સુરત : રસ્તે સૂતેલા મજૂરો પર ટ્રક ફરી વળતા 13નાં મૃત્યુ, PMOની રૂ. 2 લાખ ની સહાય

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

સુરતના કીમ ચાર રસ્તા નજીક માંડવી રોડ પર મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો જેમાં 15 લોકોનાં મૃત્યુ થયાં. જેમાં 7 મહિલા, 7 પુરુષ અને એક બાળકનો સમાવેશ થાય છે.

રાત્રે શેરડીના ટૅક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં બેકાબૂ બનેલો ટ્રક રસ્તા પર સૂતેલા મજૂરો પર ફરી વળ્યો હતો.

આ અકસ્માત અંગે સુરત જિલ્લાના નાયબ પોલીસ અધીક્ષક સી. એમ. જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે સોમવારની રાત્રે કીમ માંડવી રોડ પર અકસ્માત સર્જાયો છે.

પોલીસે વધુમાં જણાવ્યું બેકાબૂ બનેલો ટ્રક 18 લોકો પર ફરી વળ્યો હતો જેમાં 15 લોકોનાં મૃત્યુ થયાં. મૃતકોમાં એક બાળકીનો પણ સમાવેશ થાય છે.

આ સિવાય 6 મજૂરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે જેમને તાત્કાલિક દવાખાને ખસેડવામાં આવ્યા છે.

પોલીસે જણાવ્યું કે આ તમામ મજૂરો રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના કુશલગઢના રહેવાસી છે.

ગુજરાતમાં થયેલી દુર્ઘટના પછી સ્થાનિક સરપંચને ફોન પર સૂચના મળી હતી.

બાંસવાડા ક્લેક્ટર અંકિત કુમાર સિંહે જયપુરના બીબીસીના સહયોગી મોહર સિંહ મીણાને કહ્યું, "સુરતમાં મૃત્યુ પામેલાં મજૂરોના પોસ્ટમૉર્ટમ થઈ રહ્યા છે. અમે કુશલગઢથી ગ્રામ વિકાસ અધિકારી, નાણાં અધિકારી, મુખ્ય કાર્યકારી અધિકારી અને સરપંચને ગુજરાત રવાના કર્યા છે."

ક્લેક્ટર અંકિત કુમારનું કહેવું છે કે મુખ્ય મંત્રી સહાયતા કોષમાંથી મૃતકના પરિવારોને બે લાખ રૂપિયા અને ઘાયલને પચાસ હજાર રૂપિયાની આપવાની જાહેરાત કરી છે.

ગુજરાત સાથે જોડાયેલી રાજસ્થાનની સરહદના બાંસવાડા, ડુંગરપુરમાંથી મોટી સંખ્યામાં લોકો રોજગારી માટે ગુજરાત આવે છે. આ મજૂર પણ ગુજરાતમાં લાંબા સમયથી કામ માટે ગયા હતા.

આ અંગે વડા પ્રધાન કાર્યાલયે ટટ્વીટ કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સાથે જ આર્થિક સહાયની પણ જાહેરાત કરી.

ઉપરાંત મૃતકોને પ્રધાન મંત્રી રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરાઈ છે.

આ સાથે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ મૃતકોને બે લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો