સ્વતંત્રતાદિવસ પર PM નરેન્દ્ર મોદીનું લાલ કિલ્લા પરથી સંબોધન, 'અમૃત મહોત્સવ'ની ઉજવણી અંગે શું કરી જાહેરાત?

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ભારત પોતાનો 75મો સ્વતંત્રતાદિવસ ઊજવી રહ્યું છે. આ અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. આ દરમિયાન ઑલિમ્પિક રમતોત્સવમાંથી પરત આવેલા ભારતીય વિજેતા ખેલાડીઓનું સ્વાગત કરવાનો કાર્યક્રમ પણ યોજાયો.

કોરોનાની મહામારીને પગલે સ્વતંત્રતાદિવસની તૈયારી અત્યંત સાવધાનીપૂર્વક કરાઈ, જેથી વધારે સંખ્યામાં લોકો એકઠા ન થાય, અને આવું સતત બીજી વખત બન્યું.

ગત વર્ષે પણ સ્વતંત્રતાદિવસે લાલ કિલ્લા પર બહુ ઓછા લોકો હાજર હતા.

દિલ્હીના પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ કહ્યું છે કે સ્વતંત્રતાદિવસને ધ્યાને લેતાં રાજધાનીમાં સુરક્ષાવ્યવસ્થા એકદમ વધારી દેવાઈ છે અને સંવેદનશીલ વિસ્તારોમાં ઍન્ટી-ડ્રોન સિક્યૉરિટી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.

લાલ કિલ્લા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત સંરક્ષણમંત્રી રાજનાથસિંહ, સંરક્ષણ રાજ્યમંત્રી અજય ભટ્ટ અને સંરક્ષણસચિવ અજયકુમાર પણ હાજર હતા.

વડા પ્રધાનના સંબોધનના મુદ્દા

  • જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું હતું ત્યારે ભારતે કોરોનાની રસી બનાવી અને લોકોને રસી મૂકવાનું કામ કર્યું. જો આવું ન કરાયું હોત તો કલ્પના કરી શકાય છે કે ભારતના કેવા હાલ થયા હોત.
  • મહામારી દરમિયાન ભારતે જે રીતે મફતમાં અનાજ આપ્યું, એ વિશ્વમાં ચર્ચાનો વિષય છે.
  • મહામારી દરમિયાન બીજા દેશોની સરખામણીમાં ભારતમાં ઓછા લોકો સંક્રમિત થયા અને આપણે કેટલાય લોકોનો જીવ બચાવી શક્યા.
  • સમૃદ્ધ દેશોની સરખામણીમાં આપણી વ્યવસ્થા ઓછી છે અને વસતી વધારે છે. આપણે હજુ વધારે શ્રેષ્ઠ કામ કરવાનુ છે.
  • અત્યારથી લઈને આઝાદીનાં 100 વર્ષ સુધી ભારત પોતાનો 'અમૃતકાલ ' ઉજવશે. 'અમૃતકાલ ' દેશ માટે નવું લક્ષ્ય છે, જે 25 વર્ષો સુધીનું છે. આ દરમિયાન આપણે દેશનાં વિકાસનાં કામો કરવાનાં રહેશે.
  • 'અમૃતકાલ'નું લક્ષ્ય એક એવા ભારતના નિર્માણનું છે કે જ્યાં સુવિધાનું સ્તર ગામ અને શહેરને વહેંચનારું ન હોય. જ્યાં નાગરિકોના જીવનમાં સરકાર કારણ વગરની દખલ ન દે, જ્યાં વિશ્વનું તમામ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય. આ માટે દેશ તો બદલાશે પણ બદલાઈ રહેલા સમય અનુસાર આપણે પણ બદલાવાનું રહેશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો