You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુપ્રીમ કોર્ટે આસારામની જામીનઅરજી ફગાવી, જેલમાં જ મળશે સારવાર
દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામની જામીન અરજીને દેશની સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી છે. સાથે જ ઠેરવ્યું છે કે જેલમાં જ તેમને આયુર્વેદિક પદ્ધતિથી સારવાર મળે તેવી સુવિધા આપવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટનાં ન્યાયાધીશ ઇંદિરા બેનરજી, જસ્ટિસ બી. રામા સુબ્રમણ્યન તથા જસ્ટિસ બેલા એમ. ત્રિવેદીની ખંડપીઠે મંગળવારે આ ચુકાદો આપ્યો હતો.
કાયદાકીય બાબતોની વેબસાઇટ 'લાઇવ લૉ'ના રિપૉર્ટ મુજબ, જસ્ટિસ ઇંદિરા બેનરજીએ આસારામ બાપુના ગુના ઉપર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે તેને સામાન્ય ગુનાની શ્રેણીમાં મૂકી ન શકાય.
જસ્ટિસ બેનરજીએ જામીન અરજીને નકારતાં કહ્યું, "આ પ્રકારની સ્થિતિમાં માફ કરશો, સમગ્ર કેસને જોવામાં આવે તો તે કોઈ સાધારણ ગુનો ન હતો. તમને તમારી આયુર્વેદિક સારવારની સુવિધા જેલમાં જ મળશે."
"આયુર્વેદિક સારવાર ચાલુ રાખવામાં કોઈ સમસ્યા નથી. અમે જેલના અધિકારીઓને આદેશ આપીશું કે તમને આયુર્વેદિક સારવાર માટે મંજૂરી આપવામાં આવે."
આસારામના વકીલે આયુર્વેદિક સારવાર માટે બે મહિનાના આગોતરા જામીનની માગ કરી હતી.
આ પહેલાં આસારામે રાજસ્થાન હાઈક્રોટમાં સજાને ઓછી કરવા તથા જામીન અરજીનો સ્વીકાર કરવા માટે અરજી કરી હતી, જેને નકારી કાઢવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે 85 વર્ષીય આસારામ ઉપર સગીરા સાથે દુષ્કર્મ આચરવાનો આરોપ સાબિત થયો છે અને જનમટીપની સજા ફટકારવામાં આવી છે. હાલમાં તે જોધપુરની સૅન્ટ્રલ જેલમાં કેદ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉલ્લેખનીય છે કે મૂળ ગુજરાત હાઈકોર્ટનાં ન્યાયાધીશ બેલા એમ. ત્રિવેદીએ મંગળવારે જ દેશની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા.
ટોક્યો પૅરાલિમ્પિક : ભારતને વધુ બે મેડલ, મરિયપ્પન થંગવેલુને હાઈજમ્પમાં સિલ્વર મેડલ
ટોક્યો પૅરાલિમ્પિકમાં ભારતે મંગળવારે મોટી સંખ્યામાં સફળતા મળી, જ્યારે હાઈજમ્પમાં બે ભારતીય ખેલાડીઓએ પદક જીત્યાં. મરિયપ્પન થંગવેલુએ આ સ્પર્ધામાં રજત પદક જીત્યું, જ્યારે શરદકુમારે કાંસ્ય પદક હાંસલ કર્યું.
મરિયપ્પનનો આ સતત બીજો ઑલિમ્પિક મેડલ છે. આ પહેલાં વર્ષ 2016માં રિયો ઑલિમ્પિકમાં તેમણે સ્વર્ણ પદક મેળવ્યું હતું.
રશિયા, ચીન, પાકિસ્તાન તાલિબાન તરફે, ભારતના વલણમાં બદલાવનો સંકેત
તાલિબાનની મુખ્ય રાજકીય ઑફિસ કતરથી ભારત માટે મોકલવામાં આવેલ તાલિબાન નેતા શેર મોહમ્મદ અબ્બાસ સ્તાનિકજઈના સંદેશ પર અફઘાનિસ્તાન મામલે નવી દિલ્હીનું વલણ બદલાય તેવો સંકેત જોવામાં આવી રહ્યો છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ભારત અફઘાનિસ્તાનમાં ફરીથી ઉદય પામેલી તાલિબાનની સત્તાના ઢાંચા પર નજર રાખી રહ્યું છે. અધિકારીઓએ અખબારને કહ્યું કે તાલિબાનના ઉદયના લાંબા સમય અગાઉ ભારતે રશિયાને ચેતવ્યું હતું કે અફઘાનિસ્તાનને લઈને વલણ બદલવાની જરૂરિયાત ઊભી થઈ રહી છે.
ચીન 28 જુલાઈએ પોતાનું રાજકીય સ્ટેન્ડ સ્પષ્ટ કરી દીધું હતું. ચીનના વિદેશમંત્રી વાંગ લીએ તિયાનજિનમાં તાલિબાન નેતા મુલ્લા અબ્દુલ ગની બરાદર સાથે મુલાકાત બાદ કહ્યું હતું કે, 'અફઘાન તાલિબાન એક મહત્ત્વની રાજકીય અને લશ્કરી શક્તિ છે અને દેશમાં શાંતિ અને પુનર્રુત્થાન માટે તેની મહત્ત્વની ભૂમિકાની આશા છે.'
કાબુલ પર તાલિબાનનું નિયંત્રણ સ્થાપિત થયું તેના ચાર જ દિવસ અગાઉ અફઘાનિસ્તાન મામલે રશિયા, ચીન, પાકિસ્તાન અને અમેરિકાના પ્રતિનિધિઓની કતરની રાજધાની દોહામાં બેઠક થઈ. ભારતને આ વાર્તામાં સ્થાન મળ્યું ન હતું.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના ખાસ દૂત જામિર કાબુલોવે એ વખતે નિવેદન આપ્યું હતું કે ભારતનો તાલિબાન પર કોઈ પ્રભાવ નથી એટલે તે વાર્તામાં સામેલ ન થઈ શક્યું.
અધિકારીઓનું કહેવું છે અફઘાનિસ્તાનની બદલાયેલી સ્થિતિ ભારત માટે નવો પડકાર છે. આ નિર્ણયનો સમય છે અને અમેરિકા સાથેના સંબંધોનો વિચાર કર્યા વિના એ જોવું પડશે કે ભારતનો અફઘાનિસ્તાનમાં ફાયદો શું છે અને નુકસાન શું છે. ઉલ્લેખનીય છે કે તાલિબાનના ફરીથી ઉદયને લઈને જર્મન ચાન્સેલર એંગેલા મર્કલે કહ્યું હતું કે, આ કડવું સત્ય છે અને આપણે તેનો મુકાબલો કરવો પડશે.
દિલ્હીની હૉસ્પિટલમાં વૅક્સિનના બન્ને ડોઝ લેનારા 25 ટકા સ્ટાફને કોરોના થયો
દિલ્હીની હૉસ્પિટલમાં વૅક્સિનનો બંને ડોઝ લેનારા સ્ટાફમાંથી 25 ટકા સ્ટાફને કોરોનાનો ચેપ લાગવાની ઘટના બની છે.
'ધ હિંદુ'ના અહેવા મુજબ કુલ 600 વ્યક્તિને ચેપ લાગ્યો છે. જોકે તેમાંથી કોઈને પણ હૉસ્પિટલ જવાની જરૂર નથી પડી.
ભારતમાં અગાઉ પણ આવા અભ્યાસોમાં રસીના બંને ડોઝ લેનારા આરોગ્યકર્મીઓને ચેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું હતું. પણ આ વખતે તેની ટકાવારીનું પ્રમાણ મોટું છે.
દિલ્હીમાં મૅક્સ હૉસ્પિટલમાં આરોગ્યકર્મીઓ પર આ અભ્યાસ કરાયો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જીનોમિક્સ ઍન્ડ ઇન્ટેગ્રેટિવ બાયૉલૉજી (સીએસઆઈઆરઆઈજીઆઈબી)ના વૈજ્ઞાનિકો દ્વારા આ અભ્યાસ કરાયો હતો. તેનો પિયર-રિવ્યૂ થવાનો હજી બાકી છે.
આ લોકોમાં રસીના બંને ડોઝ વચ્ચેનો સમયગાળો અલગ છે, પરંતુ 482ને 42 દિવસમાં રસીનો બીજો ડોઝ મળ્યો હતો. તેમાંથી અર્ધાને પહેલાં કોરોના થઈ ચૂક્યો હતો.
અન્ના હજારેનો ઉદ્ધવ ઠાકરેને સવાલ, દારૂની દુકાનો ખૂલી શકે છે, તો મંદિર કેમ નહીં?
સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ રાજ્યમાં મંદિરોને ફરીથી ન ખોલવાના મહારાષ્ટ્ર સરકારના વલણ પર પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમણે કહ્યુ, કે જો મંદિરો પરથી પ્રતિબંધ હઠાવવા માટે આંદોલન કરવામાં આવશે તો હુ સમર્થન કરીશ.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના રિપોર્ટ અનુસાર હજારેએ ઠાકરે સરકારના મંદિરોને ફરીથી ન ખોલવાના નિર્ણય પર પ્રશ્ન કર્યો અને આ માટે તેમણે દારૂની દુકાનોની બહાર લાગેલી લાંબી લાઇન તરફ ઇશારો કરતા સરકાર પર કટાક્ષ પણ કર્યો.
અહમદનગર જિલ્લાના રાલેગણ સિદ્ધિ ગામમાં હજારેએ કહ્યુ હતું કે, "મંદિરોને ફરીથી ખોલવાની માગ કરનારા કેટલાક લોકોનાં એક પ્રતિનિધિમંડળ સાથે તેમણે મુલાકાત કરી હતી. તેમણે કહ્યુ, રાજ્ય સરકાર મંદિર કેમ ખોલી રહી નથી? લોકો માટે મંદિર ખોલવામાં રાજ્ય સરકારને શું જોખમ છે? જો કોરોના કારણ છે તો પછી દારૂની દુકાનોની બહાર લાંબી લાઇન કેમ છે."
ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી સરકારે કોરોના વાઇરસની સ્થિતિમાં સુધારાને જોતા અમુક રાહતો આપી છે.
જોકે રાજ્ય સરકાર હજુ પણ કોરોના વાઇરસના પ્રસારના ડરથી અને ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાને લઈ ધાર્મિક સ્થળને ફરીથી ખોલવા અંગે ડરી રહી છે. ઉલ્લેખનીય છે કે વિપક્ષ ભાજપે માગ કરી રહી છે કે લોકો માટે મંદિરો ફરીથી ખોલવામાં આવે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો