You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ગુજરાત : ચૂંટણીના ઍક્ઝિટ પોલને કેજરીવાલે કેમ 'હકારાત્મક સંકેત' ગણાવ્યા?

ગુજરાતમાં વિધાસનભાની ચૂંટણી માટે ઍક્ઝિટ પોલના જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે એને દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક

લાઇવ કવરેજ

  1. ડૉ. બાબાસાહેબ આંબેડકરના નિધન પૂર્વેના છેલ્લા 24 કલાકમાં શું થયું હતું?

  2. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં 27 વર્ષથી ભાજપ સત્તામાં હોવા છતાં આટલું જોર કેમ લગાવવું પડ્યું?

  3. સરોગેટ માનો બાળક પર અધિકાર નહીં : કોર્ટ

    દિલ્હીની એક કોર્ટે એક દંપતીને સરોગસી થકી થયેલ બાળકનાં કાનૂની માતાપિતા માનતાં કહ્યું કે સરોગેટ મા અને તેમના પતિનો બાળક પર અધિકાર નથી.

    સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે અદાલત વાદી (એનઆરઆઈ યુગલ) દ્વારા દાખલ કરાયેલ એક કેસની સુનાવણી કરી રહી હતી, જેમણે 28 ઑગસ્ટ 2019ના રોજ પ્રતિવાદીઓ સાથે સમજૂતી કરી હતી. તેમને આશંકા હતી કે પ્રતિવાદી ભવિષ્યમાં બાળકની કસ્ટડીનો દાવો કરી શકે છે.

    પ્રશાસનિક સિવિલ ન્યાયાધીશ દીપક વત્સે નિર્ણયમાં કહ્યું, “આ મામલે દલીલોને ધ્યાને રાખતાં, લેખિત નિવેદનની સામગ્રી, એનઆરઆઈ પતિની સાક્ષી, આઈસીએમઆરની માર્ગદર્શિકા અને 228મા કાયદાપંચના રિપોર્ટને જોતાં હું માને છે કે વાદી રાહત મેળવવાના હકદાર છે.”

    અદાલતે કહ્યું કે માર્ગદર્શિકામાં કહેવાયું છે કે સરોગેટ મા એ બાળકની કાનૂની મા નથી.

  4. તમે કયા પ્રકારનું પાણી પીઓ છો? આરઓ અને વૉટર ફિલ્ટરનું પાણી પીવાથી શું થાય?

  5. ગુજરાત ચૂંટણીના ઍક્ઝિટ પોલને કેજરીવાલે કેમ'હકારાત્મક સંકેત' ગણાવ્યા?

    ગુજરાતમાં વિધાસનભાની ચૂંટણી માટે ઍક્ઝિટ પોલના જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે એને દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે 'હકારાત્મક સંકેત' ગણાવ્યો છે.

    મંગળવારે કેજરીવાલે કહ્યું, "ભાજપના ગઢ ગણાતા રાજ્યમાં 15થી 20 ટકાનો વોટશૅર મોટી વાત છે.અમારા માટે આ હકારાત્મક સંકેત છે. આપ નવી પાર્ટી છે અને અમારા જેવી નવી પાર્ટી માટે 15થી 20 ટકાનો વોટશૅર બહુ મોટી વાત છે."

    આ ઉપરાંત એમણે દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપને મળી રહેલી બેઠકો અંગેના ઍક્ઝિટ પોલના આંકડા પર પણ દિલ્હીના લોકોનો આભાર વ્યક્ત કર્યો.

    સોમવારે ત્રણ ઍક્ઝિટ પોલમાં દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપને સ્પષ્ટ બહુમતી આપવામાં આવી હતી.

    આ અંગે વાત કરતાં કેજરીવાલે જણાવ્યું, "હું દિલ્હીના લોકોને અભિનંદન આપવા માગીશ. તેમણે અમારા પર ફરી એક વખત વિશ્વાસ મૂક્યો છે." નોંધનીય છે કે દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ 7 ડિસેમ્બરે આવશે.જ્યારે 8 ડિસેમ્બરે ગુજરાત ચૂંટણીનાં પરિણામો જાહેર કરાશે.

  6. લખીમપુર હિંસા: કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા સહિત 14 આરોપીઓ સામે આરોપો ઘડાયા

    લખીમપુર હિંસા કેસમાં કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા ઉર્ફે મોનુ સહિત 14 આરોપીઓ સામે કોર્ટે આરોપો ઘડ્યા છે.

    આશિષ મિશ્રા સહિત 14 આરોપીઓ સામે હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી સહિતની તમામ ગંભીર કલમોમાં કાર્યવાહી કરાશે.

    ઍડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સુનીલકુમાર વર્માની કોર્ટે મંગળવારે સવારે વીડિયો કૉન્ફરન્સ દ્વારા સુનાવણી હાથ ધરી હતી.

    આશિષ મિશ્રા સહિત અંકિત દાસ અને તમામ 14 આરોપીઓ સામે આરોપો ઘડવામાં આવ્યા હતા.

    કોર્ટે હવે આગામી સુનાવણીની તારીખ 16 ડિસેમ્બર નક્કી કરી છે. જેમાં કેસમાં વાદીની જુબાની લેવામાં આવશે.

    જિલ્લા સરકારના ઍડવોકેટ અરવિંદ ત્રિપાઠીએ બીબીસીને જણાવ્યું હતું કે, ‘આશિષ મિશ્રા ઉર્ફે મોનુ, અંકિત દાસ, સુમિત જયસ્વાલ ઉર્ફે મોદી, લતીફ કાલે, સત્યમ ત્રિપાઠી, આશિષ પાંડે, લવકુશ રાણા, શેખર ભારતી, શિશુપાલ, ઉલ્લાસ કુમાર, રિન્કુ રાણા, ધર્મેન્દ્ર બંજારા પર હત્યા, હત્યાના પ્રયાસો, ઘાતક હથિયારો સાથે રમખાણ, 302 હત્યા, 307 હત્યાનો પ્રયાસ, 326 અંગભંગ, 427 સંપત્તિને નુકસાન પહોંચાડવું, 120 બી આઈપીસી અને 177 મોટર વ્હીકલ ઍક્ટની કલમોમાં કોર્ટે આરોપો ઘડ્યા છે.’

    અરવિંદ ત્રિપાઠીએ બીબીસીને જણાવ્યું હતું કે, “કોર્ટે આશિષ મિશ્રા મોનુ, અંકિત દાસ, નંદન સિંહ, સત્યમ ઉર્ફે સત્યપ્રકાશ ત્રિપાઠી, લતીફ ઉર્ફે કાળે પર આર્મ્સ ઍક્ટની વિવિધ કલમો હેઠળ આરોપો નક્કી કરાયા છે.

    ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, “144માં આરોપી વીરેન્દ્ર શુક્લા વિરુદ્ધ 201 આઈપીસી અંતર્ગત આરોપો ઘડાયા છે. સાથે કોર્ટે ફરિયાદી પુરાવા માટે સુનાવણીની આગામી તારીખ 16 ડિસેમ્બર નક્કી કરી છે.”

    શું હતો મામલો

    3 ઑક્ટોબર 2021 એ યૂપીના લખીમપુર ખીરી જિલ્લાના તિકુનિયામાં ખેડૂત આંદોલન અને પ્રદર્શન દરમિયાન થાર અને બે અન્ય એસયૂવી ગાડીઓમાંથી ચાર ખેડૂતો અને એક પત્રકારની હત્યા કરવામાં આવી હતી.

    એસઆઈટીએ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા સહિત 14 આરોપીઓની હત્યા, પૂર્વયોજિત કાવતરું, એમવી અને આર્મ્સ ઍક્ટની તમામ ગંભીર કલમોમાં ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી. સોમવારે કોર્ટે કેસમાં ડિસ્ચાર્જ અરજીઓ ફગાવી દીધી હતી.

    મંગળવારે આરોપો નક્કી કરવામાં આવ્યા છે. હવે 16 ડિસેમ્બરે કોર્ટમાં આગામી સુનાવણી થશે.

  7. વર્લ્ડ બૅન્કનું ભારતના વિકાસદરનું પૂર્વાનુમાન, 6.5થી વધારીને 6.9 ટકા

    વર્લ્ડ બૅન્કે 2022-23ના નાણાકીય વર્ષ માટે ભારતના અર્થતંત્રના વિકાસદરનું અનુમાન આપ્યું છે, જેને વધારીને 6.9 ટકા કરી દીધું છે. અગાઉ વર્લ્ડ બૅન્કે ભારતની અર્થવ્યવસ્થાથી 6.5 ટકાના દરે વૃદ્ધિ થશે એવું અનુમાન કર્યું હતું.

    સમાચાર એજન્સી એએનઆઈએ વર્લ્ડ બૅન્કના વરિષ્ઠ અર્થશાસ્ત્રી ધ્રુવ શર્માને ટાંકીને જણાવ્યું છે કે, “દેશમાં ઝડપથી વધી રહેલી આર્થિક ગતિવિધિઓને જોતાં વિકાસદરનો અંદાજ વધારવામાં આવ્યો છે.”

    ધ્રુવ શર્માએ એમ પણ કહ્યું હતું કે, “આ વર્ષે ભારતીય રૂપિયાની કિંમત ડૉલર સામે 10 ટકા ઘટી છે. જોકે, અન્ય બજારોની તુલનામાં તે એટલું ખરાબ નથી.”

    તેમણે જણાવ્યું હતું કે, “કોરોના સમયે આવેલી મંદી બાદ ભારત ઝડપથી તેની જૂની ગતિએ પરત ફરી રહ્યું છે. તેની પાછળ ઘરેલું માગમાં થયેલો વધારો એ એક મોટું કારણ છે.”

    સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, “વર્લ્ડ બૅન્કે પણ કહ્યું છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતમાં મોંઘવારીનો દર 7.1 ટકા રહી શકે છે.”

  8. ઈસુદાન ગઢવી ઍક્ઝિટ પોલ બાદ શું બોલ્યા? તેમણે દાવો કર્યો કે આપે કેટલી બેઠક મળશે

  9. યુપી: મથુરાની મસ્જિદમાં હનુમાન ચાલીસાના પાઠનો એલાન, પ્રશાસન સતર્ક, સુરેશ સૈની, મથુરાથી બીબીસી હિંદી માટે

    છ ડિસેમ્બર એટલે બાબરી મસ્જિદના વિધ્વંસની વરસી પર અખિલ ભારતીય હિંદુ મહાસભાએ મથુરાની શાહી ઈદગાહ મસ્જિદમાં હનુમાન ચાલીસાનો પાઠ અને બાળ ગોપાલનો અભિષેક કરવાની ઘોષણા કરી હતી. ત્યાર બાદ પ્રશાસન સતર્ક થઈ ગયું છે.

    આ એલાન હિંદુ મહાસાભાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાજશ્રી ચૌધરીએ કર્યું. ત્યાર બાદ મહાસભાના કોષાધ્યક્ષ દિનેશ શર્માએ પણ ઘોષણા કરી હતી કે તે બપોરે 12 વાગ્યે દરેક કિમતે શાહી ઈદગાહ મસ્જિદ પર હુનુમાન ચાલીસાનો પાઠ કરશે અને અહીં બાળગોપાલનો અભિષેક કરશે.

    આ ઘોષણાને જોતાં મથુરામાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. એસએસપી શૈલેશ પાંડેએ જણાવ્યું કે સોશિયલ મીડિયા પર અશાંતિ ફેલાવવાના હેતુથી પોસ્ટ કરવાવાળો લોકોની અટકાયત કરવામાં આવી હતી જેથી તેઓ શાંતિભંગ ન કરી શકે. સાથે જ પ્રશાસનની મંજૂરી વિના કોઈ પણ કાર્યક્રમ નહીં કરવાની સૂચના આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે હજી સુધી સ્થિતિ નિયંત્રણમાં છે.

    બીજી તરફ અખિલ ભારત હિંદુ મહાસભાના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ દિનેશ શર્માએ એક વીડિયો મારફતે ચેતવણી આપી છે કે જો તેમને જિલ્લા પ્રશાસને ભગવાન શ્રી કૃષ્ણનો અભિનેષ અને હનુમાન ચાલીસાનો પાઠ ન કરવા દીધો તો તેઓ ઈદગાહના ગેટ પર આત્મદાહ કરવા મજબૂર બનશે.

  10. ગુજરાતના ઉંઢેલામાં 'જાહેરમાં મારઝૂડ કરવા અંગે મુસ્લિમોએ કર્યો મતદાનનો બહિષ્કાર'

    સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર ખેડાના ઉંઢેલા ગામમાં ગરબા કાર્યક્રમમાં કથિત પથ્થરમારો કરનાર મુસ્લિમ યુવાનોને કથિત રીતે જાહેરમાં માર મારવાની ઘટના બાદ ગામમાં 1400 જેટલા મુસ્લિમ મતદારોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો.

    ઑક્ટોબરમાં ખેડા જિલ્લાના એક ગરબા કાર્યક્રમમાં કથિત રીતે મુસ્લિમ સમુદાયના સભ્યોના એક સમૂહ દ્વારા પથ્થરમારો કરવા પર પોલીસકર્મી સહિત સાત લોકો ઘાયલ થયા હતા. તેઓએ એક મસ્જિદ પાસે કાર્યક્રમ યોજવા પર વાંધો ઉઠાવ્યો હતો.

    ત્યાર બાદ કેટલાક યુવાનોને થાંભલે બાંધીને પોલીસે માર્યાનો એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં પોલીસકર્મી માર મારતા જોઈ શકાતા હતા.

    સમુદાયના નેતાઓએ સોમવારે કહ્યું હતું કે, “માતર તાલુકા સ્થિત ઉંઢેલા ગામમાં કુલ 3700 મતદાતાઓમાંથી 1400 મુસ્લિમ મતદાતા વિરોધમાં સામેલ થયા હતા અને તેઓએ બીજા તબક્કામાં રાજ્યની 93 વિધાનસભા બેઠક પર યોજાયેલા મતદાનમાં મતદાન નહોતું કર્યું.”

    સ્થાનિક મુસ્લિમ નેતા મકબૂલ સૈયદે દાવો કર્યો હતો કે, “જાહેરમાં મારઝૂડ અને વહીવટીતંત્ર દ્વારા દોષિઓને સજા ન આપવાના વિરોધમાં ગામના તમામ મુસ્લિમ મતદાતા મતદાન કરવા માટે ગયા ન હતા.”

    તેઓએ કહ્યું કે, “પોલીસ દ્વારા એકતરફી કાર્યવાહી કરવા પર અમે આક્રોશ જાહેર કર્યો હતો. અત્યાર સુધી કોઈ પણ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી.”

    જોકે, ખેડા કલેક્ટર કેએલ બચાણીએ સ્થાનીક ચૂંટણી અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે, “બહિષ્કારની કોઈ વાત અમારી સામે આવી નથી.”

    બચાણીએ કહ્યું હતું કે, “રિટર્નિંગ અધિકારીના રિપોર્ટ અનુસાર, આવી કોઈ ઘટના ઘટી નથી અને કોઈએ પણ આ પ્રકારના મુદ્દા સાથે અમારો સંપર્ક કર્યો નથી. અમારા રેકર્ડ અનુસાર, 43 ટકા મતદાતાઓએ આજે ઉંઢેલામાં મતદાન કર્યું હતું.”

  11. જૂનાગઢના લોકોએ કહ્યું 'આપ, ભાજપ, કૉંગ્રેસમાંથી કોની બનશે સરકાર?'

  12. મોરબી પુલ પર ટ્વીટ કરતાં ટીએમસી પ્રવક્તાની ધરપકડનો દાવો

    તૃણમૂલ કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેની પાંચ ડિસેમ્બરે મોડી રાતે ગુજરાત પોલીસે રાજસ્થાન સરહદ પરથી ધરપકડ કરી છે, આવો દાવો ટીએમસીના સાંસદ ડેરેક ઓ'બ્રાયને કર્યો છે.

    એક ટોચના પોલીસ અધિકારીએ બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાને કહ્યું કે, “ગુજરાત પોલીસના સાઇબર ક્રાઇમ સેલે સાકેત ગોખલેની પૂછપરછ માટે અટકાયત કરી છે. પોલીસે કહ્યું છે કે તેમની અમદાવાદ આવ્યા બાદ પૂછપરછ કરવામાં આવશે.”

    ડેરેક ઓ'બ્રાયને જણાવ્યું કે આ ધરપકડ મોરબીમાં તૂટી પડેલા સસ્પેન્શન બ્રિજ સાથે જોડાયેલા સાકેત ગોખલેના એક ટ્વીટને લીધે થઈ છે. મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતાં સરકારી આંકડા પ્રમાણે 135 લોકોનાં મોત થયાં હતાં.

    ટીએમસી સાંસદે કહ્યું, "સાકેત ગોખલેએ નવી દિલ્હીથી જયપુર માટે સોમવારે રાતે નવ વાગ્યે ફ્લાઇટ પકડી હતી. જ્યારે તેઓ જયપુર પહોંચ્યા તો ગુજરાત પોલીસ પહેલેથી ઍરપૉર્ટ પર તેમની રાહ જોતી હતી અને ત્યાંથી તેમને પોતાની સાથે લઈ ગઈ."

    "રાતે બે વાગ્યે તેમણે તેમનાં માતાને ફોન કર્યો અને કહ્યું કે પોલીસ તેમને અમદાવાદ લઈ જઈ રહી છે અને તેઓ આજે બપોર સુધી પહોંચી જશે. પોલીસે તેમને માત્ર બે મિનિટ માટે ફોન કરવા દીધો હતો અને પછી તેમનો ફોન અને બધો સામાન જપ્ત કરી લીધો."

    ડેરેક ઓ'બ્રાયને અનેક ટ્વીટમાં દાવો કર્યો છે કે ગુજરાત પોલીસે આ કેસ ઘડ્યો છે અને અમદાવાદ સાયબર સેલમાં સાકેતના ટ્વીટ મામલે ફરિયાદ નોંધી છે.

    ટીએમસી સાંસદે કહ્યું કે આ બધાથી તેમની પાર્ટી અને વિપક્ષને ચૂપ નહીં કરી શકાય. ભાજપ રાજકીય બદલાને અલગ સ્તરે લઈ જઈ રહ્યો છે."

  13. બળજબરી ધર્માંતરણને સુપ્રીમ કોર્ટે બંધારણની વિરુદ્ધ ગણાવ્યું

    બળજબરી ધર્માંતરણને એક 'ગંભીર મુદ્દો' ગણાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ બંધારણની વિરુદ્ધ છે.

    સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, વકીલ અશ્વિનીકુમાર ઉપાધ્યાયની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી છે.

    અરજીમાં અનુરોધ કરવામાં આવ્યો હતો કે સુપ્રીમ કોર્ટ કેન્દ્ર અને રાજ્યોને "ડરાવી-ધમકાવી, છેતરપિંડી અથવા ભેટ-પૈસા વગેરે લાલચના બળે કરવામાં આવતા છળપૂર્ણ ધર્માંતરણને" રોકવા માટે નિર્દેશ આપે.

    કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું કે તે આવા ધર્માંતરણ સંબંધિત મામલે રાજ્યો પાસેથી માહિતી એકઠી કરી રહી છે.

    જસ્ટિસ એમઆર શાહ અને સીટી રવિકુમારની બેન્ચ સમક્ષ સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ આ મુદ્દે વધુ માહિતી લાવવા માટે સમય માગ્યો હતો.

    તેમણે કહ્યું, "અમે રાજ્યો પાસેથી આ મુદ્દે માહિતી એકત્રિત કરી રહ્યા છીએ, અમને એક અઠવાડિયાનો સમય આપો."

    સુપ્રીમ કોર્ટે આ દરમિયાન ધર્માંતરણને ખૂબ જ ગંભીર મામલો ગણ્યો હતો. સર્વોચ્ચ અદાલતે કહ્યું, "અમે અહીં ઉકેલ માટે બેઠા છીએ. જો કોઈ ચૅરિટીનો ઉદ્દેશ સાચો હોય તો તે આવકારપાત્ર છે, પરંતુ એના માટે દાનત હોવી જરૂરી છે."

    બેન્ચે કહ્યું, "આ ખૂબ ગંભીર મુદ્દો છે. આખરે તે આપણા બંધારણની વિરુદ્ધ છે. જ્યારે કોઈ ભારતમાં રહે છે, તો એ દરેક વ્યક્તિએ ભારતની સંસ્કૃતિ અનુરૂપ જ ચાલવું પડશે."

    સુપ્રીમ કોર્ટ હવે આ મામલે આગામી સુનાવણી 12 ડિસેમ્બરે કરશે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે બળજબરી ધર્મ પરિવર્તન રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકી શકે છે અને તે નાગરિકોની ધાર્મિક આઝાદીનું હનન પણ કરી શકે છે.

  14. ગુજરાત ચૂંટણી : બીજા તબક્કાનું મતદાન કેટલું?

    ગુજરાતમાં બંને તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે આઠ ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.

    આ વર્ષે ગત ચૂંટણી કરતાં ઓછું મતદાન થયું છે, જે રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય બન્યું છે.

    ચૂંટણીપંચ અનુસાર, બીજા તબક્કાનું અંદાજે 64.39 ટકા મતદાન થયું છે.

    બીજા તબક્કામાં સૌથી વધારે (71.40 ટકા) મતદાન બનાસકાંઠા જિલ્લામાં થયું છે. સૌથી ઓછું (58.32 ટકા) મતદાન અમદાવાદ જિલ્લામાં થયું છે.

    ગુજરાત ચૂંટણીમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી, તેમ છતાં ગત ચૂંટણી કરતાં ઓછું મતદાન થયું છે.

  15. ગુજરાત ચૂંટણી : ઍક્ઝિટ પોલ શું કહે છે?

    ગુજરાતમાં બીજા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ ઍક્ઝિટ પોલના આંકડા જાહેર કરાઈ રહ્યા છે.

    'ન્યૂઝ ઍક્સ'ના ઍક્ઝિટ પોલ અનુસાર ગુજરાતમાં ભાજપને 117થી 140 બેઠકો મળી શકે છે. જ્યારે કૉંગ્રેસ-એનસીપીને 34-51 બેઠકો મળી શકે છે. તો આપને આ ઍક્ઝિટ પોલમાં 6-13 બેઠકો અપાઈ છે.

    'ટીવી 9 ગુજરાતી'ના ઍક્ઝિટ પોલ અનુસાર ગુજરાતમાં ભાજપને 125થી 130 બેઠકો મળી શકે એમ છે, જ્યારે આ ઍક્ઝિટ પોલમાં કૉંગ્રેસ-એનસીપીને 40-50 બેઠકો અપાઈ છે અને આપને 3-5 બેઠકો અપાઈ છે.

    'રિપબ્લિક ટીવી' અને 'P-Marq'ના અનુમાન મુજબ, ભાજપને 128થી 148, કૉંગ્રેસને 30થી 42, આપને બેથી 10 તથા અન્યોને શૂન્યથી ત્રણ બેઠક મળી શકે છે. ભાજપને 48.2 ટકા, કૉંગ્રેસને 32.6 ટકા, આપને 15.4 ટકા, તથા અન્યોને 3.8 ટકા મત મળે તેવી શક્યતા છે.

    મીડિયા હાઉસનું અનુમાન છેકે આપને 2.8 તથા અન્યોને 9.5 ટકા મત મળતા જણાય છે. આપને શૂન્યથી એક તથા અન્યોને એકથી ચાર બેઠક મળી શકે છે.

    ઇન્ડિયા ન્યૂઝ - જન કી બાતના અનુમાન પ્રમાણે, ભાજપને 44થી 49 ટકા સાથે 117થી 140 બેઠક મળી શકે છે. 182 બેઠકવાળી વિધાનસભામાં બહુમત માટે 92 બેઠક જરૂરી છે.

    જ્યારે કૉંગ્રેસને 28થી 32 ટકા સાથે 51થી 34, આપને 19થી 12 ટકા મત સાથે 13થી 6 તથા અન્યોને બે બેઠક મળી શકે છે.

    ઇન્ડિયા ટુડે- ઍક્સિસ માય ઇન્ડિયાના આકલન પ્રમાણે, આપના આગમનને કારણે ભાજપને મહત્તમ 151 બેઠક મળી શકે છે, જે માધવસિંહ સોલંકીના 149 રેકર્ડ કરતાં વધુ હશે.

    કૉંગ્રેસનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન હશે અને તેને 16થી 30 બેઠક મળી શકે છે, જ્યારે આપને 9થી 21 બેઠક મળી શકે છે.

    જો ભાજપને 128 બેઠક મળશે, તો પણ તે પાર્ટીનું ગુજરાતમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હશે, કારણ કે વર્ષ 2002માં ભાજપને 127 બેઠક મળી હતી.

    ઝી ન્યૂઝ- BARCના તારણ પ્રમાણે, ગુજરાતમાં ભાજપને 110થી 125, ભાજપને 45થી 60, આપને એકથી પાંચ, અન્યોને શૂન્યથી ચાર બેઠક મળી શકે છે.

    સંસ્થાનું માનવું છે કે, મધ્ય ગુજરાતમાં ભાજપને ગત વખતની સરખામણીમાં છ બેઠક વધુ મળશે, જ્યારે આપ તથા અન્યને એક-એક બેઠક મળશે.

    આ વિસ્તારમાં કૉંગ્રેસને આઠ બેઠકનું નુકસાન થશે. ભાજપને 43, કૉંગ્રેસને 14, આપને એક તથા અન્યોને ત્રણ બેઠક મળી શકે છે.

  16. નમસ્કાર ! બીબીસી ગુજરાતીના લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત ચૂંટણી સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી ગુજરાતી સાથે.

    5 ડિસેમ્બરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.