You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

'સાંતા નામે કોઈ હતા જ નહીં' એ નિવેદન બદલ ઇટાલિયન ચર્ચે માફી માગી

સિસિલીમાં એક રોમન કૅથલિક ડાયોસિસે વાલીઓ સમક્ષ માફી માગી છે, કારણ કે ચર્ચના બિશપે કથિત રીતે બાળકોના સમૂહને કહ્યું હતું કે સાન્તાક્લોઝ અસ્તિત્વમાં જ નથી.

લાઇવ કવરેજ

  1. મુશાયરામાં 'હુકમનું પાનું' ગણાતા ગઝલકાર ખલીલ ધનતેજવી

  2. PM નરેન્દ્ર મોદીનું ટ્વિટર હૅન્ડલ હૅક, 'અમને એમ કે 15 લાખ બિટકૉઇનમાં મળશે'

  3. રાહુલ ગાંધીએ કહ્યું- હું હિંદુ છું, પરંતુ હિંદુત્વવાદી નથી

    જયપુરમાં રવિવારના રોજ કૉંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલીમાં રાષ્ટ્રીય કૉંગ્રેસના વચગાળાનાં પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યાં હતાં. રેલીને સંબોધતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભારતના રાજકારણમાં હિંદુ અને હિંદુત્વવાદી વચ્ચે સ્પર્ધા છે. બન્ને શબ્દોના જુદા-જુદા અર્થ છે. તેમણે કહ્યું કે હું હિંદુ છું, પરંતુ હિંદુત્વવાદી નથી. મહાત્મા ગાંધી હિંદુ હતા અને ગોડસે હિંદુત્વવાદી હતા. હિંદુત્વવાદીઓને માત્ર સત્તા જોઈએ છે અને તેમની પાસે તે 2014થી છે. આપણે આ હિંદુત્વવાદીઓને સત્તા પરથી હઠાવવા પડશે અને હિંદુઓને પાછા લાવવા પડશે.

  4. 'સાંતા નામે કોઈ હતા જ નહીં' એ નિવેદન બદલ ઇટાલિયન ચર્ચે માફી માગી

    સિસિલીમાં એક રોમન કૅથલિક ડાયોસિસે વાલીઓ સમક્ષ માફી માગી છે, કારણ કે ચર્ચના બિશપે કથિત રીતે બાળકોના સમૂહને કહ્યું હતું કે સાન્તાક્લોઝ અસ્તિત્વમાં જ નથી.

    ઇટાલિયન મીડિયાના એક અહેવાલ અનુસાર, ગયા અઠવાડિયે એક ધાર્મિક કાર્યક્રમમાંબિશપ એન્ટોનિયો સ્ટેગ્લિઆનોએ પણ કહ્યું હતું કે સાન્તાક્લોઝના લાલ પોશાકની પસંદગી તો કોકા-કોલા કંપની દ્વારા પ્રચાર માટે કરવામાં આવી હતી.

    બાળકોના આ કાર્યક્રમમાં બિશપની ટિપ્પણી સાંભળીને વાલીઓ ગુસ્સે ભરાયા હતા.

    ત્યારબાદ માફીનામામાંનોટો ડાયોસિસ તરફથી રેવ એલેસાન્ડ્રો પાઓલિનોએ કહ્યું હતું કે બિશપે નાતાલનો સાચા અર્થ રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો.

    તેમણે એમ પણ કહ્યું કે ટિપ્પણીઓનો ઉદ્દેશ્ય સાન્તાક્લોઝની આકૃતિ માટે પ્રારંભિક પ્રેરણા સમાન અને ગરીબોને ભેટ આપવા માટે વિખ્યાત બનેલા સૅન્ટ નિકોલસની કથા પર પ્રકાશ પાડવાનો હતો.

    રેવ પાઓલિનોએ ફેસબુક પેજ પર પોસ્ટ મૂકીને જણાવ્યું હતું,"સૌપ્રથમ જેમની ટિપ્પણીથી નાનાં ભૂલકાંઓની લાગણીને ઠેસ પહોંચી એ બદલબિશપ આ ઘોષણા માટે હું ખેદ વ્યક્ત કરું છુંઅને સાથે સ્પષ્ટ કરવા માગું છું કે મોન્સિગ્નોર સ્ટેગ્લિઆનોનો હેતુ સાવ જુદો જ હતો."

    અખબાર લા રિપબ્લિકા સાથેની એક મુલાકાતમાંબિશપે કહ્યું કે તેમણે બાળકોને એવું નથી કહ્યું કે સાન્તા નામે કોઈ હતા જ નહી, મેં એમ કહ્યું હતું કે આપણે "આભાસી અને વાસ્તવિક ચિત્ર વચ્ચેનો ભેદ જાણવાની જરૂર છે."

  5. તમારી થાળીમાં ક્રોમિયમ, સીસું, નિકલ અને બીજું શું પીરસાય છે?

    ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ, મુજબ તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે અમદાવાદની સાબરમતી નદીમાં ઝેરી કચરાના નિકાલને લઈને ઉદ્યોગોને ફટકાર લગાવી હતી. તમને લાગતું હોય કે આ મુદ્દા સાથે તમારી કોઈ નિસબત નથી તો જાણી લો કે આ મુદ્દો તમારી ભોજનની થાળી સાથે સંબંધ ધરાવે છે.

    કેમ કે આ અહેવાલ મુજબ, નદીકાંઠાનાં 43 ગામો ઉદ્યોગોના આ પ્રદૂષિત પાણીથી શાકભાજી ઉગાડે છે. જેમાં અમુક ધાતુઓની માત્રા વિશ્વ આરોગ્ય સંસ્થાએ પ્રમાણિત કરેલી માત્રા કરતાં 3થી 28 ગણી વધારે જોવા મળી છે.

    આ તારણ તિરુવનંતપુરમની નેશનલ સેન્ટર ફૉર અર્થ સાયન્સ, ગાંધીનગરની પીડીઈયુ તેમજ અમદાવાદની ફિઝિકલ રિચર્સ સેન્ટર અને સાલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજીના સંશોધનમાં બહાર આવ્યુ છે.

    પ્રકાશિત અહેવાલમાં આ વિસ્તારમાં પકાવેલાં શાકભાજીમાં કોબાલ્ટ, ક્રોમિયમ, તાંબુ, મેંગેનિઝ, નિકલ, જસત અને ઘાતક સીસું ધાતુનું પ્રમાણ વધુ માત્રામાં જોવા મળ્યુ છે.

    શાકભાજીને ધોવાથી તો ઠીક પણ 80 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરવાથી પણ આ ધાતુઓને દૂર કરી શકાતી નથી.

    અભ્યાસમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે, આ શાકભાજીમાં સીસું નિર્ધારિત ધોરણ કરતાં 12 ગણું, મેંગેનિઝ 13 ગણું, ક્રોમિયમ 3 ગણું, જસત 2.5 ગણું, જ્યારે તાંબાની માત્રા બે ગણી વધારે જોવા મળી હતી.

    નિકલનું પ્રમાણ નિર્ધારિત કરવામાં આવ્યું નથી. પરંતુ યુરોપિયન ધોરણો પ્રમાણે તે 6 ગણું વધારે જોવા મળ્યું હતું.

    સંશોધન માટે શાકભાજીના નમૂના સાબરમતી નદીના કાંઠાવિસ્તારનાં ગામો ગ્યાસપુર, વિસાલપુર, કાસિંદ્રા, સરોડા, ચંડીસર, કલોલી, અસમાલી અને ખડામાંથી લેવામાં આવ્યા હતા. આ ગામો વાસણા નારોલ સુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટની નીચે આવેલાં છે.

  6. 33 વર્ષથી લાગુ સામાજિક સુરક્ષાના કાયદાના લાભથી થાનના સિરામિક કામદારો વંચિત કેમ?

  7. અમેરિકાએ બાંગ્લાદેશ પર લગાવ્યા કેટલાક પ્રતિબંધો

    અમેરિકી નાણા વિભાગના ઑફિસ ઑફ ફૉરેન અસેટ્સ (ઓએફએસી)એ બાંગ્લાદેશના સુરક્ષાબળ રેપિડ ઍક્શન બટાલિયન (આરએબી) અને કેટલાક સુરક્ષા અધિકારીઓ પર પ્રતિબંધ લાદ્યો છે.

    શુક્રવારે બાંગ્લાદેશને આ અંગે ઢાકાસ્થિત અમેરિકી દૂતાવાસ ખાતેથી આ માહિતી આપવામાં આવી હતી.

    ઓઓફએસી દ્વારા બાંગ્લાદેશ સહિત અનેક દેશોના 10 સંગઠનો અને 15 લોકો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

    આ પ્રતિબંધ માનવાધિકારોનું હનન અને હેરાનગતિના મામલાઓમાં સામેલ રહેવાના કારણે લાદવામાં આવ્યો છે.

    અમેરિકાએ બાંગ્લાદેશના રેપિડ ઍક્શન બટાલિયન સહિત તેના પૂર્વ પ્રમુખ અને દેશમાં હાલના પોલીસ પ્રમુખ બેનઝીર અહમદ અને આરએબીના વર્તમાન પ્રમુખ ચૌધરી અબદુલ્લા અલ મામૂન સહિતના અધિકારીઓ પર પ્રતિબંધ લાદ્યો છે.

    બાંગ્લાદેશ દ્વારા અમેરિકાના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે.

  8. જનરલ બિપિન રાવતે અકસ્માતના એક દિવસ પહેલાં શું સંદેશ આપ્યો હતો?

    ભારતમાં રવિવારથી ઉજવાઈ રહેલા બે દિવસીય 'સ્વર્ણિમ વિજયપર્વ'ના અવસરે સ્વર્ગસ્થ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનો રેકૉર્ડેડ સંદેશ જારી કરવામાં આવ્યો છે.

    આ સંદેશ 7 ડિસેમ્બરે એટલે કે હેલિકૉપ્ટર ક્રેશના એક દિવસ પહેલાં રેકૉર્ડ કરવામાં આવ્યો હતો. એક મિનિટ અને દસ સેકન્ડના આ વીડિયો સંદેશમાં જનરલ રાવત સેનાના સાહસની પ્રશંસા કરી રહ્યા છે અને વિજયપર્વની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

    પાકિસ્તાન સાથેના 1971ના યુદ્ધનાં 50 વર્ષ પૂર્ણ થવા પર આજે વિજયપર્વ કાર્યક્રમમાં આ સંદેશ બતાવવામાં આવ્યો હતો.

    સંદેશમાં જનરલ રાવતે કહ્યું છે કે, “સ્વર્ણિમ વિજયપર્વના અવસર પર હું ભારતીય સેનાના તમામ જવાનોને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. આપણે 1971ના યુદ્ધમાં ભારતીય સેનાની જીતની 50મી વર્ષગાંઠને વિજયપર્વ તરીકે ઊજવી રહ્યા છીએ. આ પવિત્ર તહેવાર પર સશસ્ત્ર દળોના બહાદુર જવાનોને યાદ કરીનેહું તેમના બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

    “12થી 14 ડિસેમ્બર સુધી દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આપણા બહાદુર શહીદોની સ્મૃતિમાં સ્થાપિત અમર જવાન જ્યોતની છાયામાં વિજયપર્વનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે સૌભાગ્યની વાત છે. આપણે તમામ દેશવાસીઓને આ વિજય ઉત્સવમાં ભાગ લેવા આમંત્રિત કરીએ છીએ. આપણને આપણી સેના પર ગર્વ છે, ચાલો વિજયપર્વ ઊજવીએ, જય હિંદ.

    ઉલ્લેખનીય છે કે 8 ડિસેમ્બરના રોજ તામિલનાડુના કુન્નૂરમાં હેલિકૉપ્ટર દુર્ઘટનામાં જનરલ બિપિન રાવત સહિત 13 લોકોનાં મોત થયાં હતાં. આ અકસ્માતમાં તેમનાં પત્ની મધુલિકા રાવતનું પણ મોત થયું હતું.

  9. ભારતના રાજકારણમાં હિંદુ અને હિંદુત્વવાદી વચ્ચે સ્પર્ધા છે : રાહુલ ગાંધી

    જયપુરમાં રવિવારના રોજ કૉંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું.

    આ રેલીમાં રાષ્ટ્રીય કૉંગ્રેસના વચગાળાનાં પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યાં હતાં.

    રેલીને સંબોધતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભારતના રાજકારણમાં હિંદુ અને હિંદુત્વવાદી વચ્ચે સ્પર્ધા છે. બન્ને શબ્દોના જુદા-જુદા અર્થ છે.

    હું હિંદુ છું, પરંતુ હિંદુત્વવાદી નથી. મહાત્મા ગાંધી હિંદુ હતા અને ગોડસે હિંદુત્વવાદી હતા.

    હિંદુત્વવાદીઓને માત્ર સત્તા જોઈએ છે અને તેમની પાસે તે 2014થી છે. આપણે આ હિંદુત્વવાદીઓને સત્તા પરથી હઠાવવા પડશે અને હિંદુઓને પાછા લાવવા પડશે.

  10. ધારાસભ્ય આશા પટેલનું જેનાથી મૃત્યુ થયું, એ ડેન્ગ્યુનાં લક્ષણો અને સારવાર શું છે?

  11. દેશમાં ઓમિક્રૉન વૅરિયન્ટના 3 નવા કેસ, 2 વિદેશી નાગરિકોનો પણ સમાવેશ

    રવિવારના રોજ ભારતમાં ઓમિક્રૉન વૅરિયન્ટના નવા ત્રણ કેસ નોંધાયા છે. જેમાં ઇટાલી તેમજ આયર્લૅન્ડના એક-એક નાગરિકો અને આંધ્ર પ્રદેશની એક વ્યક્તિનો સમાવેશ થાય છે.

    22 નવેમ્બરના રોજ ઇટાલીથી ચંડિગઢ આવેલા 20 વર્ષીય યુવાન 1 ડિસેમ્બરના રોજ કોરોના સંક્રમિત થયા હતા. તેના સૅમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવતા તે ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.

    આયર્લૅન્ડથી મુંબઇ આવેલા એક 34 વર્ષીય યુવાને વિશાખાપટ્ટનમ જતી વખતે 27 નવેમ્બરના રોજ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને તેમનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો.

    જિનોમ સિક્વન્સિંગમાં તે ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. જોકે, 11 ડિસેમ્બરના રોજ તેનો કોરોના રિપોર્ટ નૅગેટિવ આવ્યો હોવાનું સમાચાર એજન્સી એએનઆઈએ જણાવ્યું છે.

    કર્ણાટકના આરોગ્યમંત્રી ડૉ. સુધાકર કે. એ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે દક્ષિણ આફ્રિકાથી પાછા આવેલા 34 વર્ષી યુવક ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત થયા છે.

    તેના સંપર્કમાં આવેલા 20 જેટલા લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 3 પર પહોંચ્યો છે.

  12. આજે ચંદ્ર સાથે એક લાઇનમાં જોવા મળશે પાંચ ગ્રહ, ગુજરાતમાં કઈ રીતે જોઈ શકાશે?

  13. ખાતેદારોના વર્ષોથી બૅન્કોમાં અટવાયેલા 1300 કરોડ રૂપિયા પાછા મળ્યા: PM મોદી

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘ડિપૉઝિટર્સ ફર્સ્ટ’ કાર્યક્રમના સંબોધનમાં કહ્યું કે આજે દેશના કરોડો ખાતેદારો માટે મહત્ત્વપૂર્ણ દિવસ છે.

    તેમણે કહ્યું કે, "દાયકાઓથી ચાલતી આ મોટી સમસ્યાનું સમાધાન કઈ રીતે આવ્યું, એનો સાક્ષી આજનો દિવસ બનશે."

    "દેશમાં ખાતેદારો માટે ઇન્સ્યૉરન્સની વ્યવસ્થા 60ના દાયકામાં લાવવામાં આવી હતી."

    તે સમયે બૅન્કમાં જમા રકમમાંથી માત્ર 50 હજાર રૂપિયા સુધીની રકમની ગૅરંટી હતી. જે વધારીને એક લાખ રૂપિયા અને ત્યાર બાદ પાંચ લાખ કરવામાં આવી હતી.

    અગાઉ આ રકમ ક્યારે મળશે તેનું પણ કોઇ પ્રાવધાન ન હતું. જે અંગે કાયદો લાવીને 90 દિવસમાં ખાતેદારોને પૈસા પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

    જેના કારણે પાછલા કેટલાક દિવસોમાં બૅન્કોમાં વર્ષોથી અટવાયેલા ખાતેદારોના 1300 કરોડ રૂપિયા પાછા મળ્યા છે.

  14. બ્રેકિંગ, ઉંઝાનાં ધારાસભ્ય આશાબહેન પટેલનું નિધન

    ઉંઝાનાં ધારાસભ્ય આશાબહેન પટેલનું અમદાવાદની ઝાયડસ હૉસ્પિટલમાં નિધન થયું છે.

    તેઓ ઝાયડસ હૉસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર મેળવી રહ્યાં હતાં.

    મલ્ટિ ઑર્ગન ફેઇલ થતાં તેમનું નિધન થયું હોવાની ડૉ. વી. એન. શાહે પુષ્ટિ કરી છે.

    આશાબહેન પટેલ સૌપ્રથમ વખત ઉંઝા બેઠક પરથી કૉંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયાં હતાં.

    વર્ષ 2019માં તેઓ કૉંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયાં હતાં. પેટાચૂંટણીમાં તેઓ ફરી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયાં હતાં.

    તેમણે પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી મેળવી હતી અને કૅમેસ્ટ્રીમાં પીએચડી સુધી અભ્યાસ કર્યો હતો.

  15. ભારતે અફઘાનિસ્તાનને મોકલી તબીબી સહાય, તાલિબાને માન્યો આભાર

    અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા, એ બાદ સતત કથળી રહેલી આરોગ્યવ્યવસ્થા સામે ઝઝૂમી રહેલા અફઘાનિસ્તાનને ભારતે તબીબી સહાયની પહેલી ખેપ મોકલી છે.

    અશરફ ગની દેશ છોડીને ભાગ્યા, એ બાદ ભારત તરફથી અફઘાનિસ્તાનને કરવામાં આવેલી આ પ્રથમ મદદ છે.

    દિલ્હીથી કાબુલ જતી અફઘાનિસ્તાનની કામ ઍરમાં એક મૅટ્રિક ટન તબીબી સહાય ભારતે તાલિબાનશાસિત અફઘાનિસ્તાનને મોકલી છે.

    ભારતમાં અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મામુન્દઝઈએ ટ્વીટ કરીને અફઘાનિસ્તાનનાં બાળકો માટે તબીબી સહાય આપવા બદલ ભારતનો આભાર માન્યો હતો.

    અફઘાનિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે ભારત તરફથી મળેલી મદદ માટે આભાર માન્યો અને કહ્યું કે વર્તમાન સંકટને પહોંચી વળવા હજુ મદદની જરૂર છે.

  16. ICMRએ ઓમિક્રૉન વૅરિયન્ટને 2 કલાકમાં શોધી શકે તેવી ટેસ્ટ કિટ તૈયાર કરી

    દેશમાં ઓમિક્રૉન વૅરિયન્ટના કેસો વધી રહ્યા છે. ત્યારે આઈસીએમઆર દ્વારા એક નવી ટેસ્ટ કિટ તૈયાર કરવામાં આવી છે.

    ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, આસામના દિબ્રુગઢ સ્થિત ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) દ્વારા તૈયાર કરવામાં આવેલી આ કિટ 2 કલાકમાં ઓમિક્રૉન વૅરિયન્ટ છે કે કેમ? તે તપાસી શકશે.

    આના મુખ્ય સંશોધક ડૉ. બિશ્વજ્યોતિ બોર્કાકોટીએ ઇકૉનૉમિક ટાઇમ્સને જણાવ્યું હતું કે અત્યાર સુધી ઓમિક્રૉન વૅરિયન્ટની હાજરી જાણવા માટે આરટીપીસીઆર ટેસ્ટ બાદ સૅમ્પલને જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવતો હતો.

    જોકે, હાઇડ્રોલિસિસ આધારિત આરટીપીસીઆર ટેસ્ટથી માત્ર 2 કલાકમાં પરિણામ જાણી શકાશે.

  17. સાડા પાંચ મહિના બાદ ગુજરાતમાં ફરી 500થી વધુ ઍક્ટિવ કેસ, સૌથી વધુ અમદાવાદમાં

    ગુજરાતમાં સાડા પાંચ મહિના બાદ એક દિવસમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે અને ઍક્ટિવ કેસોનો આંકડો 500ને પાર પહોંચ્યો છે.

    રાજ્યમાં કુલ ઍક્ટિવ કેસો પૈકી સૌથી વધુ 158 એક્ટિવ કેસ અમદાવાદમાં છે.

    ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, ગુજરાતમાં શનિવારે 71 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 27 દર્દીઓને રજા આપવામાં આવતા ઍક્ટિવ કેસનો આંકડો 524 પર પહોંચ્યો છે.

    ઉચ્ચ આરોગ્ય અધિકારીને ટાંકીને અહેવાલમાં જણાવ્યું છે કે કોરોનાની બીજી લહેરની સરખામણીએ હૉસ્પિટલાઇઝેશનનો દર ઘણો ઓછો છે. અંદાજે 10 ટકા લોકોને હૉસ્પિટલાઇઝેશન તેમજ ઇન્ટેન્સિવ કૅરની જરૂર પડતી હોય છે.

  18. અમેરિકાના કેન્ટકીમાં વાવાઝોડાને લીધે 70થી વધુ લોકોનાં મોત

    અમેરિકાના કેન્ટકી રાજ્યમાં આવેલા ભયાનક વાવાઝોડાને પગલે અત્યાર સુધીમાં 70થી વધુ લોકોનાં મોત થયાં છે.

    રાજ્યના ગવર્નર એન્ડી બેશિયરે આ વાવાઝોડાને કેન્ટકીના ઇતિહાસનું સૌથી ખરાબ વાવાઝોડું ગણાવ્યું હતું.

    તેમણે કહ્યું છે કે મૃત્યુઆંક 100 સુધી પહોંચી શકે છે.

    રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે તેઓ કેન્ટકીમાં આવેલા ભયાનક વાવાઝોડાથી પીડિત લોકોની મદદ માટે દરેક સંભવ પગલાં લેશે.

    તેમણે કેન્ટકી માટે ફંડ જાહેર કરતા સ્ટેટ ઇમર્જન્સી જાહેર કરી છે. તેમણે પણ આ વાવાઝોડાને ઇતિહાસનું સૌથી મોટું વાવાઝોડું ગણાવ્યું હતું.

    અમેરિકાના ઘણા પ્રદેશોમાં સતત વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે, આ દરમિયાન ઘણા કર્મચારીઓ મેફિલ્ડ શહેરના એક કારખાનામાં ફસાયેલા છે.

    જ્યારે વાવાઝોડું ત્રાટક્યું ત્યારે લગભગ 100 લોકો મેફિલ્ડની મીણબત્તી બનાવતી ફેકટરીમાં હતા.

    ગવર્નર એન્ડી બેશિયરે કહ્યું છે કે "જો કોઈને કાટમાળમાંથી જીવિત બહાર કાઢી શકાશે, તો તે ચમત્કાર જ હશે."

    બીબીસીના ઉત્તર અમેરિકાના સંવાદદાતા પીટર બોવસનું કહેવું છે કે અધિકારીઓ માટે સ્થિતિ ખૂબ જ અઘરી છે, વાવાઝોડાના કારણે મેફિલ્ડ પોલીસસ્ટેશન નષ્ટ થઈ ગયું છે અને અગ્નિશામક ઉપકરણો પણ ક્ષતિગ્રસ્ત થયાં છે.

    રાજ્યમાં ઘણી બધી જગ્યાઓએ વીજળી નથી. આ વાવાઝોડાને કારણે કેન્ટકી સિવાય અન્ય રાજ્યોમાં 12 લોકોનાં મોત થયાં છે, જેમા ઇલિનૉઇસમાં ઍમેઝોનના વૅરહાઉસમાં કામ કરી રહેલા 6 લોકોનો પણ સમાવેશ થાય છે.

    બાઇડને કહ્યું કે રવિવારે આપાતકાલીન એજન્સી ‘ફેમા’ની ટીમ કેન્ટકી જશે અને વાવાઝોડામાં જે લોકોનાં ઘર ક્ષતિગ્રસ્ત થયાં હોય, તેમને અસ્થાયી ઘર બનાવવામાં મદદ કરશે.

    રાષ્ટ્રપતિ બાઇડન દ્વારા જાહેર કરવામાં આવેલું ફંડ કેન્ટકી સિવાય મિસૉરી, આરકંસાસ, ઇલિનૉય, ટૅનેસી અને મિસિસિપી માટે પણ ઉપલબ્ધ છે.

  19. PM નરેન્દ્ર મોદીનું ટ્વિટર હૅન્ડલ હૅક, અડધી રાત્રે થયું ટ્વીટ

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં ટ્વિટર ઍકાઉન્ટ પરથી મોડી રાત્રે બિટકૉઇન અંગે બે ટ્વીટ કરવામાં આવ્યાં હતાં.

    જોકે, તેના થોડા સમય બાદ વડા પ્રધાન કાર્યાલયે સ્પષ્ટતા કરી હતી કે તેમનું ટ્વિટર ઍકાઉન્ટ હૅક થયું હતું.

    ઍકાઉન્ટ પરથી કરાયેલા ટ્વીટમાં જણાવ્યું હતું કે ‘ભારતમાં હવે બિટકૉઇનને માન્યતા આપવામાં આવે છે, સરકાર સત્તાવાર રીતે 500 બિટકૉઇન ખરીદશે અને તમામ નગરિકોમાં વહેંચશે.’

    આ સાથે ટ્વીટમાં એક લિંક પણ આપવામાં આવી હતી. વડા પ્રધાન મોદીના ઍકાઉન્ટ પરથી આ ટ્વીટ ટૂંક જ સમયમાં ડિલીટ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ તેનો સ્ક્રીનશૉટ વાઇરલ થઈ રહ્યો છે.

    વડા પ્રધાન કાર્યાલયે આ ટ્વીટ બાદ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, "નરેન્દ્ર મોદીના ટ્વિટર ઍકાઉન્ટ સાથે થોડા સમય માટે છેડછાડ કરવામાં આવી હતી. આ મુદ્દાને ટ્વિટર સમક્ષ મૂકવામાં આવ્યો હતો અને તરત જ ઍકાઉન્ટને સુરક્ષિત કરી લેવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન કરવામાં આવેલા ટ્વીટને ધ્યાનમાં ન લેવામાં આવે."