વિશ્વભરમાં
કોરોના વાઇરસના મામલાઓ સતત વધી રહ્યા છે. જોકે, ગત દિવસોની સરખામણીએ રવિવારે ચેપ
લાગવાના કેસ થોડા ઘટ્યા.
સોમવારની સવારે
સાડા પાંચ વાગ્યા સુધી વિશ્વઆખામાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 12 લાખ 72 હજારથી
વધારે હતી. જ્યારે મૃતકોનો આંકડો 69,350ને પાર કરી ગયો હતો. આ દરમિયાન 2.60 લાખ
લોકો આ બીમારીથી સાજા પણ થયા છે.
ગત બે સપ્તાહમાં
પ્રથમ વખત ઇટાલીમાં કોવિડ-19 થકી મૃત્યુ પામનારા દર્દીઓની સખ્યામાં ઘટાડો જણાયો.
રવિવારે ઇટાલીમાં કોરોના વાઇરસથી 525 લોકોનાં મૃત્યુ થયાં. 19 માર્ચ બાદ પ્રથમ
વખતે 24 કલાકના સમયમાં ઇટાલીમાં આટલા ઓછા લોકોનાં મૃત્યુ થયાં છે. જોકે, કોરોના
વાઇરસને પગલે ઇટાલીમાં અત્યાર સુધી કુલ 15, 887 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.
સ્પેનમાં ગત 24
કલાકમાં 674 લોકોનાં મૃત્યુ થયાં છે. આ ગત સપ્તાહમાં એક જ દિવસમાં થયેલાં મૃત્યુના
સૌથી ઓછા મામલા હતા. સ્પેનમાં કોરોના વાઇરસથી અત્યાર સુધીમાં 12,641 લોકોનાં
મૃત્યુ થયાં છે. કોરોના વાઇરસના સંક્રમણના મામલામાં સ્પેન બીજા નંબરે છે. અહીં એક
લાખ 31 હજાર લોકોને વાઇરસને ચેપ લાગ્યો છે.
આ દરમિયાન અમેરિકામાં
પણ ચેપ સતત ફેલાઈ રહ્યો છે વિશ્વઆખામાંથી 3.35 લાખ દર્દીઓ એકલા અમેરિકાના છે. આ
ઉપરાંત અહીં વાઇરસને પગલે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 9,562 થઈ ગઈ છે.
અમેરિકામાં
ન્યૂયૉર્ક શહેર કોરોના વાઇરસનું હૉટસ્પૉટ બનીને ઊભર્યું છે. આ શહેરમાં અત્યાર સુધી
2,256 લોકોનાં મૃત્યુ થયાં છે.
ફ્રાંસમાં પણ
કોરોના વાઇરસના સંક્રમણને લીધે થનારાં મૃત્યુનો આંકડો આઠ હજારને પાર કરી ગયો છે.
ગત 24 કલાકમાં દેશની અંદર 357 લોકોનાં મૃત્યુ થયાં. જ્યારે શનિવારે આ આંકડો 441
હતો. દેશમાં હજુ પણ 90 હજારથી વધુ લોકો કોરોના વાઇરસથી ગ્રસ્ત છે.
આ દરમિયાન
બ્રિટનમાં રવિવારે 621 લોકોનાં મૃત્યુ થયાં. બ્રિટનમાં અત્યાર સુધી 4,934 લોકોનાં
મૃત્યુ થઈ ચૂક્યાં છે. જ્યારે ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 48 હજારને પાર કરી ગઈ છે.
બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જૉન્સનને કેટલાક ટેસ્ટ માટે હૉસ્પિટલમાં દાખલ થવું
પડ્યું છે, જ્યારે બ્રિટિશ મહારાણી ઍલિઝાબેથે દેશના સંબોધનમાં બ્રિટિશ
સ્વાસ્થ્યકર્મીઓ પ્રત્યે આભાર વ્યક્ત કરતાં આશા વ્યક્ત કરી કે કોરોના વાઇરસની આફત
ટૂંક સમયમાં દૂર થઈ જશે.
ભારતના આરોગ્ય
અને કુટુંબ-કલ્યાણ મંત્રાલય અનુસાર દેશભરમાં કોરોના વાઇરસનો ચેપ લાગવાના કુલ 3,577
મામલા સામે આવ્યા છે, જ્યારે 83 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે. રવિવારે ભારતમાં
505 નવા કેસ નોંધાયા.
દેશભરમાં 274 જિલ્લામાં સંક્રમણના મામલા સામે આવી ચૂક્યા છે. આ પહેલાં ભારતીય વડા
પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર દેશના અલગઅલગ ભાગોમાં સામાન્ય લોકોએ રવિવારે રાતે
નવ વાગ્યે લાઇટ બંધ કરીને દીપ અને મીણબતી પ્રગટાવી કોરોના વાઇરસ વિરુદ્ધની લડાઈમાં
એકતા દર્શાવી હતી.