કોરોના : બાળકોને થઈ રહેલી MIS-C નામની 'નવી બીમારી' શું છે?

    • લેેખક, પ્રશાંત ચહલ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

ચાર વર્ષના અમનને ઉતાવળમાં ગાઝિયાબાદ (ઉત્તર પ્રદેશ)ની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. ડૉક્ટરોનું કહેવું હતું કે "સમય વેડફ્યા વિના તેને સારવાર માટે આ બાળકોના આઈસીયુમાં ભરતી કરવો પડશે."

ડૉક્ટરોને અમનના રિપોર્ટ્સમાં કેટલીક અસામાન્ય ગરબડ જોવા મળી, જેનાથી તેઓ ચિંતિત હતા.

અમનનાં માતા પૂજા જણાવે છે, "તેમના પુત્રને અંદાજે બે અઠવાડિયાથી સામાન્ય તાવ (લગભગ 99 ડિગ્રી) હતો, આંખોમાં ખંજવાળની ફરિયાદ હતી અને હૉસ્પિટલ પહોંચતાં પહેલાં તેણે પેટમાં દર્દની ફરિયાદ કરી. આ સિવાય તેની અન્ય ગતિવિધિઓ સામાન્ય હતી અને શારીરિક રીતે કોઈ સમસ્યા જોવા નહોળી મળતી."

પણ જ્યારે હૉસ્પિટલમાં અમનના પિતા સૂરજને ડૉક્ટરોએ જણાવ્યું કે 'એક સંક્રમણને કારણે તેમના પુત્રના હૃદયના એક ભાગમાં સોજો (ઇનફ્લેમેશન) આવી ગયો છે', તો તેઓ હેરાન થઈ ગયા.

ડૉક્ટરોનું કહેવું છે કે "અમનને એમઆઈએસ-સી નામની સમસ્યા છે."

દુનિયાની સૌથી જાણીતી મેડિકલ જર્નલોમાંથી એક 'ધ લૅન્સેટ' અનુસાર, બાળકોમાં થનારી 'મલ્ટિસિસ્ટમ ઇનફ્લામેટ્રી સિન્ડ્રોમ' એટલે કે એમઆઈએસ-સી એક એવો ગંભીર રોગ છે, જેને હાલમાં કોવિડ-19 (સાર્સ-કોવિડ-2) સાથે જોડીને જોવામાં આવે છે.

વ્યાવસાયે અધ્યાપક સૂરજનો આખો પરિવાર અમનના બીમાર પડ્યા પહેલાં કોરોના વાઇરસથી સંક્રમિત થયો હતો.

મેના બીજા અઠવાડિયામાં આખા પરિવારે સારવાર બાદ પોતાનો આઇસોલેશનનો સમય પૂરો કર્યો અને બધા કોવિડની તપાસમાં નૅગેટિવ આવ્યા.

કોરોના સંક્રમણ દરમિયાન પરિવારના બાકી સભ્યોથી અલગ અમનની આંખોમાં ઇન્ફેક્શનની સાથે કોઈ ગંભીર લક્ષણો નહોતાં.

અમનનો આરટી-પીસીઆર રિપોર્ટ નૅગેટિવ હતો, પણ ઍન્ટીબૉડી ટેસ્ટમાં અમનના શરીરમાં પર્યાપ્ત માત્રામાં કોવિડના ઍન્ટિબૉડી મળ્યા હતા.

અમનની સારવાર કરતા નવજાત તેમજ બાળરોગનિષ્ણાત ડૉક્ટર અજિતકુમારે જણાવ્યું કે "અમનનો ઈસીજી ખરાબ હતો. તેનો ઈકો (હૃદયની તપાસ) રિપોર્ટ પણ સારો નહોતો."

"કેટલાક હેલ્થ માર્કર પણ ખસી ગયેલા હતા, જેમાં આ ઉંમરમાં અચાનક ગરબડ થવી અસામાન્ય વાત છે."

છેલ્લા કેટલાક દિવસોમાં કેસ વધ્યા

ડૉક્ટર અજિતે જણાવ્યું, "જેમજેમ લોકો કોરોનાથી સાજા થઈ રહ્યા છે, બાળકોમાં એમઆઈએસ-સીના કેસ વધી રહ્યા છે. આ મુખ્યત્વે કોરોના સંક્રમણ બાદની પરિસ્થિતિ છે. જોકે બાળકોમાં એમઆઈએસ હજુ પણ રેર છે."

"પણ જે બાળકોને થઈ રહ્યો છે, તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, કેમ કે આ વખતની લહેરમાં કોરોના સંક્રમણનું ઘનત્વ ઘણું વધુ રહ્યું, માટે બાળકોના કેસ પણ મોટી સંખ્યામાં આવ્યા છે."

ડૉક્ટર અજિતકુમારની હૉસ્પિટલમાં બાળકો માટે છ આઈસીયુ બેડ છે અને મોટા ભાગનામાં એમઆઈએસ-સીના દર્દી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હી રાજધાની ક્ષેત્રમાં અત્યાર સુધીમાં આ બીમારીના લગભગ 200 કેસ નોંધાયા છે.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, ભારતનાં અલગઅલગ રાજ્યોમાં બાળકોમાં થઈ રહેલા મલ્ટિસિસ્ટમ ઇનફ્લેમેટ્રી સિન્ડ્રોમને લઈને ચિંતા છે.

આ અંગે ઇન્ડિયન એકૅડેમી ઑફ પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેરે જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં એમઆઈએસ-સીના મામલા વધ્યા છે.

સંસ્થાન અનુસાર, એમઆઈએસ-સીના કેસમાં અચાનક ઉછાળો આવ્યો છે, જેમાં 4થી 18 વર્ષનાં એ બાળકો પણ પ્રભાવિત છે, તેમને કોરોના થઈ ચૂક્યો છે.

જોકે કેટલાક કેસમાં છ મહિનાનાં બાળકોમાં પણ આ બીમારીની અસર જોવા મળી છે.

કેવી રીતે કરવી એમઆઈએસ-સીની ઓળખ?

અમેરિકન સંસ્થા સેન્ટર્સ ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિન્વેશન (સીડીસી) મે 2020થી આ બીમારી પર અધ્યયન કરી રહી છે.

સીડીસી અનુસાર, એમઆઈએસ-સી એક રેર (ઓછી થનારી) પણ ખતરનાક બીમારી છે, જેને કોવિડ-19થી જોડીને જોવામાં આવે છે.

અમેરિકન સંસ્થા અનુસાર, આ બીમારીથી બાળકોનાં હૃદય, ફેફસાં, કિડની, આંતરડાં, મગજ અને આંખો પણ અસર થઈ શકે છે.

અમેરિકન શોધકર્તાઓ અનુસાર, એમઆઈએસ-સી થવા પર કેટલાંક બાળકોમાં ગરદનનું દર્દ, શરીર પર દાણા નીકળવા, આંખો લાલ થવી અને સતત થાક જેવી ફરિયાદો પણ જોવા મળી છે.

સંસ્થા અનુસાર, એ ધ્યાન આપવાની બાબત છે કે બધાં બાળકોમાં એમઆઈએસ-સીનાં લક્ષણો એક જેવાં હોય એ જરૂર નથી.

અમેરિકામાં જૂન 2020થી આ બીમારીના ઘણા કેસ સામે આવી ચૂક્યા છે.

'શરૂઆત નાનાંનાનાં લક્ષણોથી થાય છે'

દુનિયાની સૌથી જાણીતા મેડિકલ જર્નલ ધ લૅન્સેટે પોતાના રિપોર્ટમાં લખ્યું, "શોધકર્તાઓએ જાણ્યું કે આ બીમારી બાદ હૉસ્પિટલમાં રહેવાનો સરેરાશ સમય 7થી 8 દિવસનો રહ્યો."

"બધાં બાળકોને તાવ હતો. અંદાજે 73 ટકા બાળકોને પેટમાં દર્દ કે ડાયેરિયાની ફરિયાદ હતી અને 68 ટકા બાળકોને ઊલટીઓ પણ થતી હતી."

દુનિયાની અન્ય મોટી સંસ્થાઓ દ્વારા બતાવેલાં લક્ષણો સહિત બ્રિટનની જાણીતા મેડિકલ જર્નલ ધ બીએમજેએ કન્ઝક્ટિવાઇટિસ એટલે કે આંખોના સંક્રમણને પણ એમઆઈએસ-સીનું મુખ્ય લક્ષણ માન્યું છે.

ધ બીએમજે- દુનિયાની સૌથી જૂની મેડિકલ જર્નલોમાંથી એક છે.

તેના રિપોર્ટ અનુસાર, ઘણી વાર એમઆઈએસ-સીના લક્ષણ કાવાસાકી (એક પ્રકારનો રોગ) ડિસીઝને મળતા આવતા હોવાથી આ બંને બીમારીઓને જોડીને પણ જોવામાં આવે છે.

પણ એમઆઈએસ-સી એક અલગ રોગ છે.

એમઆઈએસ-સીના રોગીઓમાં હૃદય અને આંતરડાં સંબંધિત પરેશાનીઓ દેખાઈ રહી છે, જે કાવાસાકી ડિસીઝનાં લક્ષણોથી અલગ છે.

શોધકર્તાઓ અનુસાર, એમઆઈએસ-સી એક પ્રોગ્રેસિવ (સતત વધતી) બીમારી છે, જેની શરૂઆત નાનાંનાનાં લક્ષણોથી થાય છે, પણ સારવાર વિના બહુ ઝડપથી ફેલાય છે અને થોડા જ દિવસોમાં ઘણાં અંગો અસરગ્રસ્ત થઈને એકસાથે કામ કરવાનું બંધ કરી શકે છે.

બાળકોમાં આ બીમારીની કેટલી અસર?

અમેરિકન સંસ્થા સીડીસીના શોધકર્તા હજુ સુધી એ માહિતી નથી મેળવી શક્યા કે કયાં બાળકોમાં આ બીમારી વધુ થઈ રહી છે અને કેમ થઈ રહી છે.

જોકે જે બાળકોમાં એમઆઈએસ-સીનાં લક્ષણો જોવાં મળ્યાં છે, તે કાં તો ક્યારેક કોવિડ-19થી અસરગ્રસ્ત હતાં અથવા તો એમના સંપર્કમાં હતા, જેમને કોવિડ-19 થયો હતો.

સીડીસીના શોધકર્તાઓએ કહ્યું કે "હજુ સુધી એ જણાવી શકાતું નથી કે કઈ પૂર્વ બીમારીવાળાં બાળકોને તેનાથી સૌથી વધુ ખતરો હોઈ શકે છે, કયા પ્રકારના સ્વાસ્થ્યવાળા બાળકોને તેનાથી ખતરો છે અને કોને એમઆઈએસ-સી થવા પર પહેલાં સારવાર આપવી જોઈએ અને કોના પર વધુ ધ્યાન રાખવાની જરૂર છે."

જોકે લૅન્સેટના શોધકર્તાઓએ એમઆઈએસ-સીથી પીડિત કેટલાંક બાળકોનું અધ્યયન કરીને એ બતાવવાની કોશિશ ચોક્કસ કરી છે કે આ બીમારી કેવી રીતે અસર કરે છે.

વૅન્ટિલેટરની જરૂર

લૅન્સેટ દ્વારા કરાયેલી શોધમાં જાણવા મળ્યું કે આ બીમારીના શિકાર થયેલાં બધાં બાળકોના સીઆરપી અને ઈએસઆર જેવા લોહીના પ્રાથમિક તપાસના રિપોર્ટ ખરાબ આવ્યા હતા. તેમજ ઘણાં બાળકોને ડી-ડાઇમર (લોહીમાં ગાંઠા થઈ જવાની તપાસ) અને હૃદય સંબંધિત તપાસના રિપોર્ટ પણ ખરાબ આવ્યા હતા.

આ અધ્યયન દરમિયાન શોધકર્તાઓને જાણવા મળ્યું કે લગભગ 54 ટકા બાળકોનો ઈસીજી (હૃદયની તપાસ) રિપોર્ટ પણ સારો નહોતો.

લૅન્સેટના રિપોર્ટ અનુસાર, એમઆઈએસ-સીનો શિકાર થયેલાં 22 ટકા બાળકોને વૅન્ટિલેટરની જરૂર પડી અને જે બાળકોમાં એમઆઈએસ-સીની પુષ્ટિ થઈ, તેમાંથી 71 ટકાને ઇન્ટેન્સિવ કૅર યુનિટ (આઈસીયુ)માં ભરતી કરવા પડ્યાં.

તો એમઆઈએસ-સીનો ભોગ બનેલાં બાળકોમાંથી 1.7 ટકા બાળકોનાં મોત થયાં.

લૅન્સેટ અનુસાર, એમઆઈએસ-સી સંભવિત રૂપે એક ઘાતક બીમારી છે, પણ સમય પર ઓળખ અને યોગ્ય ઉપચારથી મોટાં ભાગનાં બાળકોને બચાવી શકાય છે. જોકે આ બીમારીનાં દીર્ઘકાલીન પરિણામ હજુ ખબર નથી.

એમઆઈએસ-સીનાં જોખમને કેવી રીતે ઘટાડવાં?

ઇન્ડિયન એકૅડેમી ઑફ પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેરનું પણ માનવું છે કે યોગ્ય સમયે બીમારીનું રિપોર્ટિંગ અને સમયસર સારવાર મળે તો એમઆઈએસ-સીનું જોખમ ઘણું ઓછું કરી શકાય છે.

મેડિકલ જર્નલ 'ધ બીએસજે' અનુસાર, એમઆઈએસ-સીથી પીડિત મોટાં ભાગનાં બાળકોની સારવાર 'ઇન્ટ્રાવેનસ ઇમ્યુનોગ્લોબ્યુલિન' અને સ્ટેરૉઇડ્સના માધ્યમથી કરવામાં આવે છે. જોકે આ સારવાર બાળકો પર કેટલી અનુકૂળ અસર કરે છે, તેના અંગે બહુ જાણકારી ઉપલબ્ધ નથી.

પણ આ સમસ્યામાં લક્ષણોની સાચી ઓળખના મહત્ત્વને સમજાવતા ઇન્ડિયન એકૅડેમી ઑફ પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેરે કહ્યું કે જે માતાપિતા, ખાસ કરીને કોરોના સંક્રમિત થયેલા પરિવારે પોતાનાં બાળકોમાં એમઆઈએસ-સી જેવાં લક્ષણો જોવાં મળે તો તેમણે ડૉક્ટરો સાથે આ અંગે વાત જરૂર કરવી જોઈએ.

સંસ્થા અનુસાર, ઓછી કિંમતે થનારી તપાસો, જેમ કે સીવીસી, ઈએસઆર અને સીઆરપીના માધ્યમથી તેને જાણી શકાય છે. ગરીબ પરિવારો સીઆરપી જેવા અન્ય કરતાં સસ્તા ટેસ્ટની મદદથી તેની જાણ કરાવી શકે છે.

બાળરોગનિષ્ણાત ડૉક્ટર અજિતકુમાર અનુસાર, હવે અમન ખતરાથી સંપૂર્ણ બહાર છે. તેને હૉસ્પિટલમાંથી રજા અપાઈ છે. જોકે તેને કેટલાક સમય સુધી દવા પર રહેવું પડશે. જોકે અમનના કેસમાં ડૉક્ટરોની મોટી ચિંતા હવે ખતમ થઈ ગઈ છે.

ડૉક્ટર અજિતકુમાર કહે છે કે "અમનનું યોગ્ય સમયે હૉસ્પિટલ પહોંચવું તેના માટે લાભદાયી રહ્યું. નહીં તો પછી અંગોમાં લોહી જમા થવાની ફરિયાદો થવા લાગે છે, જેની સામે લડવું મુશ્કેલ થઈ જાય છે."

"એવું જોવા મળ્યું છે કે એવી સ્થિતિમાં અમે 100થી કોઈ બાળકને ગુમાવી દઈએ છીએ."

ઇન્ડિયન એકૅડેમી ઑફ પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર અનુસાર, ભારતમાં 26 ટકા વસ્તી 14 વર્ષની વયની છે અને તેમાંથી અડધી વસ્તીની ઉંમર પાંચ વર્ષથી ઓછી છે.

કેટલાક વિશેષજ્ઞોએ એવું કહ્યું કે ભારતમાં કોરોના વાઇરસની ત્રીજી લહેર સંભવિત રીતે આ વર્ગ (બાળકો)ને વધુ અસર કરી શકે છે. એવામાં બાળરોગનિષ્ણાતો બાળકોનાં લક્ષણો પર ખાસ ધ્યાન આપવાનું બહુ જરૂરી માને છે.

(અહીં અમન એક બદલેલું નામ છે. પરિવારના કહેવા પર આ રિપોર્ટમાં તેમની ગોપનીયતા જાળવી રાખી છે)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો