દિલ્હી વિધાનસભાની મતગણતરી વચ્ચે અણ્ણા હજારે કેજરીવાલ વિશે શું બોલ્યા?
દિલ્હીની વિધાનસભા ચૂંટણીની મતગણતરી થઈ રહી છે જેમાં આમ આદમી પાર્ટી સતત પાછળ ચાલી રહી છે.
તે દરમિયાન સામાજિક કાર્યકર અણ્ણા હજારેએ નિવેદન આપ્યું છે.
તેમણે કહ્યું હતું કે, “ચૂંટણી લડવા અને જીતવા માટે ઉમેદવારના આચાર-વિચાર શુદ્ધ હોવા જરૂરી છે અને જીવન નિષ્કલંક હોવું જરૂરી છે. જો આવા ગુણ ઉમેદવારમાં હોય તો તેનાથી મતદારોને વિશ્વાસ આવે છે કે આ વ્યક્તિ અમારા માટે કંઇક કરી શકશે.”
“હું વારંવાર કહેતો ગયો પણ તેમને સમજમાં ન આવ્યું. દારૂ, પૈસા ધન અને દોલતમાં તેઓ વહી ગયા. તેના કારણે તેઓ બદનામ થઈ ગયા. જેને કારણે પણ અન્ય લોકોને મોકો મળી ગયો. પરિણામે તેમને આજે ઓછા મત મળ્યા છે.”
અણ્ણા હજારેએ કહ્યું હતું કે, “રાજકારણમાં આરોપ-પ્રત્યારોપ થતા રહે છે. પરંતુ તમારા પરના આરોપો ખોટા છે એવું તમારે પ્રજા સામે સાબિત કરવું પડે છે.”
ઉલ્લેખનીય છે કે એક સમયે અરવિંદ કેજરીવાલ અણ્ણા હજારેની ટીમમાં હતા અને તેમણે દિલ્હીમાં ભ્રષ્ટાચાર સામે જનલોકપાલ બિલ માટે મોટું આંદોલન કર્યું હતું.