You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતી સિંહ અને તેમના પતિ હર્ષને જ્યુડિશિયલ કસ્ટડીમા મોકલાયાં, કાલે જામીન અરજી પર સુનાવણી
ટીવી દુનિયાની લોકપ્રિય કૉમેડિયન ભારતી સિંહ અને તેમના પતિ હર્ષ લિંબાચિયાને ડ્રગ્સ કેસમાં ધરપકડ બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં છે.
બીબીસીનાં સહયોગી પત્રકાર મધુ પાલે જણાવ્યું કે બંનેની જામીન અરજી પર કાલે સુનાવણી થશે.
ભારતીની એનસીબીએ શનિવારે ધરપકડ કરી હતી, જ્યારે તેમના પતિ હર્ષની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી.
ભારતી સિંહના ઘરે ડ્રગ્સ મળી આવ્યું હોવાની વાત કહેવામાં આવી રહી છે.
એનસીબીના ઝોનલ નિદેશક સમીર વાનખેડેએ સમાચાર એજન્સી પીટીઆઈને ભારતી સિંહના પતિ હર્ષની ધરપકડની પુષ્ટી કરી છે.
એનસીબીના અધિકારીઓનું કહેવું છે કે ભારતી સિંહ અને તેમના પતિ પર ગાંજાના સેવનનો મામલો છે.
મુંબઈમાં ડ્રગ્સના મામલામાં એનસીબી સતત દરોડા પાડી રહી છે.
બીબીસીનાં સહયોગી મધુ પાલે જણાવ્યું, "કેટલાક દિવસો પહેલાં અભિનેતા અર્જૂન રામપાલના ઘરે એનસીબીની ટીમે દરોડા પાડ્યા હતા. સુશાંતસિંહ રાજપૂતના કેસમાં ડ્રગ્સનો ઉલ્લેખ થયા બાદ એનસીબીએ ઘણા ડ્રગ્સ પેડલર્સને પકડ્યા છે અને ધીરે-ધીરે ઘણાં નામ સામે આવી રહ્યાં છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજકોટમાં મેલી વિદ્યાની આશંકાએ આદિવાસી મહિલાને સળગાવાયાં
'ડેક્કન હેરાલ્ડ'ના એક અહેવાલ પ્રમાણે રાજકોટમાં એક પ્રવાસી આદિવાસી મહિલા કામદારને મેલી વિદ્યાની શંકામાં તેમના પરિવારજનો સામે કથિતપણે સળગાવી દેવાનો મામલો સામે આવ્યો છે.
પોલીસ અધિકારીઓએ આપેલી જાણકારી અનુસાર ઘટનાના ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે પીડિતાને હૉસ્પિટલમાં ખસેડાયા બાદ તેમની તબિયત સ્થિર છે.
પીડિતા તેમના પતિ સાથે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વિરનગર ગામ ખાતે ખેતરમાં મજૂરી કરતાં હતાં.
ઘટનાની એફઆરઆઈ પ્રમાણે આરોપીએ 'ભુવા તરીકેની પોતાની શક્તિ છીનવી લીધી' હોવાના આરોપસર પીડિતા સાથે મારઝૂડ કરી મકાઈના ડૂંડા સળગાવી તેમની પર ફેંકતા પીડિતા 60 ટકા સુધી દાઝી ગયાં હતાં.
પોલીસે આ મામલે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત લવાઈ રહેલા 13 બાળમજૂરોને છોડાવાયા
'હિંદુસ્તાન ટાઇમ્સના' એક અહેવાલ અનુસાર શુક્રવારે બે બસોમાં ગુજરાત લવાઈ રહેલા 13 આદિવાસી બાળમજૂરોને રાજસ્થાનના ઉદયપુર ખાતેથી છોડાવાયા છે.
ઉદયપુરના લીગલ સર્વિસીસ ઑથોરિટીનાં સેક્રેટરી રિધિમા શર્માએ કહ્યું, "ઉદયપુરના ગોગુંડા અને સરિયા ખાતેથી ખાનગી બસોમાં બાળમજૂરોને ગુજરાત લઈ જવાઈ રહ્યા હોવાની માહિતી મળી હતી."
"શુક્રવારે અમને 10 ખાનગી બસોમાં દસથી 15 બાળકો લઈ જવાઈ રહ્યાં હોવાની માહિતી મળી હતી."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે બાળમજૂરોને છોડાવવા માટે પોલીસની મદદથી ચેક પોસ્ટ લગાવાઈ હતી. જેમાં બે બસો ચકાસતા 12 છોકરા અને એક છોકરી મળી આવ્યાં હતાં.
આયુર્વેદના ડૉક્ટરોને સર્જરી કરવાની મંજૂરી
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના એક અહેવાલ અનુસાર કેન્દ્ર સરકારે આયુર્વેદ ડૉક્ટરોને વિવિધ સર્જરી કરવાની પરવાનગી આપતું એક નોટિફિકેશન રજૂ કર્યું છે.
જે અંતર્ગત આયુર્વેદ ડૉક્ટરો સામાન્ય સર્જરી, ENT, આંખ, દાંત અને હાડકાંને લગતી સર્જરી કરી શકશે.
જોકે, સેન્ટ્રલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયન મેડિસિનના પ્રમુખનું આ વિશે કહેવું હતું કે, "આ પ્રકારની સર્જરીઓ આયુર્વેદ ઇન્સ્ટિટ્યૂટ અને હૉસ્પિટલોમાં 25 વર્ષોથી થઈ રહી છે. નવા નોટિફિકેશન પ્રમાણે માત્ર તેને કાયદેસર જાહેર કરવામાં આવી છે."
નોટિફિકેશન અનુસાર આયુર્વેદ ડૉક્ટરોની PG ટ્રેનિંગ વખતે આ સર્જરીઓની તાલીમ અપાશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો