You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇક્વાડોરની ગૅંગવોરમાં 116થી વધુનાં મૃત્યુ, મૅક્સિકોના ડ્રગ ટ્રાફિકિંગ કાર્ટેલે આદેશ આપ્યો હોવાના અહેવાલ - BBC TOP NEWS
ઇક્વાડોરની જેલમાં થયેલી લડાઈમાં 116 કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં છે, અધિકારીઓ આ ઘટનાને ઇક્વાડોરના ઇતિહાસમાં જેલમાં બનેલો સૌથી હિંસક બનાવ ગણાવે છે
પોલીસ કમાન્ડરનું કહેવું છે કે કેદીઓએ આ લડાઈમાં ગ્રૅનેડનો પણ ઉપયોગ કર્યો હતો. લડાઈ બાદ સ્થિતિને કાબૂમાં લેવા માટે 400 પોલીસકર્મચારીઓની જરૂર પડી હતી.
સ્થાનિક મીડિયા લખે છે કે મૅક્સિકોની તાકતવર ડ્રગ ટ્રાફિકિંગ ગૅંગ દ્વારા આ લડાઈ માટે આદેશ આપવામાં આવ્યા હતા, આ ગૅંગ ઇક્વાડોરમાં સક્રિય થઈ છે.
ઇક્વાડોર જેલના સર્વિસ ડિરેક્ટર બોલિવર ગાર્ઝોને સ્થાનિક રેડિયોને કહ્યું કે સ્થિતિ 'ભયંકર' હતી.
તેમણે કહ્યું કે, "ગઈકાલે, સ્થાનિક સમય પ્રમાણે બપોરે બે વાગ્યે પોલીસે સ્થિતિ કાબૂમાં લઈ લીધી, પણ એની પહેલાંની રાત્રે ગોળીબાર થઈ રહ્યો હતો, વિસ્ફોટ થતા હતા અને આજે સવારે સ્થિતિને કાબૂમાં લઈ લીધી છે."
"અમે જેલના એ ભાગોમાં પ્રવેશી રહ્યા છીએ જ્યાં સંઘર્ષ થયો હતો અને મૃતદેહોની ઓળખ કરી રહ્યા છીએ."
જુલાઈ મહિનામાં પ્રૅસિડેન્ટ લાસોએ કહ્યું હતું કે ઇક્વાડોરની જેલમાં કૅપેસિટી કરતાં 30 ટકા કેદીઓ વધારે છે.
મમતા બેનરજી પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી રહેશે કે કેમ? આજની પેટાચૂંટણી પર આધાર
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પશ્ચિમ બંગાળમાં આજે વિધાનસભાની પેટાચૂંટણી છે, મમતા બેનરજી મુખ્ય મંત્રી બની શકશે કે કેમ એનો આધાર આજના મતદાન પર છે.
ભબાનીપુર બેઠક પરથી પેટાચૂંટણીમાં મમતા બેનરજી ભાજપનાં પ્રિયંકા ટીબરવાલ અને સીપીઆઈ (એમ)ના શ્રીજિબ બિસ્વાસ સામે લડી રહ્યાં છે, આ વખતે અહીં કૉંગ્રેસે કોઈ ઉમેદવાર ઉતાર્યા નથી.
પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસની જીત થઈ હતી પણ મમતા પોતે નંદીગ્રામ બેઠક પરથી હારી ગયાં હતાં.
જો તેઓ પેટાચૂંટણીમાં જીતે તો તેઓ મુખ્ય મંત્રી બની શકશે. ભબાનીપુરની પેટાચૂંણીનું પરિણામ ત્રીજી ઑક્ટોબરે જાહેર થશે.
યુનાઇટેડ લિબરેશન ઑફ બોડોલૅન્ડના તમામ ચરમપંથીઓનું આત્મસમર્પણ
આસામના બોડોલૅન્ડ પ્રદેશમાં નવગઠિત ચરમપંથી સમૂહ યુનાઇટેડ લિબરેશન ઑફ બોડોલૅન્ડના તમામ કૅડરોએ બુધવારે આસામ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું છે.
આસામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળી રહેલા પોલીસ મહાનિદેશક જી. પી. સિંહે આ અંગે એક ટ્વીટ કર્યું છે, "આસામના માનનીય મુખ્ય મંત્રીના દિશા-નિર્દેશો બાદ પોલીસે નવગઠિત યુનાઇટેડ લિબરેશન ઑફ બોડોલૅન્ડનાં કૅડરોને પરત ઘરે જવા માટે પ્રેરિત કર્યા હતા. શાંતિપૂર્ણ, સુંદર, સમૃદ્ધ આસામ."
તાજેતરમાં જ કેન્દ્રીય સરકાર, આસામ સરકાર અને બોડો ચરમપંથી સંગઠનો વચ્ચે દિલ્હીમાં થયેલી શાંતિમંત્રણા પછી આ વિસ્તારના કેટલાક નવયુવાનોએ એક વીડિયો સંદેશ જારી કર્યો હતો અને યુનાઇટેડ લિબરેશન ઑફ બોડોલૅન્ડના નામથી એક નવું સંગઠન બનાવવાની જાહેરાત કરી હતી.
આ સંગઠને બોડો પ્રજા માટે અલગ રાજ્ય બનાવવાની માગ સરકાર સમક્ષ મૂકી હતી. જે બાદ બોડોની બહુમતીવાળા વિસ્તારમાં પોલીસ અને સુરક્ષાદળોએ ઉગ્રવાદવિરોધી અભિયાન શરૂ કરી દીધું હતું.
આ સંદર્ભે આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વ સરમાએ ગૃહમંત્રી અમિત શાહ અને વડા પ્રધાન કાર્યાલયને ટૅગ કરીને ટ્વીટ કર્યું છે.
બ્રિટનમાં ડ્રાઇવર ન મળવાથી પેટ્રોલ-ડીઝલની અછત!
બ્રિટનની સરકારે કહ્યું છે કે આવનારા દિવસોમાં સેનાના જવાનો પેટ્રોલ પંપો સુધી ફ્યૂઅલ પહોંચાડશે.
ટૅન્કર ચલાવવા માટે ડ્રાઇવર ન મળવાને લીધે બ્રિટનના પંપો પર ફ્યૂઅલની ભારે અછત સર્જાઈ છે.
સેનાના જવાનોને ટૅન્કર ચલાવવાની તાલીમ આપવામાં આવી રહી છે, જેથી પેટ્રોલપંપો પર લાગેલી લાંબી કતારોને ઓછી કરી શકાય.
વેપાર સંલગ્ન મામલાઓના મંત્રીએ સપ્લાયમાં સર્જાયેલી સમસ્યાને સ્વીકારી છે અને કહ્યું છે કે સ્થિતિ ફરી સામાન્ય થવા જઈ રહી છે.
સાથે જ સરકારે ટ્રક ડ્રાઇવરોની કમી પૂરી કરવા માટે વિદેશી ડ્રાઇવરોને ત્રણ મહિનાના વિઝા આપવાનું શરૂ કરી દીધું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો