દિલ્હીમાં ચાલુ કોર્ટમાં 35-40 રાઉન્ડ ફાયરિંગ, ગૅંગસ્ટર અને બે હુમલાખોરોનાં મૃત્યુ

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

દિલ્હીની રોહિણી કોર્ટમાં શુક્રવારે બપોરે ગોળીબારની ઘટના ઘટી છે, જેમાં એક ગૅંગસ્ટર અને બે ગુનેગાર માર્યા ગયા છે.

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે ગોળીબારમાં જિતેન્દ્રમાન ગોગી નામના ગૅંગસ્ટરનું મૃત્યુ થયું છે. ઘટના દરમિયાન 35-40 બુલેટ ફાયર કરવામાં આવી હતી.

ગોગી પર ફાયરિંગ બાદ ક્રૉસ ફાયરિંગમાં સુરક્ષાકર્મીઓએ બે હુમલાખોરોને ગોળી મારી હતી. તેમના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.

હુમલાખોર વકીલોનો પોશાક પહેરીને આવ્યા હતા. આ ઘટનામાં એક મહિલા સહિત ત્રણ વ્યક્તિને ઈજા થઈ છે.

રોહિણી કોર્ટમાં કામ કરતી એક વ્યક્તિએ બીબીસીને જણાવ્યું કે, "બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા દ્વારા વકીલોને યુનિક આઈડી આપવા જોઈએ, જેથી ઍન્ટ્રી પર ચેક કરી શકાય."

દિલ્હી પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે.

દિલ્હીના પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ આ અંગે માહિતી આપતાં કહ્યું છે કે, "ગૅંગસ્ટર ગોગી ઉર્ફે જિતેન્દ્ર માનલાને રોહિણી કોર્ટમાં સુનાવણી માટે લાવવામાં આવ્યો હતો અને તેની પર બે હુમલાખારોએ ગોળીબાર કર્યો હતો."

"બે પૈકી એકના માથે પચાસ હજાર રૂપિયાનું ઇનામ હતું."

ગોગી ઉર્ફે જિતેન્દ્રના માથે સાત લાખ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું હતું.

કોર્ટના કર્મચારી અતુલે બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે, "આ પ્રકારની ઘટનાને રોકવા માટે બાર કાઉન્સિલે વકીલોને ખાસ પ્રકારના ઓળખપત્રો આપવા જોઈએ અને તમામ કોર્ટમાં ઓળખપત્ર ચેક કરવાની વ્યવસ્થા કરવી જોઈએ અને એ કાર્ડ દેશભરની અદાલતોમાં માન્ય હોવું જોઈએ."

વકીલ અમિતકુમાર જણાવે છે, "કોર્ટના પરિસરમાં પ્રવેશ વખતે અમારા વકીલોની યોગ્ય તપાસ કરવામાં આવતી નથી."

"તપાસ કરવાનો એકાદ-બે વર્ષ પહેલાં વકીલોએ વિરોધ પણ કર્યો હતો, જેના પરિણામે આવી ઘટના ઘટી છે."

દિલ્હી બાર ઍસોસિયેશનના પ્રમુખનું કહેવું છે કે આજની ઘટના બાદ તેઓ આવતીકાલે કામથી અળગા રહેશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો