You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા મોકૂફ, કોને મળશે માસ પ્રમોશન?
કેન્દ્ર સરકારની જેમ ગુજરાત સરકારે પણ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ હાલ પૂરતી સ્થગિત કરી દીધી છે.
ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓ 10મેથી 25મે સુધી યોજાવાની હતી. જેને કોરોના વાઇરસની કથળતી સ્થિતિને જોતાં સ્થગિત કરી દેવામાં આવી છે.
હવે રાજ્યની રૂપાણી સરકાર આગામી 15મેના રોજ ફરીથી કોરોના વાઇરસની સ્થિતિની સમીક્ષા કરશે અને ત્યારબાદ પરીક્ષાઓ યોજવી કે નહીં અથવા તેને રદ કરવા અંગે નિર્ણય કરશે.
જો ફરીથી પરીક્ષાઓ યોજવામાં આવશે તો વિદ્યાર્થીઓને તેની તૈયારી માટે ઓછામાં ઓછો 15 દિવસનો સમય આપવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ પરીક્ષા માટે પૂરતા તૈયાર થઈ શકે.
આ સાથે રાજ્યમાં 1થી 9 અને 11માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે. એટલે કે આ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની જરૂરિયાત નથી. તેમને સીધા તે પછીના ધોરણમાં મોકલી દેવામાં આવશે.
ગુજરાતમાં કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે. જેને જોતાં યુનિવર્સિટીઓમાં એપ્રિલ મહિના પૂરતું ઑફલાઇન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે.
ઉપરાંત ચાર મહાનગરોમાં શાળાઓ બંધ કરવાની ફરજ પડી છે. ઘણી શાળાઓમાં એક સાથે ઘણા કોરોના વાઇરસના કેસ આવતા તેને બંધ કરવાની સ્થિતિ પેદા થઈ હતી.
પરીક્ષા લઈ ન શકાય તેવી સ્થિતિ પેદા થતાં રાજ્ય સરકારે હાલ આ નિર્ણય કર્યો છે. આ પહેલાં કેન્દ્રીય શિક્ષણ વિભાગે સીબીએસઈની 10ની અને 12ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકે સોશિયલ મીડિયા પર આ મામલે જાણકારી આપી હતી. 10 ધોરણનું પરિણામ ઇન્ટરનલ એસેસ્ટમેન્ટ એટલે કે બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા નિયમોના આધાર પર આપવામાં આવશે.
બીજી તરફ ધોરણ 12ની પરિક્ષાને હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. તેના માટે હવે આવનારા સમયમાં નિર્ણય કરવામાં આવશે. તેના વિશે મંત્રાલય તરફથી એવું કહેવામાં આવ્યું છે કે એક જૂને ફરી સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે.
સીબીએસઈની પરીક્ષાઓ 4 મેથી 14 જૂન વચ્ચે યોજાવાની હતી.
બીજી તરફ કોરોનાના વધતા મામલાની વચ્ચે મધ્ય પ્રદેશમાં પણ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પાછળ ઠેલવામાં આવી છે. મધ્ય પ્રદેશના શિક્ષણ વિભાગના કહેવા પ્રમાણે આ પરીક્ષાઓને એક મહિના માટે પાછળ ઠેલવામાં આવી છે.
દેશમાં વધી રહેલા કોરોના વાઇરસના કેસને જોતાં ઘણા રાજ્યોમાંથી સીબીએસઈની પરીક્ષાઓ રદ કરવાની માગ ઊઠી હતી. આશરે 30 લાખ વિદ્યાર્થીઓ સીબીએસઈની પરીક્ષા આપવાના હતા.
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ પરીક્ષાઓ રદ કરવાની માગ કરી હતી, જ્યારે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ પણ પરીક્ષાઓ રદ કરવા માટે માગ કરી હતી. ગુજરાતમાં પણ કેટલાક વાલીઓ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવાની માગ કરી રહ્યા હતા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો