મહારાષ્ટ્ર : અનિલ દેશમુખને EDનું સમન્સ, બે સાથીઓની ધરપકડ - Top News

ઇમેજ સ્રોત, FACEBOOK/ANIL DESMUKH
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને સાંકળતા કથિત 100 કરોડના લાંચકેસમાં ઍન્ફૉર્સમેન્ટ ડિરેક્ટોરેટે દેશમુખના બે સાથીની મની લૉન્ડરિંગ મામલે ધરપકડ કરી છે અને અનિલ દેશમુખને પણ સમન્સ પાઠવ્યું છે.
'એનડીટીવી'ના રિપોર્ટ મુજબ ઈડીએ કહ્યું કે, દેશમુખના પર્સનલ સેક્રેટરી સંજીવ પલાંદે અને પર્સનલ આસિસ્ટન્ટ કુંદન શિંદેની ધરપકડ કરવામાં આવી છે. પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ હેઠળ નવ કલાકની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે.
એજન્સીએ બંને પર આરોપ લગાવ્યો કે તેઓ તપાસ અને પૂછપરછમાં સહકાર નહોતા આપી રહ્યા.
ઉલ્લેખનીય છે કે મુંબઈના પોલીસ કમિશનર પરમબીર સિંહે ગત 20 માર્ચના રોજ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખી અનિલ દેશમુખ પર 100 કરોડની લાંચનો આરોપ મૂક્યો હતો. અનિલ દેશમુખે આ આરોપ નકારી કાઢ્યો હતો.
એ મામલે સીબીઆઈ તપાસ પણ ચાલી રહી છે.

ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વૅરિએન્ટના બે દરદી સાજા થયાં, મહારાષ્ટ્રમાં પહેલું મોત નોંધાયું

ઇમેજ સ્રોત, Getty images
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર ગુજરાતમાં કોરોના વાઇરસના ડેલ્ટા પ્લસ વૅરિયન્ટના બે કેસ નોંધાયા હતા. જેને પગલે ચિંતાઓ વધી હતી કેમ કે કોરોનાના આ પ્રકારને જોખમી ગણવામાં આવી રહ્યો છે.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં સુરત અને વડોદરામાં એક-એક કેસ નોંધાયો હતો. જોકે ગુજરાત સરકારે સ્પષ્ટતા કરી છે કે બંને દરદી સાજા થઈ ગયા છે. બે મહિના પહેલા આ કેસ નોંધાયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહેવાલ અનુસાર સુરતમાં એક એમબીબીએસના બીજા વર્ષના વિદ્યાર્થી અને વડોદરામાં એક મહિલાને કોરોનાના ડેલ્ટા પ્લસ વૅરિએન્ટનું સંક્રમણ થયું હતું. બંને સ્વસ્થ થઈ ગયા છે.
તેમના પરિવારોના ટેસ્ટ પણ નૅગેટિવ રહ્યા છે અને તેમને કોઈ લક્ષણો નહોતાં. વડોદરાનાં મહિલાની ટ્રાવેલ હિસ્ટ્રી મહારાષ્ટ્રની હતી.
બીજી તરફ મહારાષ્ટ્ર સરકારે પુષ્ટિ કરી છે કે રાજ્યમાં ડેલ્ટા પ્લસ વૅરિએન્ટનું પહેલું મોત નોંધાયું છે. ભારતમાં 10 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વૅરિએન્ટના 48 કેસ નોંધાયા છે, જ્યારે 174 જિલ્લાઓમાં ડેલ્ટાના કેસો નોંધાઈ ચૂક્યા છે. જે રાજ્યોમાં આ વૅરિયન્ટના કેસ નોંધાયા છે તેમને ઍલર્ટ રહેવા કેન્દ્ર સરકારે આપી છે.
ડેલ્ટા પ્લસ વૅરિયન્ટ B.1.162.2.1ના નમૂના એપ્રિલમાં પૂણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરલૉજીમાં મોકલાયા હતા. તેનું સંપૂર્ણ જિનોમ સિક્વસિંગનું પરિણામ હવે બહાર આવ્યું છે.

દિલ્હીના ઑક્સિજન સંકટ મામલે સુપ્રીમ કોર્ટની પૅનલ વચ્ચે મતભેદ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
દિલ્હીમાં એપ્રિલથી મે મહિના દરમિયાન સર્જાયેલી કોરોના વાઇરસની બીજી લહેરના સમયે જે મેડિકલ ઑક્સિજનનું સંકટ સર્જાયું હતું તેના ઑડિટ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા એક કમિટિ રચવામાં આવી હતી.
પરંતુ 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ મુજબ આ કમિટિમાં સભ્યો વચ્ચે વચગાળાના રિપોર્ટ મુદ્દે મતભેદો સર્જાયા છે.
કમિટિમાં એઇમ્સ (ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ)ના ડિરેક્ટર રણદીપ ગુલેરિયા, જલશક્તિ મંત્રાલયના સંયુક્ત સચિવ સુબોધ યાદવ અને કંટ્રોલર ઑફ એક્સપ્લૉઝિવ, ડૉ. સંજય કુમાર સિંઘ તથા દિલ્હીના ગૃહ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી બીએસ ભલ્લા અને મેક્સ હેલ્થકેરના ક્લિનિકલ ડાયરેક્ટર (ઇન્ટરનલ મેડિસિન) સંદીપ બુધીરાજા કમિટિમાં સામેલ છે.
આ સમિતિએ સુપ્રીમ કોર્ટને તેનો ઑડિટ રિપોર્ટ સોંપી દીધો છે અને તેમાં કહેવાયું છે કે દિલ્હીની કેજરીવાલ સરકારે મેડિકલ ઑક્સિજનની જરૂર અથવા માગ કરતાં ચાર ગણો વધારે ઑક્સિજન માગ્યો હતો. આને લઈને ભાજપ અને કૉંગ્રેસે કેજરીવાલ સરકારની ટીકા કરી છે.
જોકે બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વળતા જવાબમાં કહ્યું કે,'જ્યારે તમે રેલીઓ કરી રહ્યાં હતા ત્યારે હું રાતદિવસ જાગીને 2 કરોડ લોકો માટે ઑક્સિજનની વ્યવસ્થા કરી રહ્યો હતો.'
આ સમગ્ર મામલે વિવાદ એ પણ થયો છે કે જે સમિતિએ રિપોર્ટ આપ્યો છે તેના બે સભ્યો બીએસ ભલ્લા અને સંદીપ બુધીરાજા અનુસાર વચગાળાનો રિપોર્ટ તેમની અંતિમ મંજૂરી અને નોંધ લીધા વગર જ સોંપી દેવાયો હતો અને તે અપૂર્ણ માહિતીને આધારે તૈયાર થયો છે.

કોરોનાથી થયેલા મૃત્યુના વળતર અને સારવાર માટેની સહાય પર ઇન્કમ ટૅક્સ નહીં લાગશે

ઇમેજ સ્રોત, Getty Images
કેન્દ્ર સરકારે કોરોના વાઇરસની સારવાર માટે મળેલી નાણાકીય સહાય પર ઇન્કમટૅક્સમાં રાહતની જાહેર કરી છે. વળી મૃતકને મળેલા વળતર માટે પણ આ છૂટ આપવામાં આવે છે.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના રિપોર્ટ મુજબ જો કંપની તરફથી નાણાકીય સહાય મળી હોય તો તેને અપર લિમિટમાં છૂટ આપવામાં આવશે જ્યારે જો સહાય અન્ય સ્રોતથી મળી હોય તો 10 લાખ સુધીની છૂટ આપવામાં આવશે.
નાણાકીય વર્ષ 2020 અને ત્યાર બાદના વર્ષોમાં જો વ્યક્તિને કંપની તરફથી કે અન્ય સ્રોત મારફતે કોવિડ સારવાર માટે સહાય મળી હોય તો તેની આવકવેરામાં છૂટ આપવાનો નિર્ણય કરાયો છે. એવું સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ વિભાગે જાહેર કર્યું છે.
સાથે જ પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક કરવાની સમયમર્યાદા લંબાવીને 30 સપ્ટેમ્બર કરી દેવાઈ છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો























