આરોગ્ય સેતુ ઍપ્લિકેશનના નિર્માતાને લઈને વિવાદ કેમ થઈ રહ્યો છે?

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

કોરોના વાઇરસની મહામારી દરમિયાન ભારતમાં દરેક જગ્યાએ આરોગ્ય સેતુ ઍપને ફરજિયાત કરી દેવામાં આવી અને હવે આ જ ઍપ્લિકેશન સવાલોના ઘેરામાં આવી છે.

હાલ જ એક RTIમાં આ ઍપ્લિકેશન સંદર્ભે કંઈક જાણકારી માગવામાં આવી હતી, જેનો જવાબ આપવામાં નેશનલ ઇન્ફૉર્મેટિક સેન્ટર અસમર્થન રહ્યું હતું. જોકે, હવે વિવાદ બાદ સરકાર તરફથી સ્પષ્ટીકરણ સામે આવ્યું છે.

હવે સરકારે કહ્યું છે કે કોરોના વાઇરસ સામે લડવા માટે રેકોર્ડ સમયમાં સાર્વજનિક-ખાનગી સહયોગથી આરોગ્ય સેતુ ઍપને તૈયાર કરી છે. સાથે જ તેને ખૂબ જ પારદર્શી રીતે વિકસાવવામાં આવી હતી.

જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં એવો દાવો પણ કરાયો છે કે આ ઍપ્લિકેશનને 21 દિવસના રેકૉર્ડ સમયમાં તૈયાર કરવામાં આવી છે.

સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે આ ઍપ્લિકેશન સંબંધિત કોઈ શંકા ન હોવી જોઈએ અને ભારતમાં કોરોના વાઇરસની મહામારી રોકવામાં આરોગ્ય સેતુએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

શું હતો વિવાદ ?

આરોગ્ય સેતુ ઍપની વેબસાઇટ કહે છે કે તેને નેશનલ ઇન્ફૉર્મેટિક્સ સેન્ટર અને આઈટી મંત્રાલયે ડેવલપ કરી છે, પરંતુ આ ઍપ અંગે નોંધાયેલી એક RTIમાં બન્નેએ કહ્યું હતું કે તેમની પાસે આ અંગે કોઈ જાણકારી નથી કે આ ઍપને કોણે ડેવલપ કરી.

સેન્ટ્રલ ઇન્ફૉર્મેશન કમિશને નેશનલ ઇન્ફૉર્મેટિક સેન્ટર પાસે જવાબ માગ્યો હતો કે જ્યારે આરોગ્ય સેતુ ઍપ્લિકેશનની વેબસાઇટ પર તેમનું નામ છે, તો પછી તેમની પાસે ઍપ્લિકેશનના ડેવલપમૅન્ટ અંગે માહિતી કેમ નથી?

કમિશને આ અંગે ઘણા ચીફ પબ્લિક ઇન્ફૉર્મેશન અધિકારીઓ સહિત નેશનલ ઈ-ગવર્નેંસ ડિવીઝન, ઇલેક્ટ્રૉનિક્સ અને ઇન્ફૉર્મેશન ટેકનૉલૉજી મંત્રાલય તેમજ NICને કારણદર્શક નોટિસ મોકલી છે.

સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા

આરોગ્ય સેતુ ઍપ મામલે ઉઠેલા વિવાદ વચ્ચે સરકારે જવાબ તો આપ્યો, પણ સોશિયલ મીડિયા પર પણ લોકોની પ્રતિક્રિયા રોકાઈ રહી નથી અને લોકો અવનવા મીમ્સ તેમજ જોક બનાવીને આ અંગે મજાક ઉડાવી રહ્યા છે.

શ્રીવાસ્તવ નામના એક ટ્વિટર યૂઝર લખે છે, 'એ સરકાર જેની પાસે રિયા અને દીપિકાની વૉટ્સએપ ચેટ અંગે માહિતી છે, પણ એ માહિતી નથી કે આરોગ્ય સેતુ ઍપ કોણે બનાવી.'

રચિત શેઠ નામના એક યૂઝર લખે છે, 'આરોગ્ય સેતુ ઍપ્લિકેશન પાછળ 4 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા, પણ કોઈ જાણતું નથી કે તે કોણે બનાવી.'

મોહસિન અને અંકુર વર્મા નામના ટ્વિટર યૂઝર્સે કંઈક આ રીતે મજાકિયા અંદાજમાં આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી

વિશાલ મીના નામના ટ્વિટર યૂઝરે લખ્યું છે, 'જો આરોગ્ય સેતુ ઍપ કોઈએ નથી બનાવી, તો તેને મોદી સરકારનું બિનવારસી બાળક સમજીએ.'

શું છે આરોગ્ય સેતુ ઍપ?

કેન્દ્ર સરકારના દાવા મુજબ આ ઍપ લોકોને કોરોના વાઇરસના સંક્રમણના ખતરાથી સાવચેત કરે છે.

જો મોબાઇલમાં આ ઍપ છે તો તમને આસપાસ ફરી રહેલા કોરોના પૉઝિટિવ લોકો વિશે જાણકારી મળી શકે છે.

આ ઍપને 3 એપ્રિલના રોજ લૉન્ચ કરવામાં આવી હતી.

આરોગ્ય સેતુ ઍપ બ્લૂટૂથ ટેકનિક અને જીપીએસના માધ્યમથી તમારા લૉકેશનનો ઉપયોગ કરીને એ ટ્રેક કરી શકે છે કે ક્યાંક તમારી આસપાસ કોરોના સંક્રમિત દર્દી તો નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો