You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રશિયામાં કોરોના વાઇરસથી આ વર્ષે 80 ટકા મૃત્યુ થયાં - BBC TOP NEWS
રશિયાના નાયબ વડા પ્રધાન તાતિયાના ગોલિકોવાએ કહ્યું કે આ વર્ષે રશિયામાં જે સૌથી વધારે મૃત્યુ થયાં છે, તેમાં 80 ટકા મૃત્યુ કોરોનાથી થયા છે.
રૉસસ્ટેટ સ્ટેટેસ્ટિક્સ એજન્સીના અહેવાલ અનુસાર ગત વર્ષ (2019)ની સરખામણીમાં આ વર્ષે (2020) જાન્યુઆરીથી નવેમ્બરની વચ્ચે રશિયામાં બે લાખ 30 હજાર લોકોનાં મૃત્યુ થયાં છે.
આ તાજા આંકડા પ્રમાણે રશિયામાં કોરોના વાઇરસથી મૃત્યુ પામનારાઓની સંખ્યા એક લાખ 86 હજાર થઈ ગઈ છે.
રશિયાએ હાલ સુધી અધિકૃત રીતે કોરોના વાઇરસથી મૃત્યુ પામનારની સંખ્યા 55 હજાર દર્શાવી હતી. આનો અર્થ થાય કે રશિયામાં કોરોના વાઇરસના કારણે આનાથી ત્રણ ગણા લોકોનાં મૃત્યુ થયાં છે.
અમેરિકા અને બ્રાઝીલમાં કોરોનાથી સૌથી વધારે મૃત્યુ થયાં છે.
રશિયાએ સ્પુટનિક-V નામની કોરોના વાઇરસની વૅક્સિન બનાવવાનો દાવો કર્યો છે અને લોકોને વૅક્સિન આપવાનું શરૂ પણ કરી દીધું છે.
અમદાવાદમાં મુસ્લિમો કોરોનાની રસીના સર્વેક્ષણમાં સહયોગ નથી કરી રહ્યા?
ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર અમદાવાદની જમાલપુર-ખાડીયા બેઠક પરથી કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કહ્યું છે, "મુસ્લિમ સમુદાય રસીકરણના સર્વેને લઈને સહજ નથી."
તેમનું કહેવું છે કે "સમુદાયના લોકોનાં મનમાં વિચાર છે કે જ્યારે રાજ્યના CM, ધારાસભ્યો અને સાંસદો આગળ આવીને રસીકરણમાં ભાગ નથી લઈ રહ્યા તો તેમને કેમ રસીકરણ માટે દબાણ કરાઈ રહ્યું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે કે "રસીના બંધારણ કે બનાવટના કારણે સમુદાયના લોકો રસીકરણના સર્વેક્ષણ અંગે અસહજ છે તેવું નથી. લોકો ઇચ્છે છે કે રસીકરણની શરૂઆત ટોચ પર બેઠેલા લોકોથી થાય, નહીં કે નીચેના સ્તરના લોકોથી."
ઇન્ડિયન એક્સપ્રેસે આરોગ્ય વિભાગના સૂત્રોને ટાંકીને લખ્યું છે, "હવે જ્યારે કોરોના માટેના રસીકરણ માટેના સર્વેક્ષણનું અડધું કાર્ય સમાપ્ત થઈ ગયું છે ત્યારે બીજા તબક્કામાં શહેરના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં રસીકરણના સર્વેક્ષણના કામ પર ભાર મૂકવામાં આવશે."
"જેમાં બહેરામપુરા, દાણીલીમડા, જમાલપુર, વટવા, રખિયાલ, ગોમતીપુર, સરખેજ-જુહાપુરા, રાયખડ, કાલુપુર, ગિરધરનગર, દરિયાપુર અને શાહપુર કેન્દ્ર સ્થાને હશે."
આ અંગે AMCના મેડિકલ ઑફિસર ડૉ. ભાવિન સોલંકીએ અખબારને જણાવ્યું હતું કે "અમે લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે જ્યારે રસી ઉપલબ્ધ થશે ત્યારે તે પહેલાં અમને અપાશે. તેમ છતાં તેઓ સર્વેક્ષણની કામગીરીમાં સહકાર નથી આપી રહ્યા."
કોરોના વાઇરસના વધુ ખતરનાક નવા સ્ટ્રેનના છ કેસ ભારતમાં મળ્યા
સમાચાર એજન્સી રૉયટર્સ પ્રમાણે છેલ્લા કેટલાંક અઠવાડિયાંમાં બ્રિટનથી ભારત આવેલા છ લોકોમાં કોરોના વાઇરસના નવા સ્ટ્રેન મળ્યા છે.
નવા સ્ટ્રેન વધારે સંક્રામક છે અને દુનિયાના અનેક દેશો આ અંગે વિમાસણમાં છે. જેના પગલે અનેક દેશોએ બૉર્ડર સીલ કરી દીધી છે.
આ તમામ છ દર્દીઓને અલગ રાખવામાં આવ્યા છે, આરોગ્ય મંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ છ દર્દીઓ સાથે આવેલા દર્દીઓને ટ્રૅક કરવામાં આવી રહ્યા છે.
મંત્રાલયે કહ્યું, "તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ ક્વોરૅન્ટીન કરવામાં આવ્યા છે."
મંત્રાલયે એવું પણ કહ્યું છે કે ભારતે આ મહિનાના અંત સુધી બ્રિટનથી આવતી ફ્લાઇટ્સને રદ કરી દીધી છે, જોકે નવેમ્બરના અંતથી અત્યાર સુધીમાં અંદાજે 33 હજાર યાત્રીઓ ભારત આવી ચૂક્યા છે.
મંત્રાલય પ્રમાણે આ લોકોમાંથી 114 લોકો કોરોના વાઇરસથી સંક્રમિત હોવાનું નોંધાયું હતું. તેમના નમૂનાઓમાં નવા સ્ટ્રેનની તપાસ કરાઈ રહી છે.
પહેલી વાર તમામ રાજ્યોમાં અઠવાડિક કોરોના કેસ ઘટ્યા
માર્ચ મહિનામાં ભારતમાં કોરોના મહામારીની શરૂઆત થયા બાદ પ્રથમ વખત ભારતનાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અઠવાડિક નવા કેસોની સંખ્યા ઘટી હતી.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર અહેવાલ અનુસાર માત્ર દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ કેન્દ્ર શાસિત પ્રદેશમાં ગત અઠવાડિયાની સરખામણી બે કેસો વધુ નોંધાયા હતા.
સોમવારે કોરોના વાઇરસના નવા 16,143 કેસો નોંધાયા હતા. 23 જૂન પછી સૌથી ઓછા નવા કેસો સોમવારે નોંધાયા હતા. આ સાથે જ કોરોના વાઇરસના કારણે દેશભરમાં 251 લોકો મૃત્યુને ભેટ્યા હતા. નોંધનીય છે કે 2 જૂન બાદ સૌથી ઓછાં મૃત્યુ સોમવારે નોંધાયાં હતાં.
ગુજરાત : કોરોનાના નવા 810 કેસ નોંધાયા
ગુજરાતમાં સોમવારે કોરોના વાઇરસના નવા 810 કેસ નોંધાયા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 2,42,655 થઈ ગઈ હતી.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે અહેવાલ પ્રમાણે સોમવારે એક હજાર કરતાં વધુ વ્યક્તિઓ કોરોનાની માંદગીમાંથી બેઠા થયા હતા. આ સિવાય સોમવારે વાઇરસના કારણે નોંધાયેલા છ મૃત્યુના કારણે રાજ્મયાં કોરોનાનો મૃત્યુઆંક 4,288 થઈ ગયો હતો.
રાજ્ય આરોગ્ય વિભાગે રજૂ કરેલી વિગતો અનુસાર સોમવારે 1,016 દર્દીઓ કોરોનાની માંદગીમાંથી બેઠા થયા હતા. આ સાથે જ કોરોનામાંથી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા 2,28,144 થઈ ગઈ હતી.
નોંધનીય છે કે ગુજરાતનો રિકવરી રેટ 94.02 ટકા નોંધાયો છે.
સોમવારે રાજ્યમાં કોરોનાના કુલ 52,906 પરીક્ષણો કરવામાં આવ્યાં હતાં. આ સાથે જ અત્યાર સુધી કોરોનાના પરીક્ષણ માટે લેવાયેલ નમૂનાની સંખ્યા 94,90,011 થઈ હતી.
અમદાવાદ જિલ્લામાં 174, સુરતમાં 149, વડોદરામાં 123 અને રાજકોટમાં કોરોના વાઇરસના 79 નવા દર્દીઓ મળી આવ્યા હતા.
12 જાન્યુઆરીએ PM મોદી ગુજરાતની મુલાકાત લેશે
12 જાન્યુઆરીએ વડા પ્રધાન મોદી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે ગુજરાતની મુલાકાત લઈ શકે છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે વડા પ્રધાન કેવડીયા ખાતે બને નવા રેલવે સ્ટેશનના ઉદ્ઘાટન સહિત અન્ય પ્રોજેક્ટોનાં પણ ઉદ્ઘાટન કરી શકે છે.
સરકારના સૂત્રોએ અખબારને માહિતી આપી હતી કે વડા પ્રધાન મોદી મહાત્મા મંદિરની નજીક ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે નવી હોટલના ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહી શકે છે.
આ સિવાય ગુજરાતની આ મુલાકાત દરમિયાન સરદાર ધામ ખાતે તેઓ સંખ્યાબંધ સામાજિક કાર્યક્રમો અને સમાજ કલ્યાણના કાર્યક્રમોમાં હાજરી આપી શકે છે.
ગુજરાત: મહિલાએ પોતાની બે બાળકીઓને કૅનાલમાં ફેંકી મૃત્યુ નીપજાવ્યું
ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં એક મહિલાએ પોતાની સાત માસની અને ચાર વર્ષની બે દીકરીઓનું નર્મદા મેઇન કૅનાલમાં ફેંકી મૃત્યુ નીપજાવ્યું હતું.
પોલીસ અધિકારીઓ દ્વારા અપાયેલી માહિતી અનુસાર આ ઘટનાનાં આરોપી 25 વર્ષીય મહિલાએ માનસિક તાણને કારણે આ પગલું ભર્યું હતું.
NDTV ડોટ કૉમના એક અહેવાલ અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર જે. કે. રાઠોડે જણાવ્યું હતું કે, “આરોપી મહિલા બાળકીઓને નર્મદા કૅનાલ સુધી લઈ જવા માટે લાંબો અંતર કાપીને ત્યાં પહોંચ્યાં હતાં. તેમના ખેતમજૂર પતિની ફરિયાદ બાદ તેમની ધરપકડ કરી લેવાઈ છે.”
અધિકારીઓ દ્વારા અપાયેલી માહિતી અનુસાર કૅનાલમાંથી સાત માસની એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે ચાર વર્ષની બાળકીની હજુ સુધી કોઈ ભાળ મળી શકી નથી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો