You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

કોરોના વાઇરસ : ગુજરાતમાં બે હજાર નજીક પહોંચ્યો આંકડો, દેશમાં ત્રીજા ક્રમે

ગુજરાત સહિત દેશ-વિદેશના કોરોના સંબંધિત સમાચાર તથા અપડેટ્સ અહીં વાચો.

લાઇવ કવરેજ

  1. બીબીસીનું કોરોના વાઇરસ સંબંધિત લાઇવ રિપોર્ટિંગ અહીં જ પૂર્ણ કરી છીએ. વધુ અપડેટ સાથે કાલે સવારે મળીશું. શુભ રાત્રી

  2. કોરોના વાઇરસ : વિશ્વમાં અત્યાર સુધી શું-શું થઈ ગયું?

    જૉન હૉપકિન્સ યુનિવર્સિટી અનુસાર વિશ્વભરમાં કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દરદીઓની સંખ્યા 24 લાખ કરતાં વધી ગઈ છે અને અત્યાર સુધીમાં 1.66 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

    આ વાઇરસના સંક્રમણના સૌથી વધુ મામલાઓ અમેરિકામાં નોંધાયા છે. અમેરિકામાં 7,60,000 લોકોને વાઇરસનો ચેપ લાગ્યો છે. યુરોપના કેટલાય વિસ્તારોમાં લૉકડાઉન હળવું કરવામાં આવ્યું છે. ડેન્માર્ક, જર્મની અને ચેક રિપબ્લિકમાં કેટલીક દુકાનો ખૂલી રહી. જ્યારે નોર્વેમાં વિદ્યાર્થીઓ કિંડરગાર્ડનમાં પરત ફરી રહ્યા છે. પૉલેન્ડમાં પણ લોકોને બગીચા અને જંગલોમાં જવાની પરવાનગી અપાઈ છે.

    ભારતમાં નૉન-હૉટસ્પૉટવાળાં સ્થળોએ લૉકડાઉન દરમિયાન કેટલીક વેપારી ગતિવિધિઓને મંજૂરી અપાઈ છે. આનાથી ખેતી, સરકારી કામકાજ, બૅન્કિંગ અને કાર્ગો ટ્રાન્સપોર્ટનાં કામો કરી શકાશે.

    જોકે, ફ્રાન્સ અને સ્પેને કોઈ પણ પ્રકારની રાહત ન આપવાનો નિર્ણય લીધો છે. બ્રિટન સરકારની આપાતકાલીન આર્થિક સહાયતસેવા આજથી શરૂ થઈ રહી છે. આ સેવાનો ઉદ્દેશ કોવિડ-19ને લીધે જેમની નોકરી પ્રભાવિત થઈ છે, એમને સહાય આપવાનો છે. ચીનમાં ગ્રૅટ વૉલ ઑફ ચાઇનાને અડીને આવેલી જગ્યાઓ ઉપરાંત મોટાં 73 પ્રવાસનસ્થળો ખોલી દેવાયાં છે.

    અમેરિકામાં ઑઇલની કિંમતો 21 વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ છે.

    ભારતમાં કોરોના વાઇરસના એક દિવસમાં સૌથી વધુ મામલા સોમવારે સામે આવ્યા. 24 કલાકમાં ભારતમાં કુલ 1,553 કેસો નોંધાયા. એ સાથે જ દેશમાં કુલ ચેપગ્રસ્ત લોકોનો આંક 17 હજારને પાર થઈ ગયો.

    સોમવાર સાંજ સુધી દેશમાં કોરોના વાઇરસના કુલ 17,265 કેસો નોંધાયા છે. જેમાંથી 14,715 ઍક્ટિવ કેસો છે, જ્યારે 2546 દરદીઓ સાજા થઈ ગયા છે.અત્યાર સુધી આ વાઇરસને લીધે દેશમાં 543 લોકોનાં મૃત્યુ થયાં છે. ગુજરાતમાં ચેપગ્રસ્ત દરદીઓની કુલ સંખ્યા 1939 થઈ ગઈ છે. જે દેશમાં મહારાષ્ટ્ર અને દિલ્હી બાદ ત્રીજા ક્રમે છે.

    ગુજરાતમાં કોરોના વાઇરસના લીધે અત્યાર સુધી 71 લોકોનાં મૃત્યુ થયાં છે.

  3. બ્રેકિંગ, કોરોના લૉકડાઉન ભારતીય મુસ્લિમોએ જાહેર કરી રમઝાનની ગાઇડલાઇન

    ભારતમાં રમઝાન 23 અથવા 24 એપ્રિલથી શરૂ થશે અને એક મહિના સુધી ચાલશે. આ પછી ઈદનો તહેવાર ઊજવવામાં આવે છે, જેમાં સામાન્ય રીતે લોકો એકબીજાના ઘરે જાય છે અને ગળે મળે છે.

    કોરોનાના કારણે ભારતમાં લૉકડાઉન છે અને આખા દેશમાં મસ્જિદો સહિત ધાર્મિક સ્થળો બંધ છે.

    ભારતના બુદ્ધિજીવીઓએ મૌલવીઓ સાથે ચર્ચા કરીને ભારતના મુસ્લિમો માટે કેટલીક ગાઇડલાઇન્સ જાહેર કરી છે, જેમાંથી આ ખાસ છે.

    • મસ્જિદોના સ્થાને મુસ્લિમ પોતાના ઘરોમાં નમાજ પઢે અને લૉકડાઉનમાં મસ્જિદોમાંથી લાઉડ સ્પીકરમાંથી અઝાન પણ બંધ કરી દે.

    • રોઝા ખોલ્યા પછી રાત્રે પઢવામાં આવતી નમાજ અને તરાવીહને (રોઝા ખલ્યા પછી એક મહત્ત્વની નમાજ) પણ ઘરોમાં પઢો.

    • મસ્જિદોમાં ઇફતાર પાર્ટીનું આયોજન ન કરો.

    • રમઝાનની ખરીદી માટે ઘરોની બહાર ન નીકળો.

    આ સિવાય દેશમાં અનેક મસ્જિદોમાંથી પણ રમઝાનના મહિના દરમિયાન લૉકડાઉનનું પાલન કરવાની ઘોષણા કરવામાં આવી રહી છે.

    મુસ્લિમોએ રમઝાનની તૈયારીઓ શરૂ કરી દીધી છે, પરંતુ લોકો સાથે વાત કરીને લાગે છે કે લૉકડાઉનમાં તે ખાન-પાનની જગ્યાએ રૂહાનીની તૈયારીમાં જોતરાયા છે.

  4. બ્રેકિંગ, ગુજરાતમાં લગભગ બે હજાર કેસ, દેશમાં મહારાષ્ટ્ર, દિલ્હી બાદ ત્રીજા ક્રમે

    આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગે આપેલી માહિતી અનુસાર રાજ્યમાં સોમવારે પાંચ વાગ્યા બાદ કુલ 93 નવા કેસો અને ચાર મરણ નોંધાયાં. જ્યારે 25 દરદીઓ સાજા થઈ ગયા.

    જે નવા કેસો નોંધાયા એમાં અમદાવાદમાં 61, સુરતમાં 25 અને વડોદરામાં 7 કેસોનો સમાવેશ થાય છે. આ સાથે જ ગુજરાતમાં ચેપગ્રસ્ત દરદીઓની કુલ સંખ્યા 1939 થઈ ગઈ છે. જે દેશમાં મહારાષ્ટ્ર અને દિલ્હી બાદ ત્રીજા ક્રમે છે.

    વિભાગના આંકડા એવું પણ જણાવે છે કે રાજ્યમાં ગત 24 કલાકમાં 4212 પરીક્ષણ કરાયાં. જેમાંથી 196 લોકોનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો. અત્યાર સુધી રાજ્યમાં 33,316 લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

    અત્યારે રાજ્યમાં સૌથી વધુ પૉઝિટિવ કેસો અમદાવાદમાં છે. અમદાવાદમાં કુલ દરદીઓની સંખ્યા 1248 છે. એ બાદ વડોદરામાં 188, સુરતમાં 269, રાજકોટમાં 38, ભાવનગરમાં 32, આણંદમાં 28, ભરૂચમાં 23 દરદીઓ છે.

  5. અફઘાન રાષ્ટ્રપતિએ ભારતનો આભાર માન્યો

    અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘનીએ 500 કિલો હાઇડ્રોક્સીક્લૉરોક્વિન ટૅબ્લેટ, 100 કિલો પૅરાસીટામૉલ અને 75 હજાર મૅટ્રિક ટન ઘઉંનો જથ્થો મોકલવા બદલ ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે.

    આભાર વ્યક્ત કરતાં ઘનીએ જણાવ્યું, “કોવિડ-19નો આ કપરો કાળ છે અને મિત્રો વચ્ચેનો સહયોગ આ જોખમને પહોંચી વળવા અને આપણા લોકોને બચાવવા આપણને વધુ તૈયાર કરશે.”

  6. કોરોના વાઇરસ લૅબમાં તૈયાર કરાયો?

    ‘ઇપૉક ટાઇમ્સ’માં એક વીડિયો પ્રકાશિત કરાયો, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાઇરસ એક લૅબમાં તૈયાર કરાયો છે. ફેસબુકે આ વીડિયોને બનાવટી ગણાવ્યો છે. રસપ્રદ વાત એ છે કે ફેસબુક પર લગભગ સાત કરોડ લોકોએ આ વીડિયો જોયો છે.

    એક કલાકના આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે વુહાનની એક પ્રયોગશાળામાં કોરોના વાઇરસ તૈયાર કરવામાં આવ્યો અને સુરક્ષાની ખરાબ વ્યવસ્થાને લીધે તે લીક થઈ ગયો. ત્યારે હકીકત શું છે? જુઓ આ વીડિયોમાં

  7. બ્રેકિંગ, બાંગ્લાદેશ : જનાજામાં સામેલ થવા માટે લૉકડાઉનનું ઉલ્લંઘન, તપાસસમિતિની રચના

    બાંગ્લાદેશમાં લાગુ કરાયેલું લૉકડાઉન એક લાખ લોકોએ તોડ્યું હોવાની ઘટના સામે આવ્યા બાદ તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે.

    આ ઉલ્લંઘન ઇસ્લામિક પાર્ટીના વરિષ્ઠ નેતા મૌલાના ઝુબાયેર અહમદ અંસારીના જનાજામાં સામેલ થવા માટે કરાયું હતું.

    આ ઘટના બાદ કોવિડ-19 ક્લસ્ટરના વધવાનું જોખમ તોળાઈ રહ્યું છે. બાંગ્લાદેશમાં અત્યાર સુધી 2400થી વધુ પૉઝિટિવ કેસોની પુષ્ટિ કરાઈ છે. અહીં 91 લોકોનાં મૃત્યુ પણ થયાં છે.

    અન્ય દેશોની સ્થિતિ

    • પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને લોકોને વિનંતી કરી છે કે તેઓ ઘરે જ રહે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે. દેશમાં ચેપના 8400 મામલા છે.
    • સ્થાનિક મીડિયા અનુસાર નેપાળમાં 14 મસ્જિદોને સીલ કરી દેવાઈ છે. જ્યારે 33 ભારતીય અને 7 પાકિસ્તાની નાગરિકોને ક્વોરૅન્ટિંગ કરવામાં આવ્યા છે.
    • શ્રીલંકામાં સરકારે જણાવ્યું છે કે આગામી સપ્તાહે લૉકડાઉન હળવું કરવામાં આવશે. આ ટાપુ રાષ્ટ્ર પર અત્યાર સુધી 250 લોકોને વાઇરસનો ચેપ લાગ્યો છે અને સાત લોકોનાં મૃત્યુ થયાં છે.
  8. પાલઘર હત્યાકાંડ : ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ગેરસમજણમાં થયો પાલઘર હત્યાકાંડ

    મહારાષ્ટ્રના પાલઘરમાં ત્રણ લોકોના મૉબ લિંચિંગ મામલે પોલીસે ગામના નવ સગીર સહિત 110 આરોપીઓની ધરપકડ કરી છે.

    આ મુ્દ્દે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે આ ઘટના ગેરસમજણમાં બની છે અને તેને કોમી રંગ આપવાની કોશિશ ન થવી જોઈએ.

    એમણે કહ્યું કે, આને હિંદુ-મુસ્લિમ રંગ આપવાની કોશિશ બંધ થવી જોઈએ.

    અગાઉ તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું, 'ઘટનાના દિવસે જ ધરપકડ કરવામાં આવી હતી, આ એક શરમજનક કૃત્ય છે. આરોપીઓને કડકમાં કડક સજા કરાશે.'

    આ પહેલાં ગુરુવારે રાત્રે ગ્રામીણોએ મહારાષ્ટ્રથી સુરત આવી રહેલા બે સાધુ અને એક ડ્રાઇવરની પાલઘર જિલ્લાના એક ગામના લોકોએ ચોર સમજીને હત્યા કરી નાખી હતી.

    ન્યૂઝ એજન્સી પી.ટી.આઈ.ના અહેવાલ મુજબ, મુંબઈના કાંદિવલીથી ત્રણ લોકો અંતિમયાત્રામાં સામેલ થવા કાર દ્વારા સુરત જઈ રહ્યા હતા, ત્યારે તેમને ગઢચિંચલે ગામના લોકોએ ચોર સમજીને મારી નાખ્યા હતા.

    ગામલોકોના ટોળાએ તેમની ગાડી ઉપર પથ્થરમારો કર્યો હતો અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો.

    પાલઘરના કલેક્ટર કે. શિંદેએ એ.એન.આઈને જણાવ્યું હતું કે આરોપીઓએ પોલીસની ટુકડી ઉપર પણ હુમલો કર્યો હતો.

  9. વાઇરસનો ચેપ લાગ્યા બાદ સાજા થવામાં કેટલો સમય લાગે?

    વિશ્વમાં કોરોના વાઇરસે કેર મચાવ્યો છે, ત્યારે સૌને પ્રશ્ન એવો પ્રશ્ન થઈ શકે કે જો આ વાઇરસનો ચેપ લાગે તો સાજા થવામાં કેટલો સમય લાગી શકે. અત્યાર સુધી સામે આવેલા કેસોમાં કેટલાક દરદીઓ જલદીથી સાજા થઈ ગયા, જ્યારે કેટલાક લોકોને સાજા થવામાં બહુ વાર લાગી રહી છે. ત્યારે આ મામલે આપને મૂંઝવી રહેલા પ્રશ્નનો જવાબ આ વીડિયોમાં આપવામાં આવ્યો છે.

  10. , દિલ્હીમાં એક જ પોલીસ સ્ટેશનમાં 8 પોલીસકર્મીને ચેપ

    દિલ્હીના ચાંદનીમહેલ પોલીસ સ્ટેશનમાં વધુ પાંચ પોલીસકર્મીનો કોરોના વાઇરસનો ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધી સંબંધિત પોલીસ સ્ટેશનમાંથી કુલ આઠ પોલીસકર્મીઓને ચેપ લાગ્યો છે.

  11. સ્પેનમાં ચેપગ્રસ્ત દરદીઓની સંખ્યા બે લાખને પાર

    સ્પેનના આરોગ્ય મંત્રાલય અનુસાર દેશમાં ચેપગ્રસ્ત દરદીઓની સંખ્યા 2,00,210 થઈ ગઈ છે.

    અહીં ગત 24 કલાકોમાં 400 લોકોનાં મૃત્યુ થયાં છે અને આ સાથે જ દેશમાં મૃતકોની કુલ સંખ્યા 20,852 થઈ ગઈ છે. જૉન હૉપકિન્સ વિશ્વવિદ્યાલય અનુસાર અમેરિકા બાદ સ્પેનમાં દુનિયાના સૌથી ચેપગ્રસ્ત લોકો છે.

  12. બ્રેકિંગ, ભારતમાં ગત 24 કલાકમાં 1553 કેસ, 36 મૃત્યુ

    આરોગ્ય અને ગૃહ મંત્રાલયની પત્રકારપરિષદની મુખ્ય વાતો:

    આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે સોમવારે કોરોના વાઇરસના મામલાની બ્રિફ્રિંગ દરમિયાન જણાવ્યું કે લૉકડાઉનની હકારાત્મક અસર સ્પષ્ટ જોવા મળી રહી છે. ભારતમાં કોરોના વાઇરસના કેસનો ડબલિંગ રેટ 7.5 દિવસ થઈ ગયો છે.

    તેમણે એવું પણ ઉમેર્યું કે 59 જિલ્લામાં 14 દિવસોથી કોરોના વાઇરસનો એક પણ કેસ સામે આવ્યો નથી. તેમણે જણાવ્યું કે કેરળ અને ઓડિશામાં સ્થિતિમાં સતત સુધારો આવી રહ્યો છે. ગોવામાં પણ તમામ દરદીઓ સાજા થઈને ઘરે ચાલ્યા ગયા છે. આજની તારીખે ગોવામાં કોરોના વાઇરસનો એક પણ ઍક્ટિવ કેસ નથી.

    આ પહેલાં ગૃહ મંત્રાલયનાં પ્રવક્તા પુણ્ય સલિલા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે જો રાજ્યોમાં ગાઇડલાઇનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તો ઉલ્લઘન કરનારાં ક્ષેત્રોમાં રાજ્ય સરકારો કામ કરી રહી છે. તેમણે કહ્યું કે ચાર રાજ્યોના કેટલાક જિલ્લામાં સ્થિતિ ગંભીર બની રહી છે, જેમ કે જયપુર, ઇન્દોર વગેરે. આ જગ્યાએ ઑન ધ સ્પૉટ ઇન્સ્પેકશન માટે કેન્દ્ર સરકારની છ ટીમો પહોંચી ગઈ છે.

  13. બ્રેકિંગ, સોમવારે ભારતમાં સૌથી વધુ કેસ નોંધાયા

    ભારતમાં કોરોના વાઇરસના એક દિવસમાં સૌથી વધુ મામલા સોમવારે સામે આવ્યા. 24 કલાકમાં ભારતમાં કુલ 1,553 કેસો નોંધાયા. એ સાથે જ દેશમાં કુલ ચેપગ્રસ્ત લોકોનો આંક 17 હજારને પાર થઈ ગયો.

    સોમવાર સાંજ સુધી દેશમાં કોરોના વાઇરસના કુલ 17,265 કેસો નોંધાયા છે. જેમાંથી 14,715 ઍક્ટિવ કેસો છે, જ્યારે 2546 દરદીઓ સાજા થઈ ગયા છે.

    અત્યાર સુધી આ વાઇરસને લીધે દેશમાં 543 લોકોનાં મૃત્યુ થયાં છે.

  14. બ્રિટનમાં શરૂ થશે બ્લડ પ્લાઝમાથી સારવારની ટ્રાયલ

    બ્રિટનમાં કોરોના વાઇસના ચેપના સંક્રમણથી સારા થનારા લોકોનાં લોહીમાંથી દરદીઓની સારવાર કરવાની તૈયારી ચાલી રહી છે. એનએચએસના બ્લ્ડ ઍન્ડ ટ્રાન્સપ્લાન્ટ-વિભાગે કોવિડ-19થી સારા થયેલા લોકોને કહ્યું છે કે તેઓ રક્તદાન કરે, જેથી ટ્રાલયમાં મદદ મળી શકે. એવી આશા વ્યક્ત કરાઈ રહી છે કે આ વાઇરસના સંક્રમણમાંથી સાજા થયેલા લોકોમાં ઍન્ટીબૉડી વિકસિત થાય છે, જે કોરોના વાઇરસથી લડવામાં મદદ કરી શકે છે.

    અમેરિકામાં આ અંગેનો એક બહુ મોટો પ્રોજેક્ટ પહેલાંથી જ શરૂ થઈ ગયો છે અને તેમાં 1500 હૉસ્પિટલો સાથે મળીને કામ કરી રહી છે.

  15. કોરોના વાઇરસ : સુરતના ખૂંખાર કેદીઓનાં હૃદય પીગળ્યાં, પોતાની બચત દાન કરી

  16. જ્યારે લૉકડાઉનની વચ્ચે માછીમારોની મદદે આવી સેના

  17. બ્રેકિંગ, 'મુસલમાનોને નિશાન બનાવે છે મોદી'

    પાકિસ્તાનનો આરોપ છે કે કોરોના વાઇરસ મુદ્દે ભારતમાં ઇરાદાપૂર્વક મુસલમાનોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. વડા પ્રધાન ઇમરાન ખાને ટ્વિટર ઉપર આ મુદ્દે લખ્યું હતું.

    ખાને આરોપ મૂક્યો હતો કે મોદી સરકારની નીતિઓને કારણે લાખો મુસલમાનોને મુશ્કેલી પડી રહી છે. હજારો લોકો ફસાઈ ગયા છે અને ભૂખમાં સબડવા મજબૂર છે.

    ખાને મોદી સરકારની નીતિઓની સરખામણી હિટલરના નાઝીવાદી નીતિઓ સાથે કરી હતી.

    આ પહેલાં ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કૉર્પોરેશન હ્યુમન રાઇટ્સ સંગઠને પણ ભારતમાં કથિત રીતે પ્રવર્તમાન 'ઇસ્લામોફોબિયા' અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

    ન્યૂઝ એજન્સી પી.ટી.આઈ. (પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા)ના અહેવાલ મુજબ, ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે ઇમરાન ખાન તથા ઓ.આઈ.સી.ના આરોપોને નકારી કાઢ્યા હતા.

    શ્રીવાસ્તવે કહ્યું, "પાકિસ્તાનની ટિપ્પણી આશ્ચર્ય પમાડનારી છે. પાકિસ્તાનની સરકાર દેશમાં પ્રવર્તમાન કોરોના વાઇરસની મહામારી સામે લડવામાં વામણી સાબિત થઈ રહી છે, એટલે આ પ્રકારની ટિપ્પણી કરીને ધ્યન અન્યત્ર ખસેડવા માગે છે. તેઓ પાયાવિહાણાં આરોપ મૂકી રહ્યાં છે."

  18. કોરોનાનો રેપિડ ટેસ્ટ

    કોરોના વાઇરસ સંબંધે તત્કાળ પરીક્ષણ થઈ શકે, તે માટે ચીનથી પાંચ લાખ ઍન્ટિબોડી ટેસ્ટ કિટ્સ ભારતે મંગાવી છે. જુઓ શું છે આ કિટ તથા તેના લાભાલાભ શું છે.

  19. ચીનમાં દિવાલ ખુલ્લી

    કોરોનાને કારણે લગભગ બે માસ સુધી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત રહ્યાં બાદ, સ્થિતિ થાળે પડી રહી છે. ચીનની ન્યૂઝ એજન્સી શિન્હુઆના રિપોર્ટ મુજબ 'ચીનની દિવાલ' સહિત 70થી વધુ પર્યટનસ્થળને પર્યટકો માટે ખોલી દેવામાં આવ્યા છે.

    હાલમાં માત્ર આઉટડોર પર્યટનસ્થળોને જ જનતા માટે ખોલવામાં આવ્યા છે અને ત્યાં પણ માત્ર 30 પર્યટકોને જ જવા દેવામાં આવી રહ્યા છે.

    આ સિવાય શાંઘાઈમાં પણ સુગમ રીતે ખરીદદારી થઈ શકે તે માટે તજવીજ હાથ ધરવામાં આવશે અને અડધીરાત્રિ સુધી દુકાનો ખુલ્લી રહેશે.

  20. શરીર પર કેવી રીતે વાર કરે કોરોના?

    કોવિડ-19 વાઇરસ આપણા આપણા શરીરના કોષના સંપર્કમાં આવીને વૃદ્ધિ કરવાનું શરૂ કરી દે છે.

    તે નાક અથવા ગળામાં લાળ ધરાવતા કોષ સાથે ચોંટી જાય છે.

    એક વાર ત્યાં પહોંચ્યા પછી તે તેની કાંટાદાર સપાટી પ્રોટિનનો ઉપયોગ કરે છે, જે આપણા કોષપટલને છેદી નાખે છે.