You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમરિંદરસિંહનું રાજીનામું : પંજાબના નવા મુખ્ય મંત્રીની દોડમાં સુખજિંદરસિંહ રંધાવાનું નામ સૌથી ઉપર, બીજા કયા નામની ચર્યા છે?
પંજાબના નવા મુખ્ય મંત્રીનું નામ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. બીબીસી પંજાબી સેવા અનુસાર, દિલ્હીમાં રાહુલ ગાંધીના ઘરે પંજાબના નવા મુખ્ય મંત્રી મામલે બેઠક થઈ હતી.
મળેલી જાણકારી પ્રમાણે આ બેઠકમાં નવજોતસિંહ સિદ્ધુ, અજય માકન, હરીશ રાવત અને પરગતસિંહ સામેલ હતા.
મુખ્ય મંત્રીની રેસમાં 62 વર્ષીય સુખજિંદરસિંહ રંધાવાનું નામ સૌથી ઉપર છે, તેઓ કૅપ્ટન અમરિંદરસિહની કૅબિનેટમાં જેલ અને સહકારિતામંત્રી છે.
પંજાબના માઝા ક્ષેત્રના ગુરદાસપુર જિલ્લાના રહેવાસી રંધાવા ત્રણ વાર કૉંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને 2002, 2007 અને 2017માં ચૂંટાયા હતા.
સમાચાર સંસ્થા એએનઆઈએ સૂત્રોને ટાંકતા કહ્યું છે કે સુખજિંદરસિંહ રંધાવાએ પંજાબના રાજકીય ઘમાસાન વચ્ચે રાજ્યપાલને મળવાનો સમય માગ્યો છે.
બાદલ પરિવાર સામે ખૂબ આક્રામક રહ્યા રંધાવા
તેઓ રાજ્યના કૉંગ્રેસ ઉપાધ્યક્ષ અને એક જનરલ સેક્રેટરીના પદ પર રહી ચૂક્યા છે.
તેઓ એક કૉંગ્રેસી પરિવારમાંથી આવે છે અને તેમના પિતા સંતોખસિંહ બે વાર રાજ્યમાં કૉંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા અને માઝા વિસ્તારમાં જાણીતા હતા.
સુખજિંદરસિંહ રંધાવા બાદલ પરિવાર સામે બહુ આક્રમક રહ્યા છે. રંધાવાએ 2015માં પંજાબમાં ગુરુગ્રંથસાહિબના અપમાન અને બાદમાં પોલીસ ફાયરિંગમાં બે યુવકના મોત મામલે આરોપીઓ સામે કેસ ન ચલાવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાદમાં નવજોતસિંહ સિદ્ધુના સૂરમાં સૂર મિલાવીને તેમણે ચૂંટણીવચનો પૂરાં ન કરવાનો આરોપ લગાવીને કૅપ્ટન અમરિન્દરસિંહની વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો.
પંજાબમાં આગામી વર્ષે ફેબ્રુઆરી મહિનામાં વિધાનસભાની ચૂંટણી થવાની છે અને એવામાં જે પણ મુખ્ય મંત્રી બનશે તેનો કાર્યકાળ કેટલાક મહિનાનો જ હશે.
જો વર્ષ 2017ની ચૂંટણીને આધાર બનાવીને જોવામાં આવે તો વર્ષ 2022ના જાન્યુઆરી મહિનાથી જ આચારસંહિતા લાગુ કરાશે. એવામાં જે પણ મુખ્ય મંત્રી બનશે તેની પાસે માત્ર 12 સપ્તાહથી વધુ સમય બચશે.
રંધાવા સિવાય અન્ય કયા નેતા દોડમાં સામેલ?
જોકે સીએમપદ માટે કૉંગ્રેસના જે નેતાઓનાં નામ સૌથી વધુ ચર્ચાઈ રહ્યા છે, તેમાં સુખજિંદરસિંહ રંધાવા સિવાય સુનીલ જાખડ, નવજોતસિંહ સિદ્ધુ અને પ્રતાપસિંહ બાજવા છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, પૂર્વ પીસીસી અધ્યક્ષ સુનીલ જાખડનું નામ પણ ચર્ચામાં રહ્યું છે.
જો જાખડ સીએમ બને તો 1966માં પંજાબના પુનર્ગઠન બાદ પહેલી વાર કોઈ હિન્દુ નેતા રાજ્યના મુખ્ય મંત્રી હશે.
સુનીલ જાખડ ખેડૂત પરિવારમાંથી આવે છે અને પંજાબના હિન્દુ સમુદાયમાં પણ તેમની પકડ છે, જેનો બમણો લાભ પક્ષને મળી શકે છે.
જાખડ અબોહરના જાણીતા જમીનદાર છે અને પૂર્વ લોકસભા અધ્યક્ષ બલરામ જાખડના પુત્ર છે.
ગુરદાસપુર જિલ્લાના 64 વર્ષીય પ્રતાપસિંહ બાજવા પણ મુખ્ય મંત્રીપદના સંભવિત ઉમેદવારોમાંથી એક છે.
તેઓ રાજ્યના સૌથી વરિષ્ઠ નેતાઓમાંના એક છે અને વર્તમાનમાં પંજાબથી રાજ્યસભાના સાંસદ પણ છે.
પ્રતાપસિંહ બાજવાના પિતા સતનામસિંહ બાજવા પણ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા હતા અને મંત્રી રહી ચૂક્યા હતા.
નવજોતસિંહ સિદ્ધુનું નામ પણ મુખ્ય મંત્રીની રેસમાં ચર્ચાઈ રહ્યું છે.
નવજોતસિંહ સિદ્ધુ પ્રદેશ કૉંગ્રેસ સમિતિના વર્તમાન અધ્યક્ષ છે. તેઓ કૅપ્ટન અમરિંદરસિંહની કૅબિનેટમાં મંત્રી પણ હતા, પણ બાદમાં તેમણે રાજીનામું આપી દીધું હતું.
બાદમાં તેમણે કૅપ્ટન સામે મોરચો માંડ્યો હતો અને જાહેરમાં અનેક જગ્યાએ તેમની વિરુદ્ધ નિવેદનો આપ્યાં હતાં.
પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુ એક ટેલિવિઝન કૉમેડી શોમાં મેજબાન રહી ચૂક્યા છે.
2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં સિદ્ધુ ભાજપ છોડીને કૉંગ્રેસમાં સામેલ થયા હતા. અન્ય ત્રણ સંભવિત ઉમેદવારોની જેમ તેઓ પણ એખ કૉંગ્રેસ પરિવારમાં આવે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો