ગુજરાતમાં એક દિવસમાં 1515 નવા કોરોનાના કેસ, દિવાળી બાદ સ્થિતિ કેવી રીતે બગડી?

ઇમેજ સ્રોત, kalpit bhachech
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધારે કોરોના વાઇરસના નવા કેસ આવ્યા છે. રાજ્યમાં એક જ દિવસમાં 1515 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે.
અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં 373 અને સુરતમાં 262 કેસ આવ્યા છે.
રાજ્યમાં એક જ દિવસમાં કોરોના વાઇરસથી કુલ 9 દર્દીઓનાં મોત થયાં છે, આ સાથે જ રાજ્યમાં કોરોનાના મૃતકોની કુલ સંખ્યા 3846 પર પહોંચી ગઈ છે.
આ સાથે જ રાજ્યમાં કુલ 1,95,917 કોરોના વાઇરસના સંક્રમણના કેસ થયા છે. આજની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 13,285 કોરોના વાઇરસના ઍક્ટિવ કેસ છે. જેમાં 95 દર્દીઓને વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
ગુજરાતમાં કયા જિલ્લામાં કેટલા કેસ આવ્યા?

ઇમેજ સ્રોત, Gujarat health department
બીજી તરફ 1,78,786 દર્દીઓ કોરોના વાઇરસમાંથી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

દિવાળી પછી ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કેવી રીતે બગડી?

ઇમેજ સ્રોત, Getty Images
14 નવેમ્બરના રોજ સમગ્ર દેશમાં દિવાળી ઊજવવામાં આવી. પરંતુ ગુજરાત જેવાં કેટલાંક રાજ્યો માટે ઉજાસનો આ તહેવાર કોરોનાની પરિસ્થિતિને વધુ બેકાબૂ બનાવનાર સાબિત થયો.
સમાચાર સંસ્થા પીટીઆઈએ રાજ્યના આરોગ્યવિભાગને ટાંકીને જણાવ્યું છે કે રાજ્યમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 1,94,402 થઈ ગઈ છે, જ્યારે કુલ મૃતાંક 3,837 થઈ ગયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમાં પણ ગુજરાતનાં મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની પરિસ્થિતિ તો એટલી બધી નાજુક બની ગઈ કે હવે સંપૂર્ણ અને આંશિક કર્ફ્યુ લાદી દેવાનો વારો આવી ગયો છે.
નોંધનીય છે કે દિવાળી પહેલાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસોમાં રાજ્યવ્યાપી વધારો જોવા મળ્યો છે.
અહીં નોંધવું ઘટે કે નવરાત્રી બાદથી ગુજરાતીઓમાં વધતાં જતાં બેદરકારીના પ્રમાણને કારણે તબીબો અને નિષ્ણાતો કોરોનાની પરિસ્થિતિ વકરશે તેવી ચેતવણી ઉચ્ચારી રહ્યા હતા.

દિવાળી પહેલાં કેવી હતી સ્થિતિ?

ઇમેજ સ્રોત, Getty Images
દિવાળીના અમુક દિવસ પહેલાં કોરોનાના રોજિંદા કેસોની સંખ્યા એક હજાર કરતાં ઓછી થઈ હતી. પરંતુ જેમજેમ દિવાળીનો તહેવાર નજીક આવતો ગયો તેમતેમ બજારોમાં ભારે ભીડને પગલે કોરોના વાઇરસને પગપેસારો કરવાની તક મળી ગઈ હોવાનો મત નિષ્ણાતો વ્યક્ત કરે છે.
પરિણામે 20 નવેમ્બર, 2020 શુક્રવારના રોજ 1,420 નવા દર્દી નોંધાયા હતા.
દિવાળી પહેલાં કોરોનાની સ્થિતિ અંગે જાણવા માટે તે દરમિયાન નોંધાયેલા કેસોની સંખ્યા પર એક નજર કરીએ.
ગુજરાત સરકારની રોજિંદી અખબારી યાદી અનુસાર 4 નવેમ્બર, 2020ના રોજ ગુજરાતમાં કોરોનાના નવા 975 કેસો સામે આવ્યા હતા.
જ્યારે 5 નવેમ્બરના રોજ કોરોનાના નવા 990 દર્દીઓ નોંધાયા હતા. જે બાદ દિવાળી સુધી કયા દિવસે કેટલા કેસ આવ્યા?
આમ દિવાળી પહેલાંના દિવસોમાં સરેરાશ 1055 કેસો પ્રતિ દિવસ નોંધાયા હતા.

દિવાળી પછી કેવી થઈ સ્થિતિ?

ઇમેજ સ્રોત, Getty Images
15 નવેમ્બર, 2020ના રોજ રાજ્યમાં કોરોના 1,070 નવા કેસો નોંધાયા હતા.
જ્યારે 16 નવેમ્બરે 926, 17 નવેમ્બરે 1,125, 18 નવેમ્બરે 1,281, 19 નવેમ્બરે 1,340 અને 20 નવેમ્બરે 1,420 નવા કોરોનાના દર્દી નોંધાયા હતા.
આમ દિવાળી પછી છ દિવસમાં પ્રતિ દિવસ સરેરાશ 1193 નવા દર્દીઓ નોંધાયા છે. નોંધનીય છે કે ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અખબારના એક અહેવાલ અનુસાર રાજ્યમાં 53 દિવસ બાદ પહેલી વાર 1400 કરતાં વધુ કેસો નોંધાયા હતા.
જ્યારે વધુ ચિંતાજનક રીતે 327 કેસો સાથે 156 દિવસમાં અમદાવાદમાં સૌથી વધુ કેસો નોંધાયા હતા.
નોંધનીય છે કે પાછલા ઘણા દિવસોથી અમદાવાદમાં કોરોનાના કેસોનો આંકડો 200 કરતાં ઓછો રહેતો હતો. પરંતુ દિવાળી અને તહેવારોની સિઝન બાદ આ આંકડો વધતા શહેરીજનો અને તબીબોની ચિંતામાં વધારો થયો છે.
નોંધનીય છે કે એક તબક્કે રાજ્યમાં કોરોનાના કેસોનો આંકડો 900 કરતાં પણ ઓછો થઈ ગયો હતો.

તબીબોએ પહેલાં પણ આપી હતી ચેતવણી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના પ્રમુખ ડૉ. કિરીટ ગઢવીએ બીબીસીને જણાવ્યું હતું કે લોકો શોપિંગ કરવા અને તહેવાર ઊજવવા માટે નીકળી રહ્યા હોઈ અમદાવાદમાં કોરોનાના કેસો વધી રહ્યા છે.
આ સિવાય અમદાવાદ હૉસ્પિટલ્સ ઍન્ડ નર્સિંગ હોમ્સ ઍસોસિયેશનના પ્રમુખ ડૉ. ભરત ગઢવી અને અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનનાં ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. મોના પી. દેસાઈએ બીબીસી સાથેની વાતચીતમાં અગાઉ તહેવારોની ખરીદી માટે બેદરાકરીપૂર્વક વર્તી રહેલા લોકોના કારણે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ ફરી વખત બેકાબૂ બની જશે તેવો ભય વ્યક્ત કર્યો હતો.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો























