જાપાનમાં 7.1ની તીવ્રતાનો જબરદસ્ત ભૂકંપ, ફુકુશિમા ન્યૂક્લિયર પ્લાન્ટમાં હાલ નુકસાન નહીં

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

જાપાનમાં શનિવારે સ્થાનિક સમયાનુસાર રાત્રે 11.08 વાગ્યે પૂર્વી સમુદ્ર તટ પર 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે અને અત્યાર સુધી સુનામીની કોઈ ચેતવણી જારી નથી કરાઈ.

એએફપી સમાચાર એજન્સીએ જણાવ્યું છે કે અમેરિકા અને જાપાની પ્રશાસને સુનામીની ચેતવણી જારી નથી કરી.

અમેરિકન એજન્સી યુએસજીએસ અનુસાર, ફુકુશિમા પાસે પ્રશાંત મહાસાગરમાં 54 કિલોમિટરની ઊંડાઈએ તેનું કેન્દ્ર હતું.

તેમજ સમાચાર એજન્સી એપીએ જાપાનાના સરકારી ટીવી પ્રસારક એનએચકે ટીવીના હવાલાથી સમાચાર આપ્યા છે કે ભૂકંપના કારણે ફુકુશિમા ન્યૂક્લિયર પ્લાન્ટને કોઈ નુકસાન થયું છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે અને સાથે જ એવું પણ કહ્યું છે કે દેશના કોઈ અન્ય ન્યૂક્લિયર પ્લાન્ટમાં અન્ય કોઈ પ્રકારની ગરબડની કોઈ ફરિયાદ અત્યાર સુધી નથી મળી.

એબીસીન્યૂઝ ડોટ ગો ડોટ કૉમના એક અહેવાલ અનુસાર એક જાપાનના એક સરકારી પ્રવક્તા કાત્સુનોબુ કાટોએ રિપોર્ટરોને કહ્યું હતું કે, "ટોક્યો ઇલેક્ટ્રિક પાવર કંપની પ્રમાણે ધરતીકંપના કારણે 8,60,000 ઘરોનો વીજપુરવઠો ખોરવાયો હતો."

કાટો પ્રમાણે, "સુનામીના કારણે ઉત્તર-પૂર્વ જાપાનમાં ટ્રેનસેવા બાધિત થઈ છે. તેમજ વધુ નુકસાનની તપાસ થઈ રહી છે."

ન્યૂયૉર્ક ટાઇમ્સ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર જાપાનના વડા પ્રધાનના ચીફ કૅબિનેટ સેક્રેટરી કાત્સુનોબું કાટોએ કહ્યું હતું કે, "ફુકુશિમા પ્રિફેક્ચર પાસે આવેલા બે થર્મલ પાવર પ્લાન્ટ ઑફલાઇન કરી દેવાયા છે. ઘણી બુલેટ ટ્રેન લાઇનોની સેવા પણ સસ્પેન્ડ કરવામાં આવી હતી. ફુકુશિમાનાં શહેરોનાં અનેક ઘરો ખાલી કરાવીને લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા હતા."

અહેવાલ પ્રમાણે નિષ્ણાતો આફ્ટરશોકના કારણે અમુક દિવસો બાદ મોટા ભૂકંપની ચેતવણી ઉચ્ચારી રહ્યા છે.

એનએચકે ટીવી અનુસાર ભૂકંપની તીવ્રતા 7.1 હતી.

ભૂકંપના આંચકા પાટનગર ટોક્યોથી લઈને દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગ સુધી મહેસૂસ કરી શકાયા. આ એ જ વિસ્તાર છે જ્યાં માર્ચ 2011માં સુનામી અને ભૂકંપના કારણે ભયંકર તારાજી સર્જાઈ હતી.

વર્ષ 2011માં ફુકુશિમામાં આવેલા ભયંકર ભૂકંપના કારણે સુનામી આવી હતી અને આ ઘટનામાં 18 હજાર કરતાં વધુ લોકોનું મરણ થયું હતું.

જાપાનમાં ભૂકંપ આવ્યા બાદ તેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થવા લાગ્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો