You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યેદિયુરપ્પાનું કર્ણાટકના મુખ્ય મંત્રીપદેથી રાજીનામું, મોદી-શાહ અંગે શું કહ્યું?
બીએસ યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપી દીધું છે.
તેમણે રાજભવન જઈને રાજ્યપાલ થાવરચંદ ગહેલોત સાથે મુલાકાત કરી અને પોતાનું રાજીનામું સોંપી દીધું.
યેદિયુરપ્પાએ જણાવ્યું કે તેમનું રાજીનામું સ્વીકારી લેવાયું છે.
આ પહેલાં કર્ણાટકના મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરતી વખતે લાગણીસભર અવાજમાં યેદિયુરપ્પાએ કહ્યું હતું, "મને કોઈ દુખ નથી, હું આ આનંદથી કરી રહ્યો છું."
તેમણે આ જાહેરાત કર્ણાટકમાં એમની સરકારનાં બે વર્ષ પૂર્ણ થવાની ઉજવણી પ્રસંગે વિધાનસભાના બૅન્ક્વેટ હૉલમાં કરી હતી.
એમણે કહ્યું, "વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર માનવા માટે મારી પાસે શબ્દો નથી. એમણે મને રાજ્યની સેવા કરવાની તક આપી. હું એમની ઇચ્છાઓ પૂર્ણ કરીશ અને બાકી લોકો સાથે મળીને પાર્ટી માટે કામ કરીશ."
ઉલ્લેખનીય છે કે અગાઉ એમણે કહ્યું હતું કે તેઓ રાજીનામું આપવા અંગે પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વના ફોનની રાહ જોઈ રહ્યા છે.
એમણે કહ્યું હતું કે કેન્દ્રીય નેતૃત્વને આપેલા વચન અનુસાર તેઓ બે વર્ષ બાદ થનારી ચૂંટણીમાં પાર્ટીને સત્તામાં પરત લાવવા માટે કામ કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લદ્દાખમાં ભારતીય સરહદમાં ચીનના તંબૂઓ
પૂર્વ લદ્દાખના ડેમચોકમાં ચારડિંગ નાળાની ભારતીય સરહદની અંદર ચીનના તંબૂઓ જોવા મળ્યા છે.
'ઇન્ડિયન એક્સપ્રેસ' વરિષ્ઠ સરકારી અધિકારીઓને ટાંકીને લખે છે કે ચીનના તંબૂ ભારતની સરહદની અંદર જોવા મળ્યા છે.
અધિકારીઓએ આ તંબૂમાં રહેતા લોકોને 'કથિત નાગરિક' ગણાવ્યા છે અને કહ્યું છે કે ભારતે એમને પાછા વળી જવા કહ્યું છે પરંતુ તેઓ હજી પણ તંબૂઓમાં જ છે.
ડેમચોક એ વિસ્તાર છે જ્યાં અગાઉ પણ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું.
1990ના દાયકામાં ભારત-ચીનની સંયુક્ત સમિતિની બેઠકોમાં બેઉ પક્ષો એ વાત પર સહમત થયા હતા કે ડેમચોક અને ટ્રિગ હાઇટ્સ વાસ્તવિક નિયંત્રણરેખા પરનાં વિવાદિત સ્થળો છે.
નકશાઓના આદાનપ્રદાન બાદ જે વિસ્તારોને લઈને બેઉ પક્ષોનો અલગ મત છે તેની ઓળખ કરવામાં આવી હતી. આ જ આધારે વાસ્તવિક નિયંત્રણરેખાનાં 10 અન્ય ક્ષેત્રોની પણ ઓળખ કરવામાં આવી હતી.
ગત વર્ષે ભારત અને ચીન વચ્ચે સરહદી વિવાદ શરૂ થયો અને હિંસક ઘર્ષણ થયું એ બાદ પાંચ વિવાદિત બિંદુઓ પૂર્વ લદ્દાખમાં ચિહ્નિત કરવામાં આવ્યાં છે.
અધિકારીઓ અનુસાર તેમાં ગલવાન ખીણમાં કેએમ120, શ્યોક સુલા ક્ષેત્રમાં પીપી15 અને પીપી17એ, રેચિન લા અને રેઝાંગ લાનો સમાવેશ થાય છે.
ચીન સોમવારે કોર કમાન્ડર સ્તરની વાર્તાનો પ્રસ્તાવ મુક્યો હતો પરંતુ ભારતે 26 જુલાઈએ કારગિલ વિજયદિવસને ધ્યાને લઈને તેને અમુક દિવસ માટે સ્થગિત કરવાનું કહ્યું હતું.
અખબાર સૂત્રોને ટાંકીને લખે છે આ વાર્તા ઑગસ્ટના પ્રથમ અઠવાડિયામાં થઈ શકે છે.
મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી 149 લોકોનાં મૃત્યુ, અનેક લાપતા
મહારાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે અત્યાર સુધીમાં કમ સે કમ 149 લોકો મૃત્યુ પામ્યાં છે અને અનેક લોકો લાપતા છે, બીજી તરફ રવિવારે હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનને કારણે નવ લોકોએ જીવ ગુમાવ્યો છે.
મહારાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે અનેક સ્થળોએ જનજીવન ખોરવાયું છે અને નેશનલ ડિઝાસ્ટર રીલિફ ફોર્સની 34 ટીમો બચાવકાર્યમાં લાગેલી છે.
સાંગલી, સતારા, રત્નાગિરિ, ઠાણે અને કોલ્હાપુર વિસ્તાર સૌથી વધારે પ્રભાવિત છે અને સવા લાખથી વધારે લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો