You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વૅક્સિન : 'નરેન્દ્ર મોદી કોરોનાની પહેલી રસી લે' એવી માગ કેમ થઈ રહી છે? - સોશિયલ
સોમવારે વડા પ્રધાન મોદીએ કોરોના વાઇરસના રસીકરણના પ્રથમ તબક્કાની શરૂઆતને લઈને રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે કરેલી વાતચીતમાં કહ્યું હતું કે 16 જાન્યુઆરીથી સમગ્ર દેશમાં કોરોના વૉરિયર્સને પ્રથમ તબક્કામાં કોરોનાની રસી આપવામાં આવશે.
એક અંદાજ પ્રમાણે પ્રથમ તબક્કામાં ત્રણ કરોડ જેટલા હૉસ્પિટલોમાં કાર્યરત્ લોકો, પોલીસકર્મી, સફાઈકર્મી અને સુરક્ષાદળોના જવાનોને રસી આપવામાં આવશે. જેનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે તેવી જાહેરાત પણ વડા પ્રધાને સોમવારે કરી હતી.
એક તરફ ઘણા લોકો સરકાર દ્વારા પહેલાં કોરોના વૉરિયર્સને રસી આપવાના સરકારના નિર્ણયનું સ્વાગત કરી રહ્યા છે તો બીજી તરફ સોશિયલ મીડિયા પર ઘણા યુઝરો વડા પ્રધાન મોદીને કોરોનાની રસી પહેલાં આપવામાં આવે તેવી માગ સાથે પોસ્ટ કરી રહ્યા છે.
ઘણા લોકો વડા પ્રધાન મોદીને દેશ માટે મહત્ત્વપૂર્ણ ગણાવીને આ માગ કરી રહ્યા છે તો કેટલાક યુઝર કટાક્ષમાં પણ વૅક્સિનનો પહેલો ડોઝ વડા પ્રધાન પર ટેસ્ટ કરવામાં આવે અને પછી બધાને અપાય તેવી માગ કરી રહ્યા છે.
નોંધનીય છે કે અમુક દિવસ પહેલાં બિહારના રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજ પ્રતાપ યાદવ અને બિહાર કૉંગ્રેસના નેતા અજિત શર્માએ પણ સૌપ્રથમ વડા પ્રધાન મોદી કોરોનાની રસી મુકાવવાની સલાહ આપી હતી.
અખબારી અહેવાલો પ્રમાણે બંને રાજનેતાઓએ રસીની સુરક્ષા અંગે લોકોના મનમાં રહેલી શંકાઓ દૂર કરવાના અનુસંધાને વડા પ્રધાન મોદીએ લોકોનો વિશ્વાસ સંપાદિત કરવા માટે પહેલા પોતે રસી મુકાવવી જોઈએ તેવાં નિવેદનો આપ્યાં છે.
સોશિયલ મીડિયામાં ઊઠી રહી છે માગ
કૉંગ્રેસના નેતા સુરેન્દ્ર રાજપૂતે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્વિટર પર પોસ્ટ મૂકીને લખ્યું હતું કે, “જો બાઇડનની જેમ સ્વદેશી ભારત બાયોટૅક દ્વારા વિકસિત કોવૅક્સિનનો પ્રથમ ડોઝ જાતે લેવો જોઈએ. આપણા વડા પ્રધાન દેશ માટે મહત્ત્વપૂર્ણ છે, આવો માગ ઉઠાવીએ. #પહેલા_ટિકા_મોદી_કો.”
નોંધનીય છે કે સુરેન્દ્ર રાજપૂત પણ કૉંગ્રેસના નેતા હોઈ તેમણે કટાક્ષમાં જ આ વાત કહી હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેમણે વડા પ્રધાનને આગળ આવી પોતે રસીનો પ્રથમ ડોઝ લઈ લોકોનાં મનમાંથી ભય કાઢવાનો પ્રયત્ન કરવા કહ્યું હોવાનું મનાઈ રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સિવાય ટ્વિટર પર ઘણા લોકો # પહેલા_ટીકા_મોદી_કો સાથે ટ્વીટ કરી રહ્યા છે.
જે પૈકી મોટા ભાગના લોકો કટાક્ષમાં વડા પ્રધાનને પહેલા કોરોનાની રસી આપવાની વાત કરી મજાક ઉડાવી રહ્યા છે.
જોકે, અમુક યુઝર વડા પ્રધાનના કામની સરાહના કરવા માટે પણ #પહેલા_ટિકા_મોદી_કો સાથે ટ્વીટ કરી રહ્યા છે.
આશુ નામના એક યુઝરે #પહેલા_ટિકા_મોદી_કો સાથે ટ્વીટ કર્યું અને લખ્યું કે, “આ ટ્રેન્ડને જોઈને ભક્તોની કંઈક આવી હાલત થશે.”
રાઘવેન્દ્ર યાદવ નામના એક યુઝરે પણ મજાક કરતી તસવીર સાથેના પોતાના ટ્વીટમાં વડા પ્રધાનને કોરોનાની રસી પહેલા આપવાની વાત રજૂ કરી છે.
કમલા મીના નામનાં એક યુઝરે પણ #પહેલા_ટિકા_મોદી_કો ટ્રેન્ડ પર મજાકીયા ટ્વીટ કરતાં લખ્યું કે, “મોદીજી આપ રસી મુકાવો, થાળી-તાળી અમે વગાડીશું.”
રમણ હંસપાલ નામના એક યુઝરે # પહેલા_ટીકા_મોદી_કો સાથે ટ્વીટ કરતાં લખ્યું કે, “વડા પ્રધાને લૉકડાઉન દરમિયાન દેશ માટે ઘણું કર્યું છે તેથી તેમને કોરોનાની રસી પ્રથમ મૂકવી જોઈએ.”
રાજકીય હસ્તીઓએ પણ કરી માગ
અગાઉ લાલુ પ્રસાદના મોટા દીકરા અને RJD નેતા તેજ પ્રતાપ યાદવે સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, “વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલાં જાતે રસી મુકાવવી જોઈએ, પછી અમે પણ મુકાવીશું.”
નોંધનીય છે કે વિરોધપક્ષના અનેક નેતાઓ દ્વારા પહેલા વડા પ્રધાન અને સરકારના ટોચના અધિકારીઓને રસી અપાવવી જોઈએ તેવી માગ ઉઠાવવામાં આવી છે.
આ માગ પાછળ તેઓ લોકોનાં મનમાં કોરોનાની રસીને લઈને રહેલા ભયને કારણભૂત ગણાવી રહ્યા છે.
આ સિવાય બિહાર કૉંગ્રેસના નેતા અજિત શર્માએ પણ વડા પ્રધાન અને ભાજપના ટોચના નેતાઓને પહેલા કોરોનાની રસી આપવામાં આવે તેવી માગ કરી છે, જેથી લોકોનાં મનમાં રહેલો વૅક્સિન અંગેનો ભય દૂર થઈ શકે.
હિંદુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ અનુસાર તેમણે કહ્યું કે, “રશિયા અને અમેરિકાના રાષ્ટ્રપતિઓની જેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અન ભાજપના ટોચના નેતાઓએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ જાતે મુકાવવો જોઈએ, જેથી લોકોના મનમાં રહેલી કુશંકાઓ દૂર થઈ શકે.”
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો