચાવ અભિયાનમાં સામેલ થવા માટે કહ્યું છે.

    સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે ભારતીય વાયુસેના આ અભિયાનમાં જોડાતાં વધારે લોકોને ઓછા સમયમાં ભારત લાવી શકાશે. આ ઉપરાંત માનવીય સહાયતા પહોંચાડવામાં પણ સરળતા રહેશે.

    એએનઆઈ અનુસાર ભારતીય વાયુસેના આજથી પોતાનાં સી-17 વિમાનોને ઑપરેશન ગંગામાં સામેલ કરી શકે છે.

    બીજી તરફ યુક્રેનમાં ફસાયેલા લોકોને પરત લાવવા માટે સ્પાઇસજેટ આજે સ્લોવેકિયાના કોસાઇઝમાં પોતાનું વિશેષ વિમાન મોકલશે.

    કેન્દ્રીય કાયદામંત્રી કિરેન રિજિજુ પણ બચાવકાર્યની દેખરેખ માટે ભારત સરકારના વિશેષ દૂત બનીને કોસાઇસ પહોંચ્યા છે.

  5. રશિયા સામે લડવા યુક્રેનની આ મહિલાઓએ બૉમ્બ બનાવવાનું શરૂ કર્યું

  6. રશિયાના સૈનિકો મોટી સંખ્યામાં કિએવ તરફ રવાના

    યુક્રેનની રાજધાની કિએવ તરફ રશિયાના સૈનિકો મોટી સંખ્યામાં આગળ વધી રહ્યા છે.

    યુક્રેન પર રશિયાના આક્રમણનો આજે છઠ્ઠો દિવસ છે અને હવે સેટેલાઇટ તસવીરો પરથી જાણવા મળ્યું છે કે મોટી સંખ્યામાં રશિયન ટૅન્કોનો કાફલો કિએવ તરફ આગળ વધી રહ્યો છે.

    આ તસવીરો કિએવના સ્થાનિક સમયાનુસાર સોમવાર બપોર પહેલાંની છે. તસવીરોમાં કિએવથી લગભગ 27 કિલોમિટર દૂર એન્તોનોવ ઍરપૉર્ટ પાસે સૈન્ય ટૂકડીઓ જોવા મળી રહી છે.

    આ સેટેલાઇટ તસવીરોને જાહેર કરનારી કંપની મૅક્સર ટેકનૉલૉજીએ કહ્યું છે કે આ કાફલો લગભગ 64 કિલોમિટર લાંબો છે અને તેમાં અસંખ્ય બખતરગાડીઓ, ટૅન્કો અને તોપો સામેલ છે.

    કિએવના પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમની સેટેલાઇટ તસવીરોમાં બેકાર થઈ ચૂકેલી બખતરગાડીઓ જોવા મળી રહી છે. બીજી તરફ ઈરપીન અને સ્ટોયંકા પાસે તૂટેલો પુલ પણ જોવા મળી રહ્યો છે.

    મૅક્સરની તરફથી જણાવાયું છે કે આ નવી તસવીરોમાં દક્ષિણના વિસ્તારમાં બેલારુસમાં સૈનિકો અને યુદ્ધનાં હેલિકૉપ્ટરો જોવા મળી રહ્યાં છે. આ વિસ્તાર યુક્રેનની સરહદથી માત્ર 30 કિલોમીટરના અંતરે છે.

    અમેરિકન ગુપ્તચર એન્જસીઓએ સોમવારે ચેતવણી આપી હતી કે કિએવ અને યુક્રેનનાં બીજા શહેરોમાં પરિસ્થિતિ હજુ પણ વધારે કથળશે.

  7. બ્રેકિંગ, યુક્રેનમાં ભારતીય દૂતાવાસે કહ્યું, કોઈ પણ રીતે આજના દિવસમાં કિએવ છોડો

    રશિયન સેનાનો કાફલો યુક્રેનની રાજધાની કિએવ તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે ત્યાં પરિસ્થિતિ વધુ બગડે તેમ હોવાથી યુક્રેનમાં ભારતીય દૂતવાસે એક નવી ઍડવાઇઝરી જારી કરી છે.

    ટ્વિટર પર શૅર કરાયેલી ઍડવાઇઝરીમાં દૂતાવાસે કિએવમાં રહેતા ભારતીય નાગરિકોને આજના દિવસમાં તાત્કાલિક ધોરણે ટ્રેન અથવા તો કોઈપણ રીતે કિએવ છોડવા કહ્યું છે.

  8. યુક્રેન પર રશિયાનો હુમલો યથાવત્, તાજેતરની મહત્વપૂર્ણ અપડેટ્સ

    • 28 ફેબ્રુઆરીએ રશિયા અને યુક્રેન વચ્ચે પ્રથમ તબક્કાની વાતચીત કોઈ નિરાકરણ વગર પૂર્ણ થઈ. બન્ને પક્ષોએ વાતચીત જારી રાખવા પર સહમતિ દર્શાવી.
    • યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ યુરોપીયન યુનિયન પાસેથી સદસ્યતાની માગ કરી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભા રશિયાના હુમલાને લઈને સક્રિય છે.
    • યુએનજીએના વિશેષ સત્રમાં સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખ ઍન્ટોનિયો ગુટેરસે કહ્યું કે કોઈપણ સંજોગોમાં પરમાણુ હથિયારોના ઉપયોગને યોગ્ય ઠેરવી શકાય નહીં.
    • અમેરિકાએ સોમવારે 12 રશિયન રાજદૂતોને યુએન મિશનથી પાછા જવાનું કહ્યું છે.
    • ઇન્ટરનેશનલ ક્રીમિનલ કોર્ટના અભિયોજક કરીમ ખાને કહ્યું કે તેમણે યુક્રેન પર રશિયાના હુમલા અંગે તપાસ શરૂ કરી દીધી છે અને આ મામલે એકદમ ઝડપથી સુનવણી હાથ ધરવામાં આવશે.
    • સમાચાર એજન્સી એએફપી અનુસાર, કરીમ ખાને કહ્યું કે આ વાત માનવાના પર્યાપ્ત પુરાવા છે કે યુક્રેનમાં 2014 બાદથી માનવતા વિરુદ્ધ અપરાધ થયા છે.
  9. યુક્રેન અને રશિયા સંઘર્ષ : વિશ્વભરમાં પ્રદર્શન, ક્યાંક શાંતિની તો ક્યાંક પુતિનને વખોડવાની માગ

  10. યુક્રેને કહ્યું- ન તો સરેન્ડર કરીશું, ન તો રશિયાની શરતો સામે ઝૂકીશું

    સૅટેલાઇટ ઇમેજરી કંપની મૅક્સર ટેક્નૉલૉજીએ કહ્યું છે કે પહેલાં રશિયન સૈનિકોનો હથિયારબંદ કાફલો યુક્રેન તરફ 27 કિલોમીટર લાંબો હતો. જે હવે 60 કિલોમીટર સુધી ખડકી દેવાયો છે.

    મૅક્સરે કહ્યું કે નવી તસવીરો પરથી સ્પષ્ટ થાય છે કે દક્ષિણ બેલારુસમાં પણ રશિયન સૈનિકો અને હેલિકૉપ્ટર મોજૂદ છે, જે યુક્રેનની સહદથી માંડ 20 કિલોમીટર દૂર છે.

    આ વચ્ચે યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુલેબાએ સીએનબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, તેમનો દેશ આત્મસમર્પણ નહીં કરે.

    કુલેબાએ કહ્યું, "યુક્રેન વાતચીતથી સમાધાન માટે તૈયાર છે, પરંતુ ન તો અમે સરન્ડર કરીશું અને ન તો તેમની શરતો સામે ઝૂકીશું."

    યુક્રેનના વિદેશમંત્રીનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું, જ્યારે સોમવારે બેલારુસમાં રશિયા અને યુક્રેનના પ્રતિનિધિઓ વાતચીત કરી રહ્યા હતા.

    કુલેબાએ કહ્યું કે તેમને ખબર નથી કે વાતચીત ક્યાં સુધી ચાલશે. તેમના પ્રમાણે, આ જંગમાં યુક્રેનની જીત થશે.

    કુલેબાએ સીએનબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, "હું એક મુત્સદ્દી છું અને મને વાતચીતની સફળતા પર ભરોસો છે, પરંતુ મુત્સદ્દી હોવાથી મારો લક્ષ્ય એ પણ છે કે રશિયા પર વધુથી વધુ પ્રતિબંધો લાગે. યુક્રેનને વધુમાં વધુ હથિયાર મળે અને આંતરરાષ્ટ્રીય સ્તરે રશિયાને અલગ કરી શકાય. આ મારી ડિપ્લોમસીનો મહત્ત્વનો ભાગ છે."

    રશિયાએ યુક્રેન પર જમીન અને આકાશ બન્ને તરફથી હુમલો શરૂ કરી દીધો છે. અહેવાલો પ્રમાણે, રશિયાએ ઘણાં મોટાં શહેરોને નિશાન બનાવ્યાં છે.

    હુમલાના કારણે યુક્રેનના લોકો જીવ બચાવવા માટે પૂર્વ યુરોપના દેશોમાં ભાગી રહ્યાં છે. પશ્ચિમી દેશો રશિયા પર સતત પ્રતિબંધ વધારી રહ્યા છે.

    સોમવારે પ્રતિબંધોના કારણે રશિયાની મુદ્રા રુબલમાં અમેરિકા ડૉલરની સામે 29 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.

  11. યુક્રેનના રાજદૂતનો દાવો - રશિયાએ પ્રતિબંધિત બૉમ્બનો કર્યો ઉપયોગ

    અમેરિકામાં યુક્રેનના રાજદૂતે અમેરિકન સાંસદોને જણાવ્યું કે સોમવારે હુમલાના પાંચમાં દિવસે રશિયાએ યુક્રેન વિરુદ્ધ પ્રતિબંધિત થર્મોબૅરિક હથિયારનો ઉપયોગ કર્યો છે.

    યુક્રેનના રાજદૂતે કહ્યું કે રશિયાએ આજે વૅક્યૂમ બૉમ્બનો ઉપયોગ કર્યો છે. જે જિનિવા કન્વૅન્શન અંતર્ગત પ્રતિબંધિત છે.

    જોકે, બીબીસી આ દાવાની પુષ્ટિ કરતું નથી.

    થર્મોબૅરિક હથિયારોમાં પારંપરિક દારૂગોળાનો ઉપયોગ થતો નથી. તેમાં ઉચ્ચ દબાણવાળા વિસ્ફોટકોનો ઉપયોગ થાય છે.

    તે શક્તિશાળી વિસ્ફોટ કરવા માટે આસપાસના વાતાવરણમાંથી ઑક્સિજન ખેંચે છે.

    હ્યુમન રાઇટ્સ વૉચ અનુસાર, રશિયન ગણરાજ્ય ચેચેન્યામાં અગાઉ પણ તેનો ઉપયોગ કરાયો છે.

    આ પહેલાં શનિવારે સીએનએન દ્વારા રશિયાના શહેર બેલગોરોડ પાસે થર્મોબૅરિક રૉકેટ લૉન્ચર દેખાયાં હોવાનો અહેવાલ પ્રકાશિત કરાયો છે.

  12. UN સામાન્ય સભામાં રાત્રે શું થયું?

    સોમવારે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાને સંબોધિત કરતી વખતે યુએન પ્રમુખે કહ્યું કે‘બસ હવે બહું થઈ ગયું.’

    યુક્રેન સંઘર્ષ મામલેના પ્રસ્તાવમાં રશિયાની નિંદા કરવામાં આવી અને તાત્કાલિક યુદ્ધવિરામની સાથે યુક્રેનમાંથી રશિયન સૈનિકોને પાછા મોકલવાનું કહેવામાં આવ્યું છે.

    ગુટેરસે કહ્યું કે, "યુક્રેનમાં લડાઈ બંધ થવી જોઈએ. આ એક ક્ષેત્રીય સંકટ પણ છે અને તેનો પ્રભાવ વિનાશકારી હશે."

    રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પરમાણુ હથિયારોને ઍલર્ટ પર રાખવાનો આદેશ આપ્યો છે અને બેલારુસના રાષ્ટ્રપતિ લુકાશેન્કોએ દેશનાં બિનપરમાણુ હથિયારો બદલવાની ઘોષણા કરી છે.

    આ સંદર્ભે યુએનના પ્રમુખે કહ્યું છે કેપરમાણુ સંઘર્ષનો વિચાર મારી સમજણની બહાર છે. પરમાણુ હથિયારોના ઉપયોગને કોઈ પણ રીતે યોગ્ય ઠેરવી ન શકાય.

    યુએનમાં યુક્રેનના રાજદૂત સેર્ગેઈ કિસલિત્સ્યાએ કહ્યું કે રશિયન કાર્યવાહી અને પરમાણુ હથિયારોને લઈને કરાયેલી ઘોષણા ગાંડપણ છે.

    તેમણે કહ્યું કે જો યુક્રેન નહીં બચે તો સંયુક્ત રાષ્ટ્ર પણ નહીં બચે.

  13. રશિયા સાથેની વાતચીતમાં યુક્રેનની યુદ્ધવિરામની માગ, પાંચમા દિવસે શું શું થયું?

  14. દુનિયામાં કોની પાસે કેટલા પરમાણુ હથિયાર છે? ભારત પાસે કેટલા ન્યૂક્લિયર શસ્ત્રો છે?

    યુક્રેન પર ઘેરાયેલા સંકટ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાના સૈન્યને પ્રતિરોધક શક્તિઓને 'સ્પેશિયલ એલર્ટ' પર રહેવાનો આદેશ આપી દીધો છે, જેમાં પરમાણુ શસ્ત્રોનો પણ સમાવેશ થાય છે.

    પુતિને પોતાના સુરક્ષા વડાઓને કહ્યું કે પશ્ચિમનાં આક્રમક નિવેદનોના કારણે આમ કરવું જરૂરી બની ગયું છે.

    એમ તો, એમની આ ઘોષણાનો મતલબ એવો બિલકુલ નથી કે રશિયા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવા માગે છે. પરંતુ એમના આ એલાને દુનિયામાં પરમાણુ શસ્ત્રોની ચર્ચા શરૂ કરી દીધી છે.

    જોકે, શીતયુદ્ધના સમયગાળા પછીથી પરમાણુ હથિયારોના ભંડાર ઘટી ગયા છે, પરંતુ દુનિયામાં હજુ પણ સેંકડો પરમાણુ હથિયાર છે જેને ખૂબ ઓછા સમયમાં દુશ્મન દેશ પર છોડી શકાય છે.

    વાંચો આખો અહેવાલ

  15. બીબીસી ન્યૂઝ ગુજરાતીના લાઇવમાં તમારું સ્વાગત છે.

    યુક્રેન-રશિયા સંકટ, ગુજરાત અને દેશની અપડેટ્સ અહીં દિવસભર મળશે.

    જોડાયેલા રહો બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે.