કોલકાતાની રેલવે ઑફિસમાં આગ, ફાયર બ્રિગેડના ચાર જવાનો સહિત સાતનાં મૃત્યુ

પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં પૂર્વ રેલવેની ન્યૂ કોઇલાઘાટ ઑફિસમાં આગ લાગતાં સાત લોકોનાં મૃત્યુ થયાં છે. મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે. આ ઑફિસ સ્ટ્રેંડ રોડ પર છે.

મૃતકો પૈકી 4 ફાયર બિગ્રેડના જવાનો, એક રેલવે સુરક્ષા દળ (આરપીએફ)ના જવાન, કોલકાતા પોલીસનો આસિસ્ટન્ટ સબ-ઇન્સપેક્ટર (એએસઆઈ) અને એક લિફ્ટમૅન છે.

ફાયર બિગ્રેડના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સોમવારે રાત્રે ઇમારતના 13મા માળે આગ લાગી હતી.

આગને ઓલવવા માટે ફાયર બિગ્રેડના કર્મચારીઓ લિફ્ટનો ઉપયોગ કરી 12મા માળ સુધી પહોંચ્યા હતા પરંતુ આગ અને ધુમાડાના કારણે બેભાન થઈ ગયા અને મૃત્યુ પામ્યા.

ઘટનાની જાણ થતાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. તેમની સાથે મંત્રી સુજિત બાસુ સહિત પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

મમતા બેનરજીએ મૃતકોના પરિવારજનોને દસ લાખ રૂપિયા વળતર અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી હતી.

સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ મમતા બેનરજીએ કહ્યું કે આ ભારતીય રેલવેની મિલ્કત છે. આ તેમની જવાબદારી છે પણ હજુ સુધી અમને ઇમારતનો મૅપ આપવામાં આવ્યો નથી.

રેલવે મંત્રી પીયૂષ ગોયલે પણ ટ્વીટ કરીને ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે કોલકાતાના સ્ટ્રેંડ રોડમાં પૂર્વ રેલવેની ઑફિસમાં આગની ઘટનામાં મૃતકોના પરિવારના સભ્યો પ્રતિ હું સંવેદના પાઠવું છું

હાલમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો