You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

દુનિયાભરમાં 65,000 લોકોનાં મૃત્યુ, ભારતમાં કેસો વધ્યા અને રોશનીનો માહોલ

ગુજરાત સહિત દેશવિદેશના કોરોના વાઇરસ સંબંધિત અપડેટ જાણવા માટે અહીં ક્લિક કરો

લાઇવ કવરેજ

  1. કોરોના વાઇરસ : લૉક-ડાઉનની વચ્ચે 'દિવાળી' જેવો માહોલ

    કોરોના વાઇરસના સંક્રમણને કારણે લાગુ કરવામાં આવેલા લૉક-ડાઉન વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને કરેલી અપીલ પ્રમાણે રાત્રે નવ કલાકે ગુજરાત સહિત દેશભરમાં લોકો મીણબત્તી, દીવો લઈને બાલ્કનીમાં અને બારી પાસે આવ્યા હતા.

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી સહિત નેતા, અભિનેતા, ક્રિકેટર્સ અને મોટી સંખ્યામાં સામાન્ય લોકોએ દીપ પ્રગટાવ્યા હતા.

    અનેક સ્થળોએ લોકોએ આતશબાજી પણ કરી હતી. કેટલાક સ્થળોએ લોકોએ 'જય શ્રી રામ' અને 'ભારત માતા કી જય'ના નારાઓ પણ લગાવ્યા.

    વિરોધપક્ષ કૉંગ્રેસે નરેન્દ્ર મોદીની નાકામીઓનો ઉલ્લેખ કરતું ટ્વીટ કર્યું છે.

    અગાઉ કૉંગ્રેસે કહ્યું હતું કે રાત્રે નવ વાગે દીવો પ્રગટાવતી વખતે એ જરૂર વિચારજો કે આજે આપણા દેશમાં વૅન્ટિલેટર્સની કમી છે અને ભારત સરકાર આને માટે શું કરી રહી છે?

    આ દરમિયાન સોશિયલ મીડિયામાં મોદીજી હમ દીપ નહીં જલાયેંગે અને અંધેર નગરી ચૌપટ રાજા વગેરે ટ્રેન્ડ પણ જોવા મળ્યા. આ ટ્રેન્ડમાં લોકો નરેન્દ્ર મોદીની અપીલનો વિરોધ કરી રહ્યા છે અને તેને મુદ્દાઓથી ભટકાવનારું નાટક ગણાવી રહ્યા છે.

  2. બ્રેકિંગ, ગુજરાતમાં નવા છ કેસ નોંધાતાં કુલ સંખ્યા 128 થઈ

    આજે ગુજરાતમાં નવા છ પૉઝિટિવ કેસ નોંધાયા છે, જે પૈકી બે કેસ ભાવનગરમાં, એક કેસ જામનગરમાં, એક કેસ સુરતમાં, એક કેસ મોરબીમાં, એક કેસ ભુજમાં નોંધાયો છે.

    આ છ પૉઝિટિવ કેસ સાથે કુલ પૉઝિટિવ કેસની સંખ્યા 128 થઈ ગઈ છે.

  3. અચાનક વધી રહેલી કેસની સંખ્યાથી સિંગાપોર ચિંતિત

    સિંગાપોરમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસ અચાનકથી વધી ગયા છે. છેલ્લા 24 કલાકમાં અહીં સંક્રમણના નવા 120 કેસ નોંધાયા છે.

    સિંગાપોર એ દેશોમાંથી એક છે કે જ્યાં ચીન પછી પહેલી વખત કોરોના વાઇરસના સંક્રમણના કેસ સામે આવ્યા હતા.

    સિંગાપોરમાં પહેલો કેસ ફેબ્રુઆરીમાં નોંધાયો હતો. જે પછી સિંગાપોરમાં કડક પ્રતિબંધો લાદી દેવામાં આવ્યો હતો.

    શરૂઆતના સમયમાં સિંગાપોરમાં કોરોના વાઇરસના સંક્રમણ રોકવામાં સફળતા હાંસલ થઈ હતી.

    માર્ચના અંતમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી જાહેર કરી હતી કે કોરોના વાઇરસના બીજા સ્ટેજમાં એશિયા સૌથી વધારે પ્રભાવિત થઈ શકે છે.

  4. બ્રેકિંગ, મુંબઈમાં 103 નવા કેસ નોંધાયા, આજે આઠનાં મૃત્યુ

    સમાચાર એજન્સી એએનઆઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનને ટાંકીને જણાવે છે કે આજે મુંબઈમાં 103 નવા પૉઝિટિવ કેસ નોંધાયા, આ સાથે પૉઝિટિવ કેસની કુલ સંખ્યા 433 થઈ ગઈ છે.

    આજે આઠ લોકોનાં મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 30એ પહોંચી ગયો છે. આ ઉપરાંત 20 લોકોને સારવાર બાદ સ્વસ્થ થતાં રજા આપવામાં આવી છે.

  5. પશ્ચિમ બંગાળમાં 24 કલાકમાં પાંચ મૃત્યુ

    પ્રભાકર મણિ તિવારી

    કલકત્તાથી

    પશ્ચિમ બંગાળમાં છેલ્લા 24 કલાકમાં વધારે ચાર લોકોનાં મૃત્યુ થયાં છે. કહેવાય છે કે તેમનો કોરોના પૉઝિટિવ હતો. જોકે સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે તેમનાં મૃત્યુનું કારણ જાણી શકાયું નથી.

    રવિવારે સવારે મહાનગરના સાટલેક વિસ્તારની એક ખાનગી હૉસ્પિટલમાં 59 વર્ષની વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું. 28 માર્ચે હૉસ્પિટલમાં દાખલ થયેલી આ વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો.

    આ અગાઉ શનિવારે રાત્રે પીયરલેસ હૉસ્પિટલમાં કોરોનાથી પીડાતાં એક મહિલાનું મૃત્યુ થઈ ગયું. તેમનો રિપોર્ટ પણ પૉઝિટિવ આવ્યો હતો.

    આ સિવાય કલકત્તાની એનઆરએસ મેડિકલ કૉલેજ હૉસ્પિટલ અને સિલીગુડીની ઉત્તર બંગાળ મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં પણ કોરોનાથી પીડિત એક-એક દર્દીનાં મૃત્યુ થયાં છે.

    જોકે શનિવારે સાંજે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા મેડિકલ બુલેટિન પ્રમાણે અત્યાર સુધી જે લોકોનાં મૃત્યુ થયાં છે, તે પૈકી ત્રણ જ લોકો કોરોનાના સંક્રમણથી મર્યા છે. બાકી ચારનાં મૃત્યુ અન્ય બીમારીથી થયાં છે.

  6. ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પાસેથી કોરોનાની દવા માગી

    અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમણે ભારતને મલેરિયાની દવા હાઇડ્રૉક્સીક્લોરોક્કીન મોકલવા માટે વિનંતી કરી છે.

    રાષ્ટ્રપતિ ટ્રમ્પનું કહેવું છે કે આ દવા કોરોના વાઇરસના દર્દીઓની સારવારમાં મદદરૂપ થઈ શકે છે.

    જોકે મેડિકલ ક્ષેત્રના તજજ્ઞોએ આ મામલે કોઈ નક્કર રિપોર્ટ આપ્યો નથી.

    ભારત વિશ્વભરમાં આ દવાનો પ્રમુખ નિર્માતા દેશ છે પણ હાલમાં ભારતે આ દવાની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો છે.

  7. ઉત્તર પ્રદેશ : તબલીગી જમાત પર વાદ-વિવાદ, યુવકની હત્યા

    ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ જિલ્લાના કરેલીમાં રવિવારે સવારે એક યુવકની હત્યા કરી દેવાઈ. હુમલો કરનારા શખ્સને ટોળાએ પકડીને પોલીસના હવાલે કરી દીધો હતો.

    આ કેસમાં પોલીસે અન્ય એક વ્યક્તિની પણ ધરપકડ કરી છે.

    પ્રયાગરાજ ઝોનના પોલીસ મહાનિરીક્ષકકે. પી. સિંહે જણાવ્યું, “ચાની દુકાન પર છાપું વાંચતી વખતે બે યુવકોમાં કોઈ વાતને લઈને વાદ-વિવાદ થયો હતો. જે બાદ યુવકે તમંચાથી ફાયરિંગ કર્યું હતું.”

    પ્રત્યક્ષદર્શીનું કહેવું છે કે બંને વચ્ચે તબલીગી જમાતને લઈને વિવાદ થયો હતો.

    યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે દોષીઓ સામે રાસુકા લગાવીને કડક કાર્યવાહીના નિર્દેશ કર્યા છે. આ ઉપરાંત મૃતક યુવકના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાની સહાયતા કરવાની જાહેરાત પણ કરી છે.

  8. બ્રેકિંગ, નરેન્દ્ર મોદીએ કોરોના સંક્રમણ મામલે મનમોહન સિંઘ સાથે વાત કરી

    સમાચાર સંસ્થા ANI પ્રમાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઇરસના સંક્રમણ મામલે પૂર્વ વડા પ્રધાન અને પૂર્વ રાષ્ટ્રપતિ સાથે વાત કરી હતી.

    નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અને પ્રતિભા પાટીલ સાથે વાત કરી હતી.

    આ ઉપરાંત તેમણે પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘ અને એચ. ડી. દેવ ગૌડા સાથે વાત કરી હતી.

  9. અમેરિકાનો સૌથી કઠોર સમય આવી રહ્યો છે - ટ્રમ્પ

    અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આગામી કેટલાક દિવસોમાં અમેરિકામાં 'ઘણાં મૃત્યુ' થશે.

    રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે આગામી બે અઠવાડિયાં અમેરિકા માટે ઘણાં મુ્શ્કેલ છે.

    અમેરિકામાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 3 લાખ 12 હજારથી પણ વધારે થઈ ગઈ છે. જ્યારે હાલ સુધી સાડા આઠ હજારથી પણ વધારે લોકોનાં મૃત્યુ થયાં છે.

    આમાંથી 2,664 લોકો તો માત્ર ન્યૂયોર્કના જ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાની રોજની પ્રેસ-કૉન્ફરન્સમાં સૌથી વધારે પ્રભાવિત રાજ્યોને મેડિકલ અને સૈન્ય મદદ મોકલવાનો ભરોસો આપ્યો.

    જોકે ટ્રમ્પે એ પણ કહ્યું કે તેઓ પણ ઇચ્છે છે કે દેશને ફરીથી ખોલવામાં આવે. અમેરિકામાં આ સમયે લૉકડાઉન છે.

    રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું કે તેઓ નથી ઇચ્છતા કે લૉકડાઉન મહિનાઓ સુધી ચાલે. ટ્રમ્પે ઈસ્ટરના તહેવાર દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગમાં છૂટછાટના કેટલાક સંકેત પણ આપ્યા હતા.

  10. 21 દિવસમાં કોરોના વાઇરસ કાબૂમાં આવી જશે?

    કોરોના વાઇરસને કારણે ભારતે 21 દિવસનું લૉક-ડાઉન કરવાની ફરજ પડી છે.

    વડા પ્રધાન મોદીએ કહ્યું છે કે આ એક જ રસ્તો છે કે દેશ કોરોના વાઇરસને રોકી શકે છે. શું 21 દિવસમાં કોરોના વાઇરસ કાબૂમાં આવી જશે?

  11. ગુજરાતમાં કોરોના વાઇરસના 14 નવા પૉઝિટિવ કેસ નોંધાયા

    ગુજરાતમાં રવિવારે કોરોના વાઇરસના 14 નવા પૉઝિટિવ કેસ નોંધાયાની વિગતો આરોગ્ય વિભાગનાં સચિવ જયંતી રવિએ આપી હતી. તેમણે આ વિગતો પણ આપી હતી.

    ગુજરાતમાં કોરોનાના સંક્રમિત લોકોની સંખ્યા 122એ પહોંચી ગઈ છે.

    ગુજરાતમાં સુરતમાં એક 61 વર્ષીય મહિલાનું કોરોના વાઇરસના કારણે મૃત્યુ થયું.

    ગુજરાતમાં મૃતકોની સંખ્યા 11 થઈ ગઈ છે.

    આજે નોંધાયેલાં 14 નવા કેસમાંથી 8 કેસ અમદાવાદના છે. જ્યારે ભાવનગર અને સુરતમાં બે-બે કેસ નોંધાયા છે.

    છોટા ઉદેપુર જિલ્લામાં પહેલો કેસ નોંધાયો છે.

    જ્યારે વડોદરામાં વધુ એક કેસ નોંધાયો છે.

    બીજા 4 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવતા ડિસ્ચાર્જ કરાયેલા દર્દીઓની સંખ્યા 17એ પહોંચી છે.

  12. કોરોનાનાં નવાં બે લક્ષણો સામે આવ્યાં?

    કોરોના વાયરસના દરદીના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે.

    લોકોને તાવ, ઉધરસ અને શરદી જેવું જણાય તો તરત જ ચેતી રહ્યા છે.

    ત્યારે કેટલાંક લોકોમાં અન્ય કેટલાંક લક્ષણો પણ જણાય રહ્યા છે.

  13. કોરોના વાઇરસના કારણે ગુજરાતમાં વધુ એક મૃત્યુ

    સમાચાર સંસ્થા એએનઆઈના અહેવાલ અનુસાર ગુજરાતમાં કોરોના વાઇરસના કારણે સુરતનાં 61 વર્ષીય મહિલાનું અવસાન થયું છે.

    તેમનો કોરોનાનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હતો.

    ગુજરાતમાં કોરોના વાઇરસના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા હાલ 108 છે.

    ગુજરાત સરકારની વેબાઇટ મુજબ કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામનારની સંખ્યા 10 છે. આ એક મૃત્યુુ ઉમેરીએ તો સંખ્યા 11 થશે.

    ગુજરાતમાં સૌથી વધારે કેસ 45 અમદાવાદમાં છે.

    સુરત અને ગાંધીનગરમાં 13-13 કેસ છે.

    ગુજરાતમાં 13 દર્દીઓ સાજા થઈ ગયા છે અને પોતાનાં ઘરે પરત ફર્યા છે.

    ગુજરાતમાં કુલ 2,276 કેસના કોરોના વાઇરસના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 15,777 લોકોને ક્વોરૅન્ટીન કરવામાં આવ્યા છે.

  14. કોરોના વાઇરસ પર BBCનું LIVE કવરેજ

    શનિવારે કોરોના વાઇરસને લઈને વિશ્વભરમાં શું-શું થયું, એ અંગેનું LIVE કવરેજ આપ અહીં વાંચી શકો છો. પહેલાંનું LIVE કવરેજ વાંચવા માટે અહીં ક્લિક કરો

  15. બ્રેકિંગ, દુનિયામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 12 લાખને પાર

    જોન હૉપકિન્સ યુનિવર્સિટીના અહેવાલ અનુસાર દુનિયાભરમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા 12 લાખને પાર કરી ગઈ છે.

    રવિવાર સવારે સાડા પાંચ વાગ્યા સુધી આ આંકડો 11 લાખ 97 હજારની ઉપર હતો.

    આ મહામારીના કારણે દુનિયામાં હાલ સુધીમાં 64,600થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.

    શનિવારે આ મહામારીના કારણે ઇટાલી, ફ્રાન્સ, સ્પેન અને અમેરિકામાં મૃત્યુનો સિલસિલો ચાલુ રહ્યો.

    ઇટાલીમાં શનિવારે 681 લોકોનાં મૃત્યુ થયા અને આ સાથે જ કુલ મૃતકાંક 15,362એ પહોંચી ગયો છે.

    જ્યારે સ્પેનમાં ચોવીસ કલાકમાં 809 લોકોનાં મૃત્યુ થયા અને મૃતકાંક 11,947 થઈ ગયો.

    આશંકા વ્યક્ત કરવામાં આવે છે કે આવનારા દિવસોમાં સ્પેનમાં મૃત્યુની સંખ્યા વધી શકે છે. સ્પેનના વડા પ્રધાને દેશમાં 26 એપ્રિલ સુધી લૉક-ડાઉન વધાર્યું છે.

    જ્યારે અમેરિકામાં મૃત્યુ પામનારની સંખ્યા 8,400થી પણ વધારે થઈ ગઈ છે. ન્યૂયોર્કમાં છેલ્લાં 24 કલાકમાં 630 લોકોનાં મૃત્યુ થયાં છે.

    અમેરિકામાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા ત્રણ લાખથી પણ વધારે થઈ ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઇરસને લઈને આવનારા દિવસોમાં સેંકડો લોકોનાં મૃત્યુની આશંકા વ્યક્ત કરી હતી.

    જોકે તેમણે કહ્યું કે આ મુશ્કેલ સમયમાં સેના અને મેડિકલ વર્કર્સની ફોજને તે તહેનાત કરી રહ્યા છે. બ્રિટનમાં ગત 24 કલાકમાં 708 લોકોનાં મૃત્યુ થયાં છે.

    આ મહામારીના કારણે બ્રિટનમાં હાલ સુધી 4,313 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે.

    રવિવારે બ્રિટનના મહારાણી એલિઝાબેથ લોકોને સંબોધિત કરશે.

    ફ્રાન્સમાં છેલ્લાં 24 કલોકમાં કોરોના વાઇરસથી 441 લોકોનાં મૃત્યુ થયાં છે.

    ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ રિસર્ચ પ્રમાણે ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણના હાલ સુધી 3,113 કેસ સામે આવ્યા છે.

    ભારત સરકારના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય પ્રમાણે દેશમાં હાલ સુધી 75 લોકોનાં મૃત્યુ થયાં છે. શનિવારે દેશમાં 11,182 સૅમ્પલની તપાસ થઈ છે, જેમાંથી 324 લોકો પૉઝિટિવ મળ્યા.

    ભારતમાં 4 એપ્રિલ, રાત્રે નવ વાગ્યા સુધી 79,950 લોકોની તપાસ થઈ છે.

  16. ન્યૂયૉર્કમાં 24 કલાકમાં 630 મૃત્યુ

    અમેરિકામાં ન્યૂયૉર્ક કોરોના વાઇરસના સંક્રમણનું હૉટસ્પૉટ બન્યું છે.

    ગત 24 કલાક દરમિયાન ન્યૂયૉર્કમાં 630 લોકોનાં મૃત્યુ થયાં. અત્યાર સુધી એક જ દિવસમાં થયેલાં મૃત્યુનો આ સૌથી મોટો આંકડો છે.

    ન્યૂયૉર્ક એકલામાં જ આ આ મહામારીને લીધે 3,565 મૃત્યુ થયાં છે. ન્યૂયૉર્કમાં ચેપ લાગવાના 1,13,000 મામલા સામે આવી ચૂક્યા છે.

    વસતીની દૃષ્ટિએ ઇટાલીમાં પણ લગભગ આટલા જ લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે.

    અમેરિકામાં અત્યાર સુધી કોરોના વાઇરસના કુલ 2,90,000 કેસ સામે આવ્યા છે. જ્યારે સમગ્ર દેશમાં સાત હજાર કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.