બાબા કા ઢાબાવાળા કાંતા પ્રસાદ બેભાન અવસ્થામાં હૉસ્પિટલમાં દાખલ, પોલીસ તપાસ ચાલુ

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

દક્ષિણ દિલ્હીના માલવિયાનગર વિસ્તારમાં 'બાબા કા ઢાબા' નામથી પોતાની દુકાન ચલાવતા કાંતા પ્રસાદને બેભાન અવસ્થામાં હૉસ્પિટલમાં દાખલ કરાયા છે.

દક્ષિણ દિલ્હીના ડીસીપી અતુલ ઠાકરે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે કાંતા પ્રસાદને ગુરુવારે રાતે દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં ભરતી કરાયા છે.

તેમણે કહ્યું, "તેમને બેભાન અવસ્થામાં હૉસ્પિટલ લવાયા હતા. તેમના પુત્રનું નિવેદન લેવાઈ રહ્યું છે અને તપાસ ચાલુ છે." પોલીસનું કહેવું છે કે કાંતા પ્રસાદે ઊંઘની ગોળી સાથે દારૂ પીધો હતો.

ગત વર્ષે સાત અને આઠ ઑક્ટોબરે સોશિયલ મીડિયામાં એક વૃદ્ધ દંપતીનો વીડિયો વાઇરલ થયો હતો.

આ વીડિયોમાં 'બાબા કા ઢાબા' નામથી ફૂડ સ્ટૉલ ચલાવતા વૃદ્ધ દંપતી કાંતા પ્રસાદ લૉકડાઉનને કારણે કમાણી ન થતા પોતાનું દર્દ જણાવી રહ્યા હતા.

કાંતા પ્રસાદ વીડિયો રોતાંરોતાં પોતાની વ્યથા કહેતા હતા. આ વીડિયો વાઇરલ થયા બાદ લોકોએ આ દંપતીની ઘણી મદદ કરી હતી.

80 વર્ષીય કાંતા પ્રસાદે જણાવ્યું હતું કે તેઓ અને તેમનાં પત્ની ઘણી મહેનત કરે છે, પણ ચાર કલાકમાં તેઓ માત્ર 50 રૂપિયા જ કમાઈ શક્યા છે. તેમની હાલત બહુ ખરાબ છે.

વીડિયો વાઇરલ થતા લોકો આ વૃદ્ધ દંપતીની મદદ કરવાની અપીલ કરવા લાગ્યા હતા. જોતજોતાં તેમના ઢાબા પર લોકોની ભીડ જમા થઈ હતી અને લોકો 'બાબા કા ઢાબા' પર ગયાની તસવીર અને વીડિયો શૅર કરવા લાગ્યા હતા.

આ વીડિયોને સ્ટ્રીટ ફૂડ પર વીડિયો બનાવનારા યૂટ્યૂબર ગૌરવ વાસને બનાવ્યો હતો.

સોશિયલ મીડિયામાં વાઇરલ આ વીડિયો અનેક નામીઅનામી લોકોએ શૅર કર્યો હતો અને મદદની અપીલ કરી હતી. બાબા કા ઢાબા પર લોકોની ભીડ જામી અને કાંતા પ્રસાદને ઘણી આર્થિક મદદ પણ મળી.

આરોપ-પ્રત્યારોપ અને સ્પષ્ટતા

આ મામલે નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે કાંતા પ્રસાદે આરોપ લગાવ્યો કે તેમને મળેલા ડોનેશનમાં યૂટ્યૂબર ગૌરવ વાસને હેરફેર કરી છે.

તેમની તેની પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. જોકે ગૌરવ વાસને ડોનેશનમાં હેરાફેરીનો ઇનકાર કર્યો હતો. તેમનું કહેવું હતું કે ડોનેશનમાં મળેલા બધા પૈસા કાંતા પ્રસાદને આપી દીધા હતા.

બાદમાં વૃદ્ધ દંપતીની આર્થિક સ્થિતિમાં સુધારો થયો. કાંતા પ્રસાદે કહ્યું હતું કે પહેલાં દિવસમાં 250-300 રૂપિયાની કમાણી થતી હતી, હવે પાંચથી છ હજાર રૂપિયા સુધી કમાઈ લઈએ છીએ.

યૂટ્યૂબ ગૌરવ વાસન સાથે વિવાદ બાદ કાંતા પ્રસાદે માલવિયનગરમાં જ એક રેસ્ટોરાં ખોલી હતી. પણ એ ચાલી નહીં એ બે મહિનામાં જ આ વર્ષે ફેબ્રુઆરી તેને બંધ કરી દીધી હતી.

કાંતા પ્રસાદનું કહેવું હતું કે રેસ્ટોરાં ચલાવવામાં તેમને આર્થિક નુકસાન થતું હતું.

આ દરમિયાન તેમણે ગૌરવ વાસન સાથે સલાહ-સ્પષ્ટતાની વાત પણ કરી હતી અને કહ્યું હતું કે તેમણે ગૌરવ વાસન પર કોઈ આરોપ લગાવ્યા નહોતા. તેમની કાગળ પર સહી પણ કરાવી લીધી હતી.

થોડા સમય પહેલાં ગૌરવ વાસન લાંબા સમય બાદ કાંતા પ્રસાદને મળવા પહોંચ્યા હતા અને કૅમેરા સામે બાબાએ ગૌરવને ગળે મળ્યા અને રોયા પણ. ગૌરવ વાસને પણ કહ્યું હતું કે હવે તેઓ પાછળની વાત ભૂલી ગયા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો