You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

કોરોના વાઇરસ : દેશમાં અત્યાર સુધીમાં સૌથી વધારે કેસ નોંધાયા, 28નાં મૃત્યુ

ગુજરાત, ભારત અને વિશ્વમાં કોરોના વાઇરસની તમામ અપટેડ અહીં વાંચો

લાઇવ કવરેજ

  1. ગુજરાતના ધારાસભ્યો પણ વેતનમાંથી 30 ટકા કોરોના સામેની લડતમાં આપશે

    ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે રાજ્યના ધારાસભ્યો અને મંત્રીઓ એક વર્ષ એટલે કે 31 માર્ચ 2021 સુધી દર મહિને વેતનમાં 30 ટકાનો કાપ સ્વીકારીને આ રકમ કોરોના મહામારી સામેના ભંડોળમાં આપશે.

    તેમણે કહ્યું ગુજરાતના ધારાસભ્યોને એક કરોડ 50 લાખની એમએલએ લૅડ ગ્રાન્ટ પણ 31 માર્ચ 2021 સુધી કોરોના મહામારી સામે ખર્ચમાં વપરાશે.

  2. બ્રેકિંગ, કોરોના વાઇરસને કારણે દુનિયામાં મૃત્યુઆંક 70,300થી વધારે

    વિશ્વમાં કોરોના વાઇરસ કોવિડ19ને કારણે મૃત્યુઆંક 70,300થી વધારે થઈ ગયો છે.

    ત્યારે દુનિયામાં કોરોના સંક્રમિતોની સંખ્યા હવે 13 લાખની આસપાસ પહોંચી છે.

    જોહ્ન હૉપકિન્સ યુનિવર્સિટીના તાજા ડેટા પ્રમાણે ઇટાલીમાં સૌથી વધારે મૃત્યુ થયાં છે ત્યાર પછી અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટનમાં સૌથી વધુ મૃત્યુઆંક છે.

    ઇટાલીમાં અત્યાર સુધી 15,887 લોકોનાં મોત થયાં છે, સ્પેનમાં અત્યાર સુધી 13,055, અમેરિકામાં 9,653, ફ્રાન્સમાં 8,093 અને બ્રિટનમાં 4,943 લોકોનો ભોગ લેવાયો છે.

  3. બ્રેકિંગ, 24 કલાકમાં દેશમાં 704 પૉઝિટિવ કેસ, 28નાં મૃત્યુ

    સમાચાર સંસ્થા એએનઆઈ સ્વાસ્થ્ય કુટુંબ કલ્યાણ મંત્રાલયને ટાંકીને લખે છે કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 704 નવા પૉઝિટિવ કેસો નોંધાયા છે અને 28 લોકોનાં મૃત્યુ થયાં છે.

    આ સાથે ભારતમાં પૉઝિટિવ કેસોની કુલ સંખ્યા 4,281એ પહોંચી ગઈ છે અને મૃત્યુઆંક 111એ પહોંચી ગયો છે.

  4. 'કોરોના વાઇરસ પૉઝિટિવ વ્યક્તિ કોઈ પર થૂંકે તો હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થશે'

    હિમાચલ પ્રદેશના ડીજીપી એસ. આર. મારડીના હવાલાથી સમાચાર એજન્સી એએનઆઈ લખે છે કે જો કોરોના વાઇરસ પૉઝિટિવ વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિ પર થૂંકશે, તો તેમની પર હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાશે.

    તેઓ કહે છે કે જેમની ઉપર થૂંકવામાં આવ્યું હોય એ વ્યક્તિનું જો મૃત્યુ થાય તો થૂંકનાર કોરોના વાઇરસ પૉઝિટિવ વ્યક્તિ પર હત્યાનો ગુનો દાખલ કરાશે.

  5. સંસદસભ્યોના પગાર, પેન્શન અને ભથ્થામાં 30 ટકાનો ઘટાડો : પ્રકાશ જાવડેકર

    કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે મહત્ત્વની જાહેરાત કરી હતી.

    પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે કોરોના વાઇરસના કારણે સંસદસભ્યોનાં પગાર, પેન્શન અને ભથ્થામાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવશે. જે પહેલી એપ્રિલ-2020થી લાગુ થશે.

    તેમણે વધુમાં કહ્યું, "બે વર્ષ માટે સંસદ સભ્યોના લોકલ એરિયા ફંડને મોકૂફ કરવામાં આવ્યાં છે. બે વર્ષ દરમિયાન આ નાણાં સંયુક્ત ભંડોળમાં ઉમેરાશે"

    કેન્દ્રીય પ્રધાને રાષ્ટ્રપતિ, ઉપ-રાષ્ટ્રપતિ, વડા પ્રધાન તથા રાજ્યપાલોએ એક વર્ષ માટે પગારમાં 30 ટકાનો સ્વૈચ્છિક ઘટાડો લેશે તેવી પણ જાહેરાત કરી.

  6. બ્રેકિંગ, ગુજરાતમાં કોરોના વાઇરસના સંક્રમિત લોકોના 16 નવા કેસ નોંધાયા

    સમાચાર સંસ્થા એ.એન.આઇ.ના ગુજરાતના આરોગ્ય વિભાગને ટાંકીને લખે છે કે ગુજરાતમાં કોરોના વાઇરસથી સંક્રમિત 16 નવા પૉઝિટિવ કેસ સામે આવતા કુલ પૉઝિટિવ કેસની સંખ્યા 144એ પહોંચી છે.

    નોંધાયેલા 16 નવા પૉઝિટિવ કેસમાં 11 કેસ અમદાવાદના છે, જ્યારે બે કેસ વડોદરાના છે.

    પાટણ, મહેસાણા અને સુરત જિલ્લામાં એક-એક કેસ પૉઝિટિવ નોંધાયા છે.

    ગુજરાતમાં હાલ સુધીમાં 21 લોકોને રજા આપી દેવામાં આવી છે. જ્યારે 11 લોકોનાં મૃત્યુ થયાં છે.

  7. ભારત જેવા મોટા દેશમાં લૉકડાઉન દરમિયાન લોકોએ જાળવેલી મૅચ્યોરિટી અદ્દભુત છે: નરેન્દ્ર મોદી

    ભારતીય જનતા પાર્ટીના 40મા સ્થાપ્ના દિવસે કાર્યકર્તાઓને સંબોધતા કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “ભારત જેવા મોટા દેશમાં લૉકડાઉન દરમિયાન લોકોએ જાળવેલી મૅચ્યોરિટી અદ્દભુત છે. કોઈ વિચારી પણ શકતું નથી કે લોકો આટલી વફાદારી અને સેવાની ભાવનાથી આજ્ઞાનો અમલ કરશે“

    તેમણે વધુમાં કહ્યું,“ભારતે કોરોના વાઇરસની મહામારીનો સામનો કરવા જે પ્રયાસો કર્યા છે, તેણે દુનિયાને ઉદાહરણ પૂરું પાડ્યું છે.”

    “ભારત એક એવા દેશમાં છે જે આ રોગની ગંભીરતાને લઈને સજાગ થઈ ગયું છે અને તેની સામે સમયસર લડાઈ શરૂ કરી દીધી છે. ભારતે અનેક સારા નિર્ણયો લીધા છે અને તેનો અમલ કરાવવા પ્રયત્ન કરી રહ્યું છે.”

  8. ગુજરાતમાં 12 મૃત્યુ

    વડોદરામાં સોમવાર સવારે કોરોના વાઇરસથી ગ્રસ્ત 62 વર્ષિય મહિલાનું મૃત્યુ થયું છે. મહિલાએ શ્રીલંકાનો પ્રવાસ ખેડ્યો હતો. આ સાથે જ ગુજરાતમાં કોરોના વાઇરસને લીધે થયેલા મૃત્યુનો આંકડો 12 થઈ ગયો છે.

  9. અમદાવાદમાં લૉક-ડાઉનથી કંટાળેલા લોકો માટે પોલીસે સજાવી સંગીતની મહેફિલ

    કોરોના વાઇરસના કારણે દેશમાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદમાં બોપલ પોલીસને લોકોએ રજૂઆત કરી કે અમે કંટાળીએ છીએ.

    તો પોલીસે તેમના મનોરંજન માટે ગીતો ગાયાં હતાં.

  10. કોરોના વાઇરસને લગતા મૅસેજ મોકલવા સજાપાત્ર?

    ભારતભરમાં લૉકડાઉનની પરિસ્થિતિ છે એવામાં કોરોના વાઇરસને લગતીવળગતી માહિતીઓનો જાણે રાફડો ફાટ્યો છે.

    તેમાં એક મૅસેજ વાયુવેગે વૉટ્સઍપ મારફતે ફેલાવવામાં આવી રહ્યો છે.

    મૅસેજમાં એવો દાવો કરાઈ રહ્યો છે કે કોરોના વાઇરસની પોસ્ટ શૅર કરનાર કે લખનારને સરકાર સજા કરી શકે છે. જુઓ આ વીડિયો.

  11. બ્રિટિશ વડા પ્રધાન હૉસ્પિટલમાં દાખલ

    બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સનને હૉસ્પિટલમાં દાખલ કરાયા છે.

    બ્રિટિશ વડા પ્રધાન કાર્યાલયના પ્રવક્તા અનુસાર તબીબોની સલાહ બાદ વડા પ્રધાન કેટલાક ટેસ્ટ કરાવવા માટે હૉસ્પિટલમાં દાખલ થયા છે. જણાવાઈ રહ્યું છે કે આ ટેસ્ટ સાવચેતીના ભાગરૂપે કરવામાં આવી રહ્યા છે. દસ દિવસ પહેલાં બોરિસ જૉન્સનને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હતો. ત્યારથી તેઓ આઇસોલેશનમાં હતા.

    જોકે, ત્યાંથી પણ તેઓ કૅબિનેટની બેઠક તો કરી જ રહ્યા હતા.

    એવું જણાવાઈ રહ્યું છે કે તેમનામાં કોરોના વાઇરસના સંક્રમણનાં લક્ષણો સતત જોવાં મળી રહ્યાં છે.

  12. રવિવારે શું થયું?

    વિશ્વઆખામાં કોરોના વાઇરસને લીધે 69 હજાર કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. રવિવારે જે કંઈ પણ થયું તે આપે અહીં LIVE રિપોર્ટિંગમાં વાંચ્યું. આનાથી આગળની જાણકારી માટે ક્લિક કરો.

  13. જ્યારે તમે ઊંઘી રહ્યા હતા ત્યારથી લઈને અત્યાર સુધીની અપડેટ

    વિશ્વભરમાં કોરોના વાઇરસના મામલાઓ સતત વધી રહ્યા છે. જોકે, ગત દિવસોની સરખામણીએ રવિવારે ચેપ લાગવાના કેસ થોડા ઘટ્યા.

    સોમવારની સવારે સાડા પાંચ વાગ્યા સુધી વિશ્વઆખામાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 12 લાખ 72 હજારથી વધારે હતી. જ્યારે મૃતકોનો આંકડો 69,350ને પાર કરી ગયો હતો. આ દરમિયાન 2.60 લાખ લોકો આ બીમારીથી સાજા પણ થયા છે.

    ગત બે સપ્તાહમાં પ્રથમ વખત ઇટાલીમાં કોવિડ-19 થકી મૃત્યુ પામનારા દર્દીઓની સખ્યામાં ઘટાડો જણાયો. રવિવારે ઇટાલીમાં કોરોના વાઇરસથી 525 લોકોનાં મૃત્યુ થયાં. 19 માર્ચ બાદ પ્રથમ વખતે 24 કલાકના સમયમાં ઇટાલીમાં આટલા ઓછા લોકોનાં મૃત્યુ થયાં છે. જોકે, કોરોના વાઇરસને પગલે ઇટાલીમાં અત્યાર સુધી કુલ 15, 887 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.

    સ્પેનમાં ગત 24 કલાકમાં 674 લોકોનાં મૃત્યુ થયાં છે. આ ગત સપ્તાહમાં એક જ દિવસમાં થયેલાં મૃત્યુના સૌથી ઓછા મામલા હતા. સ્પેનમાં કોરોના વાઇરસથી અત્યાર સુધીમાં 12,641 લોકોનાં મૃત્યુ થયાં છે. કોરોના વાઇરસના સંક્રમણના મામલામાં સ્પેન બીજા નંબરે છે. અહીં એક લાખ 31 હજાર લોકોને વાઇરસને ચેપ લાગ્યો છે.

    આ દરમિયાન અમેરિકામાં પણ ચેપ સતત ફેલાઈ રહ્યો છે વિશ્વઆખામાંથી 3.35 લાખ દર્દીઓ એકલા અમેરિકાના છે. આ ઉપરાંત અહીં વાઇરસને પગલે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 9,562 થઈ ગઈ છે.

    અમેરિકામાં ન્યૂયૉર્ક શહેર કોરોના વાઇરસનું હૉટસ્પૉટ બનીને ઊભર્યું છે. આ શહેરમાં અત્યાર સુધી 2,256 લોકોનાં મૃત્યુ થયાં છે.

    ફ્રાંસમાં પણ કોરોના વાઇરસના સંક્રમણને લીધે થનારાં મૃત્યુનો આંકડો આઠ હજારને પાર કરી ગયો છે. ગત 24 કલાકમાં દેશની અંદર 357 લોકોનાં મૃત્યુ થયાં. જ્યારે શનિવારે આ આંકડો 441 હતો. દેશમાં હજુ પણ 90 હજારથી વધુ લોકો કોરોના વાઇરસથી ગ્રસ્ત છે.

    આ દરમિયાન બ્રિટનમાં રવિવારે 621 લોકોનાં મૃત્યુ થયાં. બ્રિટનમાં અત્યાર સુધી 4,934 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે. જ્યારે ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 48 હજારને પાર કરી ગઈ છે. બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જૉન્સનને કેટલાક ટેસ્ટ માટે હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે, જ્યારે બ્રિટિશ મહારાણી ઍલિઝાબેથે દેશના સંબોધનમાં બ્રિટિશ સ્વાસ્થ્યકર્મીઓ પ્રત્યે આભાર વ્યક્ત કરતાં આશા વ્યક્ત કરી કે કોરોના વાઇરસની આફત ટૂંક સમયમાં દૂર થઈ જશે.

    ભારતના આરોગ્ય અને કુટુંબ-કલ્યાણ મંત્રાલય અનુસાર દેશભરમાં કોરોના વાઇરસનો ચેપ લાગવાના કુલ 3,577 મામલા સામે આવ્યા છે, જ્યારે 83 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે. રવિવારે ભારતમાં 505 નવા કેસ નોંધાયા. દેશભરમાં 274 જિલ્લામાં સંક્રમણના મામલા સામે આવી ચૂક્યા છે. આ પહેલાં ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર દેશના અલગઅલગ ભાગોમાં સામાન્ય લોકોએ રવિવારે રાતે નવ વાગ્યે લાઇટ બંધ કરીને દીપ અને મીણબતી પ્રગટાવી કોરોના વાઇરસ વિરુદ્ધની લડાઈમાં એકતા દર્શાવી હતી.