અમદાવાદ-મુંબઈમાં કોરોનાના દર્દીઓમાં ફેલાતી ગંભીર બીમારી શું છે? TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

'મ્યુકોરમાઇકોસિસ' એક રેર બીમારી છે અને તે હવે કોવિડના દર્દીઓમાં ફેલાઈ રહી છે.

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર અમદાવાદમાં આ બીમારીને કારણે બે દર્દીનાં મૃત્યુ થયાં છે અને બે દર્દીની આંખની રોશની ચાલી ગઈ છે.

તો મુંબઈની કોવિડ હૉસ્પિટલમાં પણ એવા કેસ જોવા મળી રહ્યા છે.

અમદાવાદના રેટિના ઍન્ડ ઑક્યુલર ટ્રૉમા સર્જન ડૉ. પાર્થ રાણાએ આવા પાંચ કેસ જોયા છે. જેમાં બે દર્દીના જીવ ગયા છે અને બેની રોશની ચાલી ગઈ છે.

ડૉ. રાણા કહે છે કે "પહેલાં આ બીમારી 15-20 દિવસમાં ફેલાતી હતી અને હવે 4-5 દિવસમાં જ દર્દી ગંભીર સ્ટેજ પર પહોંચી જાય છે અને મૃત્યુ થઈ રહ્યા છે."

ડૉ. રાણા કહે છે કે "આ કેસ વધી રહ્યા છે, તેમાં મૉર્ટેલિટી રેટ 50 ટકા છે. 50 ટકા કેસમાં દર્દીનું મૃત્યુ થઈ રહ્યું છે.""જે દર્દીઓને ડાયાબિટીસ હોય કે સ્ટેરોઈડ અપાય છે, તેમનામાં આ ફંગલ વાઇરસને ખાવા માટે ઘણી શુગર મળે છે. આથી આવા દર્દીઓમાં તે ઝડપી ફેલાય છે. સાથે જ તેમનામાં ઇમ્યુનિટી ઓછી હોય છે, આથી કોવિડ દર્દીઓમાં આ બહુ ઝડપથી ફેલાય છે."

કોવિડ ટાસ્ક ફોર્સના ડૉ. રાહુલ પંડિત કહે છે, "આ બીમારી શરીરના કોઈ પણ ભાગમાં આવી શકે છે, પણ તેની સૌથી વધુ અસર નાક, આંખની આગળ-પાછળ થાય છે."

ઓછી રોગપ્રતિકાર શક્તિવાળા કોવિડ દર્દીઓમાં 'મ્યુકોરમાઇકોસિસ' નામનું એક ફંગશ ઇન્ફેક્શન ફેલાઈ રહ્યું છે.

વૈજ્ઞાનિક રોદ્દામ નરસિમ્હાનું 87 વર્ષની વયે નિધન

પ્રતિષ્ઠિત ઍરોસ્પેસ વૈજ્ઞાનિક અને પદ્મવિભૂષણ રોદ્દામ નરસિમ્હાનું બેંગલુરુની એક ખાનગી હૉસ્પિલમાં નિધન થયું છે. નરસિમ્હા 87 વર્ષના હતા.

'ધ હિંદુ' અખબાર પોતાના અહેવાલમાં જણાવે છે કે તેમને 8 ડિસેમ્બરે બ્રેઇન હૅમરેજ થતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

રોદ્દામ નરસિમ્હાએ પ્રિતિષ્ઠિ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ (આઈઆઈએસસી)માં સેવા આપી હતી.

આઈઆઈએસસીમાં પ્રોફેસર નરસિમ્હાએ વર્ષ 1962થી 1999 સુધી ઍરોસ્પેસ એંજિનિયરિંગ શીખવાડ્યું હતું. 1984થી 1993 સુધી તેમણે નેશનલ ઍરોસ્પેસ લૅબોરેટરીમાં ડિરેક્ટર તરીકે સેવા આપી હતી.

અવકાશવિજ્ઞાનના ક્ષેત્રે તેમનું યોગદાન જોતા ભારત સરકારે તેમને વર્ષ 2013માં પદ્મવિભૂષણ ઍવોર્ડ એનાયત કર્યો હતો.

PM નરેન્દ્ર મોદી આજે કચ્છમાં

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવશે.

વડા પ્રધાન મોદી અહીં વૈશ્વિક કક્ષાના હાઈબ્રીડ પાર્કનો શિલાન્યાસ કરવાના છે. તેમજ માંડવી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત પણ કરવાના છે.

વડા પ્રધાનના આગમનને પગલે તૈયારીઓ પણ કરી દેવાઈ છે.

તેઓએ કચ્છ આવતાં પહેલાં એક ટ્વીટ પણ કર્યું હતું.

જેમાં તેઓએ લખ્યું, "કચ્છે વિકાસરેખા માટે પોતાની એક અલગ છાપી છોડી છે, ખાસ કરીને કૃષિ જેવાં ક્ષેત્રોમાં. આ ક્ષેત્રને લાભાન્વિત કરનારાં વિભિન્ન વિકાસકાર્યોની આધારશીલા રાખવા માટે હું કચ્છમાં હોઈશ."

રાજ્યની કોવિડ હૉસ્પિટલોમાં 84 ટકા પથારી ખાલી- નીતિન પટેલ

ગુજરાતમાં કોરોના વાઇરસની સ્થિતિમાં દિવાળી બાદ સુધારો થયો હોવાનું રાજ્યના નાયબ મુખ્ય મંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલ કહી રહ્યા છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે સોમવારે જણાવ્યું હતું કે રાજ્યની કોવિડ-19 હૉસ્પિટલોમાં અંદાજે 84 ટકા પથારી ખાલી છે.

નીતિન પટેલે તેને મોટી સફળતા ગણાવી હતી અને આ ચાર મોટાં શહેરોમાં લાગુ રાત્રિકર્ફ્યૂને કારણે થયું હોવાનું જણાવ્યું હતું.

તેઓએ કહ્યું કે "દિવાળી પછી ગુજરાતમાં કોવિડના કેસ વધતા બધા દર્દીઓને સમાવવા અમારે માટે એક પડકાર હતો. અમે કેટલાક દર્દીઓને અમદાવાદથી નજીક આણંદ અને નડિયાદમાં આવેલી હૉસ્પિટલોમાં શિફ્ટ કર્યા હતા."

નીતિન પટેલે કહ્યું કે જોકે હવે સ્થિતિમાં સુધારો થયો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો