કોરોના વાઇરસ : લૉક-ડાઉનની વચ્ચે 'દિવાળી' જેવો માહોલ
કોરોના વાઇરસના સંક્રમણને કારણે લાગુ કરવામાં આવેલા લૉક-ડાઉન વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને કરેલી અપીલ પ્રમાણે રાત્રે નવ કલાકે ગુજરાત સહિત દેશભરમાં લોકો મીણબત્તી, દીવો લઈને બાલ્કનીમાં અને બારી પાસે આવ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી સહિત નેતા, અભિનેતા, ક્રિકેટર્સ અને મોટી સંખ્યામાં સામાન્ય લોકોએ દીપ પ્રગટાવ્યા હતા.
અનેક સ્થળોએ લોકોએ આતશબાજી પણ કરી હતી. કેટલાક સ્થળોએ લોકોએ 'જય શ્રી રામ' અને 'ભારત માતા કી જય'ના નારાઓ પણ લગાવ્યા.
વિરોધપક્ષ કૉંગ્રેસે નરેન્દ્ર મોદીની નાકામીઓનો ઉલ્લેખ કરતું ટ્વીટ કર્યું છે.
અગાઉ કૉંગ્રેસે કહ્યું હતું કે રાત્રે નવ વાગે દીવો પ્રગટાવતી વખતે એ જરૂર વિચારજો કે આજે આપણા દેશમાં વૅન્ટિલેટર્સની કમી છે અને ભારત સરકાર આને માટે શું કરી રહી છે?
આ દરમિયાન સોશિયલ મીડિયામાં મોદીજી હમ દીપ નહીં જલાયેંગે અને અંધેર નગરી ચૌપટ રાજા વગેરે ટ્રેન્ડ પણ જોવા મળ્યા. આ ટ્રેન્ડમાં લોકો નરેન્દ્ર મોદીની અપીલનો વિરોધ કરી રહ્યા છે અને તેને મુદ્દાઓથી ભટકાવનારું નાટક ગણાવી રહ્યા છે.