ભારત ઉગ્રવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટને પ્રોત્સાહન આપે છે - ઇમરાન ખાન - BBC TOP NEWS

ઇમરાન ખાન

ઇમેજ સ્રોત, EPA

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ભારત પર આરોપ લગાવતા કહ્યું છે કે ભારત સાંપ્રદાયિકતાને હવા આપીને પાકિસ્તાનમાં અરાજકતા પેદા કરવાના ઇરાદાથી આઈએસઆઈએસને મદદ કરી રહ્યું છે.

પાકિસ્તાનની સરકારી રેડિયો સેવા પ્રમાણે ઇમરાન ખાને ઇસ્લામાબાદમાં પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું કે પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓએ ભારતના સાંપ્રદાયિકતા ફેલાવવાના મનસૂબાને નિષ્ફળ કરી દીધા છે.

ઇમરાન ખાને કહ્યું કે આ અગાઉની સરકારોએ બલુચિસ્તાનમાં જેટલું ધ્યાન આપવાની જરૂર હતી, એટલું ધ્યાન આપ્યું નથી.

તેમનો દાવો છે કે તેમની સરકારે બલુચિસ્તાનની સામાન્ય જનતાના જીવનસ્તરને ઉપર ઉઠાવવા માટે બલુચિસ્તાનના સામાજિક-આર્થિક વિકાસ પર ધ્યાન આપ્યું છે.

line

બાલાકોટ હુમલામાં 300 લોકો મર્યા હતા : પાક.ના પૂર્વ ડિપ્લોમૅટ

ફાઇટર જેટ

ઇમેજ સ્રોત, Getty Images

એનડીટીવી ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર, પાકિસ્તાનના પૂર્વ રાજદ્વારીએ ખુલાસો કર્યો છે કે ભારતના બાલાકોટ હુમલામાં 300 લોકો માર્યા ગયા હતા.

ભારતે આ કાર્યવાહી પુલવામા હુમલાના થોડા દિવસો બાદ કરી હતી.

પાકિસ્તાનના પૂર્વ રાજદ્વારી, જે હંમેશાં પાકિસ્તાન ફોજની તરફેણ કરતા હોય છે, તેમણે આ વાત કરી છે.

આ પાકિસ્તાનના એ દાવાથી ઊલટ છે, જેમાં કહેવાયું હતું કે બાલાકોટ ઍરસ્ટ્રાઇકમાં એક પણ શખ્સનું મૃત્યુ થયું નહોતું.

પાકિસ્તાનના પૂર્વ રાજદ્વારી આગા હિલાલીએ એક ન્યૂઝચૅનલના શોમાં સ્વીકાર કર્યો કે "26 જાન્યુઆરી, 2019માં થયેલી બાલાકોટ ઍરસ્ટ્રાઇકમાં 300 આતંકીઓ માર્યા ગયા હતા."

ભારતીય વાયુસેનાએ જ્યારે ખૈબર પખ્તુનખ્વાહ પ્રાંતમાં આવેલા બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનાં આતંકી ઠેકાણાંઓ પર હવાઈ હુમલો કર્યો હતો, ત્યારે પાકિસ્તાને એ જગ્યા પર આતંકીઓની ઉપસ્થિતિનો ઇન્કાર કર્યો હતો.

આ હુમલામાં કોઈના પણ માર્યા જવાની પુષ્ટિ પણ નહોતી કરી.

line

પાકિસ્તાનમાં એકાએક અંધકાર

પાકિસ્તાન

ઇમેજ સ્રોત, EPA

પાકિસ્તાનમાં શનિવારે મોડી રાતે અચાનક આખા દેશમાં વીજળી ગૂલ થઈ ગઈ છે.

ઊર્જામંત્રાલયે ટ્વિટરના માધ્યમથી સૂચના આપી કે પાવર ટ્રાન્સમિશન સિસ્ટમની ફ્રિકવન્સીમાં અચાનક 50થી 0નો ઘટાડો થતાં દેશવ્યાપી બ્લૅકઆઉટ થઈ ગયું છે.

મંત્રાલય અનુસાર આ તકનીકી ખામી 11.41 વાગ્યે થઈ હતી.

મંત્રાલય અનુસાર તેનું કારણ જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સાથે જ મંત્રાલયે આ દરમિયાન લોકોને સંયમ રાખવાનું પણ કહ્યું છે.

સામાન્ય લોકોના કહેવા અનુસાર કરાચી, ઇસ્લામાબાદ, લાહોર, પેશાવર, રાવલપિંડી સમેત દેશનાં લગભગ મુખ્ય શહેરમાં વીજળી ગૂલ થઈ ગઈ છે.

જોતજોતામાં આ સમાચાર પાકિસ્તાનના પડોશી દેશોમાં પણ ફેલાઈ ગયા અને પાકિસ્તાનની જેમ ભારતમાં પણ #blackout ટ્રેન્ડ કરવા લાગ્યું છે.

line

વધુ એક ખેડૂતે જીવ ગુમાવ્યો

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, PANKAJ NANGIA/ANADOLU AGENCY VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

નવા કૃષિકાયદાની વિરુદ્ધમાં દિલ્હીની સરહદે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર, વધુ એક ખેડૂતે પોતાનો જીવ ગુમાવ્યો છે.

ફતેહાબાદ સાહિબના રહેવાસી અમરિન્દરને ખેડૂતનેતા બલદેવસિંહ સિરસા પોતાની સાથે હૉસ્પિટલ લાવ્યા હતા, પણ તેમને બચાવી શકાયા નહોતા.

અહેવાલ અનુસાર, સિંઘુ બૉર્ડર પર પંજાબના અમરિન્દરસિંહે શનિવારે ઝેર ખાધું હતું. બાદમાં તેમને સોનીપતની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

કહેવાય છે કે મરતાં પહેલાં અમરિન્દરે પોતાના સાથીઓને જણાવ્યું હતું કે સરકાર આપણી વાત સાંભળતી નથી, આથી હું મારો જીવ આપી રહ્યો છું, જેથી આ આંદોલન સફળ થઈ શકે.

ઉલ્લેખનીય છે કે ખેડૂતો અને સરકાર વચ્ચે આઠ તબક્કામાં બેઠક થઈ છે, પણ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.

line

રૂપાણી અને વડા પ્રધાનને જમીનના કાયદા મામલે પત્ર

વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાત સરકારના પૂર્વ સરકારી અધિકારી કે.જી. વણઝારાએ ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતના જમીન અંગેના નવા કાયદા મામલે એક પત્ર લખ્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર તેઓએ પત્રમાં લખ્યું કે લાગુ થયેલા નવા કાયદાનો ભૂમિહીન કે બેઘર લોકો સામે દુરુપયોગ થઈ શકે છે. તેઓ પત્રમાં જે કાયદાની વાત કરી રહ્યા છે તે ગુજરાત લૅન્ડ ગ્રેબિંગ ઍક્ટ -2020ની છે. જેને સરકારે ગત ડિસેમ્બર મહિનામાં લાગુ કર્યો છે.

કે.જી. વણઝારા નિવૃત્ત આઈપીએસ અધિકારી ડી.જી. વણઝારાના ભાઈ છે.

તેઓએ આ પત્ર 8 જાન્યુઆરી, 2021ના રોજ લખ્યો છે અને કાયદામાં યોગ્ય સુધારો કરવાની વાત કરી છે.

અમદાવાદના ગુલબાઈ ટેકરા અને ગાંધીનગરમાં ઇન્દિરા બ્રિજ નજીકની ઝૂંપડપટ્ટીનો દાખલા આપતાં તેમણે કહ્યું કે "ઘણા દાયકાઓથી આ સ્થળોએ રહેતા રહેવાસીઓ સામે સિવિલ અને ગુનાહિત બંને કેસ દાખલ કરી શકાય છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં અંદાજે 80 લાખ લોકો ઘરવિહોણા છે."

પત્રમાં જણાવ્યું છે કે, "આવા હજારો લોકો નવા કાયદાના દાયરામાં આવશે."

line

ક્વીન ઍલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપને કોરોનાની રસી અપાઈ

ક્વીન ઍલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપ

ઇમેજ સ્રોત, PA Media

ઇમેજ કૅપ્શન, ક્વીન ઍલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપ

બ્રિટનમાં બકિંઘમ પૅલેસનું કહેવું છે કે ક્વીન ઍલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપને કોરોના વાઇરસની રસી આપવામાં આવી છે.

બકિંઘમ પૅલેસ અનુસાર, ક્વીન ઇચ્છતાં હતાં કે તેમને કોરોનાની રસી અપાઈ છે એ વાતની બધાને ખબર પડે, જેથી અટકળો પર રોક લગાવી શકાય.

ક્વીન ઍલિઝાબેથ 94 વર્ષનાં છે, જ્યારે પ્રિન્સની ઉંમર 99 વર્ષની થઈ છે.

બ્રિટનમાં લગભગ 15 લાખ લોકોને અત્યાર સુધીમાં કોરોના વાઇરસની રસીનો એક ડોઝ આપવામાં આવ્યો છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો