You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

અમદાવાદમાં ટી20 મૅચમાં શુભમન ગીલની ન્યૂઝીલૅન્ડ સામે સદી ન્યૂઝીલૅન્ડ સામે 235 રનનું લક્ષ્ય

શુભમન ગિલે 63 બૉલમાં 126 રન સાથે ન્યૂઝલૅન્ડ સામે ભારતે ટી20માં 234 રન બનાવી અત્યાર સુધીનો સર્વોચ્ચ રનનો સ્કોર બનાવ્યો

લાઇવ કવરેજ

  1. બજેટ પહેલાં ChatGPT બજેટ

    નાણામંત્રી નિર્મલા સિતારમણ સંસદમાં બજેટ રજૂ કરે તે પહેલાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ ChatGPT દ્વારા તૈયાર કરવામાં આવેલું બજેટ સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયું હતું.

    અમિત પરાંજપે દ્વારા કરવામાં આવેલી સાત ટ્વીટની થ્રૅડમાં ChatGPT દ્વારા બજેટના અલગ-અલગ મુદ્દે વિચાર રજૂ કરવામાં આવ્યા છે.

    સર્વાંગી રીતે બજેટ અંગે 10 સૂચન કરવામાં આવ્યા હતા. ChatGPT દ્વારા શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાક્ષેત્રે રોકાણ વધારવાની, કરપ્રણાલીને સરળ બનાવવાની, ગ્રામીણ અને કૃષિ વિકાસની, નાણાખાધને કાબૂમાં લેવા જેવી ભલામણ કરવામાં આવી છે.

    પરાંજપેના ટ્વિટર બાયો પ્રમાણે, તેઓ અર્થશાસ્ત્ર, નીતિ, સૉફ્ટવૅર અને પ્રૌદ્યોગિકીમાં રસ ધરાવે છે.

  2. આર્થિક સર્વેક્ષણ 2023-24માં શું સારું અને શું ખરાબ

    નાણામંત્રી નિર્મલા સિતારમણ બુધવારે સંસદમાં 2023-24 માટે સામાન્ય બજેટ રજૂ કરશે. મંગળવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના સંબોધનની સાથે બજેટ સત્રની શરૂઆત થઈ, ત્યારબાદ નાણામંત્રીએ આર્થિક સર્વે રજૂ કર્યો હતો.

    આર્થિક સર્વેમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે, 2023-24માં ભારતની જીડીપી 6-6.8 ટકાના દરે વધશે.

    આર્થિક સર્વેમાં શું આવ્યું સામે?

    દેશના મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. વી.અનંત નાગેશ્વરે મંગળવારે દેશના આર્થિક સર્વેની વિસ્તૃત જાણકારી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, “નાણાકીય વર્ષ 2023-24માં વિકાસ દર 6-6.8 ટકા થવાનું અનુમાન છે.”

    આર્થિક સર્વેક્ષણ 2023માં કહેવામાં આવ્યું છે કે, દેશની 56 ટકા વસતી ગ્રામીણ વિસ્તારમાં રહે છે અને 47 ટકા વસતી આજીવિકા માટે ખેતી પર નિર્ભર છે. આવી સ્થિતિમાં ગ્રામીણ વિકાસ પર સરકારે ધ્યાન આપવાની જરૂર છે. કૃષિના ક્ષેત્રમાં ખાનગી રોકાણ 9.3 ટકા રહ્યું છે. આ વિસ્તારમાં સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે.

    આગામી નાણાકીય વર્ષમાં શક્યતાઓ વધુ સારી છે કારણ કે બેલેન્સ શીટ સારી સ્થિતિમાં છે. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન અને કન્ઝ્યુમર ડ્યૂરેબલ્સ પ્રોડક્શન છેલ્લા બે વર્ષની સરખામણીએ સુધારો થયો છે. એમએસએમઈ સેક્ટરમાં ક્રેડિટની માગ વધી છે.

    આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, ઘરેલું અર્થવ્યવસ્થામાં વિકાસ અને મોંઘવારી પર કાબુ મેળવવાના કારણે શક્ય છે કે દેશમાં વિદેશી રોકાણ ફરી એકવાર વધશે.

    સર્વેમાં કેટલીક ચિંતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતની વૈશ્વિક મંદીની આશંકાના કારણે એક્સપોર્ટ ઘટી શકે છે.

  3. મહિલા રાષ્ટ્રપતિ, મહિલા નાણાંમંત્રી

    બુધવારે સંસદમાં બજેટ રજૂ કરતાં પહેલાં નાણામંત્રી નિર્મલા સિતારમણે દેશનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી.

    તેમની સાથે રાજ્યકક્ષાના નાણામંત્રી બી. કે. કરાડ અને પંકજ ચૌધરી તથા મંત્રાલયના અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર હતા.

    આ એક અનોખો સંયોગ હતો કે જ્યારે દેશના પ્રથમ પૂર્ણકાલીન મહિલા નાણામંત્રીએ દેશના મહિલા રાષ્ટ્રપતિને બજેટ વિશે માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે પ્રતિભા પાટિલ (2007-2012) દેશનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતાં.

  4. બજેટ પહલાં શૅરબજારમાં સકારાત્મક સવાર

    બુધવારે કેન્દ્રની વર્તમાન સરકારના છેલ્લા પૂર્ણકદના બજેટ પૂર્વે શૅરબજારમાં સકારાત્મક વલણ જોવા મળ્યું છે.

    બજાર ખૂલવાના એક કલાક પછી સવા દસ વાગ્યા આસપાસ નિફ્ટી 127 પૉઇન્ટના ઉછાળા સાથે 17 હજાર 790 પર અને બીએસઈ (બૉમ્બે સ્ટૉક એક્સ્ચેન્જ) (જોડણી કન્ફર્મ છે ) આંક 425 પૉઇન્ટના ઉછાળા સાથે 59 હજાર 975 આસપાસ ટ્રૅડ કરી રહ્યા હતા.

    જે અનુક્રમે 0.73 અને 0.71 ટકા જેટલો વધારો સૂચવે છે.

    ઉલ્લેખનીય છેકે અર્થશાસ્ત્રમાં શૅરબજારને 'અર્થતંત્રના બેરોમિટર' તરીકે ઓળખવામાં આવે છે.

    નિફ્ટી આંકમાં દેશની ટોચની 50 લિસ્ટેડ કંપનીઓનો સમાવેશ થાય છે, જ્યારે બીએસઈએ ટોચની અગ્રણી કંપનીઓનો આંક છે.

  5. ટૅક્સમાં રાહતની આશા પૂરી થશે?

    સામાન્ય ધારણા એ છે કે 2024ની લોકસભા ચૂંટણી અને મોંઘવારી સામે ઝઝૂમતા મધ્યમ વર્ગના લોકોની મુશ્કેલી જોતાં મોદી સરકાર 2023ના બજેટમાં છૂટ અને રાત આપી શકે છે

    પરંતુ કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે પબ્લિક મેમરી નાની હોય છે.કારણ કે લોકસભા ચૂંટણીમાં અત્યારે 15 મહિના બચ્યા છે. એટલે આ બજેટમાં આપવામાં આવેલી છૂટ લોકો ચૂંટણી સુધી ભૂલી જશે.

    જાણીતા ટૅક્સ નિષ્ણાત સત્યેન્દ્ર જૈને કહ્યું કે, ''અત્યાર સુધી આ સરકારે કોઈ ટૅક્સ રાહત નથી આપી. જો આ સરકાર ઇનકમ ટૅક્સમાં કોઈ છૂટ અથવા રાહત આપવા પણ માગે તો અત્યારે નહીં આપી શકે. સરકાર કેટલીક રાહત આપશે તો સપ્ટેમ્બર-ઑક્ટોબરના અંતમાં આપી શકે છે.''

    ''સરકાર નોટિફિકેશ જાહેર કરીને આની જાહેરાત કરી શકે છે. આ સમયે સરકાર ટૅક્સ રાહત દેવાને બદલે વેલફેયર સ્કીમોમાં ખર્ચ વધારવાનો વિકલ્પ અપનાવશે.''

    તેઓ કહે છે કે , ''મોંઘવારીમાંથી રાહત આપવા માટે ઇનકમ ટૅક્સમાં છૂટ યોગ્ય પગલું નથી કારણ કે આનાથી લોકો પાસે બચેલા પૈસા બજારમાં આવશે અને મોંઘવારી વધશે. અત્યારે મોંઘવારીને કાબૂમાં રાખવી એ આરબીઆઈની સૌથી મોટી પ્રાથમિકતા છે. ટૅક્સમાં કાપથી કોઈ લાભ નથી થવાનો. આ સિવાય સરકારે વેલફેયર સ્કીમમાં ખર્ચો વધારવો જોઈએ ''

    ટૅક્સ ભરનારાઓ સરકાર પાસે ટૅક્સમાં બેસિક છૂટ (Basic Exemption), સ્ટૅન્ડર્ડ ડિડક્શન, 80 સી હેઠળ મળનારી છૂટ, હેલ્થ ખર્ચ ડિડક્શન અને હાઉસિંગ લોન ઇન્ટરસ્ટ ડિડક્શન લિમિટ વધારવાની માગી કરે છે.

    આની સાથે જ ટૅક્સની કલમ 80 ટીટીએ અને 80 ટીટી હેઠળ ડિડક્શન અને લૉન્ગ ટર્મ કૅપિટલ ગેન ટૅક્સની છૂટ વધારવાની માગ પણ થઈ રહી છે.

    ક્યાં ક્યાં ટૅક્સમાં રાહતની માગ થઈ રહી છે-

    • બેસિક છૂટ 2.5 લાખથી વધીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવે
    • સ્ટૅન્ડર્ડ ડિડક્શનની સીમા 50 હજાર રૂપિયાથી વધુ હોય
    • 80 સીની સીમા વધારીને દોઢ લાખથી વધારીને બે લાખ રૂપિયા હોય
    • હૅલ્થકેયર ખર્ચ પર 50 હજારનું ડિડક્શન વધે
    • હોમ લોન ભરવા પર જે ટૅક્સની છૂટ મળે છે તેને વધારવામાં આવે
    • સેવિંગ ઍકાઉન્ટ અને એફડી પર વ્યાજ પર ડિડક્શનની સીમા વધે
    • લૉન્ગ ટર્મ કૅપિટલ ગેન પર છૂટની સીમાને વધારવામાં આવે

    ક્યાં ક્યાં છૂટ મળે?

    ટૅક્સ એક્સપર્ટ અને અપના પૈસા ડૉટ કૉમના સીએફઓ બલવંત જૈન કહે છે,'' જુઓ સરકારે બેસિક છૂટની મર્યાદા નક્કી કરી છે, તે ડેટા એકઠો કરવા માટે કર્યું છે. સરકારને આનાથી પૉલિસી બનાવવામાં મદદ મળે છે. જો સરકાર બેસિક છૂટની સીમા વધારીને પાંચ લાખ રૂપિયા કરી દે તો ઘણા લોકો ટૅક્સની મર્યાદાથી બહાર થઈ જશે અને સરકાર પાસે કોઈ ડેટા નહીં રહે.

    ''મારા ખ્યાલથી સરકાર બહુ વધારે કરશે તો બેસિક છૂટની મર્યાદા અઢી લાખ રૂપિયાથી વધારીને ત્રણ લાખ કરી શકે છે.''

  6. આર્થિક સર્વેક્ષણ: ભારતીય અર્થવ્યવસ્થાને અસર કરતી ત્રણ બાબતો

    ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર નાણાકીય વર્ષ 2023-24માં 6.5 ટકા રહેવાનો અનુમાન લગાવવામાં આવ્યું છે. આ આઈએમએફના અગાઉના વર્ષના અનુમાન પ્રમાણે 6.1 ટકા વધારે છે.

    મંગળવારે સંસદમાં રજૂ કરાયેલા આર્થિક સર્વેમાં આ માહિતી આપવામાં આવી છે. જોકે, આ આંકડા તાજેકરના નાણકીય વર્ષ અને નાણાકીય વર્ષ 2021-22માં અર્થવ્યવ્સથાનો વિકાસ દર ક્રમશ: સાત અને 8.7 ટકાથી ઓછો છે.

    આર્થિક સર્વેક્ષણ સંસદમાં રજૂ થયા બાદ તેને તૈયાર કરનારી ટીમના મુખ્ય અને દેશના મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરને જણાવ્યું હતું કે, “વિકાસ દરનો આ અંદાજ ‘2020 પછી મળેલી ઓછામાં ઓછા ત્રણ વૈશ્વિક અસરો’ ઉપરાંત પણ રહ્યો છે.”

    પીટીઆઈના જણાવ્યા અનુસાર, આર્થિક સર્વેમાં ઉલ્લેખિત આ ત્રણ વૈશ્વિક ઝટકામાં કોવિડ મહામારીના કારણે ઉત્પાદનમાં ઘટાડો, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે દુનિયામાં મોંઘવારી વધી અને ઘણા દેશોની કેન્દ્રીય બૅંન્કો દ્વારા વ્યાજ દરોમાં વધારો સામેલ છે.

    અમેરિકાના ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો થવાને કારણે રોકાણકારોએ અન્ય દેશોમાંથી તેમના રોકાણ બહાર કાઢીને અમેરિકામાં રોકાણ કરવાનું શરૂ કર્યું.

  7. આજે ખૂલશે નાણામંત્રીનો પિટારો, સામાન્ય લોકોને શું મળશે રાહત

    થોડા કલાકો બાદ ભાજપ સરકારમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ આ વર્ષનું બજેટ રજૂ કરશે.

    મંગળવારે પ્રથમ વખત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું, જ્યાર બાદ નાણામંત્રી આજે બજેટ રજૂ કરશે.

    બે વર્ષની જેમ આ વર્ષે પણ યુનિયન બજેટ પેપરલેસ હશે.

    વડા પ્રધાન મોદીએ શું કહ્યું?

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટ સત્ર શરૂ થતાં પહેલાં કહ્યું કે આ બજેટ દેશના સામાન્ય લોકોની આશાઓ અને આકાંક્ષાઓ પર ખરું ઊતરશે અને દુનિયા માટે પણ આશાનું કિરણ સાબિત થશે.

    તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, "આજે ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ પ્રથમ વખત સંયુક્ત સદનને સંબોધિત કરવા જઈ રહ્યા છે. તેમનું સંબોધન ભારતના બંધારણ, સંસદીય પ્રણાલીનું ગૌરવ છે અને આજે મહિલાઓનું સન્માન કરવાની તક પણ છે. ભારતના બજેટ પર સમગ્ર દુનિયાની નજર રહે છે."

    પીએમ મોદીએ કહ્યું છે કે તેઓ આશા રાખે છે કે ભારતીય સંસદની પરંપરા અનુસાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું સંબોધન ઉમંગ, ઊર્જા અને ઉત્સાહથી ભરેલું રહે.

    આ સાથે તેમણે કહ્યું કે, “આપણા દેશના નાણામંત્રી પણ એક મહિલા છે, તેઓ આવતીકાલે વધુ એક બજેટ લઈને દેશની સામે આવી રહ્યાં છે. આજની વૈશ્વિક પરિસ્થિતિમાં માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું ધ્યાન ભારતના બજેટ તરફ છે. વિશ્વની અસ્થિર આર્થિક પરિસ્થિતિમાં ભારતનું બજેટ ભારતના સામાન્ય માણસની આશાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે."

    કેટલાકને રાહતની આશા

    2024માં લોકસભા ચૂંટણી પહેલાં મોદી સરકારનું આ છેલ્લું બજેટ છે, એટલે માનવામાં આવી રહ્યું છે કેટલાક વર્ગોને છૂટ મળશે.

    જોકે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે નાણામંત્રી માટે સરકારી ખજાના અને નવી જાહેરાતો માટે ખર્ચાની વ્યવસ્થા કરવા વચ્ચે સંતુલન રાખવું એ મુશ્કેલી ભરેલું હોઈ શકે છે.

    બજેટ રજૂ થતાં પહેલાં આર્થિક સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે દેશ માટે વધતો મોંઘવારીનો દર ચિંતાનો વિષય નથી.

    નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે રિઝર્વ બૅન્કે નાણાકીય વર્ષ 2023 માટે મોંઘવારીનો દર 6.8 ટકા રહેવાનો અનુમાન છે જે ટાર્ગેટ રેન્જની બહાર છે.

    તેમણે કહ્યું, "ન તો આ એટલું વધુ છે કે તેનાથી ખપત પર અસર પડશે અને ન તો એટલું ઓછું છે કે તેનાથી રોકાણ પર અસર પડશેે."

    બજેટ રજૂ કરતાં પહેલાં એ સમાચાર આવ્યા હતા કે ડિસેમ્બરમાં અર્થતંત્રના આઠ કોર સેક્ટર્સે 7.4 ટકાની ઝડપથી વિકાસ કર્યો છે. એક વર્ષ પહેલાં આ સેક્ટર્સનો વૃદ્ધિદર માત્ર 4.1 ટકા હતો.

    સમાચાર એજન્સી પીટીઆઈએ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય તરફથી જાહેર આંકડાને ટાંકતા આ જાણકારી આપી હતી.

    બજેટપાસેથી મોટી અપેક્ષાઓ શું છે?

    • એવું માનવામાં આવી રહ્યું છે કે, આ વર્ષના બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ ગયા વર્ષની સરખામણીએ થોડું વધારે કરવામાં આવશે, જેથી તે નવી નોકરીઓ ઉત્પન્ન થાય અને સ્ટીલથી લઈને ઑટો ઇન્ડસ્ટ્રી અને રિયલ એસ્ટેટ જેવા તમામ સેક્ટરમાં વિકાસ થાય.
    • કોરોના મહામારીની મોટી અસર ઑટો ઇન્ડસ્ટ્રી પર પડી અને વાહનોના વેચાણમાં ઘટાડો થયો હતો.આ સેક્ટરને પાટા પર લાવવા માટે બજેટમાં કેટલીક ખાસ જાહેરાત થઈ શકે છે.
    • નાણામંત્રી પાસેથી એવી પણ અપેક્ષા છે કે તેઓ આ વર્ષે મધ્યમ વર્ગને ટેક્સમાં રાહત આપી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી એવી અટકળો ચાલી રહી છે કે આ બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં થોડો વધારો કરવામાં આવી શકે છે અને ટૅક્સ સ્લૅબમાં થોડો ફેરફાર કરવામાં આવી શકે છે.
    • ઘણા લોકોને એ પણ આશા છે કે ટૅક્સમાં મહિલાઓ માટે થોડી રાહતની જાહેરાત કરવામાં આવી શકે છે.
    • ઘણા નિષ્ણાતો માને છે કે આ વર્ષે અને આવનારાં વર્ષોમાં ભારતીય અર્થવ્યવસ્થામાં વિકાસ ચાલુ રહેશે અને આવનારા વર્ષોમાં સરેરાશ માથાદીઠ આવકમાં પણ વધારો થશે.
    • સરકારે પહેલાંથી જ ગ્રીન એનર્જી તરફ આગળ વધવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે.આવી સ્થિતિમાં સરકાર પ્રયાસ કરશે કે ગ્રાહકો વધુ ઇલેક્ટ્રિક વાહનો ખરીદે અને આ માટે દેશમાં એક વધુ સારું બજાર ઊભું થવું જોઈએ.આ બજેટમાં તેના ઉત્પાદન અને વેચાણ સંબંધિત જાહેરાતની અપેક્ષા રાખવામાં આવી શકે છે.
    • સરકાર આ વર્ષે 100થી વધુ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોની જાહેરાત કરી શકે છે.ભારતીય રેલવે રાજધાની અને શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનોને બદલે વંદે ભારત ટ્રેન લાવવાનું વિચારી રહી હતી, આવી સ્થિતિમાં આજે આ સંબંધિત જાહેરાત થઈ શકે છે.
    • તાજેતરના વર્ષોમાં ડિજિટલ ચલણનો ઉપયોગ વધ્યો છે અને તેને ધ્યાનમાં રાખીને તે તેને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી શકે છે.ગયા વર્ષે ડિસેમ્બરમાંરિઝર્વ બૅન્કે રિટેલ સીબીડીસી (સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી)નો પાઇલટ લૉન્ચ કર્યો હતો.
    • નિષ્ણાતો માને છે કે, આ વર્ષે ગ્રામીણ વિસ્તારોમાં લાગુ થનારી યોજનાઓના ખર્ચમાં વધારો થવાની ધારણા છે, જેના કારણે બજેટ પર થોડો ભાર વધી શકે છે અને સરકારનું ગ્રૉસ બૉરોઇંગ વધારે રહેશે.
    • એવી પણ અપેક્ષા રાખવામાં આવે છે કે, ઉત્પાદન લિંક્ટ સ્કીમને વધુ ક્ષેત્રોમાં પણ વિસ્તૃત કરી શકાય છે.તેમાં અત્યારસુધીમાં 14 સેક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે.એવું માનવામાં આવે છે કે તેનાથી નવી નોકરીઓનું ઉત્પન્ન થશે.
    • વર્ષ 2022-23ના બજેટમાં ડિસઇન્વેસ્ટમેન્ટ માટે 65 હજાર કરોડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો, પરંતુ સરકાર તેનો અડધો ભાગ જ હાંસલ કરી શકી હતી.આવી સ્થિતિમાંએવું માનવામાં આવે છે કે આ વર્ષે સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ માટે તેના લક્ષ્યને ઘટાડીને રજૂ કરી શકે છે અને તેને 30થી 35 કરોડ સુધી કરી શકે છે.
    • સરકારે બે વર્ષથી તંબાકુ અને તંબાકુ ઉત્પાદો પર ટૅક્સ વધાર્યો ન હતો, આ વર્ષે તેનો પર ટૅક્સ વધી શકે છે.

    આગળ વધશે ભારતીય વ્યવસ્થા

    આંતરરાષ્ટ્રી મુદ્રા કોષ (IMF)ના મુખ્ય અર્થશાસ્ત્રી પિયરે ઓલિવિયર ગૌરીનચાસે જણાવ્યું છે કે, “વૈશ્વિક વિકાસમાં ભારત અને ચીન બંનેની ભાગીદારી લગભગ 50 ટકા હશે.”

    સાથેવૈશ્વિક વિકાસમાં અમેરિકા અને યુરોપીયનદેશોનો હિસ્સો માત્ર 10 ટકા હશે.

    આઈએમએફએ પોતાના વિકાસના અનુમાનમાં જણાવ્યું છે કે, 2023માં વિશ્વનો વિકાસ દર 2.9 ટકા રહેશે. આ મુજબ વિકસિત દેશોનો વિકાસ દર 1.2 ટકા અને વિકાસશીલ દેશોનો વિકાસ દર 4 ટકા રહેવાનો અંદાજ છે. વર્ષ 2023માં ભારતનો વિકાસ દર 6.1 ટકા અને ચીનનો 5.2 ટકા રહેવાનો અંદાજ છે.

  8. બજેટ 2023 : ગત વર્ષના બજેટમાં આપવામાં આવેલાં વચનોનું કેટલી હદે પાલન થયું?

  9. ગૌતમ અદાણીને 'જીવતદાન' આપનાર અબુધાબીની કંપનીની કહાણી તમે જાણો છો?

  10. નમસ્કાર!બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    31 જાન્યુઆરીના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.