Ahmednagar Hospital Fire : કોરોનાના 10 દરદીનાં મૃત્યુ, ફસાયેલા લોકોને કઈ રીતે બચાવાયા?

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલી હૉસ્પિટલના આઈસીયુમાં આગ લાગી હતી. જેમાં ઓછામાં ઓછા 10 લોકોનાં મૃત્યુ થયાંની માહિતી જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર ભોસલેએ આપી છે.

ફાયરબ્રિગેડની ટીમનું પ્રાથમિક તારણ છે કે આ આગ શૉર્ટસર્કિટના કારણે લાગી હશે.

સવારે સાડા દસ વાગ્યે આઈસીયુ વિભાગમાં આગ લાગી હતી અને આ આગથી અનેક લોકો દાઝ્યા હોવાની પણ શક્યતા છે.

આ વિશે જિલ્લા કલેક્ટર જણાવે છે કે "આ હૉસ્પિટલના આઈસીયુમાં કોરોના સંક્રમિત 17 દરદી હતા. આ જ વૉર્ડમાં અચાનક આગ લાગી અને એના પગલે 10 દરદીઓનાં મૃત્યુ થયાં છે. એક દરદીની સ્થિતિ ગંભીર છે."

તેમણે એવું પણ જણાવ્યું છે કે આ હૉસ્પિટલનું ફાયર ઑડિટ પણ થયેલું હતું.

દરદીઓના પરિવારજનોનો આરોપ છે કે સફાઈ માટે ત્રણ કલાક આઈસીયુ બંધ કરાયું હતું અને એ કારણે આગ પ્રસરી હતી.

આ આરોપોની પણ તપાસ કરવાની બાંયધરી કલેક્ટરે આપી છે.

ફાયરબ્રિગેડે કઈ રીતે લોકોને બચાવ્યા?

જાણ થયા બાદ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળએ પહોંચી ગઈ હતી.

અગ્નિશામક વિભાગના અધિકારી શંકર મિસાળનું કહેવું છે કે આઈસીયુની બહારની ગ્રિલ બંધ હોવાથી લોકોને બહાર કાઢવામાં મુશ્કેલી પડી હતી.

ગ્રિલ બંધ હોવાને પગલે મુખ્ય દરવાજા વાટે અંદર જઈને લોકોને બહાર કાઢવાની ફરજી પડી હતી.

મિસાળનું કહેવું છે કે આ કામગીરીમાં તેમને હૉસ્પિટલના કર્મચારીઓનો પણ સહકાર મળ્યો હતો.

મિસાળનું કહેવું છે કે, "આઈસીયુમાં સારવાર લઈ રહેલા દરદીઓના ઓક્સિજન-માસ્ક કાઢીશું તો તેમને તકલીફ થશે, એવો ડર હતો."

"પણ, તેમનો જીવ બચાવવા માટે તેમને બહાર કાઢવા પડ્યા."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો