You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જીડીપી માઇનસ 7.5 ટકા- આ સારા સમાચાર કે ખરાબ?
- લેેખક, આલોક જોશી,
- પદ, પૂર્વ તંત્રી, સીએનબીસી-આવાજ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
ઇતિહાસમાં પ્રથમ વખત ભારતમાં મંદી આવી પહોંચી છે. જુલાઈથી સપ્ટેમ્બર સુધીના ત્રિમાસિક ગાળામાં અર્થતંત્ર સાડા સાત ટકા ઘટ્યું છે.
આ પહેલાંના ત્રિમાસિક ગાળામાં આ ઘટાડો 24.9 ટકા હતો. તેની સરખામણીએ હાલની પરિસ્થિતિ સારી છે, ચિંતાજનક છે કે પછી ચિંતાજનક હોવા છતાં પણ આશાસભર છે? આ પ્રશ્નનો જવાબ એ વાત પર આધારિત છે કે આ બાબતને આપ કયા દૃષ્ટિકોણથી જોવા માગો છો?
24.9 ટકાના ઐતિહાસિક ઘટાડા પછી આ ઘટાડો સાડા સાત ટકા જ નોંધાયો- આ દૃષ્ટિકોણથી તો આ સારા સમાચાર થયા ને!
સરકારની તરફથી આવી દલીલ મૂકનારા આ જ વાત સમજાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે કોરોનાના ભયંકર ફટકા બાદ અત્યારે જે આંકડા આવ્યા છે તે આશંકા કરતાં તો ઓછા છે પરંતુ તે એ વાતનો સંકેત છે કે ભવિષ્યમાં પરિસ્થિતિ સારી હશે.
અહીં એ યાદ રાખવું જોઈએ કે અમુક દિવસ પહેલાં જ રિઝર્વ બૅંક ઑફ ઇંડિયાએ આર્થિક ભવિષ્યવાણીની નવી વ્યવસ્થા નાઉકાસ્ટિંગ એટલે કે વર્તમાનવાણી શરૂ કરી છે. RBIએ જીડીપીમાં 8.6 ટકાનો ઘટાડો થવાની આશંકા વ્યક્ત કરી હતી.
આ અનુમાનના અમુક દિવસ પહેલાં જ મૉનિટરી પૉલિસી સમયે રિઝર્વ બૅંકે આ ઘટાડો 9.8 રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.
શું આ સુધારાના સંકેત છે?
લગભગ એ જ સમયે અર્થશાસ્ત્રીઓના એક સર્વેમાં આ આંકડો સાડા દસ ટકા સુધી રહેવાનું અનુમાન હતું. આ હિસાબે આ સમાચાર રાહતભર્યા છે.
અને આર્થિક મોરચે ભારત સરકાર માટે સૌથી અસુવિધાજનક આંકડા અને તથ્ય સામે મૂકવા માટે ખ્યાતનામ સેન્ટર ફોર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકોનૉમી(CMII)એ પણ જીડીપીના ત્રિમાસિક આંકડા સામે આવે તેના અમુક કલાકો પહેલાં જ કંઈક એવું કહ્યું જે સરકારને ખૂબ સારું લાગ્યું હશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
CMIIએ કહ્યું છે કે દેશ ટૅક્નિકલી મંદીમાં સપડાઈ ગયો છે. તેમ છતાં પ્રથમ ત્રિમાસિક ગાળાના અત્યાર સુધીના ઐતિહાસિક ઘટાડાની સરખામણીએ આ ત્રિમાસિક ગાળાના આંકડા સુધારાનો સંકેત તો છે.
તેમનું કહેવું છે કે તેના માટે મુખ્યપણે ઔદ્યોગિક ક્ષેત્ર જવાબદાર છે જે પાછલા ત્રિમાસિક ગાળામાં 35.7 ટકા સુધી ઘટ્યા બાદ આ ત્રિમાસિક ગાળામાં આ ઘટાડાને 3.4 ટકા સુધી મર્યાદિત રાખવામાં સફળ રહ્યો છે.
મુસીબત ખતમ થયાની વાત માનવી ઉતાવળ કહેવાશે
પરંતુ આટલા માત્રથી એ માની લેવું કે મુસીબત ખતમ થઈ ગઈ કે જલદી જ ખતમ થવાની છે તે ઉતાવળભર્યું કહેવાશે.
સરકારના મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રહ્ણયનનું કહેવું છે કે સુધારાની આશા સાથે સજાગ રહેવાની પણ જરૂર છે. અર્થ સ્પષ્ટ છે કે સાવધાની સાવધાન રહેવાની તાતી જરૂરિયાત છે.
જોકે રિઝર્વ બૅંકના ગવર્નર શક્તિકાંતા દાસ એક દિવસ પહેલાં જ એવી આશા વ્યક્ત કરી ચૂક્યા હતા કે પરિસ્થિતિ બહેતર થઈ રહી છે. તેમણે કહ્યું કે કોરોનાના ભયાનક ફટકા બાદ જે ઝડપથી સુધારાની આશા હતી ભારતીય અર્થતંત્ર તેના કરતાં ઘણી વધુ ઝડપે પાટા પર આવી રહી છે.
પરંતુ થોડું બારીકાઈથી જોવામાં આવે તો ખરેખર પરિસ્થિતિ કાંઈ એટલી બધી પણ સારી નથી થઈ. પરિસ્થિતિ સારી હોવાની વાત તો કોઈ ન કરી શકે કારણ કે જીડીપીમાં સાડા સાત ટકાનો ઘટાડો થયો છે, જે ઓછો ન કહી શકાય.
પરંતુ ખાસ વાત એ છે કે સાડા સાત ટકાનો આ ઘટાડો પાછલા ત્રિમાસિક ગાળામાં એટલે કે એ ત્રિમાસિક ગાળાની સરખામણીએ નથી થયો જે ત્રિમાસિક ગાળામાં દેશની જીડીપીમાં 24.9 ટકાનો ઘટાડો થયો હતો. પરંતુ આ ઘટાડો ગયા વર્ષના જુલાઈ થી સપ્ટેમ્બર સુધીના ત્રિમાસિક ગાળાની સરખામણીએ થયો છે.
સમસ્યા એ છે કે એ ત્રિમાસિક ગાળામાં પણ ભારતની જીડીપી તેની અગાઉના ત્રિમાસિક ગાળાની સરખામણીએ 4.4 ટકા જ વધી હતી.
જરા યાદ કરો આ એ જ સમયગાળો હતો જ્યારે સમગ્ર દેશ એ વાત પર ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે ભારતમાં મંદી છે કે સ્લોડાઉન. સ્લોડાઉનનો અર્થ કરવામાં ધીમાપણું.
ગુજરાતીમાં મંદી અને ધીમાપણા વચ્ચેનો ફરક સમજવું જરા મુશ્કેલ છે. પરંતુ અર્થશાસ્ત્રમાં મંદીની એક પરિભાષા છે. જ્યાં સુધી સતત બે ત્રિમાસિક ગાળામાં કોઈ અર્થતંત્રમાં નૅગેટિવ ગ્રોથ ન જોવા મળે, એટલે વધારાની જગ્યાએ તેમાં ઘટાડો ન થાય ત્યાં સુધી આ પરિસ્થિતિને મંદી ન કહી શકાય.
જ્યારે રિઝર્વ બૅંકે પોતાના નાઉકાસ્ટમાં 8.6 ટકાના ઘટાડાની આશંકા વ્યક્ત કરી ત્યારે સાથે જ તેણે એ પણ કહ્યું કે ભારતમાં ‘ટૅક્નિકલ રિસેશન’ એટલે કે તકનીકી મંદી આવી શકે છે.
નકારવાના પ્રયત્નો
આ વખત જીડીપીનો આંકડો આવવાની સાથે ટૅક્નિકલ શબ્દ પર ભાર આપવાનું વધી ગયું છે. જાણે મંદીનો અસ્તિત્વ નથી પરંતુ ટૅક્નિકલી મંદી છે તેવું સાબિત થઈ ગયું છે.
તેની પાછળ એક દૃષ્ટિએ તો એ ભાવ છે કે જલદી જ આ મંદીમાંથી છૂટકારો મેળવી લેવાશે. પરંતુ બીજી તરફ એ વાતને નકારવાના પણ પ્રયત્નો થઈ રહ્યા છે કે ભારતીય અર્થતંત્ર એક ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યું છે જેનો સામનો કરવા માટે ‘ભગીરથ પ્રયાસો’ની જરૂર છે.
આ ગંભીર સંકટને સમજવા માટે પાછલા વર્ષની એ પરિસ્થિતિને સમજવાની જરૂર છે જ્યારે કોરોનાનો ખતરો સામે ન હોવા છતાં દેશમાં મંદીની આશંકા વ્યક્ત કરનાર અવાજો બુલંદ થઈ રહ્યા હતા અને સતત એવા આંકડા સામે આવી રહ્યા હતા જે અર્થતંત્રમાં કમજોરીના સંકેત આપી રહ્યા હતા. અને જીડીપીમાં વધારાની ઝડપ લગભગ બે વર્ષથી ઘટી રહી હતી.
સ્પષ્ટ છે કે જીડીપીનો આંકડો એક કમજોર સ્થિતિની સાથે સરખામણીનું ચિત્ર દેખાડી રહ્યો છે. એટલે ચિંતા જેટલી દેખાય છે તેના કરતાં ઘણી વધારે છે.
બીજી ચિંતા એ છે કે પ્રાઇવેટ કંઝંપ્શન એટલે સરકાર સિવાય અન્ય લોકો કે વેપારોમાં થનાર ઉપભોગમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
જોકે, પાછલા દિવસોમાં સેલમાં ભારે વેચાણ અને નવરાત્રિ દરમિયાન ગાડીઓના ભારે વેચાણના સમાચારોને કારણે ઉત્સાહ ખૂબ વધ્યો પરંતુ ઉપભોગમાં 11 ટકા કરતાં વધુનો ઘટાડો ચિંતાજનક સંકેત છે.
આવો જ વધુ એક ચિંતાજનક સંકેત એ છે કે ખાનગી કંપનીઓનો નફો બે વર્ષ પહેલાંના સ્તરે પહોંચી ગયો છે, પરંતુ તેમની કમાણી અને ખર્ચ એ સરખાણીએ દસ થી 15 ટકા જ ઘટ્યો હોવાનું માલૂમ પડ્યું છે. સ્પષ્ટ છે કે આ નફો કમાણીમાં વધારોનું નહીં પરંતુ ખર્ચમાં ભારે ઘટાડાનું પરિણામ છે.
આ આંકડા રાહતના સંકેત જરૂર છે, પરંતુ જો અર્થતંત્રને ઝડપથી પાટે લાવવું હોય તો સરકારે હવે પોતાની તરફથી કેટલાંક મોટાં પગલાં લેવાં પડશે.
એવાં પગલાં જેનાથી લોકો ખર્ચ કરવા પ્રેરાય, બજારમાં માગ વધે, કંપનીઓ વધુ માલ બનાવે અને વધુમાં વધુ લોકોને કામ મળે અને કમાણી વધવાની આશામાં પણ વધારો થાય. આવું થશે તો જ તેઓ છૂટ્ટા હાથે ખર્ચ કરશે અને આર્થિક પ્રગતિનું ચક્ર ઝડપથી ફરવા લાગશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો