You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટોક્યો ઑલિમ્પિકમાં પદક મેળવનારા ભારતીય ખેલાડીઓનું ભવ્ય સ્વાગત
ટોક્યો ઑલિમ્પિકમાં ભારત માટે ચંદ્રકો જીતનારા ખેલાડીઓનું કેન્દ્ર સરકારે સોમવારે ભવ્ય સ્વાગત કર્યું હતું.
આ સમયે ખેલમંત્રી અનુરાગ ઠાકુર અને કિરણ રિજિજુ ખાસ હાજર રહ્યા હતા.
કાંસ્યચંદ્રક જીતનારી હૉકી ટીમ અને ચોથા સ્થાને રહેલી મહિલા હૉકી ટીમના ખેલાડીઓએ સમારોહસ્થળ પર કેક કાપી હતી.
અહીં ગોલ્ડ મેડલ હાંસલ કરનારા નીરજ ચોપરા પર સૌની નજર હતી.
તો વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ અને કુશ્તી ખેલાડી રવિકુમાર દહિયાએ ભારતને રજતચંદ્રક અપાવ્યા છે.
સિંધુ અને ચાનુ આ કાર્યક્રમમાં હાજર રહી શક્યાં નહોતાં, કેમ કે તેઓ અગાઉ જ ભારત આવી ગયાં હતાં.
રાજીવ ગાંધીએ કદી હૉકી નથી ઉઠાવી તો મોદીએ ક્રિકેટમાં શું કરી લીધું છે? - શિવસેના
શિવસેનાએ ભારતના સર્વોચ્ચ ખેલ પુરસ્કારનું નામ બદલવાને લઈને ભાજપ સરકારની આકરી ઝાટકણી કાઢી છે.
શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં કેન્દ્ર સરકાર પર રાજનીતિ કરવાનો અને બદલો તથા દ્વેષની ભાવના રાખવાનો આરોપ મૂક્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે દેશના સર્વોચ્ચ રમતગમત પુરસ્કાર રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કારનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર કરી દેવામાં આવ્યું હતું.
સામનાએ તંત્રીલેખમાં લખ્યું કે "મેજર ધ્યાનચંદનું સન્માન રાજીવ ગાંધીના બલિદાનનું અપમાન કર્યા વિના પણ કરી શકાયું હોત. ભારત પોતાની એ પરંપરા અને સંસ્કૃતિ ખોઈ ચૂક્યું છે. આજે ધ્યાનચંદ પણ એ જ મહેસૂસ કરતા હશે."
આગળ સામના લખે છે કે, "જ્યારે ટોક્યો ઑલિમ્પિકમાં ભારતના પ્રદર્શનની સુવર્ણ પળનો દેશ ઉત્સવ મનાવી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર એક રાજકીય ખેલને અંજામ આપે છે. આ ખેલથી અનેક લોકોનું દિલ દુભાયું છે."
સામનાએ તંત્રીલેખમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર સીધો હુમલો કર્યો છે.
સામનાએ લખ્યું, સરકારનો દાવો છે કે નામ બદલવાનો નિર્ણય જનભાવનાને આધારે લેવામાં આવ્યો પણ તેને લઈને તો કોઈ વિવાદ જ નથી, કેમ કે કૉંગ્રેસ પણ એ જ કરતી હતી.
સામનાએ લખ્યું "અમિત શાહની વાત સાચી છે કે એમના નિવેદન પર ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે ગત 70 વર્ષમાં કૉંગ્રેસની સરકારોએ નહેરુ, ગાંધી, રાવ, મનમોહન, મોરારજી, દેવગૌડા, ગુજરાલ, ચંદ્રશેખર વગેરેનું નામ ચમકાવવાનું કામ કર્યું છે."
આગળ તંત્રીલેખમાં લખાયું છે કે "સરકારો બદલો અને દ્વેષની ભાવનાથી નથી ચાલતી અને એ પણ એક જનભાવના છે જેનું ધ્યાન રાખવું જોઈએ."
નામ બદલવાના તર્ક પર સવાલ કરતાં સામના લખે છે કે "ભાજપના રાજકીય ખેલાડીઓ કહે છે કે રાજીવ ગાંધીએ શું કદી હાથમાં હૉકી પકડી હતી? સવાલ યોગ્ય છે પણ અમદાવાદમાં ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું તો મોદીએ ક્રિકેટમાં પણ કંઈ કમાલ કરેલી છે? અને જ્યારે દિલ્હીમાં સ્ટેડિયમનું નામ અરુણ જેટલી રાખવામાં આવ્યું તો ત્યાં પણ આ માપદંડ લાગુ થઈ શકે છે. લોકો આ સવાલ પૂછી રહ્યા છે."
સામના લખે છે, "ઇંદિરા ગાંધીની હત્યા આતંકવાદીઓએ કરી હતી. રાજીવ ગાંધીનો જીવ પણ આતંકવાદી હુમલામાં ગયો હતો. એમની સાથે વિચારમાં મતભેદ હોઈ શકે, લોકશાહીમાં મતભેદને અવકાશ હોય છે પણ બે વડા પ્રધાનો, જેમણે દેશની પ્રગતિમાં મોટું યોગદાન આપ્યું એમને આ રીતે મજાક ન બનાવી શકાય."
તંત્રીલેખમાં આગળ કહેવાયું છે કે રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કારનું નામ મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર કરવું એ જનભાવના નથી એક રાજકીય ખેલ છે."
કોવિશિલ્ડ અને કોવૅક્સિનનો મિક્સ ડોઝ કેટલો અસરકારક?
કોરોના વાઇરસની બે રસી કોવિશિલ્ડ અને કોવૅક્સિનનો મિક્સ ડોઝનો પ્રયોગ સફળ રહ્યો છે અને તે એક જ રસીના બે અલગ અલગ ડોઝ કરતાં વધારે રક્ષણ આપી શકે છે એમ 'ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ'નું કહેવું છે.
'ધ હિંદુ'ના એક રિપોર્ટ પ્રમાણે કોવિશિલ્ડ અને કોવૅક્સિન બન્ને રસીના ડોઝને મિક્સ કરીને તેના પર પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેમાં સકારાત્મક પરિણામ આવ્યું છે.
આઈસીએમઆર દ્વારા તેની જાણકારી આપવામાં આવી છે.
સંશોધનમાં સામે આવ્યું કે એક ઍડિનોવાઇરસ વૅક્ટર પ્લૅટફૉર્મ આધારિત વૅક્સિનના સંયોજન સાથે રસીકરણ બાદ નિષ્ક્રિય વાઇરસવાળી વૅક્સિન માત્ર સુરક્ષિત જ નહોતી હતી, તેનાથી રોગપ્રતિકારક ક્ષમતા પણ પ્રાપ્ત થઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે 'સૅન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઑર્ગેનાઇઝેશન' (સીડીએસસીઓ)ની કોવિડ-19 પર બનેલી સબ્જેક્ટ ઍક્સપર્ટ કમિટીએ પણ કોવિશિલ્ડ અને કોવૅક્સિન બન્નેને મિક્સ કરીને ટ્રાયલ કરવાની ભલામણ કરી હતી.
આ અભ્યાસ કુલ 98 લોકો પર કરવામાં આવ્યો હતો. 18 લોકોને પહેલાં કોવિશિલ્ડ અને બાદમાં કોવૅક્સિનની રસી અપાઈ હતી. જેમાં એ પરિણામ સામે આવ્યું કે એક જ પ્રકારની રસીના બે ડોઝ કરતાં અલગઅલગ રસીના બે ડોઝ વધારે અસરકારક સાબિત થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે સરકારે બે અલગઅલગ વૅક્સિનના ડોઝ આપવા અંગે હજી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
ટોકિયો ઑલિમ્પિકની પૂર્ણાહુતિ, ભારતનું પર્ફૉર્મન્સ કેવું રહ્યું?
ટોકિયો ઑલિમ્પિક પૂર્ણ થઈ ચૂક્યો છે. રવિવારે એક સમારોહમાં સમયે ઇન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટીના પ્રમુખ થૉમસ બાચે તેની સમાપ્તિની જાહેરાત કરી.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના રિપોર્ટ અનુસાર થૉમસ બાચે કહ્યું હતું કે ઑલિમ્પિકના ઇતિહાસનો આ સૌથી પડકારજનક ઑલિમ્પિક હતો. તેમણે જાપાનના નાગરિકો અને વિશ્વભરના ઍથ્લીટ્સનો આભાર માન્યો હતો.
જાપાનના નાગરિકોએ પણ કોરોનાના કેસમાં મોટો વધારો ન થવાથી રાહતનો દમ લીધો હતો.
જાપાનના વડા પ્રધાન સુગાએ પણ વિશ્વના દેશોનો આભાર માન્યો છે.
ટોકિયો ઑલિમ્પિકમાં ભાગ લેનારા 205 દેશો અને રૅફ્યુજી ટીમમાંથી 93 દેશોને એકંદરે એક મેડલ મળ્યો જ છે.
ટોકિયો ઑલિમ્પિકમાં અમેરિકા 39 ગોલ્ડ સાથે મેડલની યાદીમાં મોખરે રહ્યું છે, જ્યારે ચીન 38 સાથે બીજા ક્રમે છે. ભારત 1 ગોલ્ડ, બે સિલ્વર, ચાર બ્રોન્ઝ સાથે 48મા ક્રમે રહ્યું છે.
ઑસ્ટ્રેલિયાનાં મહિલા સ્વિમર ઍમ્પા મૅકેઓન 4 ગોલ્ડ અને 3 બ્રૉન્ઝ સાથે સૌથી વધુ મેડલ જીતનાર ખેલાડી બન્યાં છે.
પૂર્ણાહુતિ સમારંભમાં ભારતીય કાફલાનું નેતૃત્વ પહેલવાન બજરંગ પુનિયાએ કર્યું હતું.
હવે 2024નો ઑલિમ્પિક પેરિસમાં યોજાશે. વર્ષ 2028માં ઑલિમ્પિક લોસ એન્જલસમાં અને 2032માં બ્રિસ્બેનમાં યોજાશે છે.
ઉલ્લેખનીય છે કે 2034ના ઑલિમ્પિક માટે ભારતમાંથી અમદાવાદ શહેર અને નવી દિલ્હી દાવેદારી કરશે એવી ચર્ચા થઈ રહી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો