You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

COP26 માં બોલ્યા મોદી 'ભારત માટે જળવાયુ પરિવર્તન મોટો પડકાર'

ગ્લાસગોમાં યોજાઈ રહેલી COP26 શિખરમંત્રણામાં પીએમ મોદી સહિત વિશ્વભરના નેતાઓ જળવાયુ પરિવર્તનની વિપરિત અસરોને રોકવા માટે ચર્ચા કરી રહ્યા છે.

લાઇવ કવરેજ

  1. કેટલાક દેશો ‘ક્લાઇમેટ ચેન્જ’ રિપોર્ટમાં છેડછાડ માટે કોશિશ કરી રહ્યા છે?

    કેટલાક લીક દસ્તાવેજોની બીબીસી ન્યૂઝ દ્વારા તપાસવેળાએ જાણવા મળ્યું છે કે કેટલાક દેશો ક્લાઇમેટ ચેન્જને રોકવા માટેના મહત્ત્વપૂર્ણ રિપોર્ટમાં બદલાવ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. લીક દસ્તાવેજોમાં જોવા મળે છે કે સાઉદી અરેબિયા, જાપાન અને ઑસ્ટ્રેલિયા એવા દેશો છે જેમણે યુએનને આગ્રહ કર્યો છે કે તે અશ્મીભૂત બળતણને ત્યજવાની માગ કે જરૂરને વધુ મહત્ત્વ ન આપે.

    તેમાં એવું પણ જોવા મળ્યું છે કે કેટલાક ધનિક દેશો નાના ગરીબ દેશોને ગ્રીન ટેકનૉલૉજી તરફ વળવા માટે જરૂરી સહાય કરવા સામે સવાલ કરી રહ્યા છે.

    જળવાયુ પરિવર્તન ધીમું પાડવા તથા ગ્લોબલ વૉર્મિંગને 1.5 ડિગ્રી સેલ્સિયસ રાખવા માટે મહત્ત્વનાં વચનો પર હસ્તાક્ષરના કેટલાક દિવસો પૂર્વે યુએનની ભલામણો સામે કેટલાક દેશો આ રીતે દબાણ લાવી રહ્યા છે.

    લીક દસ્તાવેજોમાં સરકારો, કંપનીઓ અને ક્લાઇમેટ ચેન્જને રોકવા માટે વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરીને યુએનનો રિપોર્ટ તૈયાર કરનારા વૈજ્ઞાનિકોની ટીમ સહિતના પક્ષો દ્વારા થયેલી રજૂઆતોના 32 હજાર સબમિશન સામેલ છે.

  2. COP26 : વિશ્વમાં જળવાયુ પરિવર્તન માટે જવાબદાર કોલસા અને ગૅસનું ઉત્પાદન ઘટવાને બદલે વધશે?

    વિશ્વમાં પ્રદૂષણ માટે જેને સૌથી મોટા પ્રમાણમાં જવાબદાર ગણવામાં આવે છે તેવા અશ્મીભૂત બળતણનું ખનન આવનારા દાયકાઓમાં વધવા જઈ રહ્યું છે.

    વિશ્વમાં વધતાં તાપમાનને સુરક્ષિત સીમા સુધી રાખવા માટેની યોજના સાથે દુનિયાના અનેક દેશોની અશ્મીભૂત બળતણના ખનનની યોજના મેળ ખાતી નથી.

    'સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ'ના અહેવાલ અનુસાર વિશ્વના તાપમાનને 1.5 ડિગ્રી સેલ્સિયસની સીમાને જાળવી રાખવા માટે અશ્મીભૂત બળતણના ખનનની જે સીમા નક્કી થયેલી હતી તેના કરતાં દુનિયાના દેશો બમણી માત્રામાં અશ્મીભૂત ઈંધણનું ખનન કરવા જઈ રહ્યા છે.

  3. COP26 LIVE: ભારતમાં જળવાયુ પરિવર્તનની કોની પર કેટલી અસર?બીબીસી સંવાદદાતા નીતિન શ્રીવાસ્તવની પર્યાવરણ-નિષ્ણાત રિતુ માથુર સાથે વાતચીત (કૅમેરા : દેવાશિષ કુમાર)

  4. ક્લાઇમેટ ચેન્જ શું છે અને આપણા માટે ખતરો કેમ? સમજો સરળ રીતે

    કેટલાંક વર્ષો દરમિયાન એક સ્થળના સરેરાશ હવામાનને ક્લાઇમેટ કહેવામાં આવે છે. આ સરેરાશ હવામાનોમાં બદલાવને ક્લાઇમેટ ચેન્જ કહેવાય છે.

    પણ હવે જે ઝડપે ક્લાઇમેટ ચેન્જ જોવા મળે છે તેની પાછળ માનવજાત દ્વારા ઑઇલ (ઈંધણ તેલ)નો ઉપયોગ, ઘરો, ફૅક્ટરી, વાહન-વ્યવહારમાં ગૅસ અને કોલસાનો ઉપયોગ કારણભૂત છે.

    જ્યારે આ અશ્મિગત બળતણો બળે છે ત્યારે તે કેટલાક ગ્રીનહાઉસ ગૅસનું ઉત્સર્જન કરે છે. તેમાં મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ (CO2) છે. આ બધા ગૅસ સૂર્યની ગરમીને ઘેરી લે છે, જેથી ગ્રહનું તાપમાન વધે છે.

    19મી સદી કરતાં હાલ વિશ્વ 1.2 ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ છે. એટલે કે તેનું તામપાન 1.2 ડિગ્રી સેલ્સિયસ વધુ છે. વળી વાતાવરણમાંકાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 50 ટકા વધ્યુંછે.

    વૈજ્ઞાનિકો કહે છે કે જો આપણે ક્લાઇમેટ ચેન્જનાં દૂરગામી ગંભીર પરિણામોથી બચવું હોય તો તાપમાનમાં થતા વધારાને ફરજિયાત ધીમો પાડવો પડશે. તેઓ કહે છે કે ગ્લોબલ વૉર્મિંગ (જળવાયુ પરિવર્તન)2100 સુધી 1.5 સેલ્સિયસ જ રાખવુંપડશે.

    જોકે, ભાવિ પગલાં નહીં લેવામાં આવે તો પૃથ્વીનું તાપમાનઆ સદીના અંત સુધીમાં વધુ 2 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે.

    જો કંઈ જ નહીં કરવામાં આવે તો વૈજ્ઞાનિકો માને છે કેજળવાયુ પરિવર્તન 4 ડિગ્રી સેલ્સિયસ જેટલુંવધી શકે છે.

  5. જળવાયુ પરિવર્તન શિખરમંત્રણામાં ભાગ લેવા માટે મોદી પહોંચ્યા

    ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી જી20 શિખરમંત્રણા બાદ હવે સંયુક્ત રાષ્ટ્રની 26મી જળવાયુ પરિવર્તન શિખરમંત્રણામાં ભાગ લેવા માટે ગ્લાસગો પહોંચી ગયા છે.

    પીએમ મોદી બે દિવસ માટે ગ્લાસગો રહેશે. આ દરમિયાન બ્રિટનના વડા પ્રધાન બોરીસ જૉનસન સાથે દ્વિપક્ષી સંવાદ પણ કરશે. આ શિખરમંત્રણા મામલે પીએમ મોદીએ ટ્વિટર પર પણ જાણકારી આપી છે. તેમણે લખ્યું, “COP26 શિખરમંત્રણામાં ભાગ લઈ રહ્યો છું. જળવાયુ પરિવર્તનને ધીમું કરવા અને તેના સંબંધમાં ભારતના પ્રયાસોને સ્પષ્ટ કરવા માટે વૈશ્વિક નેતાઓ સાથે કામ કરવાની આશા રાખું છું.”

    નોંધનીય છે કે સંયુક્ત રાષ્ટ્રની 26મી જળવાયુ પરિવર્તન શિખરમંત્રણા ગ્લાસગોમાં યોજાઈ રહી છે અને તે 12 નવેમ્બર સુધી ચાલશે.

  6. COP26માં શી ચર્ચા કરાશે?

    13 દિવસ ચાલનારા આ સંમેલનને કૉન્ફરન્સ ઑફ પાર્ટીઝ એટલે કે COP કહેવામાં આવે છે.

    ગ્લાસગો કૉન્ફરન્સમાં અમેરિકાના પ્રમુખ જો બાઇડન પણ ભાગ લઈ રહ્યા છે. ભારત તરફથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત પર્યાવરણમંત્રી ભૂપેન્દ્ર યાદવ પણ તેમાં ભાગ લઈ રહ્યા છે.

    આ કારણસર ભારતના સંદર્ભમાં COP26 શિખરમંત્રણા વધારે મહત્ત્વની બની જાય છે.

    ગ્લાસગો કૉન્ફરન્સનો ઍજન્ડા આમ તો બહુ મોટો છે, પરંતુ તેમાં સૌથી વધુ મહત્ત્વનું કામ છે પેરિસ કરારના નિયમોને અંતિમ સ્વરૂપ આપવાનું.

    2015માં જળવાયુ પરિવર્તન સંબંધે પેરિસ કરાર કરવામાં આવ્યો હતો. તેનો હેતુ કાર્બન ગૅસનું ઉત્સર્જન ઘટાડીને વિશ્વના વધતા ઉષ્ણતામાન પર બ્રેક લગાવવાનો હતો, જેથી ઉષ્ણતામાનમાંના વધારાને દોઢથી બે ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રાખી શકાય. એ પછી વિશ્વના દેશોએ પોતપોતાના માટે સ્વૈચ્છાએ લક્ષ્યાંક નક્કી કર્યા હતા.

    સંયુક્ત રાષ્ટ્રના તાજા અંદાજ મુજબ, હાલ અલગ-અલગ દેશોએ જે લક્ષ્યાંક નક્કી કર્યા છે તેના પરિણામે આ સદીના અંત સુધીમાં વિશ્વના ઉષ્ણતામાનમાં 2.7 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થશે. તેથી જળવાયુ પરિવર્તનની માઠી અસરનું નિરાકરણ વધારે જરૂરી બની જાય છે.

    ગ્લાસગોમાં એ ચર્ચા થશે કે આ વખતે ઉષ્ણતામાનમાં વધારાને 2 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રાખવાના વચનથી કશું થવાનું નથી. દુનિયાના તમામ દેશોએ ઉષ્ણતામાનમાં મહત્તમ દોઢ ડિગ્રી સેલ્સિયસ સુધીના વધારાનો સંકલ્પ કરવો પડશે.

  7. COP26 મહત્ત્વની કેમ?

    છેલ્લા એક વર્ષમાં દુષ્કાળ, કમોસમી વરસાદ, પૂર અને તોફાન જેવી કુદરતી આફતોને કારણે ભારતને 87 અબજ ડૉલરનું નુકસાન થયું છે.

    આ આંકડો વર્લ્ડ મીટિયોરોલૉજિકલ ઑર્ગેનાઇઝેશને બહાર પાડ્યો છે. કુદરતી આફતોને કારણે થયેલા નુકસાનની બાબતમાં માત્ર ચીન જ ભારતથી આગળ છે.

    ચીનને ગત વર્ષમાં 238 અબજ ડૉલરનું નુકસાન થયું છે. જાણકારો આ નુકસાનને જળવાયુ પરિવર્તન સાથે સાંકળી રહ્યા છે.

    આ જ કારણસર ભારત સહિતના વિશ્વના લગભગ 200 દેશો બ્રિટનના ગ્લાસગો શહેરમાં એકઠા થઈ રહ્યા છે, જેથી જળવાયુ પરિવર્તન અને તેને કારણે સર્જાતાં જોખમના સામના માટે દુનિયા સાથે મળીને પગલાં લઈ શકે.

  8. નમસ્કાર! જળવાયુ પરિવર્તન પર ગ્લાસગોમાં યોજાઈ રહેલી શિખરમંત્રણા પર બીબીસી ગુજરાતીના આ વિશેષ લાઇવ કવરેજ પર આપનું સ્વાગત છે. અહીં દિવસભર આપ COP26 સંબંધિત સમાચાર મેળવી શકશો.