પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં રામા પીરના મંદિરની તોડફોડ

- લેેખક, રિયાઝ સોહૈલ
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 2 મિનિટ
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં રામા પીરના મંદિરની તોડફોડ કરવાની એક ઘટના બની છે. પોલીસે આ ઘટનામાં એક સંદિગ્ધની ધરપકડ પણ કરી છે.
આ ઘટના સિંધના બદીન જિલ્લાના કડિયૂ ઘનૌર શહેરમાં શનિવારે બની.
ઉલ્લેખનીય છે કે રામા પીર કે રામદેવ પીરના શ્રદ્ધાળુઓની સંખ્યા ગુજરાત અને રાજસ્થાનમાં ઘણી વધારે છે અને પાકિસ્તાનમાં પણ એમના શ્રદ્ધાળુઓ છે.
પાકિસ્તાનના કડિયૂ ઘનૌર શહેરમાં હિંદુ સમુદાયના કોલ્હી, મેઘવાળ, ગુવારિયા અને કારિયા સમુદાયના લોકો રહે છે અને તેઓ રામા પીર મંદિરમાં પૂજા-અર્ચના કરે છે.
સ્થાનિક પ્રાથમિક વિદ્યાલયના શિક્ષક મનુ લંજરે બીબીસી ગુજરાતીને કહ્યું કે મંદિરનું નિર્માણ દાનના પૈસામાંથી કરાવવામાં આવ્યું હતું. આના માટે એમણે ફેસબુક પર પોસ્ટ કરી હતી. એ પછી લોકોએ મદદ કરતા દોઢ વર્ષ અગાઉ મંદિરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું.
મંદિરના મુખ્ય પુજારી મનુ લંજરને ફોન પર આ ઘટનાની જાણકારી મળી. એ પછી એમણે પોતાના મિત્રો સાથે ઘટનાસ્થળે પહોંચી ઘટનાની પુષ્ટિ કરી છે.
એમનું કહેવું છે કે પોલીસે સ્થાનિક લોકોની મદદથી એક સંદિગ્ધ વ્યક્તિની ધરપકડ કરી લીધી છે.
આ ઘટનાની ફરિયાદમાં અશોક કુમારે કહ્યું કે એમના સહિત ત્રણ લોકો આ મંદિરના સંરક્ષક છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અશોક કુમારે કહ્યું કે, તેઓ શનિવારે મંદિરના આંગણમાં બેઠા હતા ત્યારે મોહમ્મદ ઇસ્માઇલ શૈદી નામની વ્યક્તિ સવારે દસ વાગે અહીં આવ્યા. તેઓ અગાઉ પણ અહીં આવતા-જતા હોય છે. થોડી વાર પછી મંદિરમાંથી અવાજ આવ્યો. તેઓ મૂર્તિને સળિયાથી તોડી રહ્યા હતા. અમે બૂમ પાડી તો તેઓ ભાગી ગયા.
અશોક કુમારનું કહેવું છે કે મોહમ્મદ ઇસ્માઇલ શૈદીએ ધાર્મિક મૂર્તિને તોડીને સમુદાયનું અપમાન કર્યું છે એમની સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ.
કડિયૂ ઘનૌર પોલીસે પાકિસ્તાન દંડ સંહિતાની કલમ 295-એ મુજબ કેસ દાખલ કરી આરોપીની ધરપકડ કરી લીધી છે.
સ્ટેશન ઇન્ચાર્જ અસગર સઠેવે કહ્યું કે, આરોપી નિવેદન ફેરવી રહ્યો છે પરંતુ એનો સંબંધ કોઈ ચરમપંથી સંગઠન સાથે દેખાતો નથી. એને અદાલતમાં રજૂ કરી પૂછપરછ માટે રિમાંડ મેળવવામાં આવશે.

રામા પીર મંદિરનું નિર્માણ

રામા પીરનો જન્મ આશરે પાંચસો વર્ષ અગાઉ રાજસ્થાનના જોધપુરથી દોઢસો કિલોમીટર દૂર રણુજા શહેરમાં થયો હતો અને ત્યાં હાલ એમની સમાધિ છે.
એમના અનુયાયીઓમાં સનાતન ધર્મની દુભાયેલા મેઘવાળ, કોળી, ભીલ, સંન્યાસી, જોગી, બાગડી, ખત્રી અને લુહાર લોકોનો સમાવેશ થાય છે. ભારતમાં ગુજરાત અને રાજસ્થાન ઉપરાંત પાકિસ્તાનમાં પણ મોટી સંખ્યામાં લોકો રામા પીરને માને છે.
સિંધમાં જ હૈદરાબાદ શહેરથી 30 કિલોમીટર દૂર ટંડવાલિયા નામનું એક સ્થળ છે ત્યાં રામા પીરનું એક મોટું મંદિર આવેલું છે.
આ મંદિર વિશે ત્યાના ધાર્મિક નેતા ઇશ્વર દાસ કહે છે કે સો વર્ષ અગાઉ ખત્રી સમુદાયની એક વ્યક્તિએ રણુજાની મુલાકાત લીધી હતી અને એ પછી એમણે અહીં પોતાના શહેર ટંડવાલિયામાં મંદિર બનાવડાવ્યું.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















