You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતી સિંહ અને તેમના પતિ હર્ષને ડ્રગ કેસમાં જામીન મળ્યા
કૉમેડિયન ભારતી સિંહ અને તેમના પતિ હર્ષ લિંબાચિયાને ડ્રગ કેસમાં જામીન મળી ગયાં છે.
નારકૉટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ 21 નવેમ્બરના રોજ ભારતી સિંહના ઘરે દરોડા પાડ્યા હતા. જે બાદ તેમને ત્યાંથી ગાંજો મળી આવ્યો હતો.
કૉમેડિયન ભારતી સિંહની કલાકો પૂછપરછ કર્યા બાદ એનસીબીએ તેમની ધરપકડ કરી હતી. જે બાદ તેમના પતિ હર્ષ લિંબાચિયાની પણ ધરપકડ કરવામાં આવી હતી.
સુશાંતસિંહ રાજપૂત મામલામાં ડ્રગ્સની વાત સામે આવ્યા બાદ ફિલ્મ અને ટીવી જગતની અનેક સેલિબ્રિટીઝને નારકૉટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ પૂછપરછ કરી છે.
એનસીબીએ આ મામલામાં ઘણી સેલિબ્રિટીઝના ઘરે દરોડા પણ પાડ્યા હતા. જેમાં હવે કૉમેડિયન ભારતી સિંહનું નામ જોડાઈ ગયું છે.
ભારતી સિંહની એનસીબીએ શનિવારે મુંબઈમાં આવેલા તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી.
એનસીબી પ્રમાણે તેમના ઘર અને પ્રૉડક્શન હાઉસ પર દરોડોમાં 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
વિભાગના અધિકારીઓએ પણ કહ્યું હતું કે ભારતી સિંહ અને તેમના પતિ હર્ષ લિંબાચિયાએ ગાંજાના સેવનની વાતનો સ્વીકાર કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોરોનાથી બચવા માટે ગુજરાતના આ ગામમાં સ્વંયભૂ લૉકડાઉન
દિવાળી બાદ ગુજરાતમાં કોરોના વાઇરસના કેસમાં વધારો થયો છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા વગેરે શહેરોમાં રાત્રિ દરમિયાન કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર, અમદાવાદથી દૂર આવેલા ખેડા જિલ્લાના નરસંડા ગામમાં લોકોએ "સ્વંયભૂ લૉકડાઉન" લાગુ કર્યું છે.
ગામમાં 19 નવેમ્બરથી 10 દિવસ માટે "સ્વંયભૂ લૉકડાઉન" લાગુ કરવામાં આવ્યું છે.
આ અંગે નરસંડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પીએચસી)ના પ્રભારી ડૉ. ભાવેશ રાણાએ જણાવ્યું હતું કે ગામમાં મોટા પાયે કોરોના વાયરસથી સંબંધિત "અફવાઓ" ફેલાવવામાં આવી હતી.
તો ખેડાના મુખ્ય જિલ્લાધિકારી ડૉ. એસ.એમ. દેવે કહ્યું કે "સ્વંયભૂ લૉકડાઉન" આંશિક રીતે "અમદાવાદની અસર" છે, જ્યાં કોરોના વાઇરસના કેસમાં ઝડપથી વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થયો છે અને સંક્રમણને કાબૂમાં લેવા તંત્ર પણ હરકતમાં આવ્યું છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ થઈ રહી છે : સુપ્રીમ કોર્ટ
દેશમાં કોરોના સંક્રમણના વધી રહેલા કેસ જોતાં સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકાર તથા દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત અને આસામની રાજ્યસરકારોને જવાબ દાખલ કરવા કહ્યું કે તેઓ મહામારીની રોકથામ માટે શું પગલાં લઈ રહી છે.
સુપ્રીમ કોર્ટે દિલ્હી અને ગુજરાત જેવી જગ્યાએ સંક્રમણના વધી રહેલા કેસને જોતાં ચિંતા વ્યક્ત કરી રહી છે. કોર્ટે કહ્યું કે ગુજરાતમાં સ્થિતિ બેકાબૂ થઈ રહી છે.
જસ્ટિસ અશોક ભૂષણના વડપણવાળી બેન્ચે દિલ્હી સરકારના વકીલ ઍડિશનલ સૉલિસીટર સંજય જૈનને કહ્યું, "દિલ્હીમાં સ્થિતિ કથળી રહી છે. ખાસ કરીને નવેમ્બર મહિનામાં. આપ એક સ્ટેટમેન્ટ રિપોર્ટ રજૂ કરીને જણાવો કે કેવાં પગલાં ભરાયાં છે."
મામલાની સુનાવણી દરમિયાન સૉલીસીટર જનરલ તુષાર મહેતાએ આ વાત પર સહમતી વ્યક્ત કરી કે દિલ્હીમાં ઘણું કરવાની જરૂર છે.
સુપ્રીમ કોર્ટ આ મામલે કોરોના સંક્રમણથી મરનારા લોકોના મૃતદેહના સન્માનપૂર્વ અંતિમસંસ્કારના મુદ્દે જાતે સંજ્ઞાન લેતા સુનાવણી કરી રહી છે.
કોરોનાની સમીક્ષા માટે મુખ્ય મંત્રીઓ સાથે બેઠક
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં કોરોના વાઇરસની સ્થિતિ અંગે મંગળવારે મુખ્ય મંત્રીઓ સાથે બેઠક કરશે.
ભારત હાલમાં કોરોના વાઇરસની રસી મામલે આગળ વધી રહ્યું છે.
'એનડીટીવી ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર, એવું જણાવાઈ રહ્યું છે કે ડિજિટલ માધ્યમથી થનારી આ બેઠક બે તબક્કામાં છે.
પ્રથમ તબક્કામાં સવારે 10 વાગ્યે એ આઠ રાજ્યોના મુખ્ય મંત્રીઓ સામે થશે જ્યાં કોરોનાનો કેર સૌથી વધુ છે.
બાદમાં બપોરે 12 વાગ્યાથી અન્ય રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે બેઠક થશે.
એવું પણ કહેવાઈ રહ્યું છે કે બેઠકમાં કોરોના વાઇરસની વર્તમાન સ્થિતિની સમીક્ષા અને રસી વિતરણની રણનીતિને લઈને મુખ્ય મંત્રીઓ, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અન્ય પ્રતિનિધિઓ સાથે ચર્ચા થશે.
'ફાઇવ-સ્ટાર હોટલોથી ચૂંટણી ન જીતી શકાય'
કૉંગ્રેસમાં નેતૃત્વને લઈને અસંતોષ વચ્ચે ગુલામ નબી આઝાદે ફરી એક વાર પાર્ટીની કાર્યપ્રણાલી પર સવાલ કર્યા છે.
'જનસત્તા'ના અહેવાલ અનુસાર, કૉંગ્રેસ નેતાએ કહ્યું કે બિહાર અને અન્ય રાજ્યોમાં પેટાચૂંટણીમાં હારનો દોષનો ટોપલો શીર્ષ નેતૃત્વ પર ઢોળી ન શકાય.
તેઓએ કહ્યું કે હારનું કારણ એ છે કે કૉંગ્રેસના નેતાઓનો સામાન્ય લોકોથી સંપર્ક કપાઈ ગયો છે. કૉંગ્રેસના નેતાઓએ કમસે કમ ચૂંટણી સમયે ફાઇવ સ્ટાર કલ્ચર છોડી દેવું જોઈએ.
આઝાદે કહ્યું, "અમારા નેતાઓ આજકાલ ટિકિટ મળતા જ ફાઇવ સ્ટાર હોટલના રૂમ બુક કરાવે છે. નેતાઓને ખબર હોવી જોઈએ કે આ રીતે ચૂંટણી ન જીતી શકાય."
તેઓએ એમ પણ કહ્યું કે જ્યાં સુધી આપણે આ કલ્ચર નહીં બદલીએ ત્યાં સુધી સ્થિતિમાં સુધારો નહીં આવે.
અમેરિકામાં ડિસેમ્બર સુધીમાં 'કોરોનાની રસી મળી શકે'
અમેરિકામાં લોકોને ડિસેમ્બર સુધીમાં કોરોના વાઇરસની રસી મળી શકે છે.
કોરોના વાઇરસ રસીના અમેરિકન કાર્યક્રમના પ્રમુખ અનુસાર અહીંના લોકોને 11 ડિસેમ્બરથી કોવિડ-19ની રસી મળી શકે છે.
ડૉક્ટર મૉનસેફ સલોઈએ અમેરિકન નેટવર્ક સીએનએનને જણાવ્યું કે રસીને સ્વીકૃતિ મળ્યાના 24 કલાકમાં તેને વૅક્સિનેશન સેન્ટરો સુધી પહોંચાડવાની યોજના છે.
દવા કંપની ફાઇઝર અને તેની સહયોગી બાયૉએનટેકે શુક્રવારે કોવિડ-19ની પોતાની રસી માટે અમેરિકામાં કટોકટી સ્વીકૃતિ માટે અરજી કરી છે.
કંપનીનો દાવો છે કે તેની એક ઍડવાન્સ ટ્રાયલમાં આ રસી 65 વર્ષથી વધુ ઉંમરના 94 ટકા લોકોની રક્ષા કરી શકે છે.
જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા અનુસાર અમેરિકમાં એક કરોડ 20 લાખ લોકો કોરોનાથી સંક્રમિત છે અને 2,55,000 લોકોનાં આ વાઇરસથી મૃત્યુ થયાં છે.
મૃત્યુનો આ આંકડો દુનિયાના કોઈ પણ દેશ કરતાં વધુ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો