ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું, “અમારી કાર્યવાહી સંયમિત, જવાબદારીપૂર્ણ”

ઇમેજ સ્રોત, ANI
ભારતીય સેનાની પ્રેસ કૉન્ફરન્સમાં ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં કરવામાં આવેલા હુમલા અંગે જાણકારી આપી હતી.
તેમણે કહ્યું હતું કે, “22 એપ્રિલ, 2025 લશ્કર-એ-તોઇબા સાથે જોડાયેલા લોકો તથા પાકિસ્તાનીઓએ પહલગામમાં બર્બરતાપૂર્ણ હુમલો કર્યો હતો. આ હુમલામાં 25 ભારતીયો અને એક નેપાળી નાગરિકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. મુંબઈ હુમલા પછી આ સૌથી મોટો હુમલો હતો. લોકોને તેમના પરિવારજનોની સામે ગોળી મારવામાં આવી હતી.”
તેમણે કહ્યું હતું કે, “આ હુમલો જમ્મુ-કાશ્મીરમાં થઈ રહેલી સામાન્ય સ્થિતિને પ્રભાવિત કરવા માટેનો હતો, ત્યાં થઈ રહેલા પર્યટનને રોકી દેવા માટેનો હતો. આ હુમલાનો મુખ્ય ઉદ્દેશ્ય જમ્મુ-કાશ્મીરમાં થઈ રહેલા વિકાસ અને પ્રગતિને રોકવા માટેનો હતો. જમ્મુ-કાશ્મીર અને દેશમાં રમખાણો ભડકાવવાનો પણ આ હુમલાનો ઉદ્દેશ્ય હતો.”
વિક્રમ મિસરીએ કહ્યું હતું કે, “જે સમૂહ TRFએ આ હુમલાની જવાબદારી લીધી હતી તે યુએન દ્વારા પ્રતિબંધિત સંગઠન છે. આ હુમલાની તપાસથી એ સામે આવ્યું છે કે તેનો સીધો સંબંધ પાકિસ્તાન સાથે સાબિત થાય છે. અમે હુમલાખોરોની ઓળખ પણ કરી છે. તેના અમારી પાસે સ્પષ્ટ પુરાવાઓ છે.”
“હુમલાના એક પખવાડિયા પછી પણ પાકિસ્તાને આતંકવાદી ઠેકાણાંઓ પર કોઈ પગલાં ભર્યાં નથી. આથી, આવા સીમાપાર હુમલાઓને રોકવા માટે આજે સવારે ભારતે પ્રતિકાર કર્યો છે. આ કાર્યવાહી કેન્દ્રિત, જવાબદારીપૂર્ણ અને સંયમિત છે.”
વિક્રમ મિસરીએ કહ્યું હતું કે પહલગામ હુમલા પછી સંયુક્ત રાષ્ટ્રએ પણ આ સંદર્ભે એક નિવેદન જાહેર કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારતની કાર્યવાહીને આ જ સંદર્ભમાં જોવી જોઈએ.







