You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ભારતમાં નવ હજારથી વધારે કોરોનાના કેસ, 300થી વધુનાં મૃત્યુ

ગુજરાત સહિત દેશ-વિદેશના કોરોના વાઇરસ સંબંધિત અપડેટ્સ અહીં વાંચો.

લાઇવ કવરેજ

  1. નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રજોગ જોગ સંબોધન

    મંગળવારે સવારે દસ વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરશે, એવું માનવામાં આવે છે કે આ સંબોધનમાં તેઓ લૉકડાઉન સંદર્ભે કોઈ મોટી જાહેરાત કરી શકે છે.

    આ પહેલાં તેમણે રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા વાત કરી હતી, જેમાં લૉકડાઉનને લંબાવવાની હિમાયત કરવામાં આવી હતી. અમુક મીડિયા રિપોર્ટ્સ મુજબ, લૉકડાઉનમાં કૃષિ તથા આનુષંગિક ક્ષેત્ર સાથે સંકળાયેલાઓને આંશિક રાહત આપવામાં આવશે.

    આ પહેલાં તા. 19મી માર્ચે પ્રથમ વખત કોરોના સંદર્ભે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ હતું, જેમાં તેમણે એક દિવસ (22મી માર્ચે) માટે 'જનતા કર્ફ્યુ'નું પાલન કરવા તથા સાંજે પાંચ વાગ્યે પાંચ મિનિટ માટે આરોગ્યક્ષેત્રે સંકળાયેલા કર્મચારીઓ, પોલીસવાળા તથા મીડિયાકર્મીઓનું થાળી કે તાળી વગાડીને અભિવાદન કરવા આહ્વાન કર્યું હતું.

    તા. 24મી માર્ચે સાંજે આઠ કલાકે તેમણે વધુ એક વખત રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ, જેમાં તેમણે મધ્યરાત્રિથી દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી અને 'જે જ્યાં છે, ત્યાં રહે'નું આહ્વાન કર્યું.

    તા. ત્રીજી એપ્રિલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ વીડિયો સંદેશ આપ્યો, જેમાં તેમણે તા. 5મી એપ્રિલના રાત્રે નવ વાગ્યે નવ મિનિટ માટે 'દીવા, મીણબત્તી કે મોબાઇલની ફ્લેશલાઇટ' દ્વારા એકજૂટ હોવાની તથા પ્રકાશ ફેલાવવાની અપીલ કરી.

    હવે, 14મીએ 21 દિવસનું લૉકડાઉન પૂર્ણ થાય છે, ત્યારે ફરી એક વખત રાષ્ટ્રજોગ સંબોધન કરશે. અમુક અહેવાલ મુજબ, તેઓ લૉકડાઉનમાં કૃષિ તથા તેને આનુષંગિક ક્ષેત્રો માટે આંશિક રાહજોની જાહેરાત કરી શકે છે.

    ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સોમવારે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે તેઓ મંગળવારે સવારે લૉકડાઉન અંગે નિર્ણય લેવામાં આવશે.

  2. શ્રીલંકામાં મૃતદેહો બાળવાના નિર્ણયથી મુસ્લિમ નારાજ

    શ્રીલંકામાં કોરોના સંક્રમણને કારણે મૃત્યુ પામનારા લોકોની અંત્યેષ્ટિ મૃતદેહને બાળીને કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, ભલે તે કોઈ પણ ધર્મના હોય. શ્રીલંકાની સરકારે મુસ્લિમોના વિરોધને અવગણીને આ નિર્ણય લીધો છે.

    સમાચાર એજન્સી એએફપીના રિપોર્ટ પ્રમાણે, શ્રીલંકામાં કોરોના વાઇરસના સંક્રમણથી અત્યાર સુધી સાત લોકોનું મૃત્યુ થયું છે અને તેમાં ત્રણ મુસ્લિમ હતા. આ મુસ્લિમ મૃતકોના મૃતદેહોનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો, જોકે તેમના પરિવારજનો તેના માટે તૈયાર નહોતા.

    રવિવારે શ્રીલંકાના આરોગ્યમંત્રી પવિત્રા વાણિઅરાચછે કહ્યું, “કોરોના સંક્રમણને કારણે મૃત્યુ પામેલા લોકો અથવા સંક્રમણથી સંદિગ્ધ મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવામાં આવશે.”

    જોકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે કોરોના વાઇરસના સંક્રમણથી મૃત્યુ પછી મૃતદેહના દાહસંસ્કાર પણ કરી શકાય તથા તેને દફનાવી પણ શકાય.

    મુસ્લિમ સમુદાયનું માનવું છે કે આ તેમના ધર્મની વિરુદ્ધ છે.

    શ્રીલંકામાં કુલ બે કરોડ 10 લાખની વસતીમાંથી દસ ટકા મુસ્લિમ છે. મુસ્લિમ નેતાઓનું કહેવું છે કે સરકાર ધાર્મિક અને પરિવારોની ભાવનાનું અપમાન કરી રહી છે.

    મુસ્લિમ અને બહુમતી ધરાવતા સિંહાલી સમુદાય વચ્ચે ગત વર્ષના ઇસ્ટરથી જ તણાવની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે, જ્યારે સ્થાનિક ચરમપંથીઓએ ત્રણ હોટલ અને એક ચર્ચ ઉપર હુમલો કર્યો હતો, જેમાં 279 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

  3. નાગાલૅન્ડમાં કોરોના વાઇરસનો પ્રથમ મામલો સામે આવ્યો

    દિલીપકુમાર શર્મા ગૌહાટીથી, બીબીસી માટે કોરોના વાઇરસનો ચેપ હવે ધીમેધીમે પૂર્વોત્તરનાં રાજ્યોમાં પણ ફેલાઈ રહ્યો છે. નાગાલૅન્ડમાં કોવિડ-19નો ચેપ લાગવાનો પહેલો મામલો સામે આવ્યો છે. આસામના આરોગ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ એક ટ્વિટ કરીને જણાવ્યું, “નાગાલૅન્ડના દિમાપુર શહેરમાં આવેલી એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ દર્દીમાં કોરોના વાઇરસનાં લક્ષણો જોવાં મળ્યાં, જે બાદ તેને ગૌહાટીની મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલમાં મોકલી દેવાયો. અહીં કરાયેલી તપાસમાં દર્દી પૉઝિટિવ જોવા મળ્યો અને હવે તેની સારવાર ચાલી રહી છે.” આ દરમિયાન નાગાલૅન્ડમાં 20 દિવસના લૉકડાઉન બાદ તમામ સરકારી કચેરીઓને આજ (સોમવાર)થી ખોલવાના આદેશ અપાયા છે. મુખ્ય મંત્રી નેફ્યુ રિયોએ શનિવારે એક વીડિયો કૉન્ફરન્સ થકી તમામ ડેપ્યુટી કમિશનરો તેમજ વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરીને નાગાલૅન્ડનાં તમામ સરકારી કાર્યાલયો અને નાગરિક સચિવાલયમાં રૉસ્ટર સિસ્ટમના આધારે કામ શરૂ કરવાના નિર્દેશ આપ્યા છે.

  4. ઇટાલી અને ફ્રાન્સમાં મરણાંક ઘટ્યો

    યુરોપમાં કોરોના સંક્રમણથી સૌથી વધારે અસરગ્રસ્ત થયેલાં બે રાષ્ટ્રો ઇટાલી અને ફ્રાન્સમાં કોવિડ-19ને કારણે પ્રતિદિવસ થઈ રહેલા મરણાંકમાં ઘટાડો નોંધાયો છે. ઇટાલીમાં હાલ દિવસનો મરણાંક 431 નોંધાયો છે. આ આંકડો છેલ્લા ત્રણ અઠવાડિયામાં સૌથી ઓછો છે. અધિકારીઓનું કહેવું છે કે સંકટ ચરમને પાર કરી ગયું છે.

    ફ્રાન્સમાં પણ મરણાંક અને અને દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

    રવિવારે ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં હૉસ્પિટલોમાં કોવિડ-19 સંક્રમણને કારણે મરણાંક 315 નોંધાયો, જ્યારે શનિવારે આ આંકડો 345 હતો.

    જોકે, સ્પેનમાં આ આંકડો હજુ વધારે છે. 24 કલાકમાં ત્યાં કોરોના વાઇરસ સંબંધિત 600થી વધારે મૃત્યુ નોંધાયાં.

    સ્પેનની સરકારે ચેતવણી આપી છે કે સંક્રમણની સંખ્યા ઓછી થઈ છે તો પણ આવનારો સમય વધારે કપરો હોઈ શકે છે.

  5. વર્લ્ડ બૅન્કે ભારતની 'આરોગ્ય સેતુ ઍપ'નાં વખાણ કર્યાં

    કોરોના વાઇરસને ટ્રૅસ કરવા મદદરૂપ થતી ભારતની 'આરોગ્ય સેતુ ઍપ'નાં વર્લ્ડ બૅન્કે વખાણ કર્યાં હોવાનું 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' જણાવે છે.

    જાણકારો અને કેટલીય સંસ્થાઓ કોરોના વાઇરસના ફેલાવાને અટકાવવા માટે આ ઍપને મદદરૂપ અને સૂચક ગણી રહ્યા છે.

    આ ઍપને લૉન્ચ કરાયાના દિવસો બાદ ઍપલ અને ગુગલે શનિવારે જણાવ્યું કે તેઓ સ્માર્ટફોનમાં એવું સોફ્ટવૅર વિકસાવવા માટે પ્રયાસો કરી રહ્યા હતા કે જે ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવનારી વ્યક્તિને સાવચેત કરી દે.

    નિતિ આયોગના અમિતાભ કાન્તે ટ્વિટર પર ઍપલના સીઈઓ ટીમ કૂક અને ગુગલના સીઈઓ સુંદર પિચાઈને ટૅગ કરીને લખ્યું છે, 'કોવિડ-19 માટે કૉન્ટેક-ટ્રૅસિંગના મામલે ભારતે આગેવાની લીધી છે. આરોગ્ય સેતુના આધારે કૉન્ટેક ટ્રૅસિંગ વિકસાવવા ઍપલ અને ગુગલે હાથ મિલાવ્યા એ જાણીને બહુ આનંદ થયો.'

  6. એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં કોરોના વાઇરસ કઈ રીતે ઘૂસ્યો?

  7. ચીનમાં પાંચ સપ્તાહ બાદ 108 લોકોને ચેપ

    રવિવારે ચીનમાં 108 લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો. અહીં આવું પાંચ સપ્તાહ બાદ થયું છે.

    સંખ્યાની દૃષ્ટીએ આ મામલા એટલા વધારે નથી. પણ આ ટ્રૅન્ડ વધી રહ્યો છે, જે ચીન માટે સારા સમાચાર નથી.

    શંઘાઈ ખાતેના બીબીસી સંવાદદાતા રૉબિન બ્રૅન્ટ અનુસાર રવિવારે જે લોકો પૉઝિટિવ જોવા મળ્યા, એ તમામ વિદેશમાંથી ચીનમાં પરત ફર્યા હતા.

    આમાંથી અડધાથી વધુ મામલા હિલૉંગજિયાંગ પ્રાંતમાં સામે આવ્યા હતા. આ પ્રાંત રશિયાને અડીને આવેલો છે અને તમામ દર્દીઓ ચીનમાંથી અહીં પરત ફર્યા છે.

    ચીને આંતરરાષ્ટ્રીય યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો છે, એમ છતાં વાઇરસને સંપૂર્ણ રીતે સમાપ્ત કરી શકાયો નથી.

    જે શહેરમાંથી કોરોના વાઇરસ વિશ્વમાં ફેલાયો એ વુહાન શહેરમાં કેટલાક લોકોના મૃત્યુ હજુ પણ થઈ રહ્યાં છે. હાલમાં જ અહીં બે લોકોનાં મૃત્યુ થયાં.

    જોકે, ચીનની સરકારે આ વિસ્તારને સુરક્ષિત ગણાવતાં વુહાનને ચીન અને વિશ્વ માટે ખુલ્લું મૂકી દીધું છે.

  8. ગુજરાતમાં 538 કેસ, 26નાં મૃત્યુ

    ગુજરાતના આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગની માહિતી અનુસાર રાજ્યમાં સોમવાર સવારે દસ વાગ્યા સુધી કોરોના વાઇરસના કુલ 538 કેસો નોંધાયા છે. જ્યારે 26 લોકોનાં મૃત્યુ થયાં છે.

    12 એપ્રિલના છ વાગ્યાથી 13 એપ્રિલના સવારના દસ વાગ્યા સુધીમાં રાજ્યમાં નવા 22 કેસો નોંધાયા છે, જ્યારે બે લોકોનાં મૃત્યુ થયાં છે.

    આ દરમિયાન સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં કુલ 13 નવા કેસો નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં ચેપગ્રસ્ત લોકોનો કુલ આંક 295 થઈ ગયો છે.

    જે બે લોકોનાં મૃત્યુ થયાં છે, એમાંથી એક દર્દીની ઉંમર 76 વર્ષ હતી. જ્યારે બીજા દર્દીની ઉંમર 27 વર્ષ હતી.

    આમાંથી એક દર્દી હૃદય અને ફેફસાંની બીમારીથી પીડાતા હતા. જ્યારે બીજા દર્દીને ડૅન્ગ્યૂ હતો.

  9. 'ભારત સહિત દક્ષિણ એશિયાના દેશોમાં મંદીનો ખતરો'

    વર્લ્ડ બૅન્કે કહ્યું છે કે કોરોના મહામારીને કારણે ભારત સહિત દક્ષિણ એશિયાનાં રાષ્ટ્રોમાં અર્થતંત્ર 40 વર્ષના સૌથી ખરાબ પ્રદર્શન તરફ વધી રહ્યું છે.

    આઠ દેશો ધરાવતા આ ક્ષેત્રમાં વિશ્વની 25 ટકા વસતી રહે છે અને આ વર્ષે અહીંનો વિકાસદર 1.8 ટકાથી 2.8 ટકા રહેવાની આશંકા છે, છ મહિના પહેલાં પ્રૉજેક્ટેડ દર 6.3 ટકા હતો.

    વર્લ્ડ બૅન્ક પ્રમાણે એપ્રિલથી શરૂ થતાં નાણાકીય વર્ષમાં ભારતનું અર્થતંત્ર 1.5 ટકાથી 2.8 ટકા રહેવાની શક્યતા છે.

    વર્લ્ડ બૅન્કે શ્રીલંકા, નેપાળ, ભૂતાન અને બાંગ્લાદેશમાં પણ આર્થિક વિકાસમાં ભારે ઘટાડો આવવાની શંકા વ્યક્ત કરી છે.

    પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને માલદીવમાં પણ મંદી પ્રવર્તે એવી શંકા વ્યક્ત કરાઈ છે. આ ઉપરાંત સંબંધિત ક્ષેત્રમાં ગરીબી વિરુદ્ધની લડાઈ દાયકાઓ પાછળ ઠેલાઈ જવાની આશંકા પણ વર્લ્ડ બૅન્કે વ્યક્ત કરી છે.

  10. ભારતમાં નવ હજારથી વધારે કેસ, મરણાંક 300થી વધારે

    ભારતમાં કોરોનાના નવ હજારથી વધારે કેસ, મૃતકાંક 300થી વધારે

    ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણના કુલ 9152 કેસ સામે આવ્યા છે અને દેશમાં કોરોના સંક્રમણને કારણે મૃતકાંક 308 થઈ ગયો છે.

    જોકે, આ દરમિયાન દેશમાં કુલ 850થી વધારે લોકો સારવાર પછી સાજા પણ થયા છે.

    દેશમાં સંક્રમણના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કુલ 1985 કેસો સામે આવ્યા છે અને 149નાં મૃત્યુ થયાં છે.

    દિલ્હીમાં કુલ 1154, તમિલનાડુમાં કુલ 1043 અને રાજસ્થામાં કુલ 804 સંક્રમણના કેસ સામે આવ્યા છે.

  11. અમેરિકામાં કોવિડ-19 મહામારી વચ્ચે વાવાઝોડાને કારણે છ લોકોનાં મૃત્યુ

    કોરોના વાઇરસના કેરની વચ્ચે અમેરિકાના દક્ષિણમાં આવેલાં રાજ્યોમાં વાવાઝોડાને કારણે છ લોકોનાં મૃત્યુ થયાં છે.

    અમેરિકાના લુઇસિયાના, ટેક્સાસ અને મિસિસિપી રાજ્યમાં ચક્રવાત અને પૂર આવતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. રવિવારે લુઇસિયાનામાં મોનરો શહેરમાં કેટલાંક મકાનોને ભારે નુકસાન થયું હતું.

    અમેરિકા કોરોના વાઇરસના સંક્રમણથી ભયાવહ પરિસ્થિતિનો સામનો પહેલેથી કરી રહ્યું છે અને લોકોને ઘરે જ રહેવા માર્ગદર્શિકા આપવામાં આવી છે.

    અમેરિકામાં રાષ્ટ્રીય હવામાનસેવાએ કહ્યું કે રવિવારે અને સોમવાર વચ્ચે મિસિસિપી, અલાબામા અને જ્યોર્જિયા જેવા રાજ્યોમાં વાવાઝોડું વધારે શક્તિશાળી બની શકે છે.

    લૉકડાઉનના કારણે સાર્વજનિક શૅલ્ટર બંધ રાખવામાં આવ્યાં છે. લોકોને સ્કૂલોમાં શરણ લેવાની સલાહ આપવામાં આપી છે પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગનાં સૂચનોનું પાલન કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.

    ચક્રવાતને જોતાં અલાબામા રાજ્યમાં કોવિડ-19 મહામારીને જોતાં સાર્વજનિક સ્થળે જેમકે શૅલ્ટરમાં એકઠાં ન થવાના સૂચનોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

  12. '...તો અનેક અમેરિકનોના જીવ બચાવી શકાયા હોત'

    અમેરિકામાં કોરોના વાઇરસ અંગેના ટાક્સ ફોર્સના પ્રમુખ ડૉ. ઍન્થની ફૉસીએ કહ્યું છે કે કોવિડ-19ને ફેલાતો રોકવા માટે જો પહેલાં પગલાં લેવામાં આવ્યા હોત, તો અમેરિકામાં લોકોના જીવ બચાવી શકાયા હોત.

    તેમણે સીએનએન ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યુ આપતા કહ્યું, "જો શરૂઆતથી બધું બંધ કર્યું હોત તો ચિત્ર થોડું અલગ હોત."

    અમેરિકામાં કોરોના સંક્રમણના 5,55,000થી વધારે કેસ છે અને 22,000થી વધારે લોકોનું મૃત્યુ થયું છે. અમેરિકામાં કોરોના સંક્રમણથી સૌથી વધારે ન્યૂ યૉર્ક અસરગ્રસ્ત થયું છે.

    ડૉ ફૉસીએ કહ્યું કે અમેરિકામાં મે મહિનામાં પરિસ્થિતિ થોડી સામાન્ય થવાની શરૂ થશે.

    16 માર્ચે, ટ્રમ્પ પ્રશાસને સોશિયલ ડિસ્ટન્સિંગની ગાઇડલાઇન બહાર પાડી હતી, જેને એપ્રિલ સુધી લંબાવવામાં આવી હતી.

    ન્યૂ યૉર્ક ટાઇમ્સે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું કે ડૉ ફૉસી અને અન્ય અધિકારીઓએ ફેબ્રુઆરીના અંતમાં જ કોવિડ-19 બાબતે તકેદારી રાખવા સલાહ આપી હતી, આ અહેવાલ વિશે તેમનું કહેવું હતું કે આરોગ્ય અધિકારીઓ માત્ર આરોગ્યની દૃષ્ટિએ સલાહ સૂચન આપી શકે.

    “મોટાભાગે સૂચનો માની લેવામાં આવતા હોય છે. ક્યારેક નથી માનવામાં આવતા, પરંતુ હવે જે છે આ સ્થિતિ છે, જેમાં આપણે અત્યારે છીએ.”

    ડૉ. ઍન્થનીએ ઉમેર્યું કે અમેરિકામાં જો વહેલાં પગલાં લેવામાં આવ્યા હોત, તો અનેક લોકોને મરતા બચાવી શકાયા હોત, પરંતુ આ પ્રકારના નિર્ણય લેવા ગૂંચવણ ભરેલા હોય છે અને તે સમયે બધું બંધ કરવાનો ઘણો વિરોધ થયો હતો.

  13. વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 18 લાખ 46ને પાર, મરણાંક એક લાખ 14 હજારથી વધારે

    વિશ્વમાં કોરોના સંક્રમિતોનો આંક 18,46,963 સુધી પહોંચ્યો છે. જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા પ્રમાણે, વિશ્વમાં કોરોના વાઇરસને કારણે મરણાંક એક લાખ 14 હજારને પાર પહોંચી ગયો છે.

    અમેરિકામાં સૌથી વધારે મૃત્યુ નોંધાયાં છે, ત્યાં મરણાંક 22 હજાર કરતા વધારે છે, જ્યારે કોરોના સંક્રમિતોની સંખ્યા 5,55,000 કરતા વધારે થઈ ગઈ છે. અહીં એકલા ન્યૂ યૉર્કમાં છ હજારથી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે.

    ઇટાલીમાં મરણાંક 19,899 પહોંચ્યો છે, જ્યારે કોરોના સંક્રમિતોની સંખ્યા 1,56,363 છે.

    સ્પેનમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,66,831 છે, જ્યારે મરણાંક 17,209 સુધી પહોંચ્યો છે.

    ફ્રાન્સમાં કોરોના સંક્રમણના કુલ 1,33,670 કેસ આવ્યા છે, જ્યારે મરણાંક 14 હજારને પાર કરી ગયો છે.

    બ્રિટનમાં મરણાંક દસ હજારને પાર કરી ગયો છે અને ત્યાંના આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે યુરોપમાં સૌથી વઘારે બ્રિટન કોરોના સંક્રમણથી અસરગ્રસ્ત થઈ શકે છે.

  14. કોવિડ-19 : 'ભારતમાં 1,05,980 બેડ્સની વ્યવસ્થા છે'

    રવિવારે ભારતના આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે કોવિડ-19ની ટેસ્ટિંગ માટે સરકારી અને ખાનગી મેડિકલ કૉલેજમાં વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

    તેમણે કહ્યું, સારા સામાચાર એ છે કે અત્યાર સુધી 716 લોકો સાજા થયા છે અને સારવાર પછી હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. શનિવારથી અત્યાર સુધી 74 લોકો સાજા થયા છે.

    સરકારની તૈયારી વિશે તેમણે કહ્યું,"રવિવાર સુધી કોરોનાના દર્દીઓ માટે અંદાજ હતો કે 1671 બેડ્સની જરૂર પડશે. આ એ કેસ છે જે સંક્રમણ વકરતાં વધારે ગંભીર થયા છે. આ સમયે દેશમાં કોવિડ1-9 માટે ખાસ 601 હૉસ્પિટલ છે જ્યાં 1,05,980 બેડની વ્યવસ્થા છે. આ હૉસ્પિટલમાં આઇસોલેશન બેડની સંખ્યા વધારે છે."

    આઈસીરએમ મુજબ દેશમાં આ સમયે 1.86,906 સૅમ્પલની તપાસ કરવામાં આવી છે. તેમાંથી 7953 લોકો કોવિડ-19 પૉઝિટિવ છે. છેલ્લા પાંચ દિવસમાં સરેરાશ 15,747 સૅમ્પલની દરરોજ તપાસ કરવામાં આવી રહી છે અને સરેરાશ 584 પૉઝિટિવ રિઝલ્ટ આવી રહ્યું છે.

    આઈસીએમઆરે કહ્યું કે આ સમયે દેશમાં 40 જેટલાં વૅક્સિન પ્રૉજેક્ટ ચાલી રહ્યા છે, પરંતુ તે આગળના તબક્કામાં નથી પહોંચ્યા.

    આરોગ્ય વિભાગે જણાવ્યું કે ટ્રેનના 20,000 ડબ્બાને આઇસોલેશન વૉર્ડમાં બદલવામાં આવ્યા. પ્રથમ તબક્કામાં પાંચ હજાર ડબ્બામાં કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.

  15. રાત્રિ દરમિયાનના અપડેટ્સ

    નમસ્કાર. કોરોના વાઇરસના અપડેટ્સ સંબંધિત બીબીસી ગુજરાતીના લાઇવ પેજમાં આપનું સ્વાગત છે. ગઈકાલ રાતથી અત્યારસુધીના મુખ્ય અપડેટ્સ ઉપર નજર કરીએ તો:

    • ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડા પ્રમાણે, રાજ્યમાં કોરોનાના 516 ઍક્ટિવ કેસ છે. 24 દરદીઓનાં મૃત્યુ થયાં છે, જ્યારે 44 પેશન્ટ સાજા થઈ જતાં તેમને રજા આપવામાં આવી છે.
    • કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણની વેબસાઇટના આંકડા પ્રમાણે, ભારતમાં કોરોનાના કુલ 7400 કરતાં વધુ ઍક્ટિવ કેસ છે. 764 પેશન્ટને રજા આપવામાં આવી છે, જ્યારે 273 મૃત્યુ થયાં છે.
    • જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા પ્રમાણે, વિશ્વમાં એક લાખ 14 હજાર કરતાં વધુ મૃત્યુ થયાં છે, જ્યારે 18 લાખ 46 હજાર કરતાં વધુ કેસ નોંધાયા છે.
    • ક્રૂડઑઈલનું ઉત્પાદન કરતા દેશોના સંગઠન ઑપેક તથા રશિયાની વચ્ચે ઉત્પદાન ઘટાડવા અંગે સહમતિ સધાઈ ગઈ છે. કોરોના વાઇરસને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ ઉત્પાદનની માગમાં ઘટાડો આવ્યો છે, ત્યારે ભાવોને સ્થિર રાખવા માટે ઉત્પાદનમાં 10 ટકાનો ઘટાડો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
    • તુર્કીના ગૃહમંત્રી સુલેમાન સોયાલુએ પોતાના પદ ઉપરથી રાજીનામું ધરી દીધું છે. 31 શહેરમાં લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તેનો બરાબર રીતે અમલ નહોતો થઈ શક્યો અને અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી.
    • શ્રીલંકમાં કોરોના વાઇરસને કારણે મૃત્યુ પામનાર કોઈપણ દરદીની અંતિમવિધિ અગ્નિસંસ્કાર દ્વારા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આથી મુસ્લિમો નારાજ થયા છે.