You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સીરમ ઇન્સ્ટિટ્યૂટે રસીથી બીમાર થયાનો દાવો કરનાર પર 100 કરોડનો કેસ કર્યો?
હાલ દેશભરમાં કોરોના વાઇરસની વિવિધ રસીના ટ્રાયલ ચાલી રહ્યા છે. જેમાં બ્રિટનની ઑક્સફર્ડ યુનિવર્સિટી અને કંપની એસ્ટ્રાઝેનેકાએ મળીને બનાવેલી રસી કોવિડશિલ્ડના ટ્રાયલ ભારતમાં પૂણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા કરી રહી છે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ આ રસીનું મૅન્યુફૅક્ચરિંગ પાર્ટનર છે.
સમાચાર સંસ્થા રૉયટર્સના અહેવાલ અનુસાર 40 વર્ષની એક વ્યક્તિએ ફરિયાદ કરી હતી કે બ્રિટનની દવા કંપની એસ્ટ્રાઝેનેકાના સહયોગી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (એસઆઈઆઈ) તરફથી ચલાવવામાં આવી રહેલા ટ્રાયલમાં જ્યારે તેમને વૅક્સિન આપવામાં આવી ત્યારપછી તેમને ગંભીર "ન્યૂરોલૉજિકલ અને સાઇકોલૉજિકલ" લક્ષણોનો સામનો કરવો પડ્યો હતો.
લૉ ફર્મ એન.જી.આર. પ્રસાદ અને આર. રાજારામ ઍડ્વોકેટ્સે અનામ વૉલિન્ટિયર તરફથી આઈસીએમઆર, સીરમ ઇન્સ્ટિટ્યૂટ, એસ્ટ્રાઝેનેકા અને ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાને એક ફરિયાદ મોકલી હતી, જેમાં પાંચ કરોડ રૂપિયાના વળતર અને વૅક્સિનનાં પરીક્ષણ, નિર્માણ અને વિતરણને રોકવાની માગ કરી હતી.
તેમણે વધુમાં કંપની પર પાંચ કરોડનો દાવો માંડવાની વાત કરીને કંપનીને નોટિસ પણ મોકલી હતી.
એસ્ટ્રાઝેનેકા અને ભારતમાં ડ્રગ અને વૅક્સિનની મંજૂરી આપતી સંસ્થા ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ આ મામલે હાલ સુધી કોઈ ટિપ્પણી કરી નથી.
સમાચાર સંસ્થા એએનઆઈએ સીરમ ઇન્સ્ટિટ્યૂટના નિવેદનને ટાંકી લખ્યું હતું કે "સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા વૉલિન્ટિયરની મેડિકલ કન્ડિશન પ્રત્યે સહાનુભૂતિ દાખવે છે. પરંતુ વૅક્સિનના ડોઝ અને તેમની આ સ્થિતિ વચ્ચે કોઈ સંબંધ નથી. તે વ્યક્તિ પોતાના આરોગ્ય માટે ખોટી રીતે વૅક્સિનને જવાબદાર ઠેરવી રહી છે."
તેમણે આગળ કહ્યું છે કે આ દાવો દુષ્ટ આશયથી કરવામાં આવી રહ્યો છે, કારણ કે વૉલિન્ટિયરને મેડિકલ ટીમ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમને દેખાઈ રહેલાં લક્ષણો કોરોના વાઇરસની વૅક્સિનને કારણે નથી છે. તેઓ જાણતા હોવા છતાં પણ તેમણે જાહેરમાં આવીને લોકોને જણાવવાનું પસંદ કર્યું અને કંપની વિશે ખરાબ બોલ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કંપનીએ વધુમાં કહ્યું કે આ પ્રકારની દુષ્ટ માહિતી ફેલાવવા પાછળનો ઉદ્દેશ માત્રને માત્ર આર્થિક લાભ લેવાનો છે માટે કંપનીએ તેની સામે 100 કરોડનો દાવો માંડ્યો છે.
રિએક્શનની તપાસ થશે, પરંતુ ટ્રાયલ ચાલુ રહેશે
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) પરીક્ષણ દરમિયાન થયેલા પ્રતિકૂળ રિએક્શનની તપાસ કરી રહ્યું છે, પરંતુ હાલ ટ્રાયલ ચાલુ રહેશે.
સમાચાર સંસ્થા રૉયટર્સ પ્રમાણે એક રિપોર્ટ અનુસાર આઈસીએમઆરના એક વરિષ્ઠ અધિકારીએ રવિવારે કહ્યું છે કે આને રોકવાની ભલામણ કરવાનું કોઈ કારણ મળ્યું નથી.
ટ્રાયલમાં સામેલ રિસર્ચ બૉડી આઈસીએમઆરના મહામારી વિજ્ઞાન અને વાઇરલ રોગના પ્રમુખ સમીર પાંડાએ રૉયટર્સને કહ્યું, "આ ચરણમાં ચિંતાનું કોઈ તાત્કાલિક કારણ નથી."
તેમણે કહ્યું, "આનો અર્થ એ નથી કે લાંબા ગાળાનું મૂલ્યાંકન નહીં થાય, આ હાલ પણ થઈ રહ્યું છે. મને કેસની જાણકારી છે."
કઈ રસી કેટલી સફળ છે?
ઑક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકાએ જે રસી બનાવી છે તેનાં પ્રાથમિક પરિણામોમાં 62થી 90 ટકા સુધી સફળતા જોવા મળી છે.
આ રસીના બે ડોઝ લેવાના છે. તેને સામાન્ય ફ્રીઝમાં રાખી શકાય છે.
અમેરિકાની કંપની મૉડર્નાની રસી પણ ચર્ચામાં છે. તે 95 ટકા સુધી સફળ હોવાનું પ્રાથમિક તારણોમાં જાણવા મળ્યું છે.
બે ડોઝમાં લેવાની આ રસીને માઇનસ 20 ડિગ્રી સુધી 6 મહિના સુધી રાખી શકાય છે.
ફાઇઝર અને બાયૉએનટેક કંપનીએ બનાવેલી રસી પ્રાથમિક પરિણામોમાં 95 ટકા સફળ જોવા મળી છે. આ રસીને માઇનસ 70 ડિગ્રીમાં રાખવી પડે છે.
રશિયાની સ્પુટનિક વી પણ 92 ટકા જેટલી સફળ છે. આ રસીને પણ રેગ્યુલર તાપમાનમાં રાખી શકાય છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો