You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાજપ નેતા કાંતિ ગામિતની ધરપકડ, સગાઈમાં હજારોની મેદની બદલ કેસ
તાપી જિલ્લાના સોનગઢમાં પૂર્વ મંત્રી અને ભાજપ નેતા કાંતિ ગામિતનાં પૌત્રીની સગાઈમાં હજારો લોકો એકઠા થયા હતા. આ મામલે વિવાદ થયા પછી પોલીસે પૂર્વ મંત્રી કાંતિ ગામિતની ધરપકડ કરી છે.
કાંતિ ગામિત ઉપરાંત કાર્યક્રમના આયોજક એવા એમના પુત્ર અમિત ગામિત અને અન્ય લોકો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
બેદરકારી બદલ પોલીસ ઇન્સ્પેક્ટર અને જમાદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકારપરિષદ યોજી કહ્યું હતું કે તાપી ઘટનામાં 15 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને બેદરકારી દાખવનારા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અગાઉ વિવાદ બાદ કાંતિ ગામિતે લોકોની માફી માગી હતી.
સગાઈમાં ગરબાનો વીડિયો વાઇરલ થતાં ઘટના સામે આવી હતી.
આ ઘટનાની ગુજરાત હાઈકોર્ટે પણ ગંભીર નોંધ લીધી છે.
હાઈકોર્ટે ટકોર કરતાં કહ્યું કે જિલ્લાના એસપી અને સ્થાનિક પોલીસ શું કરી રહ્યા હતા?
રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ નિવેદન આપતાં કહ્યું હતું કે આ મામલે સરકાર દ્વારા પોલીસ ફરિયાદ કરાઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ મામલે અદાલતે તંત્રની અને રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી.
ચીફ જસ્ટિસ વિક્રમ નાથે ટકોર કરતાં કહ્યું કે હવે આવું ફરી ન બને એ માટે યોગ્ય કાર્યવાહી કરો.
આ મામલે બપોરે ફરીથી સુનાવણી થશે.
આ વીડિયો એવા વખતે સામે આવ્યો છે જ્યારે ગુજરાત કોરોના વાઇરસના સંક્રમણની બીજી લહેરમાં સપડાયું છે અને રાજ્યનાં મોટાં શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકારે સંક્રમણની સ્થિતિને ધ્યાને રાખીને લગ્ન કે અન્ય સામાજિક કાર્યક્રમોમાં 100થી વધુ લોકોએ ભેગા ન થવાનો નિર્ણય લીધો છે.
ગામિતે આ અંગે કહ્યું, "દર વર્ષે અમે ગામમાં તુલસીવિવાહના કાર્યક્રમનું આયોજન કરતાં હોઈએ છીએ. તો સોમવારે મારી પૌત્રીની સગાઈની સાથે-સાથે તુલસીવિવાહનો કાર્યક્રમ યો્જ્યો હતો."
"અમે લોકોને આમંત્રણ આપ્યું ન હતું, માત્ર વૉટ્સઍપ પર મૅસેજ કર્યો હતો અને લોકો આવી પહોંચ્યા. અમારી પૌત્રીની સગાઈ હતી તો બે હજાર માણસોનો જમણવાર રાખ્યો હતો."
"જમણવાર પછી ગરબાનો કાર્યક્રમ પણ હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ડાન્સ કર્યો. હું મોટા કાર્યક્રમ માટે માફી માગું છું."
તાપી જિલ્લાના અધિકારીઓ પ્રમાણે જિલ્લામાં સોમવારે ચાર નવા કેસ સામે આવ્યા હતા. જે પૈકી બે સોનગઢ અને બે વ્યારા તાલુકાના હતા. હાલ જિલ્લામાં 22 લોકો કોરોના સંક્રમણની સારવાર લઈ રહ્યા છે.
કોરોના વાઇરસની રસી બધા માટે નથી : કેન્દ્રીય આરોગ્ય સચિવ
એનડીટીવી હિન્દીના અહેવાલ અનુસાર કેન્દ્ર સરકારના આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે આજે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું, "કોરોના વાઇરસની વૅક્સિન તમામ લોકો માટે નથી."
રાજેશ ભૂષણને સવાલ પૂછવામાં આવ્યો કે "આખા દેશનું વૅક્સિનેશન ક્યારે થશે?"
આના જવાબમાં તેમણે કહ્યું, "આખા દેશમાં રસીકરણની વાત સરકારે ક્યારેય કરી નથી. એ હું સ્પષ્ટ કરી દેવા માગું છું. હું વારંવાર કહું છું કે સાયન્સ સાથે જોડાયેલો વિષય પર ચર્ચા કરતાં પહેલાં તથ્યાત્મક જાણકારી છે તેને જાણી લેવી જોઈએ."
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના મહાનિદેશક બલરામ ભાર્ગવે આ વિષય પર કહ્યું, "આ સારો સવાલ છે. આ સવાલ એ વાત પર આધાર રાખે છે કે તે રસી કેટલી પ્રભાવશાળી છે. કોઈ વ્યક્તિમાં 60 ટકા તો કોઈ વ્યક્તિમાં 70 ટકા પ્રભાવશાળી રહી શકે છે."
"બીજો મુદ્દો છે અમારો ઇરાદો વાઇરસની ચૅનને તોડવાનો છે. વાઇરસના ટ્રાન્સમિશનની ચૅનને તોડવા માટે જો નાજુક ભાગને વૅક્સિન આપીને ટ્રાન્સમિશન રોકી શકીએ તો કદાચ આખા દેશને વૅક્સિન આપવાની જરૂર ન પડે."
ગુજરાતમાં 'લવ-જેહાદ સામે કાયદા'ની ભાજપના ધારાસભ્યની માગ
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ડભોઈના ભાજપના ધારાસભ્ય શૈલેષ મેહતાએ ઉત્તર પ્રદેશની જેમ 'લવ-જેહાદ સામે કાયદો લાવવા'ની માગ કરી છે.
ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા 'લગ્ન માટે કરાતા ધર્માંતરણ' અને 'બળજબરીપૂર્વક ધર્માંતરણ રોકવા' કાયદો કર્યો છે.
શૈલેષ મહેતાના કહેવા પ્રમાણે જો બે અલગ-અલગ ધર્મની વ્યક્તિ એકબીજાં સાથે લગ્ન કરે અને યોગ્ય સમજણ સાથે નિયમોનું પાલન કરે તો તે અલગ વાત છે.
તેમનું કહેવું છે કે કેટલાક કેસમાં લોકો સાચા નામ છુપાવે છે અને છોકરી જ્યારે પુખ્ત ન હોય ત્યારે તેમની સાથે સંબંધ બાંધે છે.
મહેતાએ કહ્યું કે કડક કાયદો જ મહિલાઓ સાથે છેતરપિંડીને રોકશે.
તેમણે દાવો કર્યો હતો કે આ પ્રકારના કેસ તેમના મતવિસ્તાર ડભોઈ, વડોદરા શહેર અને રાજ્યમાં વધી રહ્યા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો