સિનેમાહૉલમાં વધારે લોકોને છૂટ, સ્વિમિંગ-પૂલ તમામ માટે ખુલ્લા : કેન્દ્રની નવી ગાઇડલાઇન - BBC TOP NEWS

ઇમેજ સ્રોત, getty images
એનડીટીવીના અહેવાલ અનુસાર કેન્દ્ર સરકારે કોરોના વાઇરસ નેપગલે લદાયેલા પ્રતિબંધો સંદર્ભે નવી ગાઇડલાઇન જાહેર કરી છે.
નવી ગાઇડલાઇન પ્રમાણે સિનેમાહૉલ અને થિયેટરમાં અત્યાર સુધી 50 ટકા વ્યક્તિઓને બેસવાની કૅપેસિટી હતી, જેની જગ્યાએ વધારે લોકોને બેસાડી શકાશે.
આ ઉપરાંત કેન્દ્ર સરકારે સ્વિમિંગ-પૂલને તમામ લોકો માટે ખોલી નાખ્યા છે, તેના માટે ફરીથી એસઓપી જાહેર કરાઈ છે.
કેન્દ્ર સરકારની પ્રેસનોટમાં કહેવામાં આવ્યું છે, "સામાજિક, ધાર્મિક, રમત, મનોરંજન, શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે હૉલની કૅપિસિટીના 50 ટકા લોકોને બોલાવવાની પરવાનગી હતી, જ્યારે બંધ જગ્યામાં 200 લોકોના એકઠા થવાની પરવાનગી હતી."
"જ્યારે હવે કાર્યક્રમમાં કેટલાં લોકોને બોલાવવા તે રાજ્ય સરકારનો નિર્ણય રહેશે."
એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા પર કોઈ પ્રકારના પ્રતિબંધ નથી. તમામ પ્રકારના ઍક્ઝિબિશન હૉલને મંજૂરી આપી દેવાઈ છે. આ ગાઇડલાઇનનો અમલ પહેલી ફેબ્રુઆરીથી કરાશે.

સાંકળથી બાંધી રાખેલા અંધ વ્યક્તિનું દીપડાના હુમલોથી મૃત્યુ

ઇમેજ સ્રોત, getty images
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર અમરેલી જિલ્લાના ધારી તાલુકાના અમૃતપુર ગામમાં સાંકળથી બાંધી રાખેલી અંધ વ્યક્તિ પર દીપડાએ હુમલા કરતા તેમનું મૃત્યુ થયું છે.
ગીર ફોરેસ્ટના ઇસ્ટ ડિવિઝનના ડેપ્યુટી કન્ઝર્વેટર અંશુમન શર્માએ કહ્યું હતું કે પ્રાથમિક તપાસમાં ખ્યાલ આવ્યો છે કે દીપડાના હુમલામાં પીડિત મૃત્યુ પામ્યા છે અને પ્રાણી શરીરના અમુક ભાગોને ખાઈ ગયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પીડિત મનુભાઈ સાવલિયા બાળપણથી જ અંધ હતા. મનુભાઈ તેમના ભાઈઓ સાથે કુચ્ચા શેડમાં રહેતા હતા. તેઓને લર્નિંગ ડિફિકલ્ટિસ હતી અને લોકોને બચકાં ભરતા હતા. જેના કારણે પરિવાર તેમના હાથ બાંધી રાખતો હતો.
અધિકારીએ કહ્યું, "તેમના દેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને અમે દીપડાને પકડવા પાંજરા મૂક્યા છે."
પોલીસ સુપરિન્ટેન્ડન્ટ નિર્લિપ્ત રાયે કહ્યું કે અમે આકસ્મિક ગુનાનો કેસ નોંધ્યો છે અને માણસને બાંધવામાં આવ્યો હતો કે નહીં તેની તપાસ કરી રહ્યા છે. પોસ્ટમૉર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. જે નક્કી કરશે કે હકીકતમાં બાંધ્યા હતા કે નહીં. જો અમને પુરાવા મળશે તો ગેરકાયદેસર અટકાયતનો કેસ દાખલ કરીશું.

કોરોના વાઇરસની રસી લીધા પછી નવ વ્યક્તિઓનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images
સ્ક્રોલ ડૉટ ઇનના અહેવાલ અનુસાર ભારતમાં 12 દિવસથી રસીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને અત્યાર સુધીમાં નવ હેલ્થ વર્કરનાં મૃત્યુ થયાં છે.
આ મૃત્યુ ઉત્તર પ્રદેશ, કર્ણાટકા, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, તેલંગણા, ગુરુગ્રામ અને ઑરિસ્સામાં થયાં છે. મૃત્યુ પામેલા પૈકી છ પુરુષ અને ત્રણ મહિલા છે, જેમની ઉંમર 27થી 56 વર્ષની વચ્ચે છે.
કોરોના વાઇરસની રસી લીધાના 24 કલાકથી શરૂ કરીને પાંચ દિવસની અંદર હૃદય અને રક્તવાહિનીઓમાં સમસ્યાના કારણે અથવા બ્રેઇન સ્ટોકના કારણે મૃત્યુ પામ્યા છે.
આ તમામ લોકોએ કોવિશિલ્ડ વૅક્સિન લીધી હતી.
સ્ક્રોલમાં આ લેખ ઇન્ડિયન જર્નલ ઑફ મેડિકલ એથિક્સના કન્સલ્ટિંગ એડિટર સંધ્યા શ્રીનિવાસન, એડિટર અમર જેસાની અને કન્ટ્રીયાર્ડ ઍટર્નીના ઍટર્ની વીના જોહરીએ લખ્યો છે.
તેમણે લેખમાં માગ કરી છે કે આ નવ લોકોનાં મૃત્યુની તપાસનું સ્ટેટસ, તપાસમાં મળેલી બાબતો અને ક્યા પ્રકારની કાર્યવાહી કરાઈ છે, તેની વિગતો જાહેર કરાય.
તેમણે એમ પણ કહ્યું છે કે સરકારે કહ્યું છે કે વૅક્સિનના કારણે મૃત્યુ થયું નથી, પરંતુ કેમ થયું અને તપાસની વિગતો આપો.

ટિકટોકની કંપની બાઇટડાન્સ ભારતમાંથી બે હજાર માણસોની નોકરી છૂટી શકે છે
લાઇવ મિન્ટના અહેવાલ અનુસાર ટિક્ટોક ચલાવતી ચીનની ઇન્ટરનેટ કંપની બાઇટડાન્સે બુધવારે ભારતમાં સ્ટાફ ઘટાડવાની જાહેરાત કહી હતી.
ટિકટોક અને બીજી 58 ચાઇનીઝ કંપનીઓ પર જૂન મહિનામાં સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. કંપનીઓ સરકારને કન્વિન્સ કરવામાં નિષ્ફળ જતાં તેમણે આ પ્રતિબંધને લંબાવ્યો હતો.
ટિકટોકની સાથે સરકારે બાઇટડાન્સની બીજી ઍપ હેલો પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
ટિકટોકના વચગાળાના આંતરાષ્ટ્રીય હેડ વીના પાપ્પાસે કંપનીના કર્મચારીઓને કહ્યું હતું કે તમે જોઈ રહ્યા છો કે, આ નિર્ણય કરવો સરળ નથી.
તેમણે કહ્યું, "છેલ્લા ઘણા સમયથી આપણું મૅનેજમૅન્ટ કંપનીમાંથી કોઈને છૂટા ન કરવા પડે, તે માટે કામ કરી રહ્યું હતું. અમે ખર્ચમાં ઘટાડો કર્યો, અમે હાલ પણ લાભ આપી રહ્યા છે, છતાં જ્યારે આપણી ઍપ ચાલી ન રહી હોય ત્યારે આપણે સંપૂર્ણ સ્ટાફ રાખી નહીં શકીએ."
ટિકટોકે હાલ કહ્યું નથી કે તે કેટલા કર્મચારીઓને કાઢશે પરંતુ બે હજારથી વધારે કર્મચારીઓને છૂટા કરે તેવી સંભાવના છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો























