પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય એનજીઓને કેમ બંધ કરાવી રહ્યું છે?

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

પાકિસ્તાન સરકારે દેશમાં કાર્યરત આંતરરાષ્ટ્રીય સંગઠનો (એનજીઓ)ને 60 દિવસમાં દેશ છોડી દેવા ફરમાન કર્યું છે.

તેમને તમામ કામકાજ બંધ કરી દેવા માટે પણ કહેવામાં આવ્યું છે.

આ નિર્ણયથી પ્રભાવિત થયેલા સંગઠન 'ઍક્શન એડ'નું કહેવું છે કે, સરકારનો આ નિર્ણય સિવિલ સોસાયટી પર કરવામાં આવી રહેલા હુમલાની શૃંખલાનો એક ભાગ છે.

પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે આ મામલે કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા નથી આપી.

સરકાર તરફથી ઍક્શન એડને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે તેઓ છ મહિનામાં બીજી વખત નોંધણી માટે અરજી કરી શકે છે.

સરકારનો આ નિર્ણય ત્યારે આવ્યો છે, જ્યારે દેશમાં માનવઅધિકારોના ઉલ્લંઘનના મામલે અને પ્રેસની અભિવ્યક્તિ પર નિયંત્રણોની ઘટનાઓ સામે આવી છે.

કેમ પગલાં લેવાયા?

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓ આંતરરાષ્ટ્રીય સંગઠનોને શંકાની નજરે જુએ છે.

વર્ષ 2011માં અમેરિકાની સીઆઈએ(સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી)એ ઓસામા બિન લાદેનને શોધ માટે બનાવટી રસીકરણ અભિયાન ચલાવ્યું હતું.

પાકિસ્તાનના અધિકારીઓએ 'સેવ ધી ચિલ્ડ્રન' પર આ બનાવટી અભિયાન ચલાવવાનો આરોપ લગાવ્યો હતો.

જોકે, સંગઠને આ આરોપો નકારી દીધા હતા.

'ઍક્શન એડ' સહિતની અન્ય આંતરરાષ્ટ્રીય એનજીઓને ડિસેમ્બર 2017માં દેશ છોડીને જતા રહેવા માટે કહ્યું હતું.

પરંતુ પશ્ચિમી સરકારોના દબાણના કારણે પાકિસ્તાને નિર્ણય બદલવો પડ્યો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

'ઍક્શન એડ' અને 'પ્લાન ઇન્ટરનૅશનલ' દ્વારા દેશ છોડીને જવાનો પત્ર મળ્યાની પુષ્ટિ કરી છે.

સંગઠનોએ આ પગલાં વિરુદ્ધ અપીલ પણ કરી હતી પણ તેને ખારીજ કરી દેવાઈ.

'ઍક્શન એડ' પાક્સિતાનના ડિરેક્ટર અબ્દુલ ખાલિકે બીબીસીને જણાવ્યું કે હવે સરકારના નિર્ણય વિરુદ્ધ અપીલ કરવી શક્ય નથી લાગી રહ્યું.

તેમણે ચિંતા વ્યક્ત કરી કે સંગઠન સાથે કામ કરી રહેલા ગરીબ વર્ગના લોકો નિરાધાર થઈ જશે.

પ્લાન ઇન્ટરનૅશનલે નિવેદનમાં જણાવ્યું કે તેમનું સંગઠન 16 લાખ બાળકો માટે કામ કરે છે. સંગઠન સરકારના નિર્ણયથી દુઃખી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો