કોરોના વાઇરસનાં નવાં કયાં લક્ષણો બાળકોમાં જોવાં મળ્યાં?

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

બાળકોમાં ફેલાતા કોરોના વાઇરસને લઈને નવી માહિતી સામે આવી છે. બીબીસી સંવાદદાતા ફર્ગસ વૉલ્સે આ મામલે કેટલાક નિષ્ણાતો સાથે વાત કરી હતી.

સંશોધનકર્તાઓને જાણવા મળ્યું છે કે કોરોના વાઇરસનો ચેપ ધરાવતાં બાળકોને બીજાં લક્ષણો પણ હોઈ શકે છે.

પુખ્ત વયના લોકોમાં સતત કફ, તાવ કે પછી સ્વાદ અને સુગંધનો અનુભવ ના થવો જેવાં કોરોના વાઇરસનાં લક્ષણો જોવા મળે છે.

હવે ક્વિન્સ યુનિવર્સિટી બેલફાસ્ટના સંશોધનકારોએ જાણ્યું કે કોરોનાનો ચેપ ધરાવતાં બાળકોમાં ઉધરસ કરતાં ઝાડાં-ઊલટીનાં લક્ષણો વધુ જોવા મળે છે.

જેથી હવે આ નવા સંશોધન પ્રમાણે નિષ્ણાતોનું માનવું છે કે બાળકો માટે ટેસ્ટનો દાયરો વધારવાની જરૂર છે. એટલે કે જો ઝાડાં-ઊલટી જેવાં લક્ષણો પણ બાળકોમાં દેખાય તો તેનો કોરોના ટેસ્ટ કરાવવાની મંજૂરી હોવી જોઈએ.

બાળકોમાં કોરોના વાઇરસનાં જુદાં લક્ષણો?

વિશ્વમાં ઘણા દેશોમાં સ્કૂલો ફરીથી શરૂ થવા જઈ રહી છે તો ઘણા દેશોમાં સ્કૂલો ખૂલી ગઈ છે.

કોરોના વાઇરસના કારણે બાળકોને ઓછો ખતરો હોવાનું કહેવાય છે છતાં શાળાઓમાં સંક્રમણ ના ફેલાય તે જોવું પણ અગત્યનું છે.

આ સમયે યુકેમાં સંશોધનકર્તાઓને જાણવા મળ્યું છે કે કોરોના વાઇરસથી સંક્રમિત બાળકોમાં પુખ્તવયની વ્યક્તિ કરતાં જુદાં લક્ષણો પણ જોવા મળી શકે છે.

જેમાં ચામડી પર ચકામાં થવાં, થાક લાગવો, ગળામાં ખરાશ, ભૂખ ના લાગવી અને ઝાડાં-ઊલટી જેવાં લક્ષણોનો સમાવેશ થાય છે.

જોકે, આ લક્ષણોમાં મુશ્કેલી એ છે કે અન્ય બીમારીઓમાં પણ આવાં લક્ષણો જોવા મળે છે.

બેલફાસ્ટના શોધકર્તાઓ માને છે કે બાળકો માટે ટેસ્ટના માપદંડનો દાયરો વધારવાની જરૂર છે.

ક્વીન યુનિવર્સિટી બેલફાસ્ટના ડૉક્ટર ટોમ વોટરફિલ્ડનું કહે છે, "અમે મેળવેલા ડેટાના આધારે હું વિચારું છું કે ઝાડા-ઉલ્ટી જેવી સમસ્યાઓ સાથેનાં લક્ષણોને પણ પરીક્ષણના માપદંડમાં ઉમેરવાં જોઈએ."

"મને લાગે છે કે બાળકોમાં શરદી, છીંક કે અન્ય લક્ષણો કોવિડ-19 સાથે સંકળાયેલાં નથી અને તેવાં બાળકોને પરીક્ષણની જરૂર ના હોવી જોઈએ."

યુકેના આરોગ્ય વિભાગનું કહેવું છે કે વૈજ્ઞાનિકોએ તેમને કોવિડના લક્ષણો બાબતે સમીક્ષા કરવા કહ્યું છે.

બીજી એક વાત જેના પર નિષ્ણાતો એકમત થયા છે તે એ કે વહેતું નાક જ એક માત્ર કારણ નથી કે બાળકોને સ્કુલથી દુર રાખવામાં આવે.

બાળકોનું ધ્યાન કેવી રીતે રાખશો?

બાળકોના મનોચિકિત્સક ડૉ. રિચર્ડ વૂલ્ફસન માને છે કે કોરોના વાઇરસ જેના દરેક મોટા વિષય બાબતે બાળકો સાથે કેવી રીતે વાત કરવી તેનો આધાર બાળકની વય પર છે.

ડૉ. વૂલ્ફસને કહ્યું હતું, "નાનાં બાળકો, ખાસ કરીને છ કે સાત વર્ષથી ઓછી વયનાં બાળકો તેમની આસપાસના મુદ્દાઓ બાબતે થતી ચર્ચાથી ચીડાઈ જાય છે, કારણ કે તેમનાં માતાપિતા પણ તેની જ ચર્ચા કરતાં હોય છે."

"બાળકો માટે આ બધું બહુ ડરામણું સાબિત થઈ શકે છે," એવું જણાવતાં ડૉ. વૂલ્ફસન એવી સલાહ આપે છે છે કે સૌથી પહેલાં તો બાળકોને આશ્વાસન આપો.

"શું થવાનું છે એ તમે જાણતા નથી, પણ બાળકોને એ જણાવો કે તેઓ સલામત રહેશે. બધા સલામત રહેશે. કેટલાક લોકો જ બીમાર પડશે. મોટા ભાગના લોકોને કશું નહીં થાય."

ડૉ. વૂલ્ફસને ઉમેરે છે, "તમારાં સંતાનને ચેપ લાગશે કે નહીં એ તમે જાણતા નથી, પણ તમે આશાવાદી રહો એ સારું છે. કારણ વગર ચિંતા ન કરો. બાળકોને માત્ર ભરોસો આપવાથી કામ નહીં ચાલે. તમારે તેમને સશક્ત પણ બનાવવાં પડશે."

ડૉ. વૂલ્ફસનના જણાવ્યા મુજબ, બાળકોને સશક્ત બનાવવાનો અર્થ એ છે કે જીવાણુનો ચેપ લાગવાના જોખમને ટાળી શકાય તેવાં પગલાં લેવાં બાબતે બાળકોને માહિતગાર કરવાં. એવાં પગલાં પોતે લઈ શકે છે તેનો અહેસાસ પણ બાળકને કરાવવો જોઈએ.

ડૉ. વૂલ્ફસન કહે છે, "પોતાને અને આપણને પણ સ્વસ્થ રાખી શકે એવાં કામ કરવા બાબતે બાળકોને માહિતી આપવી જોઈએ. તેમાં પોતાના હાથ નિયમિત રીતે સ્વચ્છ રાખવાનો અને ખાંસતી વખતે મોં પર રૂમાલ રાખવા વગેરેનો સમાવેશ થાય છે."

કિશોર વયનાં બાળકો સાથે કેવી રીતે સંવાદ કરવો?

કોઈ ચેપી રોગ બાબતે કિશોર વયનાં બાળકો સાથે વાત કરવાની રીત અલગ હોય છે, કારણ કે તેઓ દુનિયાના સમાચાર માટે તેમનાં માતાપિતા પર ઓછો આધાર રાખતા હોય છે.

તેમને મોટા ભાગની માહિતી તેમના દોસ્તો પાસેથી મળતી હોય છે.

ડૉ. વૂલ્ફસન કહે છે, "કિશોર વયનાં બાળકો પાસે માહિતીનું પોતાનું અલગ નેટવર્ક હોય છે. તેઓ તેમના સમવયસ્ક સાથીઓ પર વધારે નિર્ભર હોય છે. જોકે, કિશોરવયનાં બાળકોની મુશ્કેલી એ છે કે તેઓ વધારે પડતા વ્યાવહારિક હોય છે."

"બધું ઠીકઠાક છે, ચિંતાનું કોઈ કારણ નથી એવું 14 વર્ષના બાળકને કહી દેવાથી વાત પૂરી નહીં થાય, કારણ કે તમે તેમને આવું કહેશો તો તેઓ એવું કહેશે કે તમને તો કંઈ ખબર જ નથી."

તેથી કિશોર વયનાં બાળકો સાથે વાતચીતમાં મુશ્કેલી પડે છે. તેઓ તમારી દરેક વાતને સરળતાથી સ્વીકારી લેતા નથી.

જોકે ડૉ. વૂલ્ફસન કહે છે, "એક વાત બધાં બાળકોને લાગુ પડે છે કે તમે તેમના માટે કેવો માહોલ તૈયાર કરો છે તેના પર મોટો આધાર હોય છે."

"તમારે બાળકોને એટલી છૂટ આપવી જોઈએ કે જેમાં તેમને તેમના મનની દરેક વાત મોકળાશથી કહી શકવાની આઝાદી હોય."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો